Dr. Mrugesh Vaishnav

Dr. Mrugesh Vaishnav Dr. Mrugesh Vaishnav is Consultant Psychiatrist Sex Therapist & Motivational Trainer since last 40 Yr

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnતમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી નથી..- વેદના-સંવેદ...
16/07/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

તમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી નથી..
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*********************
નોકરી-વ્યવસાય કરતી સ્ત્રી ગિલ્ટથી બચવા આટલું ચોક્કસ કરે અને તન-મનથી તંદુરસ્ત રહી તમામ ક્ષેત્રોમાં વિકાસ સાધે
*********************

(ગતાંકથી આગળ)
આર્જવના જન્મ પછી એમ.એન.સી.માં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી ચાર્મી ડેશિંગ પ્રેસરિપોર્ટર ગાર્ગી, હોંશિયાર સ્ત્રી-રોગ નિષ્ણાત ચેતના અને ગૃહિણી ધ્રૂવીની અપરાધભાવ અનુભવવાની આદત અને તેને કારણે થતા નુકસાનની ચર્ચા આપણે કરી ગયા.
કામકાજી સ્ત્રીઓ ત્રીસી પછી તીવ્ર અપરાધભાવની શિકાર બની વિવિધ શારીરિક અને માનસિક પીડા અને વ્યાધિ અનુભવે છે.
'ગિલ્ટ'- અપરાધભાવ આબાલવૃદ્ધ સહુ કોઈ વત્તા-ઓછા અંશે અનુભવે છે. પરંતુ આ લાગણી આવી ક્યાંથી? એની આદત કેવી રીતે પડી?
હકીકતમાં આપણને સહુને બાલ્યાવસ્થાથી જ ગિલ્ટ અનુભવવાની તાલીમ મળે છે. માતા-પિતા, વડીલ, મિત્ર, સ્નેહીજન, શિક્ષક, પડોશી અને ધર્મગુરુઓ આ બધા જ લોકો આપણે કંઈક ખોટું કર્યું છે, આપણી ભૂલ થઈ છે એવું આપણા મગજમાં ઠસાવીને આપણામાં અપરાધભાવ પેદા કરે છે અને આપના વિચાર, વાણી અને વર્તન પર એમનું નિયંત્રણ કાયમ રાખે છે, આપણા પર શાસન કરે છે.
આપણને નાનપણથી એવું શિખવાડવામાં આવે છે કે અમુક પ્રકારનું વર્તન યોગ્ય છે અને અમુક પ્રકારનું વર્તન નિંદનીય છે. આ નિયમો પ્રમાણે આપણે યોગ્ય વર્તન કરીએ તો એક સારી વ્યક્તિ અને નિંદનીય વર્તન કરીએ તો એક ખરાબ વ્યક્તિ છીએ એવી આપણા વિશેની માન્યતા આપણી આસપાસના લોકોમાં બંધાય છે. ભવિષ્યમાં પણ તરુણાવસ્થા, યુવાવસ્થા, કે વયસ્કવયમાં પણ સમાજ દ્વારા આપણને આપણા પ્રત્યેક કાર્ય માટે સારી વ્યક્તિ કે ખરાબ વ્યક્તિ તરીકે આપણી જાતને જોવાની આ તાલીમ જાણ્યે અજાણ્યે ચાલુ રહે છે. યાદ રાખો, એકવાર ગિલ્ટ અનુભવવાની આદત પડી જાય પછી એ છોડવી અશક્ય બની જાય છે.
ક્યારેક ગિલ્ટનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાની જાતને બદલવાની કોઈ જ કોશિશ કરતી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ ખોટું કામ કરે, ભૂલ કરે ત્યાર બાદ... 'હું તો આવી જ છું... જે સજા કરવી હોય તે કરો' એવું કહીને તેઓ જેમ કરતા હોય તેમ કર્યા કરે છે. પોતાની જાતમાં બદલાવ લાવવાનો તેઓ કોઈ પ્રયત્ન કરતાં નથી. ગિલ્ટનો અનુભવ તેમને માટે જેવા છે તેવા જ રહેવા માટેનો એક સરળ રસ્તો બની જાય છે. તો ક્યારેક બીજાઓને જવાબદાર ઠેરવી ખોટી દલીલો કરવાનો પોતાની સ્થિતિ કેવી દયનીય છે એનો બીજાને અહેસાસ કરાવી સહાનુભૂતિ મેળવવાનું ગિલ્ટ એક સાધન પણ બની જાય છે.
ગિલ્ટ અનુભવવાની એકવાર આદત પડી જાય પછી 'મારે આમ કરવું જોઈતું હતું...' 'મેં અમુક કામ કરતાં પહેલાં એમને પૂછયું હોત તો' 'મારે આ પ્રોજેક્ટ થોડો વહેલો શરૂ કરવો જોઈતો હતો' 'આ ખોટું છે એવી ટપ્પી મને વહેલી પડવી જોઈતી હતી...' - એવા ઉચ્ચારણો મનમાં ને મનમાં થયા કરે છે અને અપરાધભાવનો અનુભવ થયા જ કરે છે.
પરંતુ હવે ઊઠો... જાગો... તમારો ભૂતકાળ એક ઇતિહાસ બની ચૂક્યો છે. ભૂતકાળમાં... મારે આમ કરવું જોઈતું હતું એવું વિચારી ગિલ્ટ અનુભવવા કરતાં ભવિષ્યમાં આ જ કાર્યો તમે કોઈ જુદી રીતે કરવા માગો છો? તમારી ભૂલ સુધારવા માગો છો? તો એ શક્ય છે.
તમે અમુક વસ્તુ ખોટી કરો છો એમ માની અપરાધભાવ અનુભવશો તો દુ:ખી થવાના સ્ટેશનનો તમે લાઈફટાઈમનો ફ્રી પાસ મેળવી જીવનપર્યંત પીડા અનુભવ્યા કરશો. તમે શા માટે એવું માની લો છો કે બધી જ વસ્તુ બરાબર રીતે જ થવી જોઈએ? તમારી પાસે રોજનાં કામો કરવાનું એક લાંબુ લિસ્ટ હશે જ, પણ સાંજ પડે બધું સો એ સો ટકા એમ જ થવું જોઈએ એવું શા માટે ધારી લો છો? મહત્ત્વનું કાર્ય પહેલું કરવાનો સમય મેળવી લો. બાકીનું કામ આપોઆપ ઉકેલાઈ જશે.
આ એક જાહેરમાં કહેવા જેવી ખાનગી વાત છે. તમે એક સો વસ્તુનું લિસ્ટ બનાવશો તો માત્ર 20% મહત્ત્વની હશે. તમારે એના પર જ ધ્યાન આપવાનું છે. બાકીનું સમય જતાં આપોઆપ ઉકેલાઈ જશે. તમારે કરવાનાં કામોમાંથી કયું કામ મહત્ત્વનું છે એ તમે નક્કી કરી શકો તો ગિલ્ટના દરવાજા બંધ કરવાની ચાવી તમને મળી ગઈ એમ સમજજો. એક વાતનું ધ્યાન રાખો, અર્જન્ટ નહીં પણ ઇમ્પોર્ટન્ટ શું છે એ તમારે સમજવાનું છે. કારણ તમે જેને અર્જન્ટ માનો છો એવી એકસોમાંથી નવ્વાણું વસ્તુ અર્જન્ટ નથી હોતી. તમારી વિચારધારા સ્પષ્ટ બનાવો અને ઇમ્પોર્ટન્ટ વચ્ચેનો તફાવત સમજો અને મહત્ત્વના કામ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.
ગિલ્ટથી બચવા આટલું કરો!
૧. તમારા ભૂતકાળને બરાબર ઓળખી લો. એને માટે બીજાઓને દોષ દેવાનું, મને કંઈ ટપ્પી પડતી નહોતી એટલે ખોટું થયું, કે હું એવી જ છું... એમાંથી બહાર આવો. હવે દસ વસ્તુનું લિસ્ટ બનાવો જે તમારી માન્યતા મુજબ તમારે કરવી જોઈતી હતી. પણ તમે ન કરી શક્યા. ત્યાર બાદ એવી દસ વસ્તુનું લિસ્ટ બનાવો જે તમારે કરવા જેવી હતી અને તમે કરી શક્યા. હવે દરેક આઈટમ દીઠ પાંચ પોઇન્ટ આપો. જે ન કરવા બદલ તમે ગિલ્ટ અનુભવતા હોવ અને ગિલ્ટને કારણે તમારું કામ થઈ ગયું હોય અથવા ગિલ્ટને કારણે તમને કોઈ પણ પ્રકારની મદદ મળી હોય. તમને કેટલા પોઈન્ટ્સ મળ્યા?... ઝીરો... બરાબરને?
૨. રોજ પંદરથી વીસ મિનિટનો સમય કાઢો. ભૂતકાળમાં જે કામ કરવા બદલ તમે ખરાબ છો કે નકામા છો એવો અનુભવ થયો હોય એ કામ બદલ ગિલ્ટ અનુભવવાની કોશિશ કરો. હવે અપરાધભાવ અનુભવી તમે તમારી જાત પર ગુસ્સો કરો. એક બે થાપટ લગાવી દો. તમે બિચારા છો, તમારાથી જ આવું થઈ જાય છે એવું વારંવાર વિચારતા રહો. હવે તમે થોડી વાર રાહ જોઈને નિરીક્ષણ કરો કે આવું કરવાથી તમારી કેટલી શક્તિ વેડફાઈ ગઈ?... તો પછી તમે શા માટે ગિલ્ટ અનુભવો છો?
૩. હવે એક એવું લિસ્ટ બનાવો કે જે વસ્તુ તમે ગિલ્ટને કારણે કરવાથી દૂર રહેતા હોવ. તમે આ અંગે શું કરવા માંગો છો? એ વસ્તુથી દૂર રહેવા માંગો છો કે એનો ઉકેલ લાવવા માંગો છો? હકીકતમાં ગિલ્ટ અનુભવીને કોઈ પણ વસ્તુ પ્રત્યે તમે બેદરકારી દાખવી શકો. તમે દિશાશૂન્ય, આળસુ અને બેજવાબદાર બની શકો. તમારી પરિસ્થિતિમાં શું કરી શકાય અથવા સમસ્યાનો ઉકેલ લાવવા તમારે શું કરવું જોઈએ તેવું વિચારવાને બદલે ગિલ્ટ અનુભવવામાં તમારે સમય બરબાદ કરવો જોઈએ ખરો?
૪. જીવનમાં કોઈ પણ વસ્તુ, સ્થિતિ કે પાત્રની પસંદગી અંગેની તમારી જવાબદારી સ્વીકારો. એ નિર્ણયો તમારા છે. એ તમારી ભૂલ હોય કે બદ્નસીબી પણ એને માટે જવાબદાર તમે જ છો. એવું સ્વીકારો. તમે ખોટા નિર્ણયો લો, ભૂલ કરો એ તમારો અબાધિત અધિકાર છે. હવે આવી ભૂલ ન થાય એ અંગેના ઉપાયો અંગે વિચારો. ભૂલ તમારી છે એવું સ્વીકારશો તો જ એનો ઉકેલ પણ તમારી પાસે જ તમને મળી આવશે.
૫. તમને વારંવાર અપરાધી સાબિત કરી તમને રોજબરોજના વર્તન માટે અપરાધીના પાંજરામાં ઊભા રાખતા લોકોથી દૂર રહો. દુનિયામાં એવા સંખ્યાબંધ લોકો છે જે બીજાઓને તેઓ ખરાબ છે, ખોટું કરે છે, આવડત વગરની છે એવું પુરવાર કરાવવા તત્પર હોય છે. એમની અવગણના કરો અને શક્ય હોય તો એવા લોકોને તમારા જીવનમાંથી હાંકી કાઢો. અને એવા લોકોને વળગી રહો જે તમારું ગિલ્ટ રહિત વ્યક્તિત્વ ઘડવામાં તમને મદદ કરતા હોય.
ચાર્મી, ગાર્ગી, ચેતના અને ધ્રુવીની જેમ પોતાને અપરાધી સમજતી સ્ત્રીઓની સંખ્યા આ દુનિયામાં ઘણી મોટી છે.
આમાં સૌથી મોટી સંખ્યા નોકરી-વ્યવસાય કરતી સ્ત્રીઓની છે. જેઓ બાળકને બેબી-સીટર કે અન્ય કોઈ પાસે મૂકી નોકરી કરવા જતી હોય અને પોતે સતત તનાવગ્રસ્ત દયાજનક છે એવું અનુભવતી હોય. તેઓ સતત એક દ્વિધામાં હોય છે કે બાળકને માતૃત્વ આપવાને બદલે નોકરી કે કેરિયરને મહત્ત્વ આપવું યોગ્ય છે?
'હા એ યોગ્ય છે... તમે કંઈ જ ખોટું નથી કરી રહ્યા. તમે હવે આ અંગે અપરાધભાવ અનુભવવાનું બંધ કરો. આનાથી તમને કે તમારા સંતાનને કોઈ નુકસાન થવાનું નથી.'
શક્ય છે કે કારકિર્દી અને બાળઉછેર બંનેયમાં હંગામી ધોરણે ઘણી સમસ્યાઓ આવે તો પણ તમે તેનાથી અકળાઈ ન જાવ. કારણ આ જ જિંદગી છે. તમે લાંબાગાળાનો વિચાર કરો. એક વાત સ્વીકારો કે તમે એક સામાન્ય સ્ત્રી છો અને સ્ત્રીના જીવનમાં આવું તો બધું ચાલ્યા કરવાનું. મોટા થઈને તમારો પુત્ર કે પુત્રી આ કારણે તમને ભાંડશે નહીં. ઉલટાનું તમે એક સુપર વુમન છો જેથી સંતાનના ઉછેર સાથે આવી ઉચ્ચ કારકિર્દી પણ બનાવી શક્યા એમ માની તમને શાબાશી આપશે, તમારા માટે ગર્વ લેશે.
ત્રીસી પછીના વર્ષોના માતૃત્વ, કેરિયર અને કૌટુંબિક તેમજ સામાજિક જવાબદારીઓ નિભાવતા 'હું સાવ નકામી માતા છું...' 'મારી નોકરીમાં હું ધ્યાન આપી શકતી નથી એટલે સાવ નકામી છું' 'એક નિષ્ફળ પત્ની, વહુ... ભાભી... વગેરે વગેરે છું' એ નકારાત્મક લાગણી મનમાંથી કાઢવા માટે પ્રત્યેક કામકાજી સ્ત્રીઓએ તીવ્ર મનોસંઘર્ષ અનુભવવો પડે છે. પરંતુ એટલું હંમેશાં યાદ રાખો કે સ્ત્રીઓ પણ મહત્ત્વાકાંક્ષા રાખે એમાં કંઈ જ ખોટું નથી.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnતમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી છો ?- વેદના-સંવેદન...
09/07/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

તમે નિષ્ફળ માતા, પત્ની, વહુ, કર્મચારી કે વ્યવસાયી છો ?
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*************************
આજના જમાનામાં કારકિર્દી, સંતાનો અને ઘરની જવાબદારીમાં પીસાતી સ્ત્રીઓએ અપરાધભાવ અને હતાશા અનુભવ્યા વગર માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે ટકાવવું તેની ચર્ચા અહીં કરાઈ છે.
*************************

''સોરી સર... ફરી પાછી ટાઈપીંગમાં એની એ ભૂલ થઈ ગઈ... આઈ નો ઈટ ઈઝ અર્જન્ટ... હું તમારો સમય બરબાદ કરૃં છું.... આઈ ફીલ એક્સ્ટ્રીમલી સોરી... સર''
''રીલેક્ષ...ચાર્મી રીલેક્ષ.... આવી ભૂલ તો થાય... ડોન્ટ ફીલ સો મચ ગિલ્ટી એબાઉટ ઈટ... ટેઈક ઈટ ઈઝી...''
''આઈ કેન નોટ સર... એકચ્યુઅલી હું જોબ છોડવા વિચાર કરું છું. કારણ હું કામમાં ધ્યાન પરોવી શકતી નથી... કામને ન્યાય આપતી નથી અને સંખ્યાબંધ ભૂલો કરું છું અને આર્જવ પણ મને બહુ મિસ કરે છે. હું એક માતા તરીકે નકામી પુરવાર થઈ છું અને પર્સનલ સેક્રેટરી તરીકે પણ તમને આસીસ્ટ કરી તમારો વર્કલોડ ઘટાડવાને બદલે તમારું કામ બગાડી તમારો તનાવ વધારું છું. આઈ...એમ.. રીઅલી...યુઝલેસ... આઈ એમ એ ફેઈલ્યોર...''
મલ્ટીનેશનલ કંપનીમાં છેલ્લા સાત વર્ષથી કામ કરતી ચાર્મી આર્જવના જન્મ પછી સતત અપરાધ ભાવ અનુભવે છે. આમ તો આર્જવને તેના સાસુ ઘણી સારી રીતે સાચવે છે. પરંતુ ચાર્મીને સતત લાગ્ય કરે છે કે તે પુત્રને યોગ્ય માતૃત્વ આપી શકતી નથી. કદાચ એનો માનસિક વિકાસ ખામી ભર્યો રહી જશે. આર્જવ મમ્માને આખો દિવસ મીસ કરતો હશે.''
નિષ્ફળ માતા તરીકે ગિલ્ટને મનમાં પાંગરવા દઈને ચાર્મી ઓફિસના કામમાં પણ અવાર-નવાર ભૂલ થવાથી તીવ્ર અપરાધભાવ અનુભવે છે.
ગાર્ગી છેલ્લા પંદર વર્ષથી જર્નાલીઝમના ક્ષેત્રમાં છે. તે એક સફળ પત્રકાર અને લેખક છે. તેના કામનો પ્રકાર જ એવો છે કે તેના માટે સંતાનો, પતિ અને વડીલ શ્વસુર અને સાસુ પ્રત્યે ધ્યાન આપવું મુશ્કેલ છે.
સવારના પહોરમાં સાસુ ચ્હા તૈયાર કરીને એને ઉઠાડે છે, પતિ અમિનેશ બાળકોને સવારે વહેલાં તૈયાર કરી સ્કુલ યુનિફોર્મ પહેરાવી, નાસ્તાનો ડબ્બો ભરી આપી સ્કુલે મૂકી આવે છે. કારણ ગાર્ગીને ડેઈલી ન્યુઝપેપરની નિત નવી સેન્સેશનલ સ્ટોરી તૈયાર કરતાં ઘણું મોડું થઈ જાય છે એટલે સવારે વહેલા ઊઠવું એના માટે શક્ય નથી. ક્યારેક વીડ એન્ડમાં પણ છાપાની પૂર્તિ તૈયાર કરવાની હોય છે એટલે તે બાળકોને બહાર પણ લઈ જઈ શકતી નથી.
ગાર્ગીના ઘરના લોકોને કોઈ જ ફરિયાદ નથી. કારણ ન્યુઝપેપરની દુનિયામાં તેનું મોટું નામ છે. આટલા વર્કલોડ અને દોડાદોડ છતાં તે બન્નેય સંતાનોને હોમવર્ક કરાવવામાં મદદ કરે છે. સમય મળે સાસુ સસરાની પણ યોગ્ય સંભાળ રાખે છે. પતિને ઓફીસ જતાં પહેલાં તેમની નાનામાં નાની વસ્તુ હાજર કરવાની તકેદારી રાખે છે.
પરંતુ ગાર્ગીને પોતાનાથી ઘણી ફરિયાદ છે. તેને એવું લાગે છે કે પોતાના કુટુંબના સભ્યો માટે જ તેની પાસે ટાઈમ નથી. તે આ કારણે જુદી જુદી વાતમાં સતત ગિલ્ટનો અનુભવ કરે છે. એટલે જ તે સતત ચિંતા અને રઘવાટમાં રહે છે, તેને સરખી નંદર આવતી નથી. માઈગ્રેનના એટેક્સ વારંવાર આવે છે.
ચેતના સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ટ્રસ્ટની હોસ્પિટલમાં નોકરી કરે છે. કૌટુંબિક જવાબદારીને પહોંચી વળવા તે ડયુટી અવર્સ પુરા થવા પહેલાં ઘેર આવી જાય છે. કોલેજ કાળ દરમ્યાન તે હંમેશા ગોલ્ડમેડાલીસ્ટ રહેલી. પરંતુ કૌટુંબિક જવાબદારીને કારણે તેણે કોઈ જ રીસર્ચ પેપર તૈયાર કર્યું નથી. કોઈપણ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન કરવું તો દૂરની વાત રહી તેણે તો હાજરી પણ આપી નથી. તેને લાગે છે કે તેનામાં ઘણી આવડત હોવા છતાં તેનું કેરીયર તે બનાવી શકી નથી. પોતાના ક્ષેત્રમાં તે જ્યાંની ત્યાં જ છે. આ વિચાર તેના મનમાં સતત અપરાધભાવ પેદા કરે છે. તેને હંમેશા અધુરપ ને ઓછપ લાગ્યા કરે છે. તે પોતપોતાનાથી સહેજ પણ સંતુષ્ટ નથી.
ધુ્રવી બે બાળકોની માતા છે. વિશેષ સાથે લગ્ન કર્યાને પાંચ વર્ષ થયાં છે. તે ઘરકામને પહોંચી વળવાની પૂરતી કોશિશ કરે છે પણ તેને માટે એ શક્ય બનતું નથી. દરરોજ પતિ થાકેલા આવે ત્યારે સમય પર ખોરાક રાંધીને ડાઈનીંગ ટેબલ પર રેડી ટુ ઈટ સ્વરૂપે તૈયાર રાખી શકતી નથી. ક્યારેક કપડાંને ઘડી કરીને નિયત જગ્યાએ મૂકવાના રહી જાય છે. ઘણીવાર ઘેર આવેલા મહેમાનને આપવા માટે ઘરમાં આઈસ્ક્રીમ કે નાસ્તા જેવું કંઈ જ હોતું નથી. ક્યારેક બાળકનો યુનિફોર્મ સમયસર ધોવડાવી ને પ્રેસ કરાવવાનો રહી જાય છે. આમ લીસ્ટ બહુ લાંબુ છે. જે તે પૂરું કરી શકતી નથી. આ બધાં કારણોને લઈ તે સતત અપરાધભાવનો અનુભવ કરતી રહે. આ કારણે તે હંમેશા ઉદાસ, ગભરાયેલી અને રઘવાટમાં રહે છે અને માથું કુટયા કરે છે. તથા પોતાની યાદશક્તિને દોષ દીધા કરે છે. ક્યારે તેને એવું લાગે છે કે પોતાનો આ રઘવાટીયો સ્વભાવ બીજાઓને કારણે છે. તેને એવું લાગે છે કે આજુબાજુના લોકો એને મસજે અને એના પ્રત્યે થોડોક દયાભાવ રાખે. તે સતત એવું પૂરવાર કરવાની કોશિષ કરે છે કે પોતે સર્વાંગ - સંપુર્ણ અને પરફેક્ટ વ્યક્તિ છે. બીજાઓની નાનામાં નાની વાતની તે પૂરી કાળજી લઈ શકે છે. જો તેના સંજોગો સાથ આપતા હોત તો તેને કોઈ તકલીય જ ન પડત. આમ પોતે સંજોગોના શિકાર, દયાભાવ રાખવા લાયક એક પિડીત વ્યક્તિ છે એવું તેને લાગ્યા કરે છે.
સતત અપરાધભાવ અનુભવવાને કારણે તેનું પર્ફોમન્સ વધારે ને વધારે બગડતું જાય છે. જેની જવાબદારી સ્વીકારવા તે ક્યારેય તૈયાર નથી. ચાર્મી, ગાર્ગી, ધુ્રવી કે ચેતનાની તકલીફો એટીલ ગંભીર નથી. નોકરી, વ્યવસાય, ઘરકામ વગેરે વચ્ચે સંતુલન સાધવાની સમસ્યા ક્યારેય ન ઉકેલી શકાય એટલી મુશ્કેલ હોતી નથી. પરંતુ તેમની સમસ્યા સતત ગિલ્ટ-અપરાધભાવ અનુભવતા રહેવાની છે. લગ્નના દસ-પંદર વર્ષ સુધી નોકરી કરતી સ્ત્રીઓ માટે વિસ્તરતા કુટુંબ સાથે લોકોની જરૂરિયાતોને પહોંચી વળવું અને નોકરી કે વ્યવસાય અને ઘરનાં લોકો એમ બન્નેય બાજુ બધી જ ફરજ બજાવવી અશક્ય હોય છે. પણ આને લીધે એમને આટલા દુ:ખી અને દયાપાત્ર બની જઈ સતત અપરાધની લાગણી જ અનુભવતા રહેવાની અને પોતે કોઈને સરખો ન્યાય આપી શકતા નથી એવા નકારાત્મક વિચારોમાં ગરકાવ થઈને દુ:ખી રહ્યા કરવાની જરૂર નથી.
ગિલ્ટ વ્યક્તિની કાર્યક્ષમતા, આત્મછબિ અને આત્મસન્માન પર કારમો ઘા કરતી નકારાત્મક લાગણી છે. હકીકતમાં તે વ્યક્તિની તમામ લાગણીને તોડી મરોડી નાંખે છે. અપરાધભાવ અનુભવવો એ તદ્દન નિરર્થક અને વાહિયાત વાત છે. આનાથી સમય અને શક્તિ વેડફાય છે. જાતને સતત કોસતા રહી દિલગીરી અનુભવવાથી કોઈપણ સંજોગો, તમારા વિચારો, વર્તન કે વ્યક્તિત્વને બદલી શકાતું નથી. સતત અપરાધભાવ અનુભવવામાં જ જો તમે વ્યસ્ત રહેશો તો કંઈક કામ કરવમાનો કે ભૂલ સુધારવાનો સમય તમને ક્યારે મળશે ?
અપરાધ અનુભવવો એ માત્ર સ્ત્રીઓની જ સમસ્યા નથી. અપરાધની લાગણી વિશ્વવ્યાપી છે અને તે આબાલ વૃધ્ધ સહુ કોઈ અનુભવે છે.
સતત ગિલ્ટ અનુભવતી વ્યક્તિ આત્મધિક્કારનો અનુભવ કરે છે. કોઈપણ વાત પર ગિલ્ટ પેદા થાય એટલે વ્યક્તિએ એની મોટી કિંમત ચૂકવવી પડે છે. તે અંદરથી હચમચી જાય છે. એનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. એની હિંમત ઓસરતી જાય છે. એની એકાગ્રતા ભંગ થાય છે. કોઈ કામમાં એનુ ધ્યાન રહેતું નથી. તેમને હંમેશા અધુરપ અને ઓછપ લાગ્યા કરે છે, તેમની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે, સ્વભાવ રઘવાટીયો બની જાય છે. તે સાચા ખોટાનો નિર્ણય કરી શકતી નથી. તેઓ હતાશ રહે છે. તેમનું બ્લ્ડપ્રેશર વધે છે, એસીડીટી થાય છે. માથું દુ:ખે છે... સંખ્યાબંધ શારીરિક રોગો થઈ શકે છે.

ન્યુરોગ્રાફ
અપરાધ અનુભવી તમે તમારી જાતને ઘોર અન્યાય કરો છો. અપરાધભાવ આત્મસન્માન અને આત્મ વિશ્વાસનો જાની દુશ્મન છે. એ તમને અંદરથી કોરી ખાય છે અને દુખ તથા હતાશાની ગર્તામાં ધકેલે છે.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnમેં એને ભગવાન માન્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી- વેદના-સંવેદના- મૃગેશ ...
02/07/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

મેં એને ભગવાન માન્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

************************
- બોર્ડર પર્સનાલિટી ડીસઓર્ડરવાળી વ્યક્તિના સંબંધો ક્યારેય સ્થિર નથી રહેતાં
************************

(ગતાંકથી આગળ)
આ જે રેવતી ૩૫ વર્ષની થઈ ગઈ છે. તે સુંદર છે, મોહક વ્યક્તિત્વ ધરાવે છે. તેનું શૈક્ષણિક સ્તર પર ઊંચું છે અને તેની આવડત પણ અજોડ છે. છતાં પણ જિંદગીમાં તે ક્યાંય સ્થિર નથી થઈ શકી. તેના મૂડમાં વારંવાર ચડાવ ઉતાર આવતાં રહેતાં હતાં. તે પોતે નોર્મલ છે કે એબનોર્મલ તે જાણવા મારા પરામર્શ માટે આવી હતી.
એની હિસ્ટ્રીમાં અને વિશેષ ચર્ચાઓ બેઠકો દરમ્યાન તેની આપવીતી જાણી. સંઘર્ષના આ સમય દરમ્યાન તેને સ્મોકિંગની પણ આદત પડી ગઈ હતી અને તે ક્યારેક ગાંજો પણ કૂંકતી હતી. તેની હકીકતો જાણ્યા પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે રેવતી 'બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડર' એટલે કે 'સીમાવતી વ્યક્તિત્વ વિકાર' અને 'ડિપ્રેશનથી' પીડાઈ રહી છે.
આ બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડર શું છે તેની અત્રે ચર્ચા કરું છું. માનસિક બિમારીને બે મુખ્ય પ્રવાહોમાં વહેંચી શકાય છે. સાયકોસીસ અને ન્યુરોસીસ. તમામ માનસિક બીમારીઓ આ બે ભાગમાં વહેંચાયેલી હોય છે. આ બે ભાગ એટલે કે સાયકોસીસ અને ન્યુરોસીસ વચ્ચેની સીમારેખા એટલે કે બોર્ડર પર રહેલા વ્યક્તિત્વોને 'બોર્ડરલાઈન પર્સનાલિટી' એટલે 'સીમાવર્તી વ્યકિતત્વ' કહેવાય છે.
સમગ્ર વસ્તીનાં ૩ થી ૬% લોકો બોર્ડરલાઈન પર્સનાલિટી ધરાવતા હોય છે. અર્થાત આપણા દેશમાં ૪ થી ૮ કરોડ લોકો બોર્ડરલાઈન પર્સનાલિટી ધરાવે છે. આનું પ્રમાણ મહિલાઓમાં પુરુષો કરતાં ૪ ગણું વધારે જોવા મળ્યું છે. એના લક્ષણો નીચે મુજબ હોય છે.
૧. તીવ્ર ત્યાગ ભય : વ્યક્તિને હંમેશા એવું લાગે છે કે તેને કોઈ છોડીને જતું રહેશે. આ ડર કાલ્પનિક કે વાસ્તવિક પણ હોઈ શકે છે. દરેક વાતમાં સામેની વ્યક્તિમાં એવી શંકા જાય છે કે 'એ મને છોડી તો નહિ જાય ને ?' સામેની વ્યક્તિ એનો ફોન ન ઉઠાવે તો એ વિચારે છે કે 'મારો બોયફ્રેન્ડ ફોન નથી ઉઠાવતો, મને લાગે છે કે હું લુંટાઇ ગઈ, છેતરાઈ ગઇ, હું નોંધારી થઈ ગઈ. મને ડર લાગે છે કે તે મને છોડી જશે.'
૨. અસ્થીર અને છટકણી લાગણી તથા બટકણા સંબંધો : આ પ્રકારની મનોસ્થિતિ ધરાવતી વ્યક્તિઓની લાગણી સ્થિર નથી રહી શકતી. ક્યારેક આવી માનોસ્થિતિ ધરાવતા લોકો સામેની વ્યક્તિ પર ખૂબ જ પ્રેમ દર્શાવે છે. એના માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે. એના પગ ધોઈને પીવાની કે જરૂર પડયે ચામડી પણ ઉતારીને આપી દેવાની તૈયારી બતાવે છે, એની પૂજા પણ કરે છે તો ક્યારેક તે જ વ્યક્તિનું એટલું તીવ્ર અપમાન કરે છે કે એ પછી એની સામે એટલો તીખો અને નફરતભર્યો પ્રતિભાવ આપતા કહે છે. 'જેને મેં ભગવાન સમાન માન્યો હતો એ હકીકતમાં મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.'
સ્વભાવની આ પ્રકારની વિચિત્ર ખાસીયતને કારણે બોર્ડર પર્સનાલિટી ડીસઓર્ડરવાળી વ્યક્તિના સંબંધો ક્યારેય સ્થિર નથી રહેતાં. સામેની વ્યક્તિને એવું લાગે છે કે તેના ક્યાં સ્વરૂપને સાચું માનવું ? આ વ્યક્તિ નોર્મલ છે કે અબ્નોર્મલ ? એને કોઈ પ્રકારની તકલીફ છે ?
૩. ઊંડા ભાવનાત્મક ઉતાર ચઢાવ : આવી વ્યક્તિના મૂડમાં તીવ્ર ઉતાર ચડાવ આવે છે. સવારથી સાંજ સુધીમાં એમની મનોદશા ૫-૬ વખત બદલાય છે- ક્યારેક ખુશ, ક્યારેક ખૂબ ગુસ્સો, તો ક્યારેક દુ:ખી. તેઓ મોટેભાગે બેચેની, ગભરામણ અને ડરનો અનુભવ કરે છે અને સામાન્ય વાતમાં તેમની આંખમાં પાણી આવી જાય છે.
૪. આ લોકો પોતાની ઓળખ અને આત્મછબી બદલાતા રહે છે : એમને પોતાને જ સમઝાતું નથી કે ખરેખર તેઓ છે કોણ ? ક્યારેક એમને લાગે છે તેઓ ખૂબ સારી વ્યક્તિ છે, તો ક્યારેક પોતે જ પોતાને નફરત કરવા લાગે છે.
૫. ખાલીપણાનો અનુભ : આ લોકો મનમાં સતત ખાલીપણાનો અનુભવ કરે છે. ગમે તેટલી ભીડ ની વચ્ચે તેઓ સતત એકલતાનો અનુભવ કરે છે. પોતાના આ ખાલીપાને ભરવા માટે નિત્ય નવી તરકીબો અજમાવે છે.
૬. તીવ્ર ગુસ્સો અથવા ગુસ્સાની નિયંત્રણમાં અક્ષમતા: આવી વ્યક્તિઓ નાની નાની વાતમાં છંછેડાઈ જાય છે અને તેઓ પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકતા નથી. થોડી વાર માટે કોઈ એમની સામે ઉંચો અવાજ કરે તો એ ઉગ્ર રીતે ગુસ્સે થઈ વસ્તુઓ ફેંકી દઈ શકે છે.
૭. તણાવથી સંબંધિત પેરાનોઈડ વિચારધારા અથવા ડિસોસિએટિવ લક્ષણો : આ લોકો શંકાશીલ સ્વભાવના હોય છે. જેથી તેઓ કોઈના પર વિશ્વાસ મૂકી શકતા નથી. જ્યારે તણાવ બહુ વધારે થાય છે, ત્યારે એમને લાગે છે કે લોકો તેમની પાછળ ષડયંત્ર કરી રહ્યા છે અથવા તેમને મારી નાખશે.
૮. પુનરાવર્તિત આત્મહત્યા અને સ્વ-હાનિકારક વર્તન : આ લોકો પોતાની જાતને નાનીમોટી ઈજા પહોંચાડવાની કે આત્મહત્યા કરવાની ધમકી સામેવાળાને આપતાં રહે છે. ઘણીવાર હાથ પર કાપા મૂકે છે કે જાતને બીજી રીતે કોઈ ઈજા પહોંચાડે છે. જ્યારે તેમને પરિજન સાથે મતભેદ કે ઝગડો થાય છે, ત્યારે તેઓ હાથ પર કાપા પાડે છે અથવા ગોળીઓ ખાઈ લેવાનું વિચારે છે.
૯. આત્મવિનાશી વર્તન : આવા લોકો આવેગાત્મક વર્તન ધરાવે છે. આ આવેગો તેમના માટે નુકશાનકારક પુરવાર થાય છે. ક્યારેક ખૂબ ખાવાનું ખાય છે, બેફામ ડ્રાઈવિંગ કરે છે તો ક્યારેક અસુરક્ષિત સેક્સ કરવા સુધીના પગલાઓ પણ ભરે છે.
આ ૯માંથી કોઈપણ ૫ લક્ષણો કોઈ વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિ બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડર ધરાવે છે તેવું કહી શકાય.
રેવતીમાં બોર્ડરલાઈન પર્સનાલિટી ડીસઓર્ડરના નીચે મુજબના લક્ષણો હતાં.
એને હંમેશા એવું લાગ્યા કરતું કે કોઈ એને છોડીને જતું રહેશે. એના મૂડમાં તિવ્ર ચડાવ ઉતાર આવતા હતાં. તે સતત ખાલીપો અનુભવી રહી હતી. તેના મનમાં તેની પોતાની ઓળખ અને છબી અસ્પષ્ટ હતી. તે સતત ગભરાહટ અને ડરનો અનુભવ કરતી હતી. સામેની વ્યક્તિ પર તે શંકા કુશંકાઓ કરવા માંડતી.
એક વાત રેવતીએ ખાસ બતાવી કે જ્યારે પોતાના કોઈપણ પ્રેમીને ફોન કરતી અને જો એ ફોન ન ઉઠાવતો તો એ પોતાના હાથ પર કાપા મૂકવા માંડતી અને કાપામાંથી નીકળતા લોહીને જોઈને તેનો તનાવ ઓછો થતો. કારણ કે એવું માનતી કે પોતે સજા આપવાને યોગ્ય છે અને પોતાને સજા આપીને તે શાંતિ અને હાશકારો અનુભવતી હતી. આ સાથે એનો ગુસ્સો પણ શાંત થઈ જતો એટલે પોતાની જાતને શિક્ષા આપીને તે રાહતનો અનુભવ કરતી હતી.
સામેના પાત્ર સાથેના સંબંધોમાં તે હંમેશા એવું માનતી કે તે એને છોડીને તો નહીં જતો રહેને ? એટલે એ સામેની વ્યક્તિની ઈચ્છાઓને તાબે થતી અને તેની કામેચ્છાઓને સંતોષતી હતી. ક્યારેક હતાશા ને કારણે તે જંક ફૂડ પણ ખાતી હતી. આમ બોર્ડરલાઈન પર્સનાલિટીનાં લક્ષણો રેવતીમાં મોજુદ હતાં.
તમારું જો કોઈ સ્વજન કે પરિજન બોર્ડરલાઈન વ્યક્તિત્વ ધરાવતું હોય તો તમારે ડરવાની જરૂર નથી. કારણ આની દવાઓ ઉપલબ્ધ છે અને આના માટે ઘ.મ્.્ એટલે કે ડાયેલેકટીકલ બિહેવિયર થેરાપી અસરકારક પુરવાર થાય છે. તો ગભરાયા વગર તમારા સ્વજન પરિજનની સારવાર કરાવો

ન્યુરોગ્રાફ :
કિસી પથ્થર કી મુરત સે મહોબ્બત કા ઈરાદા હૈ,
પરસ્તિશ કી તમન્ના હૈ, ઈબાદત કા ઈરાદા હૈ.

With the rhythm of the chariot and chants in the air, may Lord Jagannath shower blessings everywhere!
26/06/2025

With the rhythm of the chariot and chants in the air, may Lord Jagannath shower blessings everywhere!

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnરેવતીની આ સત્ય કથા સમજવા જેવી છે- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ*******...
25/06/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

રેવતીની આ સત્ય કથા સમજવા જેવી છે
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

**************************
તેને લાગ્યુ કે આ દુનિયામાં તે એકલી અને નોધારી જ છે. તેને ન્યાય અપાવી શકે તેવું કોઈ નથી
**************************

૩૫ વર્ષની રેવતી દેખાવે સુંદર છે, મોહક વ્યક્તિત્વ ધરાવે છે, શૈક્ષણિક કારકિર્દી પણ ઉજ્જવળ રહી છે અને નોકરી વ્યવસાયમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ તે તેની જિંદગીથી સંતુષ્ટ નથી. તેને એવું લાગે છે કે બધુ જ હોવા છતાં પણ જિંદગીમાં તે સ્થિરતા મેળવી શકી નથી. તે હંમેશાં ડરેલી અને ગભરાયેલી હોય એવું તેને લાગ્યાં કરે છે. રેવતી અત્યારે જિંદગીનાં એ પડાવ પર આવી છે જ્યાં તે જિંદગીથી હારી અને થાકી ગઈ છે.
રેવતીની કહાનીની શરૂઆત તે સાત વર્ષની હતી ત્યારથી થઇ છે. એ સાત વર્ષની હતી ત્યારે એના સગા મામા તેના ઘરે 12 માં ધોરણનો અભ્યાસ કરવા અને IIT-JEE નાં કોચિંગ કલાસીસ ભરવા આવ્યાં હતાં. મામા-ભાણી વચ્ચે ઘણો સારો લગાવ હતો. મામા તેને ઘણું બધું શિખવાડતા હતાં અને અભ્યાસમાં ઘણી મદદ કરતાં હતાં. મામા પોતાના કોર્સનું મોડી રાત સુધી વાંચન કરતાં અને ભાણી પણ મામા સાથે બેસી કંઇક અવનવું શીખ્યા કરતી. આમ મામા ભાણી વચ્ચે એક તંદુરસ્ત ગુરુ શિષ્યાના સંબંધો સ્થાપાઈ ગયા હતા. રેવતીને વિશ્વાસ બેસી ગયો હતો કે મામા તેને ઘણું બધું અવનવું શીખવાડશે.
એક સાંજે રેવતીના મમ્મી-પપ્પા પાંચ છ કલાક માટે બહાર ગયા હતાં. મામાએ રેવતીને તેમના ખોળામાં બેસી અને ભણવા માટે સમજાવી. રેવતી હોંશે હોંશે પ્રેમાળ મામાનાં સાનિધ્યમાં કંઇક અવનવું શીખવા માટે તૈયાર થઇ ગઈ. મામાએ એને માનવ શરીરની રચના અને કાર્યપદ્ધતિ શીખવાડવાનું શરુ કર્યું. આંખ, કાન અને મોં પછી નીચેનાં ભાગના અવયવોની ચર્ચા ચાલી. આ દરમ્યાન સ્ત્રી અને પુરુષ વચ્ચેના મુખ્ય તફાવતોની સમજ આપતાં આપતાં મામાએ જાતીય જ્ઞાનનાં કોઠા હેઠળ કેટલીક હરકતો શરુ કરી જેનો રેવતીને અણસાર સુદ્ધા ન આવ્યો.
થોડા સમય પછી રેવતીને લાગ્યું કે તેની સાથે કંઇક અઘટિત કે અજુગતું થઇ રહ્યું છે. તેણે મામા દ્વારા થતી શારીરિક છેડખાનીનો અવરોધ કરવાનું શરુ કર્યું. ઘરમાં કોઈ ન હોવાનો લાભ ઉઠાવી મામાએ રેવતી પર બળજબરી કરી અને પોતે કહે તેમ કરવા દબાણ કર્યું. તે સમયે રેવતી ખૂબ રડી એટલે મામા એ તેને વધારે હરકત કરવાને બદલે છોડી દીધી.
પછી ધમકાવતા એવું કહ્યું કે આ વાત કોઈને પણ કહીશ તો કોઈ માનશે નહીં. મારી બહેન એટલે કે તારી મમ્મીનો હું લાડકો છું એટલે મને ઉની આંચ પણ નહીં આવે. આટલું પુરતું ન હોય તેમ મામાએ એવી કાકલુદી પણ કરી કે હું અહીંયાં કોચિંગ ક્લાસ માટે આવ્યો છું અને તું કઈ પણ કરીશ તો મારું ભવિષ્ય બગડશે. સાથે સાથે એવી ધમકી પણ આપી કે મારું ભવિષ્ય બગડશે તો તારું ભવિષ્ય પણ હું બગાડી નાખીશ.
થોડી વારમાં મામાનાં આદેશનું પાલન કરી રેવતી સ્વસ્થ થઇ અને મામા પાસે ઈંગ્લીશની વોકેબ્યુલરી વધારવા નવાં નવાં સ્પેલીંગો શીખવા માંડી. તેના મમ્મી-પપ્પા રાત્રે ઘેર આવ્યાં ત્યારે રેવતીએ મમ્મીને કહ્યું તેની તબિયત સારી નથી અને તે જમવા માંગતી નથી અને કાલે સવારે સ્કૂલે પણ નહીં જાય અને આરામ કરશે. મમ્મીએ તેને પંપાળી અને સુવડાવી દીધી.
રાત આખી તો રેવતીને ઊંઘ ન આવી. સવારે પપ્પા ઓફિસે ગયાં પછી રેવતીએ તેની મમ્મીને આગલા દિવસની ઘટનાની વિગતવાર વાત કરી. મમ્મીને પણ વાત સાંભળીને આઘાત લાગ્યો કે જે વ્યક્તિ તેની આટલી નજીકની હતી એણે આવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું એ કેવી રીતે ચલાવી લેવાય? પરંતુ પછી એમણે વિચાર કર્યો કે ભાઈની કારકિર્દીનું આ મહત્વનું વર્ષ છે. તેના પપ્પા આ દુનિયામાં નથી. મમ્મીની તબિયત પણ સારી નથી અને એનામાં લાંબી વિચાર શક્તિ પણ નથી. એટલે આ સંજોગોમાં ભાઈને ટેકો ન આપવો એ પણ વ્યાજબી નથી. એટલે આ વાત રેવતીના પપ્પાથી છુપાવવી. દીકરીને સમજાવી લેવી અને એકલી ના મુકવી. ભાઈને પણ જો આ બધી ખબર પડી જાય તો એનું ભણવામાં ધ્યાન ન રહે. એટલે બધું ભીનું જ સંકેલી લેવું.
મમ્મીએ દિકરીને ફોસલાવતા અને સમજાવતા કહ્યું કે આ સંજોગોમાં ભાઈને હું ઘેરથી બહાર તો નહીં કાઢી શકું, તું પણ તારા પપ્પા સાથે આ વાતની કોઈ ચર્ચા ન કરીશ. એમને આમાંથી કોઈ વાતની ખબર ન પડવી જોઈએ. આ આખીએ ઘટનાને તું ભૂલી જા એ જ તારા હિતમાં છે. જો કોઈ વાતની બહાર ખબર પડશે તો મોટી થઈશ ત્યારે બદનામી તારી જ થશે. હવે પછી હું હંમેશાં તારી સાથે રહીશ અને તારા મામાને તારી સાથે કોઈ પણ પ્રકારની હરકતો કરવાનો મોકો હું નહીં આપું. મારી વહાલકી બચ્ચી મારું કહ્યું માનીજા.
રેવતીએ મમ્મીની વાત સ્વીકારી લીધી. પરંતુ તેને અફસોસ એ વાતનો રહ્યો કે મમ્મીએ પોતાના ભાઈને માસુમ પુત્રીની સામે બોલાવીને ન તો ધમકાવ્યો કે પછી ઘર બહાર કાઢી મુકવા માટે ન તો ડરાવ્યો. આ હિચકારા કૃત્યની તેને જાણ થઇ છે તેવું ભાઈને કળાવવા પણ ન દીધું અને આ આખીયે ઘટનાને દબાવી દીધી.આ ઘટનાનાં બહુ જ ઊંડા ઘસરકા નાની બાળકીનાં મન પર પડયાં. તેની સાથે થયેલો બાળ દુર્વ્યવહાર અને મમ્મીની બેફિકરાઈથી તેના બાળમાનસને ઘણા સવાલો થયા. તેને લાગ્યુ કે આ દુનિયામાં તે એકલી અને નોધારી જ છે. તેને ન્યાય અપાવી શકે તેવું કોઈ નથી. સમય પસાર થતો ગયો ધીરે ધીરે તે બધું ભૂલી ગઈ, ભણવામાં તો તે ઘણી હોંશિયાર હતી જ અને પૂરી લગનથી તેણે ભણવાનું શરુ કર્યું અને અભ્યાસમાં સફળતાના ઊંચા શિખરો સર કરતી ગઈ.
તેની ઉંમર જ્યારે 12-13 વર્ષની થઇ એટલે કે તે 7 માં ધોરણમાં આવી ત્યારે પ્રથમ વાર તેને માસિક સ્ત્રાવ શરુ થયો. તરુણાવસ્થા સાથે સંકળાયેલા હોર્મોન્સના ફેરફારની સાથે તેના મનમાં ધરબાયેલા ઉઝરડાઓ લોહી નીંગળવા લાગ્યાં. જેમ જેમ આ ઘાવો તાજા થતાં ગયાં તેમ તેમ રેવતીના મનમાં સેક્સ વિષયક ઊંધાચત્તા વિચારો આવવા લાગ્યાં.
સેક્સ વિશેના સકારાત્મક તેમજ નકારાત્મક વિચારો વચ્ચે ગૂંચવાયેલી રેવતી એક તરુણનાં પરિચયમાં આવી. પરિચય, આકર્ષણ અને પછી મોહમાં ફેરવાવા લાગ્યો. રેવતીના શરીરમાં થતા હોર્મોન્સના ફેરફારોને કારણે તેની કામેચ્છા તીવ્ર બની. આમ પણ જે બાળકો સાથે બાળપણમાં જાતીય દુર્વ્યવહાર થાય છે તે તરુણાવસ્થામાં સેક્સમાં વધારે અને કસમયનો રસ ધરાવવા માંડે છે.
જેમ જેમ બન્નેનો સંબંધ વધતો ગયો તેમ તેમ રેવતી પેલા તરુણ ઉપર માલિકીહક્ક જતાવવા માંડી. જો પેલો છોકરો તેના ફોનનો જવાબ ન આપે તો તેને ખૂબ ગુસ્સો આવતો અને તેને એવું લાગતું કે તે છોકરો એને છોડીને જતો રહેશે. આ વિચાર માત્રથી તે ધ્રુજી જતી અને પેલા છોકરાની સાથેનાં સંબંધો જાળવી રાખવા માટે નીતનવા નુસ્ખાઓ કરતી.
તે મનમાં સતત ખાલીપણાનો અનુભવ કરતી. એટલે પેલા છોકરાનો સંપર્ક કરવા અધીરી બની જતી. છોકરો બીજી કોઈ છોકરી સાથે વાત કરતો હોય તો રેવતી એના પર ગુસ્સે થઇ જતી. બહુ મોટો ઝઘડો કરતી અને બે-ત્રણ દિવસ માટે બોલવાનું બંધ કરતી હતી. રેવતી એ છોકરા પર એટલું બધું આધિપત્ય જમાવવા લાગી કે છોકરો આ સંબંધોમાં ગૂંગળામણ અનુભવવા લાગ્યો. તેણે રેવતીને સમજાવ્યું કે પોતે તેને કેટલો વફાદાર છે. પરંતુ રેવતીનું વર્તન વધારે ને વધારે વિચિત્ર થવા લાગ્યું. ક્યારેક તે છોકરા માટે ગમે તે કરવા તૈયાર જતી, તેના પગ ધોઈને પીવાની કે તેની પૂજા કરવાની વાતો કરતી. આ દુનિયામાં તેને સમજી શકે અને સ્વીકારી શકે તેવો મત્ર એ એકજ છે એવું કહેતી. તો ક્યારે એનો ખુબ ઉધડો લેતી એની સાથે ખુબ ઝગડા કરી ઉતારી પડતી અને અપશબ્દો પણ બોલતી. તે છોકરાને સમજાતું ન હતું કે રેવતીનું કયું સ્વરૂપ સાચું છે? તે નોર્મલ છે કે અબ્નોર્મલ?
રેવતીનાં દિન પ્રતિદિન વધતા જતા ત્રાસથી બચવા આખરે તે છોકરાએ તેની સાથેનાં સંબંધો કાપી નાખ્યાં. રેવતીનું ખાલીપણું વધી ગયું. તે એ છોકરાને સોશિયલ મીડિયા પર ચેઈઝ કરવા લાગી. એ કોની સાથે વાત કરી રહ્યો છે, કોની સાથે મિત્રતા વધારી રહ્યો છે તે બધી જ વાતનું બારીકીથી ધ્યાન રાખવા લાગી. તેના વર્તનનો આ ફેરફાર મમ્મીને સમજાઈ ગયો અને મમ્મીએ દિકરીને અભ્યાસમાં ધ્યાન પરોવવા માટે કડક સૂચનાઓ આપી.
રેવતી ભણવામાં હોંશિયાર હતી અને ખૂબ બુદ્ધિમાન હતી એટલે તેણે ભણવામાં ધ્યાન આપવા માંડયું અને તે 12 માં ધોરણમાં અને ગ્રેજ્યુએશનની પ્રવેશ પરીક્ષામાં સારા માર્ક્સ લાવી કોલેજમાં દાખલ થઇ. કોલેજમાં તેના ત્રણેક અફેર થયા પણ એનાં કંટ્રોલીંગ અને ગુસ્સેબાજ સ્વભાવ અને વિચારોની સ્થિરતાના અભાવને કારણે તેનો કોઈ સંબંધ લાંબો ન ચાલ્યો અને તેના ત્રણ બ્રેકઅપ થયાં. આ સમય દરમ્યાન ક્યારેક તે પોતાના હાથ પર કાપા મૂકતી અને એમાંથી નીકળતું લોહી જોઇને તેનો તનાવ હળવો થતો. એટલુ જ નહીં દરેક સંબંધમાં તે આત્મહત્યા કરવાની ધમકી આપતી. આથી છોકરાઓ તેને થોડી સાચવીને હળવેકથી છોડી દેવા લાગ્યાં. વારંવારનાં બ્રેકઅપ્સ અને સંબંધોનાં તનાવ છતાં પણ તે ગ્રેજ્યુએશનનો અભ્યાસ સારી રીતે પૂરો કરી શકી. તેણે ઉચ્ચ અભ્યાસ પણ કર્યો અને તેને સારી નોકરી પણ મળી ગઈ.
ઉચ્ચ અભ્યાસ અને સારી નોકરી કરતી રેવતી ફરીથી એક યુવાનનાં પ્રેમમાં પડી. રેવતીને સમજાતું હતું કે ઉચ્ચ બુદ્ધિમત્તા હોવા છતાં તે સંબંધોનું મેનેજમેન્ટ કરવામાં કાચી પડતી હતી. એટલે તેને રીલેશનશીપ મેનેજમેન્ટના ઘણા કોર્સીસ કર્યા, પુસ્તકો પણ વાંચ્યા. હવે જીંદગીમાં સ્થિર થવા આ યુવાન સાથેનો પ્રેમસંબંધ કાયમી ટકાવવાનો એને નિર્ધાર કર્યો. તેને પોતાની બધી જ વાત તેના નવા મિત્રને કરી દીધી. બન્ને વચ્ચે એક વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યો. અને પછી બંનેના કુટુંબની સંમતિથી લગ્ન પણ થયા.
પરંતુ આ લગ્ન દોઢ વર્ષથી લાંબા ન ટક્યા. કારણ તેનો પતિ તેના પર ખુબ જ વધારે શંકાશીલ થઇ ગયો હતો અને તેને કંટ્રોલ કરવાની કોઈ પણ તક જવા ના દેતો. એટલુંજ નહિ ગુસ્સે થઈ અપશબ્દો પણ બોલતો અને ક્યારેક હાથ પણ ઉપાડી લેતો. રેવતીથી આ બધું સહન ના થયું. અને તે પોતાના પિતૃગૃહે પાછી આવી ગઈ. તેના છૂટાછેડા થઇ ગયા.
આ સમય દરમ્યાન તેને ત્રણ નોકરી બદલી. તે જ્યાં કામ કરતી હતી ત્યાં પણ તેના બોસ સાથે તેને ઘણી રકઝક થતી. સહકર્મીઓ સાથે પણ તેને ખૂબજ ઝઘડા થતાં હતાં.
મમ્મી પપ્પાના ઘરે તે પોતાના નાના ભાઈ અને ભાભીને સાથે જોઈને અકારણ છળી ઉઠતી. તેમના સંતાનોને જોઈને તે ઈર્ષ્યાની આગમાં બળતી એટલે નાના ભૂલકાઓને પણ ઘમકાવી નાંખતી. રેવતીથી બધા કંટાળી ગયા હતા. એની મમ્મીએ પણ રેવતીનું આવું અકળ વર્તન જોઈને એને ત્યાં સુધી સંભળાવી દીધું કે તું હવે તારો અલગ ફ્લેટ ભાડે લઇ ત્યાં રહેવા જા અને નોકરી કરી તારી મેળે તારું ગુજરાન ચલાવ.
રેવતી હવે પોતાની જિંદગીથી થાકી ગઈ હતી, સંજોગોથી હારી ચુકી હતી. (ક્રમશ:)

24/06/2025

Celebrating 7 Years of Mental Health Care at Samvedana Happiness Hospital, Ahmedabad.

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnવિવાન, વિરાગી અને અન્યા- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ****************...
18/06/2025

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

વિવાન, વિરાગી અને અન્યા
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

************************
એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં બંધાતા દરેક સંબંધો સાશ્વત નથી હોતા. દરેક સંબંધોની એક અવધિ ચોક્કસ હોય છે. જીવનમાં થયેલા બધાજ પ્રેમ સંબંધો જીવનભરનો સાથ કે સંગાથ નથી બની રહેતાં પણ કેટલાંક યાદોમાં રહેવા માટે હોય છે. એને કડવી યાદો બનાવવી કે મીઠી એ તમારા હાથમાં છે.

જીવનમાં કેટલાક લોકો માત્ર પાઠ ભણાવવા માટેજ આવે છે. કદાચ અન્યા વિવાનને એ પાઠ શીખવીને જ ગઈ છે કે કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાયેલા હોય છે એને જોડવા જરૂરી હોતા નથી.

************************

વિવાનને છેલ્લા ત્રણ મહિનાથી કોઈપણ બાબતમાં રસ રહ્યો નથી. ધંધામાં ધ્યાન ન રહેતું હોવાને કારણે તેને આઠ દસ લાખની ખોટ ગઈ છે. ત્રણ વર્ષના કિલ્લોલતા યશને ભાગ્યેજ તેણે રમાડ્યો છે. પત્નીની સામે જોવાની તો તેણે તસ્દી સુધ્ધા પણ લીધી નથી. ઘરમાં બધા એમ સમજે છે કે માર્કેટમાં ચાલતી મંદીના ભયાનક ઓછાયામાં વિવાન ભયાનક રીતે સપડાઈ ગયો છે.
પરંતુ ત્રણ મહિના પહેલાં જિંદગીમાં નવબહાર આવી હોય એ રીતે ખીલેલા અને રંગીલા થઇને ફરતાં પુત્રમાં એકાએક આવેલા બદલાવને સમજતાં પિતા પરેશભાઈને બહુ વાર ન લાગી. કારણ મૂળભૂત રીતે અંતર્મુખી સ્વભાવના પુત્રની રગેરગથી તે માહિતગાર હતાં.
વાત કંઇક આમ હતી. વિવાન અને વિરાગીના છ વર્ષ પહેલાં ધામધૂમથી લગ્ન થયા હતાં. આમ તો બન્નેના સ્વભાવમાં વિરોધાભાસ ઘણાં હતાં. કુટુંબની રહેણીકરણી પણ સાવ અલગ હતી. એમાં પણ વિરાગીના પિતા સુમેશભાઈ પાર્ટી કલ્ચરના માણસ હતાં. તેમને જમાઈ અને વેવાઈને કોઈપણ કારણ શોધી આમંત્રણ આપવાનો ઘણો ચસકો હતો. સુમેશભાઈના સ્વભાવની આ લાક્ષણિકતાને વિવાન તેમની જમાઈને વશ કરવાની વૃત્તિ સમજી બેસે છે અને આમાંથી ચણભણ થાય છે જે વિરાગીના વારંવાર પિયર ચાલ્યા જવાથી માંડી છૂટાછેડા સુધીની વાતોમાં પણ પરિણમે છે પરંતુ છેવટે “ડાંગે માર્યા પાણી જુદા ન પડે” એમ વિવાન અને વિરાગી આખરે તો સાથે જ રહે છે પરંતુ લગ્ન પછીના શરૂઆતના બે વર્ષો મન વગરના મેળાપ અને તન વગરનાં સંબંધોજ રહી જાય છે. આમાં આત્મીયતાનો તો સંપૂર્ણ અભાવ જ રહે છે. આવા સંબંધો વિવાન અને વિરાગીની કામેચ્છાને નામશેષ બનાવી મુકે છે. પરંતુ આજના આધુનિક યુગમાં કુદરતી ખેંચાણ ન થાય તો પણ કૃત્રિમ રીતે કામેચ્છા અને કામોત્તેજના ભડકાવવાના ઉપાયો લભ્ય હોવાથી લગ્નનાં ત્રણ વર્ષ પછી ઝાંઝવા સરોવર બને છે અને યશનો જન્મ થાય છે.
અને સામાન્ય રીતે મોટાભાગના હિન્દુસ્તાની યુગલોમાં બનતું આવે છે તેમ યશનાં જન્મ પછી વિરાગી પુત્રમય બની જાય છે અને વિવાન ધંધામાં ઓતપ્રોત થઇ જાય છે. પિતા પરેશભાઈ અને માતા વીણાબેનને લાગે છે કે હવે પરિવારમાં બધુંજ ગોઠવાઈ ગયું છે અને આર્થિક સ્થિરતા પણ આવતી જાય છે.
સમય પસાર થતો જાય છે અને વિવાનના શુષ્ક , નીરસ અને યંત્રવત્ત જીવનમાં તોફાની, નટખટ અને અલ્લડ અન્યાનો પ્રવેશ થાય છે. અન્યા વિવાન કરતાં ૧૨ વર્ષ નાની છે. એક કોમન મિત્રની પાર્ટીમાં બન્ને પ્રથમ દ્રષ્ટિના પ્રેમમાં પડે છે. અને આ પ્રેમ ધીરે ધીરે લાંબી મિત્રતા અને પછી અંગત સંબંધોમાં પરિણમે છે. જોત જોતામાં આ સંબંધો અજબ પ્રેમ કી ગજબ કહાની જેવાં બની જાય છે. અન્યાના સાનિધ્યમાં વિવાનની કામેચ્છા અને કામોત્તેજના ધસમસતા ઘોડાપૂરની જેમ વહેવા લાગે છે. અને બન્ને કામરમતોની ચરમઆનંદની તમામ સીમાઓ પાર કરી જાય છે.
અન્યા વિવાનને કહે છે કે જીવન જીવવા માટે માણસને જેમ શ્વાસોચ્છવાસની જરૂર છે તેમ મારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મારે તારી જરૂર છે. મેં મારા જીવનમાં મારા પપ્પા, ભાઈ, સખા કે મિત્રને જોયા નથી. પણ મારા માટે પુરુષના તમામ સ્વરૂપે તું અને તું જ છે.
નોકરી કરતી અને પતિથી છૂટી થયેલી માતા અલગ રહેતી હોવાથી અન્યા અને વિવાનને આખો દિવસ ઘરમાંજ એકાંતવાસ મળી રહેતો. આમ બે-ત્રણ મહિના નીકળી ગયા. હવે એક બીજાથી છૂટા પડવું શક્ય ન હતું પરંતુ કઠોર વાસ્તવિકતા એ હતી કે અન્યાએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનિવર્સીટીમાં એડમીશન લઇ લીધું હતું અને ટૂંક સમયમાં તેને વિદેશ જવાનું હતું. બે સિતારાનું જમીન પરનું અદ્દભુત મિલન એક રાત માટે થાય પરંતુ પછી એ ચીરકાલીન યાદોમાં ફેરવાઈ જાય એ ઘડી આવવાની તૈયારી હતી. અને બન્ને લોન્ગ ડીસ્ટન્ટ સંબંધોની કડીઓ ગૂંથી રહ્યા હતાં ત્યાં કાળચક્રએ કંઇક નવીજ રમત રમી નાંખી. વિવાનને કેટલાક પૂરાવા મળ્યાં કે અન્યાને પોતાના સિવાય અન્ય બે પુરુષો સાથે સંબંધ હતાં. આ પુરાવાઓની ચકાસણી કરી અને અન્યા પાસે કબૂલાત કરાવી એ સાથેજ વિવાનના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને સ્વર્ગમાં બનેલા એ સંબંધોનો નર્કથી પણ બદ્દતર અંત આવ્યો. અન્યાએ સાચા દિલથી વિવાનની માફી માંગી અને એ વાતની એવી કબૂલાત પણ કરી કે પ્રેમની અને આત્મીયતાની આહલાદ્ક અનુભૂતિ એને વિવાન સાથેજ થઇ છે અને આ સંબંધો એના જીવનભરનું સંભારણું રહેશે અને એને એ કાયમી ટકાવી રાખવા માંગે છે.
પરંતુ વિવાન દગાખોરીની આગમાં હડહડ બળી રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે હવે પછીનું જીવન તે અન્યા વગરજ જીવી લેશે. જો એને ખબર હોત કે અન્યા એની વફાદારીનો બદલો આટલી બેવફાઈથી આપવાની છે તો એના જીવનનો કિંમતી સમય એ બરબાદ ન કરત. હવે તેને સમજાઈ ગયું છે કે અન્યા કેટલી બેરહેમ હતી અને પ્રેમની તેનેમન શું કિંમત હતી. કોઈનું દિલ તોડવાથી કોઈને કેટલી ભયાનક પીડા થાય છે તેનો તેને કદાચ અણસાર સુદ્ધા નથી. વિવાનને એ પણ સમજાયું કે “કેવી વ્યક્તિને મેં પ્રેમ કર્યો છે?” વિવાન હવે એની આંખોમાંથી વહેતા મોતી સમાન આંશુ એના દિલના થઇ ગયેલા ટુકડે-ટુકડા અને અન્યાએ તેના પર ગુજારેલ જુલ્મો ભૂલી શકે તેમ ન હતો. એટલેજ એ ગુમશુમ હતો. ઉદાસ હતો. તેને જીવનમાં ચારેય બાજુ અંધારું લાગતું હતું. તેને એમ લાગતું હતું કે જે જીવન તે અન્યા સાથે જીવી ગયો, એ સમય દરમ્યાન એને પ્રેમનો જે અનુભવ થયો એ જીવનમાં હવે ક્યારેય નહીં થાય. વિરાગી સાથે એ ક્યારેય પ્રેમસંબંધ નહીં બનાવી શકે. તેતો પુત્રમાં વ્યસ્ત છે અને બન્ને વચ્ચે ભાવનાત્મક અંતર કાયમી રહેશેજ. એ ફરી અન્યા જેમ બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાય એની તલાસમાં છે પરંતુ કોઈનો આશરો કે ઉતારો એમ જલ્દી મળે એમ લાગતું નથી.
વિવાન, વિરાગી અને અન્યાનો સંબંધ ત્રિકોણ કેટલોક વિશ્લેષણાત્મક અભ્યાસ માંગી લે છે. વિવાનની ઉદાસી અને નીરસતાને નાથવા દવાઓના ઉપચારની અનિવાર્યતા તો છે જ પણ એ ઉપરાંત વિવાનના વિચારોને એક ચોક્કસ દ્રષ્ટિ અને દિશા આપવી અત્યંત જરૂરી છે. અન્યા પાસેથી વફાદારીની ઈચ્છા રાખતો વિવાન શું વિરાગીને વફાદાર છે ? જો વિરાગી સાથે મન અને તનનો કોઈ મેળાપજ ન હોય તો એવા સંબંધોને ઢસડાવા કરતાં એનો યોગ્ય સમયે અંત લાવવો યોગ્ય ન હતો ? વિવાન અને વિરાગી જેવાં સંબંધમાં રહેતા યુવક અને યુવતીએ વિચારવું જોઈએ કે શું તેઓ પ્રેમમાં જીવી રહ્યા છે કે ફક્ત સંબંધમાં ? આવા સંબંધોમાં થોભવું સાચું છે કે આગળ વધવું સાચું છે ? પરંતુ હવે જ્યારે ત્રણ વર્ષનો યશ છે ત્યારે આ સંબંધોનું પુનઃગઠન કરવા વૈજ્ઞાનિક રીતે કરાતી કપલ થેરાપી અને મેરાઈટલ થેરાપી સારા પરિણામો લાવી શકે. પરંતુ એ પહેલાં વિવાને એના મનમાં તેના અને અન્યાના સંબંધોની સ્પષ્ટતા કરવી ઘણી જરૂરી છે. વિવાને એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં બંધાતા દરેક સંબંધો સાશ્વત નથી હોતા. દરેક સંબંધોની એક અવધિ ચોક્કસ હોય છે. જીવનમાં થયેલા બધાજ પ્રેમ સંબંધો જીવનભરનો સાથ કે સંગાથ નથી બની રહેતાં પણ કેટલાંક યાદોમાં રહેવા માટે હોય છે. એને કડવી યાદો બનાવવી કે મીઠી એ તમારા હાથમાં છે.

અન્યાએ એના પર કરેલા જુલ્મોને એ ક્યારેય ભૂલી નહીં શકે એવું માનતા વિવાને એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક લોકો માત્ર પાઠ ભણાવવા માટેજ આવે છે. કદાચ અન્યા વિવાનને એ પાઠ શીખવીને જ ગઈ છે કે કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાયેલા હોય છે એને જોડવા જરૂરી હોતા નથી. હવે જો કઈ જોડવું જરૂરી હોય તો એ વિવાન, વિરાગી અને યશનાં સંબંધોને જોડવા જરૂરી છે. અન્યા વિવાનને એક વાત શીખવીને ગઈ છે કે ઉછીના સુખથી જીવનમાં મળતો આનંદ એક ભ્રમ હોય છે, જેનું નિરસન નક્કીજ હોય છે. એટલેજ વિવાનને એજ સંદેશ છે કે હવે વાસ્તવિકતામાં આવી જીવનને સાચા અર્થમાં આનંદમય બનાવવું.

ન્યુરોગ્રાફ:-
કેટલાક Good bye સમય અને પરિસ્થિતિની જરૂરિયાત હોય છે.

Address

Ahmedabad

Opening Hours

Monday 9am - 5pm
6pm - 7pm
Tuesday 9am - 5pm
6pm - 7pm
Wednesday 9am - 5pm
6pm - 7pm
Thursday 9am - 5pm
6pm - 7pm
Friday 9am - 5pm
6pm - 7pm
Saturday 9am - 5pm
6pm - 7pm

Telephone

+918460783522

Alerts

Be the first to know and let us send you an email when Dr. Mrugesh Vaishnav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dr. Mrugesh Vaishnav:

Share

Category