Dr. Mrugesh Vaishnav

  • Home
  • Dr. Mrugesh Vaishnav

Dr. Mrugesh Vaishnav Dr. Mrugesh Vaishnav is Consultant Psychiatrist Sex Therapist & Motivational Trainer since last 40 Yr

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnઓવરથીંકીંગ અનિચ્છનીય, વિકૃત અને ભયાનક વિચારોનું દબાણ- વેદના-સંવેદના-...
13/08/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

ઓવરથીંકીંગ અનિચ્છનીય, વિકૃત અને ભયાનક વિચારોનું દબાણ
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*************************
તમને વારંવાર ખરાબ વિચાર આવતાં હોય તો તેમાં કંઈ ખોટું નથી પરંતુ આ વિચારો સાથે લડવાની તમારી રીત ખોટી હોઈ શકે છે
*************************

તમે ક્યારેક ટ્રેનના પ્લેટફોર્મની ધાર ઉપર ગાડીને આવવાની રાહ જોતા હોવ અને તમે તમારા વિચારોમાં હોવ ત્યારે અચાનક જ તમારા મનમાં એક વિચાર ઝબકે કે 'મારાથી પ્લેટફોર્મ પરથી કૂદીને આત્મહત્યા નહીં થઇ જાયને ?' અથવા તો 'મારાથી આ સામે ઉભેલા માણસને રેલ્વેટ્રેક પર ધક્કો તો નહીં મારી દેવાયને ?' મારા માનસિક સ્વાસ્થ્ય વિશેના જનજાગૃતિ સેમીનારમાં આવા પ્રશ્ન હું એક ભરેલા હોલમાં બેઠેલા તમામ લોકોને પૂછુંછું કે શું તમને ક્યારેય આ પ્રકારના વિચારો આવ્યા છે ? ત્યારે લગભગ 90% લોકો આ વાત સ્વીકારે છે કે તેમને આ પ્રકારના વિચારો અનુભવ્યા છે.
મારા સવાલનો ઉપર મુજબ જવાબ આપનાર લોકોને હું નીચે મુજબ વધારે પ્રશ્નો પૂછું છું :
શું આવા વિચારો તમને ખરેખર પરેશાન કરે છે?
શું તમને ડર લાગે છે કે આવું વિચારવું એ સાબિત કરે છે કે તમે એક ખરાબ અથવા તો ખતરનાક વ્યક્તિ છો ?
શું તમે તમારા વિચારોમાંથી છૂટવાના પ્રયત્નો કરો છો પરંતુ એ પાછા ફરીને આવે છે?
શું તમને એવું લાગે છે કે તમારી જાણ બહાર તમે કંઇક ખોટું કરી નાખ્યું છે.
શું તમને શરમ આવે છે કે લોકોને તમારા આવા વિચારોની જો ખબર પડી જશે તો એ તમને એક ખતરનાક કે સનકી વ્યક્તિ માનશે અને એ તમારી ઓળખ બની જશે?
ઉપરના પ્રશ્નોનો જવાબ જો 'હા' માં હોય તો તમને અનિચ્છનીય, વારંવાર તમારા મનમાં ઘુસી જતાં, પીડા દાયક વિચારો આવે છે. આને વૈજ્ઞાનિક ભાષામાં ‘Unwanted Intrusive Thoughts’ એટલે કે સામાન્ય ભાષામાં 'ઓવરથીંકીંગ' કહેવાય છે.
આ પ્રકારના અનિચ્છનીય વારંવાર મનમાં ઘુસી જતા પીડા કારક અને વિચિત્ર વિચારો આવવા એ બહુ જ સ્વાભાવિક અને સામાન્ય વાત છે. તેમાં પણ તમારા જેવા શ્રેષ્ઠ, સંયમિત અને લાગણીશીલ લોકોમાં આવા વિચારો આવવા એક સામાન્ય ઘટના છે.
આવા વિચારો વિશે વધારે વાત કરું એ પહેલાં એક વાત હું તમને બહુ સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે તમને આવા વિચારો આવતા હોય તો તમે અકળાશો નહીં કારણ આવા વિચારો કરનારા તમે એકલા નથી.
આપણા દેશમાં સમગ્ર વસ્તીનાં 0.6% લોકો એટલે કે લગભગ 80 લાખથી 1 કરોડ લોકોને આવા વિચારો આવે છે. તેમાં પણ તરુણો, યુવાનો અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં આનું પ્રમાણ 3 થી 9% જેટલું વિવિધ સંશોધનોમાં જણાયું છે.
આવા વિચિત્ર વિચારોનાં ઘણા પ્રકારો હોય છે. હિંસક વિચારો, સંશયયભર્યા વિચારો, જાતીય વિચારો, ધાર્મિક વિચારો એમ જુદાજુદા પ્રકારનાં વિચિત્ર વિચારો આવવા એ ખૂબ સામાન્ય વાત છે.
તમે આ લેખમાળામાં જેમજેમ જુદાજુદા લેખ વાંચશો તેમતેમ તમને આ પ્રકારના વિચારો વિશે સમજાતું જશે. જો તમે આ બધાંજ લેખો હિંમતપૂર્વક વાંચી શકશો તો તમે પ્રશંસનીય માનસિક તાકાત ધરાવો છો એમ હું કહીશ. જો તમને આવા વિચારો આવતાં હોય તો તમે એને રોકવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હશે પરંતુ જો તમે આ વિચારોને નાથવાની તમારી એકની એક રીત ચાલુ રાખશો તો આ વિચારો ક્યારેય બદલાશે નહીં. વિચારો બદલવાની તમારી ઈચ્છા છે એ વાતમાં તમે ખોટા નથી પણ તમારી રીત ખોટી હોઈ શકે છે. સૌ પ્રથમ તમે એક કામ કરો.
તમારા વિચારોને એક ચોક્કસ નામ આપો. દા.ત. 'અનિચ્છનીય વિચારો', 'નકામા વિચારો', 'ઘુસણીયા વિચારો' વગેરે...
તમારા વિચારોને કોઈપણ પ્રકારની શરમ કે ડર વગર જુઓ.
અને એક સનાતન સત્યનો સ્વીકાર કરી લો કે આવા વિચારો કરનાર તમે એકલા નથી.
તમારા વિચારો અને તેના દ્વારા થતી પીડા ઘટાડવા માટેનું આ પ્રથમ પગથિયું છે.
આ લેખમાળા તમને એક વાત જરૂર શીખવશે કે આવા વિચારો કેટલા પ્રકારના હોઈ શકે છે, આવા વિચારો ફરી ફરીને પાછા કેમ આવે છે અને એમાંથી મુક્તિ મેળવવાની અસરકારક રીતો કઈ હોય શકે.
આ પ્રકારના વિચારો વિશે મેં લોકોને જ્યારે સાચી માહિતી આપી છે ત્યારે ઘણાં લોકોએ મને નીચે મુજબ પ્રતિસાદ આપ્યો છે : 'હું છેલ્લા ૯ વર્ષથી Anxiety Disorderનો શિકાર છું અને આ સમય દરમ્યાન હું વારંવાર નિરર્થક અને અનિચ્છનીય વિચારોનો સામનો કરતો રહ્યો છું પરંતુ આવા વિચારો વિષે કોઈને કહેવું એ મારા માટે શક્ય નહતું. મને જ્યારે તમારી પાસેથી જાણવા મળ્યું કે આવા વિચારો ઘણીવાર હિંસાત્મક કે જાતીય હોય શકે છે ત્યારે મને આશાનું એક કિરણ દેખાયું. હું તો એમ સમજતો હતો કે આ મારા મનની એક ઘાતક કે શરમજનક આદત કે એક વળગણ છે.
જેની કબુલાત હું કોઈ સમક્ષ ક્યારેય નહીં કરી શકું પણ જ્યારે આવા વિચારોને મેં વૈજ્ઞાનિકરીતે સ્પષ્ટ આપેલું નામ જાણ્યું એનાથી મારી આંખો ઉઘડી ગઈ અને મારામાં આ વિશે મદદ મેળવવાની હિંમત ખુલી ગઈ.'
અહીં એક વાત યાદ રાખવી કે વૈજ્ઞાનિક અને સચોટ મદદ મળવી સરળ નથી. તમને સંપૂર્ણપણે સમજી શકતા તમારા મિત્રો કે પરિવારજનો સાથે આ વિચારો વિષે વાત કરવી પણ ઘણીવાર નુકશાનદાયક સાબિત થાય છે. કારણ એ લોકોને આવા વિચારો અંગે સમજ ન હોય તો તમને વધારે એકલું લાગવા માંડશે અને તમારી સમસ્યા જેમની તેમ રહી જશે. યાદ રાખો આવા વિચારો આપમેળે દૂર થતાં નથી. આ લેખમાળાનાં વિવિધ લેખો તમને આ વિચારોમાંથી મુક્તિ માટે વ્યવહારુ, સરળ અને કાર્યક્ષમ પધ્ધતિ બતાવશે અને આ વિચારોથી ઉદ્દભવતા ડર, હતાશા અને પીડામાંથી તમને મુક્ત જીવન પર લઇ જશે.
હું આગળ જણાવી ગયો તેમ આવા વિચારો ઘણાં પ્રકારના હોય છે. અહીં હું તમને મારી એક કેસ હિસ્ટ્રીનો દાખલો આપું છું જે ‘Forbidden S*xual Thoughts એટલે કે અસ્વીકાર્ય સેક્સના વિચારો સાથે ઝઝુમતા એક યુવાનનાં મનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષની સત્ય હકીકત છે.
૧૫ વર્ષનો રોહન ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને મિત્રો તથા ઘરનાં સભ્યો સાથે સારા સંબંધો ધરાવતો હતો. છેલ્લા 3-4 મહિનાથી તેને અનિચ્છનીય 'સેક્સ'ના વિચારો વારંવાર આવતા હતાં. ખાસ કરીને મિત્રો આ બાબતની કોઈ ચર્ચા કરતાં હોય અથવા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટયુબમાં આ પ્રકારના વિડીઓ જોવામાં આવતા હોય ત્યારે સેક્સ ના વિચારોનું દબાણ વધી જતું.
શરૂઆતમાં તો તેને આ વિષય પર ઘણું કુતુહલ થયું અને એના વિષે વધુને વધુ જાણવાની એની જિજ્ઞાસા વધતી ગઈ પરંતુ જેમ જેમ તે આ વિષે વધુને વધુ જાણતો ગયો તેમ તેમ તેને સેક્સ વિષયક પ્રતિબંધિત અને અણછાજતા વિચારો આવતા ગયાં જે બદલ તેના મનમાં અફસોસ, અપરાધભાવ, શરમ, ચિંતા અને હતાશાનો અનુભવ થવા લાગ્યો.
તેને ઘરની કોઈ મહિલા નજીક હોય ત્યારે એવા વિચારો આવી જતાં કે
'શું મારાથી આ સ્ત્રી સાથે કોઈ અણછાજતી ચેષ્ટા થઇ જશે ?'
'શું મારાથી એની સાથે કોઈ અડપલું થઇ જશે ?'
'શું મારાથી એના સ્તનને અડકી જવાશે ?'
આવા વિચારોના ડરથી તે ખૂબ જ ગભરાઈ જતો હતો અને ઘરની કોઈપણ સ્ત્રી એટલે કે માતા, બહેન, દાદી, કાકી વગેરેથી દૂર એકલો રહેવાનો પ્રયાસ કરતો હતો.
આ વિચારોને કારણે તે સતત ઉદાસ અને વ્યગ્ર રહેતો હતો અને અભ્યાસમાં તેનું મન લાગતું નહતું. તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ બની ગયો હતો. તેને મોડી રાત સુધી ઊંઘ ન આવતી. તેની ભૂખ પણ ઘટી ગઈ હતી. તેથી ભણવામાં એ પાછળ પડતો જતો હતો. એટલુ જ નહીં ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ હોવા છતાં પણ એ એકલો અને અટૂલો રહેવા લાગ્યો. આવી અસહ્ય મૂંઝવણમાંથી પસાર થતાં રોહન જેવા સંખ્યાબંધ યુવકોને સમજવાની અને સમજાવવાની જરૂર છે. તેના પર દોષારોપણ કરવાની નહીં પણ તેનું મૌન તોડાવવું એ પ્રથમ સારવાર છે. જો તમે તમારા સંતાનોના આવા વિચારોને કારણે પરેશાન હોવ તો કોઈપણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વગર નિષ્ણાંત મનોચિકિત્સક પાસેથી સમયસર માર્ગદર્શન અને સારવાર મેળવો.
અન્ય એક કેઈસ નું ઉદારાહન આપું છું.
૨૫ વર્ષનાં નિરવે તેની મૂંઝવણ જણાવતા મને નીચે મુજબ કહ્યું,
'હું ખૂબજ ભયાનક ઓવરથીંકીંગ કરું છું. લાખ પ્રયત્નો છતાં મને એમાંથી છુટકારો મળતો નથી. એ વિચારો સતત મારા ઉપર કાળા ઘેરા વાદળોની જેમ મંડરાતા રહે છે. જેના કારણે હું મારું કોઈપણ કામ બરાબર રીતે કરી શકતો નથી. મને સતત ચિંતા થયા કરે છે. હું સવારે ઉઠું ત્યારે મારી છાતીમાં ધબકારા થાય છે કારણકે મને ખબર હોય છે કે મારો આખો દિવસ આવા વિચારો વચ્ચે જ પસાર થશે. એ વિચારો એટલા ભયાનક છે કે હું ટેલીવિઝન કે મોબાઈલ પણ જોઈ શકતો નથી. મને સતત એવું લાગ્યા કરે છે કે હું (પેડોફાઈલ) એટલેકે બાળલૈંગિક વૃત્તિ ધરાવતો હીન માણસ છું. જોકે ક્યારેય કોઈ બાળક સાથે કોઈ અણછાજતી હરકત મેં કરી નથી પણ મને ડર લાગે છે કે હું બાળલૈંગિક વૃત્તિ ધરાવતો પેડોફાઈલ છું.
એક દિવસ મને હજી વધારે ખોટો વિચાર આવ્યો 'શું મારા ભાઈને જોઇને મને આકર્ષણ થાય છે ? અડપલા કરવાની ઈચ્છા થાય છે?' આ વિચારો આવ્યા પછી હું એની સામે જોઈ પણ શકતો નથી અને એની સાથે બહાર જવાનું પણ ટાળું છું. કારણ મને સતત ડર રહે છે કે મારાથી તેની સાથે કોઈ અણછાજતી જાતીય હરકતો થઇ જશે.'
૩૫ વર્ષની એક પરિણીત ગૃહિણીએ પોતાની મૂંઝવણ વર્ણવતા કહ્યું કે 'બસ સ્ટોપ પર કોઈ અજાણ્યા પુરુષને હું જોઉં કે એની સાથે વાતચીત કરું તો મારી નજર એના જનનાંગો પર ચોંટી જાય છે અને એ પુરુષ સાથે જાતીય સમાગમ કરવાની મને ઈચ્છા થાય છે. આવા પુરુષો દેખાવમાં સહેજ પણ આકર્ષક ન હોય તો પણ મને આવા વિચારો આવે છે. શું આનો અર્થ મારે એમ કરવો કે હું મારા પતિને પ્રેમ કરતી નથી?'
આ વિશે વધુ ચર્ચાઓ હવે પછીના લેખોમાં કરતાં રહીશું.

ન્યુરોગ્રાફ
તમારા વિચારો ખોટા હોઈ શકે છે પરંતુ એનો અર્થ એવો નથી થતો કે તમે એક ખરાબ વ્યક્તિ છો. યાદ રાખો તમારા વિચારો એ તમે નથી.

True protection is not only guarding from harm, but standing by each other in moments of anxiety, stress, and silent bat...
08/08/2025

True protection is not only guarding from harm, but standing by each other in moments of anxiety, stress, and silent battles.

Happy Raksha Bandhan

07/08/2025

કાલસર્પ દોષ કે મંગળ દોષ તમારું ભવિષ્ય બગાડી શકે ? - Dr. Mrugesh Vaishnav

In this motivational video, Dr. Mrugesh Vaishnav addresses the common myths surrounding Kaal Sarp Dosh and Mangal Dosh. These astrological beliefs often cause unnecessary fear, anxiety, and guilt in people’s lives.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnમાતાના કહેવાતા લગ્નબાહ્ય સંબંધોને પુત્રે આપેલો પ્રતિભાવ (2)- વેદના-સ...
06/08/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

માતાના કહેવાતા લગ્નબાહ્ય સંબંધોને પુત્રે આપેલો પ્રતિભાવ (2)
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

***********************
એ સ્કૂલ પાડીને વારંવાર માતા શું કરે છે એ જોવા ગમે તે સમયે ઘેર આવી જતો
***********************

અંકિતનો OCD આ કારણે તો હતો જ એ વાત અંકિત કબૂલે છે પરંતુ બાળપણનાં ભૂલાઈ ન શકાય એવા કેટલાક ઘાવની ચર્ચા તેણે અંગત રીતે કરી. તે પાંચ-છ વર્ષનો હતો ત્યારે એક દિવસ તે સ્કૂલેથી વહેલો આવ્યો. ત્યારે તેના ઘરનું બારણું બંધ હતું. તેણે બારણું ખખડાવવાને બદલે આમતેમ તિરાડોમાંથી ઘરમાં જોયું. તેના ટેનામેન્ટ પ્રકારના ઘરમાં તેને માતાપિતાના બેડરૂમની અંદરના દ્રશ્યો પણ જોયા. માતા બેડરૂમમાં તેનાથી નાની ઉંમરના એક યુવાન સાથે બેઠી હતી. તે બંને શું કરતાં હતાં તે એ સમજી ન શક્યો પણ કેટલાક દ્રશ્યો અસ્પષ્ટરૂપે તેના મનમાં અંકિત થઇ ગયા હતાં. લગભગ ૩૦ મિનીટ સુધી આ પ્રકારનું નિરીક્ષણ કર્યા પછી તેણે બારણું ખખડાવી અને ઘર ખોલાવ્યું. મમ્મી એ ઘર ખોલ્યું તે સાથે જ બેડરૂમમાંથી પેલો પુરુષ બહાર નીકળ્યો ત્યારે મમ્મીએ એને કહ્યું 'અભી આપ જાઓ. મેરા લડકા સ્કૂલ સે આ ગયા હૈ, લેકિન આપ ફીર મીલના કુછ ઔર બાતેભી કરની રહ ગઈ હૈ.' એ પુરુષ ચાલ્યો ગયો અને બાળઅંકિતે માતા ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી. માતાએ તેને સમજાવતા એટલુંજ કહ્યું કે 'તું વિચારે છે એવું મેં કંઇજ કર્યું નથી. અમે બંને રૂમમાં વાતચીત કરતા હતાં'. પરંતુ તે દિવસથી અંકિતને માતા ઉપર એટલો બધો તિરસ્કાર થયો કે તેણે માતાનું મોઢું જોવાનું પણ બંધ કરી દીધું. અંકિત યાદ કરે છે કે ત્યાર પછી એ સ્કૂલ પાડીને વારંવાર માતા શું કરે છે એ જોવા ગમે તે સમયે ઘેર આવી જતો પરંતુ માતાને તે કોઈપણ રીતે રંગેહાથ પકડી શકતો નહતો.
પુત્રનાં આવા બદલાતા વર્તનને કારણે માતાએ એક દિવસ તેની જેઠાણીને ઘેર બોલાવી તેની હાજરીમાં પુત્રને સાચી વાત કહી. જે યુવાન સાથે તે ઘરમાં હતી તે યુવાનના જેઠાણી સાથે અનૈતિક સંબંધો હતાં અને આ સંબંધો ખુલ્લા ન પડી જાય તે માટે એ યુવાન જેઠાણીને બ્લેકમેલ કરતો હતો અને મોટી રકમ માંગતો હતો. અંકિતની માતાએ તેને સમજાવવા ઘેર બોલાવ્યો ત્યારે એ જોરથી રાડો પાડીને બોલતો હતો એટલે લોકો ન સાંભળી જાય એ માટે માતા ઘર બંધ કરી શાંત કરી અને બેડરૂમમાં લઇ ગઈ. ત્યાં એને ખૂબ સમજાવ્યો કે તે શા માટે કોઈની જિંદગી આમ બરબાદ કરવા માંગે છે. યુવાને આ વાત જાહેર ન કરવા બદલ માત્ર એકજ વાર ચોક્કસ રકમની માંગણી કરી. આ ચર્ચા ચાલતી હતી ત્યારેજ કદાચ પુત્ર ઘેર આવી ગયો હશે. અને તેણે જોયેલા દ્રશ્યોની તેના મન પર ભયાનક અસર પડી. માતાએ તેને જેઠાણીની હાજરીમાં સમજાવ્યું કે તે દિવસે બધીજ ચર્ચા થઇ ગઈ ન હોવાને કારણે તેણે તે યુવાનને ફરી બોલાવ્યો હતો અને એ વાત એણે પુત્રની હાજરીમાં જ કહી હતી.
માતાએ આ સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિને કરી હતી અને જેઠાણીએ પણ આ વાતની કબૂલાત કરી હતી. અંકિતના પિતા એના ભાઈનો સ્વભાવ જાણતા હતા એટલે તેમણે આ વાત અહીંજ પતાવી દીધી હતી અને પોતાની પત્નીને બધાની હાજરીમાં સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કરી પેલા યુવકને સામ, દામ, દંડ અને ભેદથી સરખો કરવાની જવાબદારી માથે લીધી હતી.
બાળપણના આ ઘાવની વાત અંકિત ભૂલી ગયો હતો. અને માતાને પ્રેમ પણ કરતો અને તેનું કહ્યું બધુ જ કરતો પરંતુ ત્યારથી તેને ચોખ્ખાઈ અને સ્વચ્છતાની આદતો પડી ગઈ હતી. તરુણાવસ્થાના સમયે હોર્મોન સ્ત્રાવને કારણે તેને સેક્સ વિષે વિજાતીય ખેંચાણ અને સેક્સના વિચારો આવવાના શરુ થઇ ગયાં. એજ સમયે બાળપણનું પેલું દ્રશ્ય તેને યાદ આવ્યું અને તેના મને વિચાર્યું કે તેની માતા એક બદચલન અને ચાલુ ઓરત છે. ત્યારબાદ તેને માતાનાં સ્તન જોઇને ખરાબ વિચારો આવવા માંડયા એટલે તે તેને દુપટ્ટો પહેરાવવા માંડયો. અન્ય સ્ત્રીની સામે તે ક્યારેય આંખ મિલાવી જોઈ ન શકતો અને જો કોઈ સ્ત્રી સામે મળી જતી તો તેની નજર એ સ્ત્રીના સ્તન અને ગુપ્તાંગો પર જતી. આ વિચારોથી અકળાઈને તે પોતાની જાતને ખૂબજ કોસતો, અપરાધભાવ અનુભવતો, તેનું વાંચવામાં મન ન લાગતું અને આ બધા વિચારો માતાનાં બાળપણમાં જોયેલા કહેવાતા બદચલન વર્તનને કારણે હતાં એવું મનમાં નક્કી કરી એ માતા સાથે ઝઘડતો.
અંકિત તેની માતા અને પિતા તથા નાના ભાઈ સાથે ચર્ચા કર્યા પછી અંકિતનું નિદાન ડીલ્યુઝન્સ ઓફ મધર્સ ઇનફીડાલીટી (Dilusions of Mother's Infidelity) ન કરીને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડર કરાયું અને તેની માતા સાથેના આ વર્તનને (રિલેશનશીપ ઓસીડી) નો એક ભાગ સમજી તેની યોગ્ય અને ઘનિષ્ટ સારવાર કરાઈ. ત્રણ મહિનાની સારવારને અંતે અંકિતનું સેક્સ અંગેનું ઓવરથીંકીંગ અને માતા વ્યભિચારી હોવાના વિચારો બંધ થઇ ગયા છે. હવે માતા દુપટ્ટા વગર ઘરમાં ફરે કે પછી પિતા સાથે બેડરૂમમાં લો-કટનું ટોપ અને પસંદ પડે તેવી નાઈટી પહેરે તો પણ અંકિતને કોઈ ખરાબ વિચાર આવતા નથી. હવે તેણે હાથ ધોવાનું અને ચેકિંગ કરવાનું પણ બંધ કર્યું છે. ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડયું હોય તો તેને કોઈ અકળામણ થતી નથી. તેનું વાંચવામાં બરાબર મન લાગી ગયું છે અને ઊચ્ચ અભ્યાસની પ્રવેશ પરીક્ષામાં સારા માર્કસ મેળવી સર્વશ્રેષ્ઠઆઈઆઈટી કોલેજમાં એડ્મિશન લેવાનો તેણે નિરધાર કર્યો છે.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnમાતાના કહેવાતા લગ્નબાહ્ય સંબંધોને પુત્રે આપેલો પ્રતિભાવ- વેદના-સંવેદ...
30/07/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

માતાના કહેવાતા લગ્નબાહ્ય સંબંધોને પુત્રે આપેલો પ્રતિભાવ
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

********************
માતાને અનૈતિક સંબંધ છે એટલે તે વ્યભિચારી છે, એ વિચારે એક યુવાનને ઓવર થિન્કીન્ગનો શિકાર બનાવ્યો જેને કારણે તે પરીક્ષામાં વારંવાર નિષ્ફળ ગયો
********************

શાળાકીય જીવનમાં તેજસ્વી કારકિર્દી ધરાવતા અંકિતનું વર્તન છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર કુટુંબ માટે કોયડો બની ગયું છે. ત્રણ વર્ષ પહેલા તેને કોટા IIT-JEEની તૈયારી માટે કલાસીસ ભરવાનું નક્કી કર્યું હતું. પરંતુ મનનાં અગમ્ય કારણોસર તેણે આ વિચાર પડતો મુક્યો કારણ તે માતાને ઘરમાં એકલી રહેવા દેવા માંગતો નહતો.
અગિયારમા અને બારમા ધોરણમાં ડમી સ્કૂલમાં એડમીશન લઇ તેણે અમદાવાદમાંજ રહીને IIT-JEE ની તૈયારી શરુ કરી. પરંતુ તેનું ધ્યાન ભણવામાં લાગતું ન હતું. તે અકારણ માતા પર ખૂબજ ગુસ્સે થઇ જતો હતો. તેના વિશે ઘણા અપશબ્દો બોલવા માંડતો હતો અને તેને સલવાર કમીઝ પર ગળાબંધ દુપટ્ટો પહેર્યા વગર ઘરમાં ફરતી જોઈ ક્યારેક હિંસક પણ બની જતો હતો.
અંકિત ભણવામાં ખૂબજ હોંશિયાર હતો પરંતુ માતાનાં પહેરવેશ, હાવભાવ અને રીતભાત તેને ખૂબ જ ઉશ્કેરતા. રાત્રે માતા પતિ સાથે નાઈટી કે લો-કટ ટીશર્ટમાં બેડરૂમમાં સુઈ જાય તેનો પણ તેને સખત વાંધો હતો અને માતાએ આવો પહેરવેશ ન પહેરવો જોઈએ એ વિશે તેને ઘણા વિચાર આવતાં અને અડધી રાત્રે માતાના ટીશર્ટ અથવા ગાઉન જેવા નાઈટ ડ્રેસીસ ઉતરાવીને સલવાર કમીઝ અને ગળાબંધ દુપટ્ટો અથવાતો લાંબી બાંયનું બ્લાઉઝ અને માથે ઓઢેલી સાડી પહેરવાનું દબાણ કરતો. જો તેમ ન કરવામાં આવે તો તે અડધી રાત્રે બુમબરાડા પાડતો. જેમાં એવું બોલતો કે 'આ ચરિત્રહિન અને ચાલુ સ્ત્રીને ઘરમાંથી બહાર કાઢો'.
અંકિતના પપ્પા આ બધું જોઈ, સાંભળીને ખૂબજ ગુસ્સે થતા અને અંકિતને ખખડાવીને કહેતા કે 'તારું મગજ ફરી ગયું છે કે શું ? આ સતીસાવિત્રી જેવી પવિત્ર સ્ત્રી પર તું આવા બેહુદા અને શરમજનક આરોપો કરે છે. મને મારી પત્નીમાં ભરોસો છે. તને જો તારી મા માં શંકા હોય તો તું ઘરમાંથી ચાલ્યો જા.'
પપ્પાના આક્રમક વલણને કારણે તે કેટલીકવાર અડધી રાત્રે ઘર પણ છોડી ગયેલો. પરંતુ મા પાછળ પડી પકડી અને તેને પાછો લઇ આવતી.
અંકિતના માતા પ્રત્યેના આવા વિચિત્ર અને શંકાસ્પદ વર્તનની કોઈને ખબર પડતી નહતી. માતા એને પૂછતી 'બેટા તું શું વિચારે છે ? મારી જિંદગીમાં મેં ક્યારેય કઈ ખોટું કર્યું નથી. મારા જીવનમાં એકજ પુરુષ આવ્યો છે અને એ છે તારા પપ્પા. તું જે રીતે મારા પર આક્ષેપો કરે છે એ સાંભળીને મને ધરતીમાં સમાઈ જવાનું મન થાય છે. હું સતત ઘબરાયેલી અને અકળાયેલી રહું છું અને પોતાની જાતને ગુનેગાર માનું છું. તું કહે તેવી અગ્નિપરીક્ષા આપવા હું તૈયાર છું.'
ત્યારે અંકિત જવાબ આપે છે 'મારે કોઈ અગ્નિપરીક્ષાની જરૂર નથી. મને તારા વિષે ખૂબ ગંદા વિચાર આવે છે. તારા ચરિત્ર પર ખૂબ શંકા થાય છે. હું જાણું છું કે તું એવી નથી પણ મારા વિચારોને હું રોકી શકતો નથી.'
અંકિત IIT-JEE નો અભ્યાસ કલાસીસમાં બરાબર કરી શકે એ માટે એને માતાથી દૂર અલગ જગ્યાએ પેઈંગ-ગેસ્ટ તરીકે રાખવામાં આવે છે અને ભણવા માટે એક લાઈબ્રેરીમાં આખો દિવસ તે વાંચી શકે એવી વ્યવસ્થા પણ કરાય છે.
પરંતું અંકિતનું ત્યાં પણ વાંચવામાં મન નથી લાગતું. એને તો એવાજ વિચારો આવે છે કે મમ્મીએ પપ્પાને સમજાવી યુક્તિપૂર્વક મને દૂર હડસેલી દીધો છે એટલે એને તમામ ધંધા કરવા માટેનું મોકળું મેદાન મળી ગયું. આ વિચારોને કારણે તે લાઈબ્રેરી છોડી વારંવાર ઘેર જાસુસી કરવા જતો અને તિરાડમાંથી માતાનાં બેડરૂમમાં નજર કરી લેતો કે એ શું કરી રહી છે. આ બધાં વિચારોને કારણે એનું ભણવામાં મન ન ચોંટયું. પિતાએ ભૂત, પ્રેત અને નડતરને દૂર કરવાની તમામ વિધિઓ કરાવી પણ અંકિતના વિચારોમાં કોઈ ફેરફાર ન આવ્યો અને બારમાં ધોરણમાં તે ત્રણ વખત ફેઈલ થયો. IIT-JEE ની પરીક્ષા તો અભરાઈએ ચડી ગઈ. હવે અંકિત આખો દિવસ ઘરમાં પડયો રહે છે. પોતાનું કેરિયર બગાડવા બદલ માતાને દોષી ગણે છે. ઘરમાં એની સામે માતા સંપૂર્ણ વસ્ત્રોથી ઢંકાઈને રહે એનો એ આગ્રહ રાખે છે. જો માતાનો દુપટ્ટો સહેજ પણ આઘોપાછો થાય તો તે તેની આંખ સામે જોઈ શકતો નથી. કારણ તેની નજર સીધી માતાના સ્તન પર જાય છે અને તેને ખૂબ જ ગંદા વિચારો આવે છે. એટલુજ નહિ તે માતા પર ગુસ્સે ભરાય અને ગાળો બોલે છે અને ક્યારેક હાથ પણ ઉપાડી લે છે.
પુત્રના વલણથી માતા અકળાયેલી અને ગભરાયેલી રહે છે અને તેને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. તેના પરના આવા ખોટા આક્ષેપોથી તે પણ હવે હારી અને થાકી ગઈ છે અને જિંદગી નો અંત આણવા માંગે છે. આખરે અંકિતની મનોચિકિત્સા કરાવાનું નક્કી થાય છે પરંતુ અંકિત આ માટે કોઈપણ સાઇકિયાટ્રિસ્ટ ને ત્યાં જવાનો વિરોધ કરે છે.
આખરે મમ્મી પપ્પા દ્વારા સમજાવીને એને મારી પાસે લઇ આવવામાં આવે છે.
અંકિતના સ્વભાવ અને બાલ્યાવસ્થાના વર્તનની હિસ્ટ્રી પરથી એવું જાણવા મળે છે કે એને ઘરમાં કોઈજ અવ્યવસ્થિત વસ્તુ પડેલી હોય એ ગમતી નથી. ઘરમાં સતત ચોખ્ખાઈ રહેવી જોઈએ તેનો તે આગ્રહી છે. COVID દરમ્યાન 2020 અને 2021 માં તે વારંવાર હાથ ધોતો અને ધોવડાવતો. તેને કોઈપણ પ્રકારનો નકારાત્મક વિચાર આવતો ત્યારે તરત તેને પેશાબ કરવા દોડી જવું પડતું. તે વારંવાર ગુસ્સે થઇ જતો. તેને લાગતું કે તે હોંશિયાર હોવા છતાં પોતાના વિચારોને કારણે બીજા બધાં મિત્રોથી પાછળ પડતો જાય છે. પરંતુ લાખ કોશિશ કરવા છતાં તેના વિચારો તેનો પીછો છોડતા નહતાં
આ બધા વિચારો ને કારણે અંકિત IIT-JEE માં જઈ શક્યો નહીં. છેલ્લા એક વર્ષમાં તેનું સાત-આઠ કિલોથી વધારે વજન ઉતરી ગયું અને તેને વારંવાર પેશાબ જવું પડતું હોવાથી તે ઘરની બહાર નીકળી શકતો નહીં. તે કોઈપણ સ્ત્રીને બ્લાઉઝ, જીન્સ કે લો-કટ ટોપ્સમાં જોવે છે તો એ સેક્સના વિચારોથી એટલો બધો અકળાય જાય છે કે તે દિવાલ સાથે પોતાનું માથું અથડાવવા લાગે છે.
અંકિતના માતા સાથેનાં સંબંધો સંપૂર્ણપણે તૂટી ગયા છે. તેના માતાનાં ગેરવ્યવહારના તેના અનુભવોએ તેને આવી ગંભીર મનોદશા તરફ દોર્યો છે એવું તે મનમાંને મનમાં માને છે.
અંકિત ઓબ્સેસ્સીવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનો શિકાર હતો. આ ડીસઓર્ડરની જાળમાં ઘેરાતા વ્યક્તિના મનમાં ચોખ્ખાઈનાં, વારંવાર ચેક કરવાના, બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ગોઠવવાના તથા સેક્સ વિષયક નજીકના વિજાતીય સેક્સવાળા પાત્રો અને દેવી-દેવતાની મૂર્તિના અંગ-ઉપાંગો પર વિકૃત સેક્સના વિચારો આવી શકે છે. મગજમાં સિરોટોનીન નામનાં રસાયણની ક્ષતિને કારણે આ પ્રકારનું વિચારદબાણ અને હાથ ધોવા, બધું સ્વચ્છ રાખવું, બધું ગોઠવવું અથવા સેક્સનાં વિચારો માટે જાતમાં અપરાધભાવ અનુભવવો એ બધું સામાન્યપણે જોવા મળે છે. (ક્રમશ:)

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnપોર્નોગ્રાફીના ઉપયોગથી ઉભી થતી સમસ્યા અને તેનો ઉકેલ- વેદના-સંવેદના- ...
23/07/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

પોર્નોગ્રાફીના ઉપયોગથી ઉભી થતી સમસ્યા અને તેનો ઉકેલ
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*****************
પતિ પોર્નોગ્રાફીના દુરુપયોગ તરાફ ફંટાય છે ત્યારે થતા દામ્પત્ય જીવનના ઝંઝાવાતમાં શું કરવું?
*****************

દામ્પત્ય સંબંધોમાં પરસ્પરમાં વિશ્વાસ હોવો એ દામ્પત્યની ઈમારતનો પાયાનો પથ્થર છે. એટલે જ જ્યારે કોઈ એક જીવનસાથી કોઈપણ સંજોગોમાં આનંદ અને કુતુહલવશ થઈને અથવા પોતાની લઘુતા અને હતાશાની ક્ષતિપૂર્તિ માટે કોઈક એવું કાર્ય કરે કે જેના કારણે સામેના પાત્રનો દામ્પત્ય સંબંધોમાંથી વિશ્વાસ જ ઉઠી જાય ત્યારે દામ્પત્ય જીવનની ઈમારતના પાયા ડગમગવા લાગે છે. આવી દુર્ઘટનાઓ આજકાલનાં ઘણાં યુગલોમાં જોવા મળે છે.
ઘણીવાર એવા પુરુષો કેટલીક સલાહ મેળવવા આવે છે કે 'બેંગકોક પતાયા કે બાકુ મિત્રોના ગ્રુપમાં જવાનું છે. આ વખતે તો જિંદગીનો બધો જ આનંદ મેળવી લેવો છે. પરંતુ આવું કરવા જતાં ક્યાંક લ્લૈંફ કે અન્ય ગુપ્તરોગના શિકાર બની જવાય તો એવી સારવાર કરશો કે જેથી થાયલેન્ડ અને આઝાર્બેજાનમાં જિંદગી જેટલી માણવી હોય તેટલી માણીયે પણ કોઈ ગુપ્તરોગ લઈને પાછા ન આવીએ. કારણ ધંધાકીય અને બાળકોની બહુ મોટી જવાબદારી છે. તેથી એચ. આઈ. વી. જેવા ભયાનક રોગો થાય તે પોષાય તેમ નથી.
જ્યારે આ લોકોને એવું કહેવામાં આવે છે જો મજા જોખમકારક હોય અને મજા પછીની સજા ભયાનક હોવાની શક્યતા હોય તો શા માટે મજા લેવી ?' ત્યારે જવાબ મળે છે, 'સાહેબ, વિજ્ઞાાન જ્યારે આગળ વધ્યું હોય અને ગમે તેવા રોગોને નાથવા માટેની ક્ષમતા ધરાવતું હોય તો જિંદગીમાં આ ઉંમરે મજા શા માટે ન કરીએ?' અમારું કામ મઝા લેવાનું અને તમારું કામ રોગ પ્રતિકારક દવાઓ કરવાનું.
પરંતુ જાતીય મજા લેવાની આ થોડીસી બેવફાઈ જો વૈવાહિક જીવનનાં સુખ અને શાંતિને કાયમ માટે ધરાશાયી કરી દેતી હોય તો આવી મજા શા કામની ?
ભારતમાં પોર્ન વેબસાઈટની દર મહિને લાખો વિઝીટ્સ થાય છે. મોટે ભાગે ૨૫ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિઓમાં આ પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમાં પણ મોટેભાગે મધ્યમ વયનાં પુરુષો પોર્નોગ્રાફીનો ઉપયોગ વારંવાર અને તીવ્ર માત્રામાં કરે છે. મોટાભાગે આનો ઉપયોગ રાત્રીના એકાંતમાં કે પછી દિવસભર કોઈપણ સમયે થાય છે. કેટલીકવાર વધારે પ્રમાણમાં પોર્નોગ્રાફી જોવાની આદત એ ઓબ્સેસન કે વળગણ અથવા વ્યસન કે એડિકશન પણ બની શકે છે.
ઘણાં પરિણીત પુરુષો અને સ્ત્રીઓ પોતાના દામ્પત્ય જીવનમાં શારીરિક કે ભાવનાત્મક અસંતોષના પરિણામે પોર્નોગ્રાફી તરફ આકર્ષાય છે તો ઘણીવાર એકાંતવાસ, ઉંમર અને સેક્સ ન મળવાની સંભાવનાને કારણે આનો ઉપયોગ થાય છે. કેટલાક સંબંધોમાં પોર્નોગ્રાફીનો ઉપયોગ જાતીય જુસ્સો વધારવાના સાધનરૂપે થાય છે. તો કેટલાક કિસ્સામાં છુપીરીતે પોતાના જીવનસાથીની જાણ બહાર પોર્નોગ્રાફીનો દુરુપયોગ જીવનસાથી પ્રત્યેની કામેચ્છા અને કામોત્તેજના ઘટાડવાનું કામ કરે છે અને બંને વચ્ચેનો લાગણીના સંબંધોનો સેતુ કરડભૂસ થઈ જાય છે.
આવી જ એક વાત પ્રેમસંબંધોથી લગ્નસંબંધો સુધી પહોંચેલા એક પરિણીત યુગલ કિયાના અને અયાનની છે.
કિયાના અને અયાનનું લગ્નજીવન ૨૦૧૮માં ૪ વર્ષના પ્રેમસંબંધોના પરિણામે શરુ થયું હતું. બંને પ્રેમીઓ યુવાનવયથી જ 'હરેકૃષ્ણ' ચળવળ સાથે જોડાયેલા હતાં અને આધ્યાત્મિક વિકાસ તરફ ઝુકાવ ધરાવતા હતાં. લસણ, ડુંગળી, તંબાકુ, દારુ વગેરેનો ઉપયોગ અધાર્મિક છે એવું તેઓ માનતા હતાં અને જપ, પૂજા અને ઉપવાસ તેમની રોજીંદી આદત હતી. બંને વચ્ચેનો પ્રેમ સંબંધ સારસ બેલડી જેવો હતો.
લગ્નના થોડા સમય પછી કિયાના ગર્ભવતી થઇ અને પ્રસુતિ માટે તે લગભગ ૯ મહિના સુધી પોતાના પિયરમાં ચાલી ગઈ.
પિયરમાંથી પાછા વળીને કિયાના અને અયાન પુત્રને સાથે લઇ શ્રી કૃષ્ણધામમાં આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યાંથી પાછા વળ્યા પછી અયાન ખુબ જ અસ્વસ્થ થઇ ગયો અને રાત્રે ઘેર પહોંચી પત્ની કિયાનાને કહ્યું કે મારે તારી સાથે કેટલીક અંગત વાત કરવી છે. તું જ્યારે પ્રસુતિ માટે તારા પિયરમાં ગઈ હતી ત્યારે લગભગ ૯ મહિના સુધી મેં તારી સાથે દગાખોરી કરી છે અને મને ન મળતા સેક્સનો આનંદ મેં બહારથી લીધો છે.
કિયાના આ વાત સાંભળીને હચમચી ગઈ અને તેણીએ અયાનને કહ્યું 'તમે આટલાબધાં ધાર્મિક અને આધ્યાત્મવાદી વ્યક્તિ છો અને મારી સાથે જનમો જનમના પ્રેમસંબંધમાં જોડાયા છો એટલે તમે કોઈજ અજુગતું કાર્ય કરી શકો જ નહીં મને તમારા પર ભરોસો છે અને તમારો મસ્કરો સ્વભાવ પણ મને ખબર છે પણ આ સમયે કંઇક સારી વાત કરો.'
અયાનની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ગદગદ થઈને બે હાથ જોડી કિયાનાને કહ્યું 'મેં તારો ઘોર અપરાધ કર્યો છે. તારી સાથે દગો કર્યો છે. મને માફ કરી દે.'
કિયાના એ કહ્યું 'પણ વાત શું છે એ તો કહો. તમારી ગમે તેવી ગંભીર ભૂલ હું માફ કરી શકું છું કારણ હું તમને સાચા દિલથી ચાહું છું.'
અયાને કિયાનાને જણાવ્યું 'તું જ્યારે પ્રસુતિ માટે પિયર હતી ત્યારે રાત્રીના એકાંતમાં મેં નિયમિત રીતે પોર્ન વેબસાઇટ વિઝીટ કરી છે. પોતાની જુદી જુદી વેબસાઈટની વિઝીટની હિસ્ટ્રી બતાડતા, એક વેબસાઈટનું લાઈવ સ્ટ્રીમીંગ બતાડી અયાને કિયાનાને કહ્યું કે અહીં આ રીતે ફીમેલ ઓપ્શન પસંદ કરવામાં આવે છે. આના પછી દર્શકો સામેના છેડેની લાઈવ સેક્સ પ્રવૃત્તિઓ જોઈ શકે છે અને મન ફાવે તેવી કોમેન્ટ્સ કરી શકે છે. આ બધાથી ઉત્તેજિત થઈને જો તમે પ્રાઈવેટ શો પરનું બટન દબાવો તો તમારી મનગમતી મોડલ તમારી સામે આવે છે અને પછી તમે તેને નગ્ન થવા, બ્રેસ્ટ બતાવવા કે મુખમૈથુન બતાવવા એમ જે આદેશ આપો એ મુજબ એ જીવતી જાગતો સ્ત્રી પ્રતિભાવ આપે છે.
આથી વધારે મેં શું કર્યું કદાચ એ જાણીને તું જીરવી નહીં શકે. પણ મારા મનનો અપરાધભાવ હળવો કરવા હું આ કબુલાત કરું છું. મને માફ કરી દે. હું હવે તને પહેલા કરતાં પણ ઘણો વધારે ચાહું છું અને હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય.
કિયાના આ વાત સાંભળી અને સંપૂર્ણપણે ભાંગી પડી. ૯ મહિના પ્રસુતિ માટે તે પિયર ગઈ હતી અને પ્રસુતિ અને બાળસંભાળની પીડા સહન કરી રહી હતી ત્યારે અયાને આવા ધંધા કર્યા...? મને આટલી હદ સુધીનો દગો કર્યો...?
આ ઘટના બની ત્યાર પછી કિયાના દગાખોરી અને વિશ્વાસઘાતની આગમાં ભળભળ બળવા લાગે છે. અયાન પરનો તેનો બધો જ વિશ્વાસ હવે તૂટી ગયો છે. અયાન ફરી પાછું આવું નહીં કરે એની શું ખાતરી જેવા અસલામતીભર્યા વિચાર તેને આવે છે. એને સતત એવા વિચાર આવે છે કે અયાને જે કબુલાત કરી એનાથી વિશેષ પ્રાઈવેટ પ્લેસમાં જઈને શું કર્યું હશે? એને વારંવાર રડવું આવે છે. અકારણ ગુસ્સે થઇ જાય છે અને અયાનને વારંવાર ચેતવણી આપે છે કે જો આવું ફરી થશે તો હું દીકરાને લઈને કાયમને માટે પિયર જતી રહીશ.
અયાન ખાતરી આપે છે કે આવું હું ફરીવાર ક્યારેય નહીં કરું.
અયાન પણ હતાશ છે. અપરાધભાવથી ભરેલો છે. પોતાના ડ્રીમ પ્રોજેકટમાં કરોડો રૂપિયા રોક્યા પછી હવે તે કામ પર જતો નથી. આખો દિવસ રૂમમાં ભરાઈ રહે છે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ:ના જાપ કર્યા કરે છે.
આવું ક્યાં સુધી ચાલશે એવું વિચારી થોડા દિવસ પછી બંને જણા કૃષ્ણધામમાં જાય છે પરંતુ ત્યાર પછી પણ નથી કિયાનાના વિચાર અને ગુસ્સો અટકતા કે નથી અયાનનું રડવાનું તથા અપરાધભાવ અનુભવવાનું અને રૂમમાં ભરાઈ રહેવાનું બંધ થતું એટલે મનોચિકિત્સા માટે બંનેની સંમતિથી આવે છે.
બંનેની લાઈફ હિસ્ટ્રી ટૂંકમાં કંઇક આ પ્રમાણે હતી :
ગ્રેજ્યુએશનની ડીગ્રી પછી અયાન સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના ધંધામાં જોડાય છે. પરંતુ તેને સતત એવું લાગ્યા કરે છે કે આ કરોડોની અસ્કયામતમાં એનો તો કોઈ જ ફાળો નથી. તેને સતત એવો વિચાર આવે છે કે મારા ઉચ્ચ અભ્યાસ છતાં પણ મારા પિતા અને ભાઈ જેટલી સફળતા હું ક્યારેય મેળવી શકવાનો નથી. હું એક નિષ્ફળ અને નકામો પુત્ર છું.
પોતાની પત્ની અને માતા વચ્ચેની વિસંવાદિતામાં મુકપ્રેક્ષક બની રહેતો તે એવું વિચારે છે કે હું માત્ર નિષ્ફળ વ્યવસાયી નહીં પણ નિષ્ફળ પતિ અને પુત્ર પણ છું.
આવા આત્મસંશય અને વ્યવસાયના તનાવની વચ્ચે પત્ની જ્યારે પ્રસુતિ માટે પિયર જાય છે ત્યારે તનાવ હળવો કરવા તે પોર્નોગ્રાફી જોવાનું શરુ કરે છે જે એક આદત બની જાય છે. કારણ પોર્નોગ્રાફી જોવાથી મગજમાં જે ડોપામીનનો સ્ત્રાવ થાય છે જે તેને રોજિંદુ કામ કરવા માટેની કિક આપે છે.
હતાશા અને તણાવની મનોસ્થિતિમાં એને આધ્યાત્મિક વિકલ્પો જેવા કે ડુંગળી, લસણ છોડીવું તથા શ્રી કૃષ્ણ શરણ મમ:ના જાપ જપવા વગેરે અપનાવી તેને પોતાના તનાવને દૂર કરવાનો નિષ્ફળ પ્રયત્ન આખરે તે પોર્નોગ્રાફીના રવાડે ચડી ગયો.
કિયાના બાળપણથી લાગણીશીલ અને અંતર્મુખી છે અને વધારે પડતું વિચારવાની એને ટેવ છે. અયાનને મેળવીને તે ખૂબજ ખુશ છે અને અયાન જેવા સંવેદનશીલ અને આધ્યાત્મિક પતિનો સથવારો એના જીવનનું ભાથું બની જશે એવી તેને ખાતરી થઇ જાય છે. પરંતુ એ સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના નિયમ પ્રમાણે પોતે ઉચ્ચ શિક્ષણ ધરાવતી હોવા છતાં નોકરી કે વ્યવસાય કરી શકતી નથી એ વાતથી ઉદાસ છે અને સાસુ સાથેના મતભેદો એનામાં સતત માનસિક તાણ લાવે છે.
આ બધાં સંજોગોમાં પતિની બેવફાઈની વાત એ પચાવી શકતી નથી અને સાવ ભાંગી પડે છે.
દવાઓ દ્વારા ઈલાજની સાથે સાથે આવી સ્થિતિમાં આવી પડેલા દંપત્તિએ શું કરવું એ અંગેની ચર્ચાબેઠકો યોજાય છે. જેની ટૂંકમાં રજૂઆત નીચે મુજબ કરું છું.
ખુલ્લી વાતચીત અને સંવાદ કરવો : ભય, અપરાધભાવ અને ગુસ્સો રાખીને નહીં પણ શાંતિપૂર્વક વ્યથાઓ વ્યક્ત કરવાનું સમજાવાય છે. પતિ પર વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટેની મહત્ત્વપૂર્ણ ચર્ચા ત્રણ બેઠકોમાં કિયાના સાથે કરાય છે. આ દરમ્યાન કિયાનાના મનના ભાવો 'મારી સાથે જ આવું કેમ બન્યું' અને હવે જિંદગીમાં કોનો વિશ્વાસ કરવો એ મુદ્દાને ધ્યાનમાં રાખી એના આપોઆપ આવતા નકારાત્મક વિચારોને હેન્ડલ કરવાની મનોવૈજ્ઞાાનિક પદ્ધતિ અને વિચારધારાની ચર્ચા કરાય છે. વિશ્વાસ પ્રસ્થાપિત કરવાની આ સલાહ બેઠકોમાં કિયાનાની માનસિક ઈજા ઘણી હળવી બને છે.
અયાનને પણ એની લઘુતા અને અધૂરપની લાગણીમાંથી બહાર આવવા દવાઓ અને ચર્ચાબેઠક કરાય છે જેમાં સફળતા મળે છે. અયાનનો પોર્નોગ્રાફી જોવાનો અપરાધભાવ દૂર કરવા તેની સાથે મનોવૈજ્ઞાાનિક સિદ્ધાંતો પર આધારિત ચાર ચર્ચાબેઠકો કરાય છે અને એને સમજાવવામાં આવે છે કે
'હૈ કોન વો દુનિયામે, ના પાપ કિયા જિસને? , બિન ઉલઝે કાંટો સે હૈ ફૂલ ચુને કિસને?'.
ધીરેધીરે પતિના પોર્ન જોવાથી ઉઠી ગયેલા વિશ્વાસમાંથી કિયાનાને બહાર લવાય છે અને દામ્પત્ય સેતુ મજબૂત કરવાની ચર્ચા આગળ ચાલે છે.
વાંચકમિત્રો દામ્પત્યજીવન આવા ઘણાં ઝંઝાવાતોનો સામનો આજના જમાનામાં યુગલો કરે છે. આ ઝંઝાવાતોથી થતી પીડા સ્વાભાવિક છે પણ તેને પ્રતિભાવ સમજદારીથી આપવો જરૂરી છે.
દામ્પત્યજીવનમાં ગમે ત્યારે સંબંધ તૂટી ગયો હોય એવું લાગે ત્યારે પણ સમયસરનો ઈલાજ, નિષ્ણાતના સલાહ સૂચન અને દંપત્તિનાં પ્રમાણિક પ્રયત્નો વડે દામ્પત્યજીવનની નવી શરુઆત શક્ય છે.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnતમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી નથી..- વેદના-સંવેદ...
16/07/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

તમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી નથી..
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*********************
નોકરી-વ્યવસાય કરતી સ્ત્રી ગિલ્ટથી બચવા આટલું ચોક્કસ કરે અને તન-મનથી તંદુરસ્ત રહી તમામ ક્ષેત્રોમાં વિકાસ સાધે
*********************

(ગતાંકથી આગળ)
આર્જવના જન્મ પછી એમ.એન.સી.માં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી ચાર્મી ડેશિંગ પ્રેસરિપોર્ટર ગાર્ગી, હોંશિયાર સ્ત્રી-રોગ નિષ્ણાત ચેતના અને ગૃહિણી ધ્રૂવીની અપરાધભાવ અનુભવવાની આદત અને તેને કારણે થતા નુકસાનની ચર્ચા આપણે કરી ગયા.
કામકાજી સ્ત્રીઓ ત્રીસી પછી તીવ્ર અપરાધભાવની શિકાર બની વિવિધ શારીરિક અને માનસિક પીડા અને વ્યાધિ અનુભવે છે.
'ગિલ્ટ'- અપરાધભાવ આબાલવૃદ્ધ સહુ કોઈ વત્તા-ઓછા અંશે અનુભવે છે. પરંતુ આ લાગણી આવી ક્યાંથી? એની આદત કેવી રીતે પડી?
હકીકતમાં આપણને સહુને બાલ્યાવસ્થાથી જ ગિલ્ટ અનુભવવાની તાલીમ મળે છે. માતા-પિતા, વડીલ, મિત્ર, સ્નેહીજન, શિક્ષક, પડોશી અને ધર્મગુરુઓ આ બધા જ લોકો આપણે કંઈક ખોટું કર્યું છે, આપણી ભૂલ થઈ છે એવું આપણા મગજમાં ઠસાવીને આપણામાં અપરાધભાવ પેદા કરે છે અને આપના વિચાર, વાણી અને વર્તન પર એમનું નિયંત્રણ કાયમ રાખે છે, આપણા પર શાસન કરે છે.
આપણને નાનપણથી એવું શિખવાડવામાં આવે છે કે અમુક પ્રકારનું વર્તન યોગ્ય છે અને અમુક પ્રકારનું વર્તન નિંદનીય છે. આ નિયમો પ્રમાણે આપણે યોગ્ય વર્તન કરીએ તો એક સારી વ્યક્તિ અને નિંદનીય વર્તન કરીએ તો એક ખરાબ વ્યક્તિ છીએ એવી આપણા વિશેની માન્યતા આપણી આસપાસના લોકોમાં બંધાય છે. ભવિષ્યમાં પણ તરુણાવસ્થા, યુવાવસ્થા, કે વયસ્કવયમાં પણ સમાજ દ્વારા આપણને આપણા પ્રત્યેક કાર્ય માટે સારી વ્યક્તિ કે ખરાબ વ્યક્તિ તરીકે આપણી જાતને જોવાની આ તાલીમ જાણ્યે અજાણ્યે ચાલુ રહે છે. યાદ રાખો, એકવાર ગિલ્ટ અનુભવવાની આદત પડી જાય પછી એ છોડવી અશક્ય બની જાય છે.
ક્યારેક ગિલ્ટનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાની જાતને બદલવાની કોઈ જ કોશિશ કરતી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ ખોટું કામ કરે, ભૂલ કરે ત્યાર બાદ... 'હું તો આવી જ છું... જે સજા કરવી હોય તે કરો' એવું કહીને તેઓ જેમ કરતા હોય તેમ કર્યા કરે છે. પોતાની જાતમાં બદલાવ લાવવાનો તેઓ કોઈ પ્રયત્ન કરતાં નથી. ગિલ્ટનો અનુભવ તેમને માટે જેવા છે તેવા જ રહેવા માટેનો એક સરળ રસ્તો બની જાય છે. તો ક્યારેક બીજાઓને જવાબદાર ઠેરવી ખોટી દલીલો કરવાનો પોતાની સ્થિતિ કેવી દયનીય છે એનો બીજાને અહેસાસ કરાવી સહાનુભૂતિ મેળવવાનું ગિલ્ટ એક સાધન પણ બની જાય છે.
ગિલ્ટ અનુભવવાની એકવાર આદત પડી જાય પછી 'મારે આમ કરવું જોઈતું હતું...' 'મેં અમુક કામ કરતાં પહેલાં એમને પૂછયું હોત તો' 'મારે આ પ્રોજેક્ટ થોડો વહેલો શરૂ કરવો જોઈતો હતો' 'આ ખોટું છે એવી ટપ્પી મને વહેલી પડવી જોઈતી હતી...' - એવા ઉચ્ચારણો મનમાં ને મનમાં થયા કરે છે અને અપરાધભાવનો અનુભવ થયા જ કરે છે.
પરંતુ હવે ઊઠો... જાગો... તમારો ભૂતકાળ એક ઇતિહાસ બની ચૂક્યો છે. ભૂતકાળમાં... મારે આમ કરવું જોઈતું હતું એવું વિચારી ગિલ્ટ અનુભવવા કરતાં ભવિષ્યમાં આ જ કાર્યો તમે કોઈ જુદી રીતે કરવા માગો છો? તમારી ભૂલ સુધારવા માગો છો? તો એ શક્ય છે.
તમે અમુક વસ્તુ ખોટી કરો છો એમ માની અપરાધભાવ અનુભવશો તો દુ:ખી થવાના સ્ટેશનનો તમે લાઈફટાઈમનો ફ્રી પાસ મેળવી જીવનપર્યંત પીડા અનુભવ્યા કરશો. તમે શા માટે એવું માની લો છો કે બધી જ વસ્તુ બરાબર રીતે જ થવી જોઈએ? તમારી પાસે રોજનાં કામો કરવાનું એક લાંબુ લિસ્ટ હશે જ, પણ સાંજ પડે બધું સો એ સો ટકા એમ જ થવું જોઈએ એવું શા માટે ધારી લો છો? મહત્ત્વનું કાર્ય પહેલું કરવાનો સમય મેળવી લો. બાકીનું કામ આપોઆપ ઉકેલાઈ જશે.
આ એક જાહેરમાં કહેવા જેવી ખાનગી વાત છે. તમે એક સો વસ્તુનું લિસ્ટ બનાવશો તો માત્ર 20% મહત્ત્વની હશે. તમારે એના પર જ ધ્યાન આપવાનું છે. બાકીનું સમય જતાં આપોઆપ ઉકેલાઈ જશે. તમારે કરવાનાં કામોમાંથી કયું કામ મહત્ત્વનું છે એ તમે નક્કી કરી શકો તો ગિલ્ટના દરવાજા બંધ કરવાની ચાવી તમને મળી ગઈ એમ સમજજો. એક વાતનું ધ્યાન રાખો, અર્જન્ટ નહીં પણ ઇમ્પોર્ટન્ટ શું છે એ તમારે સમજવાનું છે. કારણ તમે જેને અર્જન્ટ માનો છો એવી એકસોમાંથી નવ્વાણું વસ્તુ અર્જન્ટ નથી હોતી. તમારી વિચારધારા સ્પષ્ટ બનાવો અને ઇમ્પોર્ટન્ટ વચ્ચેનો તફાવત સમજો અને મહત્ત્વના કામ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.
ગિલ્ટથી બચવા આટલું કરો!
૧. તમારા ભૂતકાળને બરાબર ઓળખી લો. એને માટે બીજાઓને દોષ દેવાનું, મને કંઈ ટપ્પી પડતી નહોતી એટલે ખોટું થયું, કે હું એવી જ છું... એમાંથી બહાર આવો. હવે દસ વસ્તુનું લિસ્ટ બનાવો જે તમારી માન્યતા મુજબ તમારે કરવી જોઈતી હતી. પણ તમે ન કરી શક્યા. ત્યાર બાદ એવી દસ વસ્તુનું લિસ્ટ બનાવો જે તમારે કરવા જેવી હતી અને તમે કરી શક્યા. હવે દરેક આઈટમ દીઠ પાંચ પોઇન્ટ આપો. જે ન કરવા બદલ તમે ગિલ્ટ અનુભવતા હોવ અને ગિલ્ટને કારણે તમારું કામ થઈ ગયું હોય અથવા ગિલ્ટને કારણે તમને કોઈ પણ પ્રકારની મદદ મળી હોય. તમને કેટલા પોઈન્ટ્સ મળ્યા?... ઝીરો... બરાબરને?
૨. રોજ પંદરથી વીસ મિનિટનો સમય કાઢો. ભૂતકાળમાં જે કામ કરવા બદલ તમે ખરાબ છો કે નકામા છો એવો અનુભવ થયો હોય એ કામ બદલ ગિલ્ટ અનુભવવાની કોશિશ કરો. હવે અપરાધભાવ અનુભવી તમે તમારી જાત પર ગુસ્સો કરો. એક બે થાપટ લગાવી દો. તમે બિચારા છો, તમારાથી જ આવું થઈ જાય છે એવું વારંવાર વિચારતા રહો. હવે તમે થોડી વાર રાહ જોઈને નિરીક્ષણ કરો કે આવું કરવાથી તમારી કેટલી શક્તિ વેડફાઈ ગઈ?... તો પછી તમે શા માટે ગિલ્ટ અનુભવો છો?
૩. હવે એક એવું લિસ્ટ બનાવો કે જે વસ્તુ તમે ગિલ્ટને કારણે કરવાથી દૂર રહેતા હોવ. તમે આ અંગે શું કરવા માંગો છો? એ વસ્તુથી દૂર રહેવા માંગો છો કે એનો ઉકેલ લાવવા માંગો છો? હકીકતમાં ગિલ્ટ અનુભવીને કોઈ પણ વસ્તુ પ્રત્યે તમે બેદરકારી દાખવી શકો. તમે દિશાશૂન્ય, આળસુ અને બેજવાબદાર બની શકો. તમારી પરિસ્થિતિમાં શું કરી શકાય અથવા સમસ્યાનો ઉકેલ લાવવા તમારે શું કરવું જોઈએ તેવું વિચારવાને બદલે ગિલ્ટ અનુભવવામાં તમારે સમય બરબાદ કરવો જોઈએ ખરો?
૪. જીવનમાં કોઈ પણ વસ્તુ, સ્થિતિ કે પાત્રની પસંદગી અંગેની તમારી જવાબદારી સ્વીકારો. એ નિર્ણયો તમારા છે. એ તમારી ભૂલ હોય કે બદ્નસીબી પણ એને માટે જવાબદાર તમે જ છો. એવું સ્વીકારો. તમે ખોટા નિર્ણયો લો, ભૂલ કરો એ તમારો અબાધિત અધિકાર છે. હવે આવી ભૂલ ન થાય એ અંગેના ઉપાયો અંગે વિચારો. ભૂલ તમારી છે એવું સ્વીકારશો તો જ એનો ઉકેલ પણ તમારી પાસે જ તમને મળી આવશે.
૫. તમને વારંવાર અપરાધી સાબિત કરી તમને રોજબરોજના વર્તન માટે અપરાધીના પાંજરામાં ઊભા રાખતા લોકોથી દૂર રહો. દુનિયામાં એવા સંખ્યાબંધ લોકો છે જે બીજાઓને તેઓ ખરાબ છે, ખોટું કરે છે, આવડત વગરની છે એવું પુરવાર કરાવવા તત્પર હોય છે. એમની અવગણના કરો અને શક્ય હોય તો એવા લોકોને તમારા જીવનમાંથી હાંકી કાઢો. અને એવા લોકોને વળગી રહો જે તમારું ગિલ્ટ રહિત વ્યક્તિત્વ ઘડવામાં તમને મદદ કરતા હોય.
ચાર્મી, ગાર્ગી, ચેતના અને ધ્રુવીની જેમ પોતાને અપરાધી સમજતી સ્ત્રીઓની સંખ્યા આ દુનિયામાં ઘણી મોટી છે.
આમાં સૌથી મોટી સંખ્યા નોકરી-વ્યવસાય કરતી સ્ત્રીઓની છે. જેઓ બાળકને બેબી-સીટર કે અન્ય કોઈ પાસે મૂકી નોકરી કરવા જતી હોય અને પોતે સતત તનાવગ્રસ્ત દયાજનક છે એવું અનુભવતી હોય. તેઓ સતત એક દ્વિધામાં હોય છે કે બાળકને માતૃત્વ આપવાને બદલે નોકરી કે કેરિયરને મહત્ત્વ આપવું યોગ્ય છે?
'હા એ યોગ્ય છે... તમે કંઈ જ ખોટું નથી કરી રહ્યા. તમે હવે આ અંગે અપરાધભાવ અનુભવવાનું બંધ કરો. આનાથી તમને કે તમારા સંતાનને કોઈ નુકસાન થવાનું નથી.'
શક્ય છે કે કારકિર્દી અને બાળઉછેર બંનેયમાં હંગામી ધોરણે ઘણી સમસ્યાઓ આવે તો પણ તમે તેનાથી અકળાઈ ન જાવ. કારણ આ જ જિંદગી છે. તમે લાંબાગાળાનો વિચાર કરો. એક વાત સ્વીકારો કે તમે એક સામાન્ય સ્ત્રી છો અને સ્ત્રીના જીવનમાં આવું તો બધું ચાલ્યા કરવાનું. મોટા થઈને તમારો પુત્ર કે પુત્રી આ કારણે તમને ભાંડશે નહીં. ઉલટાનું તમે એક સુપર વુમન છો જેથી સંતાનના ઉછેર સાથે આવી ઉચ્ચ કારકિર્દી પણ બનાવી શક્યા એમ માની તમને શાબાશી આપશે, તમારા માટે ગર્વ લેશે.
ત્રીસી પછીના વર્ષોના માતૃત્વ, કેરિયર અને કૌટુંબિક તેમજ સામાજિક જવાબદારીઓ નિભાવતા 'હું સાવ નકામી માતા છું...' 'મારી નોકરીમાં હું ધ્યાન આપી શકતી નથી એટલે સાવ નકામી છું' 'એક નિષ્ફળ પત્ની, વહુ... ભાભી... વગેરે વગેરે છું' એ નકારાત્મક લાગણી મનમાંથી કાઢવા માટે પ્રત્યેક કામકાજી સ્ત્રીઓએ તીવ્ર મનોસંઘર્ષ અનુભવવો પડે છે. પરંતુ એટલું હંમેશાં યાદ રાખો કે સ્ત્રીઓ પણ મહત્ત્વાકાંક્ષા રાખે એમાં કંઈ જ ખોટું નથી.

Address


Opening Hours

Monday 09:00 - 17:00
18:00 - 19:00
Tuesday 09:00 - 17:00
18:00 - 19:00
Wednesday 09:00 - 17:00
18:00 - 19:00
Thursday 09:00 - 17:00
18:00 - 19:00
Friday 09:00 - 17:00
18:00 - 19:00
Saturday 09:00 - 17:00
18:00 - 19:00

Telephone

+918460783522

Alerts

Be the first to know and let us send you an email when Dr. Mrugesh Vaishnav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr. Mrugesh Vaishnav:

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share