
13/08/2025
Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column
ઓવરથીંકીંગ અનિચ્છનીય, વિકૃત અને ભયાનક વિચારોનું દબાણ
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
*************************
તમને વારંવાર ખરાબ વિચાર આવતાં હોય તો તેમાં કંઈ ખોટું નથી પરંતુ આ વિચારો સાથે લડવાની તમારી રીત ખોટી હોઈ શકે છે
*************************
તમે ક્યારેક ટ્રેનના પ્લેટફોર્મની ધાર ઉપર ગાડીને આવવાની રાહ જોતા હોવ અને તમે તમારા વિચારોમાં હોવ ત્યારે અચાનક જ તમારા મનમાં એક વિચાર ઝબકે કે 'મારાથી પ્લેટફોર્મ પરથી કૂદીને આત્મહત્યા નહીં થઇ જાયને ?' અથવા તો 'મારાથી આ સામે ઉભેલા માણસને રેલ્વેટ્રેક પર ધક્કો તો નહીં મારી દેવાયને ?' મારા માનસિક સ્વાસ્થ્ય વિશેના જનજાગૃતિ સેમીનારમાં આવા પ્રશ્ન હું એક ભરેલા હોલમાં બેઠેલા તમામ લોકોને પૂછુંછું કે શું તમને ક્યારેય આ પ્રકારના વિચારો આવ્યા છે ? ત્યારે લગભગ 90% લોકો આ વાત સ્વીકારે છે કે તેમને આ પ્રકારના વિચારો અનુભવ્યા છે.
મારા સવાલનો ઉપર મુજબ જવાબ આપનાર લોકોને હું નીચે મુજબ વધારે પ્રશ્નો પૂછું છું :
શું આવા વિચારો તમને ખરેખર પરેશાન કરે છે?
શું તમને ડર લાગે છે કે આવું વિચારવું એ સાબિત કરે છે કે તમે એક ખરાબ અથવા તો ખતરનાક વ્યક્તિ છો ?
શું તમે તમારા વિચારોમાંથી છૂટવાના પ્રયત્નો કરો છો પરંતુ એ પાછા ફરીને આવે છે?
શું તમને એવું લાગે છે કે તમારી જાણ બહાર તમે કંઇક ખોટું કરી નાખ્યું છે.
શું તમને શરમ આવે છે કે લોકોને તમારા આવા વિચારોની જો ખબર પડી જશે તો એ તમને એક ખતરનાક કે સનકી વ્યક્તિ માનશે અને એ તમારી ઓળખ બની જશે?
ઉપરના પ્રશ્નોનો જવાબ જો 'હા' માં હોય તો તમને અનિચ્છનીય, વારંવાર તમારા મનમાં ઘુસી જતાં, પીડા દાયક વિચારો આવે છે. આને વૈજ્ઞાનિક ભાષામાં ‘Unwanted Intrusive Thoughts’ એટલે કે સામાન્ય ભાષામાં 'ઓવરથીંકીંગ' કહેવાય છે.
આ પ્રકારના અનિચ્છનીય વારંવાર મનમાં ઘુસી જતા પીડા કારક અને વિચિત્ર વિચારો આવવા એ બહુ જ સ્વાભાવિક અને સામાન્ય વાત છે. તેમાં પણ તમારા જેવા શ્રેષ્ઠ, સંયમિત અને લાગણીશીલ લોકોમાં આવા વિચારો આવવા એક સામાન્ય ઘટના છે.
આવા વિચારો વિશે વધારે વાત કરું એ પહેલાં એક વાત હું તમને બહુ સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે તમને આવા વિચારો આવતા હોય તો તમે અકળાશો નહીં કારણ આવા વિચારો કરનારા તમે એકલા નથી.
આપણા દેશમાં સમગ્ર વસ્તીનાં 0.6% લોકો એટલે કે લગભગ 80 લાખથી 1 કરોડ લોકોને આવા વિચારો આવે છે. તેમાં પણ તરુણો, યુવાનો અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં આનું પ્રમાણ 3 થી 9% જેટલું વિવિધ સંશોધનોમાં જણાયું છે.
આવા વિચિત્ર વિચારોનાં ઘણા પ્રકારો હોય છે. હિંસક વિચારો, સંશયયભર્યા વિચારો, જાતીય વિચારો, ધાર્મિક વિચારો એમ જુદાજુદા પ્રકારનાં વિચિત્ર વિચારો આવવા એ ખૂબ સામાન્ય વાત છે.
તમે આ લેખમાળામાં જેમજેમ જુદાજુદા લેખ વાંચશો તેમતેમ તમને આ પ્રકારના વિચારો વિશે સમજાતું જશે. જો તમે આ બધાંજ લેખો હિંમતપૂર્વક વાંચી શકશો તો તમે પ્રશંસનીય માનસિક તાકાત ધરાવો છો એમ હું કહીશ. જો તમને આવા વિચારો આવતાં હોય તો તમે એને રોકવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હશે પરંતુ જો તમે આ વિચારોને નાથવાની તમારી એકની એક રીત ચાલુ રાખશો તો આ વિચારો ક્યારેય બદલાશે નહીં. વિચારો બદલવાની તમારી ઈચ્છા છે એ વાતમાં તમે ખોટા નથી પણ તમારી રીત ખોટી હોઈ શકે છે. સૌ પ્રથમ તમે એક કામ કરો.
તમારા વિચારોને એક ચોક્કસ નામ આપો. દા.ત. 'અનિચ્છનીય વિચારો', 'નકામા વિચારો', 'ઘુસણીયા વિચારો' વગેરે...
તમારા વિચારોને કોઈપણ પ્રકારની શરમ કે ડર વગર જુઓ.
અને એક સનાતન સત્યનો સ્વીકાર કરી લો કે આવા વિચારો કરનાર તમે એકલા નથી.
તમારા વિચારો અને તેના દ્વારા થતી પીડા ઘટાડવા માટેનું આ પ્રથમ પગથિયું છે.
આ લેખમાળા તમને એક વાત જરૂર શીખવશે કે આવા વિચારો કેટલા પ્રકારના હોઈ શકે છે, આવા વિચારો ફરી ફરીને પાછા કેમ આવે છે અને એમાંથી મુક્તિ મેળવવાની અસરકારક રીતો કઈ હોય શકે.
આ પ્રકારના વિચારો વિશે મેં લોકોને જ્યારે સાચી માહિતી આપી છે ત્યારે ઘણાં લોકોએ મને નીચે મુજબ પ્રતિસાદ આપ્યો છે : 'હું છેલ્લા ૯ વર્ષથી Anxiety Disorderનો શિકાર છું અને આ સમય દરમ્યાન હું વારંવાર નિરર્થક અને અનિચ્છનીય વિચારોનો સામનો કરતો રહ્યો છું પરંતુ આવા વિચારો વિષે કોઈને કહેવું એ મારા માટે શક્ય નહતું. મને જ્યારે તમારી પાસેથી જાણવા મળ્યું કે આવા વિચારો ઘણીવાર હિંસાત્મક કે જાતીય હોય શકે છે ત્યારે મને આશાનું એક કિરણ દેખાયું. હું તો એમ સમજતો હતો કે આ મારા મનની એક ઘાતક કે શરમજનક આદત કે એક વળગણ છે.
જેની કબુલાત હું કોઈ સમક્ષ ક્યારેય નહીં કરી શકું પણ જ્યારે આવા વિચારોને મેં વૈજ્ઞાનિકરીતે સ્પષ્ટ આપેલું નામ જાણ્યું એનાથી મારી આંખો ઉઘડી ગઈ અને મારામાં આ વિશે મદદ મેળવવાની હિંમત ખુલી ગઈ.'
અહીં એક વાત યાદ રાખવી કે વૈજ્ઞાનિક અને સચોટ મદદ મળવી સરળ નથી. તમને સંપૂર્ણપણે સમજી શકતા તમારા મિત્રો કે પરિવારજનો સાથે આ વિચારો વિષે વાત કરવી પણ ઘણીવાર નુકશાનદાયક સાબિત થાય છે. કારણ એ લોકોને આવા વિચારો અંગે સમજ ન હોય તો તમને વધારે એકલું લાગવા માંડશે અને તમારી સમસ્યા જેમની તેમ રહી જશે. યાદ રાખો આવા વિચારો આપમેળે દૂર થતાં નથી. આ લેખમાળાનાં વિવિધ લેખો તમને આ વિચારોમાંથી મુક્તિ માટે વ્યવહારુ, સરળ અને કાર્યક્ષમ પધ્ધતિ બતાવશે અને આ વિચારોથી ઉદ્દભવતા ડર, હતાશા અને પીડામાંથી તમને મુક્ત જીવન પર લઇ જશે.
હું આગળ જણાવી ગયો તેમ આવા વિચારો ઘણાં પ્રકારના હોય છે. અહીં હું તમને મારી એક કેસ હિસ્ટ્રીનો દાખલો આપું છું જે ‘Forbidden S*xual Thoughts એટલે કે અસ્વીકાર્ય સેક્સના વિચારો સાથે ઝઝુમતા એક યુવાનનાં મનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષની સત્ય હકીકત છે.
૧૫ વર્ષનો રોહન ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને મિત્રો તથા ઘરનાં સભ્યો સાથે સારા સંબંધો ધરાવતો હતો. છેલ્લા 3-4 મહિનાથી તેને અનિચ્છનીય 'સેક્સ'ના વિચારો વારંવાર આવતા હતાં. ખાસ કરીને મિત્રો આ બાબતની કોઈ ચર્ચા કરતાં હોય અથવા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટયુબમાં આ પ્રકારના વિડીઓ જોવામાં આવતા હોય ત્યારે સેક્સ ના વિચારોનું દબાણ વધી જતું.
શરૂઆતમાં તો તેને આ વિષય પર ઘણું કુતુહલ થયું અને એના વિષે વધુને વધુ જાણવાની એની જિજ્ઞાસા વધતી ગઈ પરંતુ જેમ જેમ તે આ વિષે વધુને વધુ જાણતો ગયો તેમ તેમ તેને સેક્સ વિષયક પ્રતિબંધિત અને અણછાજતા વિચારો આવતા ગયાં જે બદલ તેના મનમાં અફસોસ, અપરાધભાવ, શરમ, ચિંતા અને હતાશાનો અનુભવ થવા લાગ્યો.
તેને ઘરની કોઈ મહિલા નજીક હોય ત્યારે એવા વિચારો આવી જતાં કે
'શું મારાથી આ સ્ત્રી સાથે કોઈ અણછાજતી ચેષ્ટા થઇ જશે ?'
'શું મારાથી એની સાથે કોઈ અડપલું થઇ જશે ?'
'શું મારાથી એના સ્તનને અડકી જવાશે ?'
આવા વિચારોના ડરથી તે ખૂબ જ ગભરાઈ જતો હતો અને ઘરની કોઈપણ સ્ત્રી એટલે કે માતા, બહેન, દાદી, કાકી વગેરેથી દૂર એકલો રહેવાનો પ્રયાસ કરતો હતો.
આ વિચારોને કારણે તે સતત ઉદાસ અને વ્યગ્ર રહેતો હતો અને અભ્યાસમાં તેનું મન લાગતું નહતું. તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ બની ગયો હતો. તેને મોડી રાત સુધી ઊંઘ ન આવતી. તેની ભૂખ પણ ઘટી ગઈ હતી. તેથી ભણવામાં એ પાછળ પડતો જતો હતો. એટલુ જ નહીં ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ હોવા છતાં પણ એ એકલો અને અટૂલો રહેવા લાગ્યો. આવી અસહ્ય મૂંઝવણમાંથી પસાર થતાં રોહન જેવા સંખ્યાબંધ યુવકોને સમજવાની અને સમજાવવાની જરૂર છે. તેના પર દોષારોપણ કરવાની નહીં પણ તેનું મૌન તોડાવવું એ પ્રથમ સારવાર છે. જો તમે તમારા સંતાનોના આવા વિચારોને કારણે પરેશાન હોવ તો કોઈપણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વગર નિષ્ણાંત મનોચિકિત્સક પાસેથી સમયસર માર્ગદર્શન અને સારવાર મેળવો.
અન્ય એક કેઈસ નું ઉદારાહન આપું છું.
૨૫ વર્ષનાં નિરવે તેની મૂંઝવણ જણાવતા મને નીચે મુજબ કહ્યું,
'હું ખૂબજ ભયાનક ઓવરથીંકીંગ કરું છું. લાખ પ્રયત્નો છતાં મને એમાંથી છુટકારો મળતો નથી. એ વિચારો સતત મારા ઉપર કાળા ઘેરા વાદળોની જેમ મંડરાતા રહે છે. જેના કારણે હું મારું કોઈપણ કામ બરાબર રીતે કરી શકતો નથી. મને સતત ચિંતા થયા કરે છે. હું સવારે ઉઠું ત્યારે મારી છાતીમાં ધબકારા થાય છે કારણકે મને ખબર હોય છે કે મારો આખો દિવસ આવા વિચારો વચ્ચે જ પસાર થશે. એ વિચારો એટલા ભયાનક છે કે હું ટેલીવિઝન કે મોબાઈલ પણ જોઈ શકતો નથી. મને સતત એવું લાગ્યા કરે છે કે હું (પેડોફાઈલ) એટલેકે બાળલૈંગિક વૃત્તિ ધરાવતો હીન માણસ છું. જોકે ક્યારેય કોઈ બાળક સાથે કોઈ અણછાજતી હરકત મેં કરી નથી પણ મને ડર લાગે છે કે હું બાળલૈંગિક વૃત્તિ ધરાવતો પેડોફાઈલ છું.
એક દિવસ મને હજી વધારે ખોટો વિચાર આવ્યો 'શું મારા ભાઈને જોઇને મને આકર્ષણ થાય છે ? અડપલા કરવાની ઈચ્છા થાય છે?' આ વિચારો આવ્યા પછી હું એની સામે જોઈ પણ શકતો નથી અને એની સાથે બહાર જવાનું પણ ટાળું છું. કારણ મને સતત ડર રહે છે કે મારાથી તેની સાથે કોઈ અણછાજતી જાતીય હરકતો થઇ જશે.'
૩૫ વર્ષની એક પરિણીત ગૃહિણીએ પોતાની મૂંઝવણ વર્ણવતા કહ્યું કે 'બસ સ્ટોપ પર કોઈ અજાણ્યા પુરુષને હું જોઉં કે એની સાથે વાતચીત કરું તો મારી નજર એના જનનાંગો પર ચોંટી જાય છે અને એ પુરુષ સાથે જાતીય સમાગમ કરવાની મને ઈચ્છા થાય છે. આવા પુરુષો દેખાવમાં સહેજ પણ આકર્ષક ન હોય તો પણ મને આવા વિચારો આવે છે. શું આનો અર્થ મારે એમ કરવો કે હું મારા પતિને પ્રેમ કરતી નથી?'
આ વિશે વધુ ચર્ચાઓ હવે પછીના લેખોમાં કરતાં રહીશું.
ન્યુરોગ્રાફ
તમારા વિચારો ખોટા હોઈ શકે છે પરંતુ એનો અર્થ એવો નથી થતો કે તમે એક ખરાબ વ્યક્તિ છો. યાદ રાખો તમારા વિચારો એ તમે નથી.