Live Update Page

Live Update Page લાઈવ અપડેટ ન્યુઝ પોર્ટલ, સચોટ, ત્વરિત ?

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, રૂપા ગાંગુલી સહિત 2 ડેપ્યુટી સીએમ::::પશ્ચિમ બંગાળની નવી ભાજપ સરકારમાં સ...
08/05/2026

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, રૂપા ગાંગુલી સહિત 2 ડેપ્યુટી સીએમ
::::
પશ્ચિમ બંગાળની નવી ભાજપ સરકારમાં સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી હશે. રાજ્યમાં બે ઉપ-મુખ્યમંત્રી હશે. ડેપ્યુટી CM તરીકે રૂપા ગાંગુલીના નામ પર મહોર લાગી ચૂકી છે. બીજા ડેપ્યુટી CM ઉત્તર બંગાળ માંથી હશે.

સુવેન્દુ પાસે ગૃહ મંત્રાલય અને પોલીસ વિભાગ હશે. સુવેન્દુએ CM મમતા બેનર્જીને ભવાનીપુરથી હરાવ્યા છે. તેઓ નંદીગ્રામથી પણ સતત બીજી વાર ચૂંટણી જીત્યા. અહીંથી 2021માં તેમણે મમતાને હરાવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હુમલાઓ અને હિંસાના વિરોધમાં લેફ્ટ ફ્રન્ટ શુક્રવારે સાંજે કોલકાતામાં વિરોધ રેલી કાઢશે. લેફ્ટ ફ્રન્ટના એક નેતાએ જણાવ્યું કે રેલી સેન્ટ્રલ કોલકાતાના એસ્પ્લેનેડ વિસ્તારમાં યોજાશે.

લેફ્ટ નેતાએ આરોપ લગાવ્યો કે જીતના જશ્નના નામે રાજ્યભરમાં કામ કરતા લોકો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ ફ્રન્ટ પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું. CPI(M) એ મુર્શિદાબાદની ભગવાનગોલા બેઠક જીતી, જ્યારે તેના સહયોગી ISF એ દક્ષિણ 24 પરગણાની ભાંગડ બેઠક જાળવી રાખી.

કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નવી BJP સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે કહ્યું કે લોકોમાં આ કાર્યક્રમને લઈને જબરદસ્ત ઉત્સાહ છે. તેમણે કહ્યું, વરસાદ છતાં તમામ વ્યવસ્થા યોગ્ય રીતે સંભાળવામાં આવી છે. શપથ સમારોહમાં સામેલ થવા માટે દેશભરમાંથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી અને સાંસદો કોલકાતા પહોંચી રહ્યા છે.

4 મેના રોજ 293 બેઠકોના પરિણામો આવ્યા. ભાજપને 207 બેઠકો મળી. TMC માત્ર 80 પર સમેટાઈ ગઈ. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. પરિણામ 24 મેના રોજ આવશે.

મમતા બેનર્જીએ કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું- હું CM પદ પરથી રાજીનામું નહીં આપું. અમે જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા છીએ. તેથી રાજીનામું આપવા રાજભવન નહીં જાઉં. મમતાએ આગળ કહ્યું - ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને 100 બેઠકો લૂંટી.

સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેઓ કોલકાતાથી મધ્યમગ્રામ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. કોલકાતાથી લગભગ 20 કિમી દૂર ડોલતલામાં એક કાર રથની સ્કોર્પિયો સામે ઊભી રહી ગઈ. આ દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. બે ગોળીઓ ચંદ્રનાથની છાતીમાંથી આરપાર થઈ ગઈ. એક ગોળી પેટમાં વાગી. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું.

ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે કહ્યું કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા એટલા માટે થઈ કારણ કે તેમણે મમતાને હરાવ્યા છે. સુવેન્દુએ કહ્યું - આ હત્યાને જે રીતે અંજામ આપવામાં આવ્યો, તેની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે. હત્યાનું કારણ ભવાનીપુરથી મમતાની હાર હોઈ શકે છે.

ટ્રમ્પની ટેરિફ નીતિને અમેરિકી કોર્ટે ગેરકાયદેસર ગણાવી::::અમેરિકાની એક ફેડરલ ટ્રેડ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વાર...
08/05/2026

ટ્રમ્પની ટેરિફ નીતિને અમેરિકી કોર્ટે ગેરકાયદેસર ગણાવી
::::
અમેરિકાની એક ફેડરલ ટ્રેડ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી 10% ગ્લોબલ ટેરિફને ગેરકાયદેસર જાહેર કરી છે. કોર્ટે ગુરુવારે 2-1ના બહુમતીથી ચુકાદો આપતા કહ્યું કે આ ટેરિફ 1974ના વેપાર કાયદા હેઠળ યોગ્ય નહોતા અને વહીવટીતંત્ર પાસે કોંગ્રેસની મંજૂરી વિના આટલા મોટા પાયે આયાત શુલ્ક લાદવાનો અધિકાર નથી.

રોઇટર્સના અહેવાલ મુજબ, કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં લાદવામાં આવેલી આ ટેરિફ કાયદેસર રીતે અમાન્ય છે. ટ્રમ્પે ફેબ્રુઆરીમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આ ગ્લોબલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

પ્રશાસને ટ્રેડ એક્ટ 1974ની કલમ 122નો હવાલો આપતા દલીલ કરી હતી કે અમેરિકા 1.2 ટ્રિલિયન ડોલરની વેપાર ખાધ અને GDPના 4% જેટલી કરંટ એકાઉન્ટ ડેફિસિટનો સામનો કરી રહ્યું છે.

જોકે, ન્યાયાધીશોએ તેને ફગાવી દેતા કહ્યું કે આ પ્રકારની વેપાર ખાધ કાયદાની ફરજિયાત શરતોને પૂર્ણ કરતી નથી.

આ મામલો એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે અમેરિકી સુપ્રીમ કોર્ટે અગાઉ જ ટ્રમ્પ પ્રશાસનના કેટલાક ટેરિફ નિર્ણયોને એમ કહીને રદ કર્યા હતા કે રાષ્ટ્રપતિની ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ અમર્યાદિત નથી.

નાના વેપારીઓએ કોર્ટમાં દલીલ કરી હતી કે 10% ટેરિફનો નવો આદેશ સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયને અવગણવા માટે લાવવામાં આવ્યો હતો.

કોર્ટે માન્યું કે સરકારે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, ત્રણ સભ્યોની પેનલમાંથી એક જજે અસંમતિ વ્યક્ત કરતા કહ્યું કે વ્યાપારિક બાબતોમાં રાષ્ટ્રપતિ પાસે સત્તા હોવી જોઈએ.

ગ્લોબલ સપ્લાય ચેઇન પર નિર્ભર નાના વેપારીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. બેઝિક ફન કંપનીના CEO જે મય ફોરમેને કહ્યું કે આ તે અમેરિકન કંપનીઓ માટે એક મોટી જીત છે જે સસ્તી અને સુરક્ષિત વસ્તુઓ બનાવવા માટે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ પર નિર્ભર છે.

તેમણે આગળ કહ્યું કે ગેર-કાનૂની ટેરિફને કારણે કંપનીઓ માટે બજારમાં ટકી રહેવું અને આગળ વધવું મુશ્કેલ બની રહ્યું હતું. હવે આ નિર્ણયથી સપ્લાય ચેઇનને મેનેજ કરતી કંપનીઓને સ્પષ્ટતા મળશે.

ટ્રમ્પ હંમેશા ભારત સાથેના વ્યાપારિક કરારો અને ટેરિફને લઈને સ્પષ્ટવક્તા રહ્યા છે. જો અમેરિકામાં ગ્લોબલ ટેરિફની નીતિ નબળી પડે છે, તો ભારતીય નિકાસકારો માટે આ એક સકારાત્મક સંકેત હોઈ શકે છે.

આનાથી ભારતીય સામાનની અમેરિકન બજારમાં પહોંચ સરળ બની રહેશે અને ખર્ચમાં અનપેક્ષિત વધારાનો ડર ઓછો થશે.

એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ પ્રશાસન આ નિર્ણય સામે અપીલ કરશે. આ મામલો સૌપ્રથમ વોશિંગ્ટનની 'યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ'માં જશે. જો ત્યાં પણ સમાધાન ન નીકળ્યું, તો આ મામલો ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી પહોંચી શકે છે.

આમાં રાષ્ટ્રપતિને 150 દિવસ માટે અસ્થાયી ટેરિફ લગાવવાનો અધિકાર મળે છે, પરંતુ આનો ઉપયોગ ફક્ત ગંભીર ચુકવણી સંતુલન (બેલેન્સ ઓફ પેમેન્ટ્સ) સંકટ અથવા મુદ્રા સ્થિરતાના જોખમના સમયે જ કરી શકાય છે.

ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા ફાર્માસિસ્ટની ધરપકડ::::સુરતના વરાછા વિસ્તારમાં ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકી...
08/05/2026

ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા ફાર્માસિસ્ટની ધરપકડ
::::
સુરતના વરાછા વિસ્તારમાં ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનાર ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની આજે (8 મે) પોલીસે આંજળા ફાર્મના પાછળના ભાગેથી ધરપકડ કરી છે. આરોપી રામગોપાલ મમતા હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો. દરોડા દરમિયાન આ લેભાગુ તબીબના કાળા કારનામા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

નવેમ્બર 2025માં પણ આ જ રામગોપાલ શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો. તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં, કાયદાના જરાય ડર વગર તેણે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં એ જ જૂના સ્થળે મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. આરોપી એટલો બેખોફ હતો કે તે 10,000માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરી આપતો અને 15,000માં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની 'સુવિધા' પૂરી પાડતો હતો.

રામગોપાલના આ કાળા કારનામાની ચર્ચા સુરતથી હજારો કિલોમીટર દૂર મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલી હતી. પરપ્રાંતની સગર્ભાઓ અહીં ગર્ભપાત માટે આવતી હતી. નવાઈની વાત એ છે કે, જેની ચર્ચા અન્ય રાજ્યોમાં હતી, તેનાથી સ્થાનિક આરોગ્ય વિભાગ સાવ અજાણ હતો! સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલના નાક નીચે આ ગોરખધંધો ચાલતો રહ્યો, પરંતુ તેમણે કે તેમની ટીમે શંકાસ્પદ હોસ્પિટલો કે સોનોગ્રાફી સેન્ટરો પર તપાસ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી.

શહેરમાં આવી અનેક ગેરકાયદે હોસ્પિટલો ધમધમી રહી હોવાની આશંકા છે. ડૉ. અનિલ પટેલના કાર્યકાળ દરમિયાન કેટલા સેન્ટરો પર તપાસ થઈ અને કેટલા સામે કડક પગલાં ભરાયા, જો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આરોગ્ય વિભાગમાં ચાલતી મોટી લાલિયાવાડી અને મિલીભગત બહાર આવી શકે તેમ છે. એકવાર ગુનામાં પકડાયેલા ફાર્માસિસ્ટનું લાયસન્સ રદ કરવા માટે પણ વિભાગ કોઈ મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાય છે.

હાલ તો પોલીસે આ લેભાગુ ફાર્માસિસ્ટ સામે કાયદાનો સકંજો કસ્યો છે. તેની પૂછપરછમાં અનેક મોટા નામો અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટોના નામ ખૂલે તેવી શક્યતા છે. ડૉક્ટર ન હોવા છતાં તે કઈ રીતે અને કોની મદદથી આટલા મોટા પાયે ગર્ભપાતની હાટડી ચલાવતો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ આરોગ્ય વિભાગે મમતા મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જેમાં પોર્ટેબલ મશીન દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને માત્ર 15 હજાર રૂપિયામાં દીકરીઓનો ગર્ભપાત કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં હવે પોલીસ દ્વારા રામગોપાલના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

UPSCમાં મોટા ફેરફારની શક્યતા::::કેન્દ્રીય માહિતી પંચ (CIC) દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા...
06/05/2026

UPSCમાં મોટા ફેરફારની શક્યતા
::::
કેન્દ્રીય માહિતી પંચ (CIC) દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મોટી ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી પરિણામ જાહેર કરતી વખતે ઉમેદવાર કઈ મુખ્ય શ્રેણી (જેમ કે SC, ST અથવા OBC)માંથી આવે છે તેની જ વિગતો આપવામાં આવતી હતી. પરંતુ હવે CIC એ સૂચન કર્યું છે કે અંતિમ પસંદગી યાદીમાં ઉમેદવારની મુખ્ય શ્રેણીની સાથે તેની પેટા જ્ઞાતિ (Sub-caste)નો પણ ઉલ્લેખ કરવો જોઈએ.

આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે અનામત નીતિનો ખરેખર લાભ સમાજના એવા વર્ગો સુધી પહોંચે છે કે જેઓ હજુ પણ પછાત છે. ઘણીવાર એવું બને છે કે મુખ્ય શ્રેણીની અંદર અમુક જ જ્ઞાતિઓ વધુ લાભ મેળવતી હોય છે, જ્યારે અન્ય પેટા જ્ઞાતિઓ વંચિત રહી જાય છે. જો પરિણામોમાં આ વિગતો જાહેર કરવામાં આવે, તો અનામતના લાભોનું વિતરણ કેટલું સચોટ અને સમાન છે તેનું ચોકસાઈથી મૂલ્યાંકન કરી શકાશે.

આ ભલામણ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, એક વ્યક્તિએ RTI (માહિતી અધિકાર) હેઠળ વર્ષ 1995ની UPSC પરીક્ષામાં IAS તરીકે પસંદ થયેલા ઉમેદવારોની જ્ઞાતિવાર માહિતી માંગી હતી. જોકે, સરકારી વિભાગે જવાબ આપ્યો કે તેમની પાસે માત્ર SC, ST અને OBC જેવી મુખ્ય શ્રેણીઓનો જ ડેટા છે, કઈ પેટા જ્ઞાતિના કેટલા ઉમેદવારો છે તેની કોઈ વિગત ઉપલબ્ધ નથી.

આ બાબતને ધ્યાને રાખીને કેન્દ્રીય માહિતી પંચએ અવલોકન કર્યું કે જો ભવિષ્યમાં પરિણામોમાં જ્ઞાતિની સાથે પેટા જ્ઞાતિની જાણકારી પણ ઉમેરવામાં આવે, તો તેનાથી ઘણો ફાયદો થશે. તેનાથી એ સ્પષ્ટ રીતે જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર કયા જ્ઞાતિ સમૂહોને મળી રહ્યો છે અને કયા સમૂહો હજુ પણ વંચિત છે, જેથી અનામત નીતિનું વધુ સચોટ મૂલ્યાંકન કરી શકાય.

કેન્દ્રીય માહિતી પંચે આ બાબત પર ભાર મૂકતા જણાવ્યું છે કે, જો પેટા જ્ઞાતિની વિગતો પણ જાહેર કરવામાં આવે, તો તેનાથી એ ચોકસાઈપૂર્વક જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર સમાજના દરેક નાના-મોટા અને વિવિધ સમુદાયો સુધી પહોંચી રહ્યો છે કે નહીં.

હાલમાં UPSCના પોર્ટલ પર વર્ષ 2017 પછીની પરીક્ષાઓનો ડેટા માત્ર સામાન્ય શ્રેણીઓ (જેમ કે SC, ST, OBC) મુજબ જ ઉપલબ્ધ છે, જેમાં પેટા જ્ઞાતિનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી પંચનું માનવું છે કે, આ નવી વ્યવસ્થા લાગુ થવાથી સરકાર માટે સામાજિક ન્યાયના કાર્યો કરવા અને અનામત નીતિને વધુ મજબૂત બનાવીને યોગ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ ઘણું સરળ બની જશે.

પોતાના આદેશમાં CIC એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'પસંદ થયેલા ઉમેદવારોની અંતિમ યાદીમાં SC, ST, OBC જેવી શ્રેણીઓની સાથે પેટા જ્ઞાતિની વિગતો પણ સામેલ કરવામાં આવે, જેથી પારદર્શિતા સુનિશ્ચિત થઈ શકે.' આ નિર્ણયને કારણે ભવિષ્યમાં UPSCના પરિણામોના ફોર્મેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો આ ભલામણનો અમલ કરવામાં આવશે, તો ભારતીય વહીવટી સેવાઓમાં કઈ જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ કેટલું છે, તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 9 ડૂબ્યા, 2ના મોત::::વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે 5મે વહેલી સવારે...
06/05/2026

વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 9 ડૂબ્યા, 2ના મોત
::::
વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે 5મે વહેલી સવારે ન્હાવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુત તરીકે થઈ છે. બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે. કોટના બીચ પર ન્હાવા માટે નવ વ્યક્તિઓનું જૂથ પહોંચ્યું હતું. ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં બે વ્યક્તિઓના જીવ ગયા છે જ્યારે અન્ય સાત વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. નવ પૈકી કેટલાકને તરતાં આવડતું હતું, તેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતાં.

ઘટનાના સમાચાર મળતાં જ બીચ પર અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થયાની સાથે વડીવાડી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને બહાર કાઢી હતી. મૃતદેહોને નંદેસરી પોલીસને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ક્રિષ્ના વિજય રાજપુત અને કારેલીબાગ વિસ્તારના જય સુબોધ જોગલેકરનું ડૂબી જવાથી અકાળે મોત થયું છે. મૃતકો પૈકી એક યુવક જય જોગલેકર ભાજપ કાર્યકરનો પુત્ર હોવાથી આ દુઃખદ ઘટનાની જાણ થતા જ વોર્ડ નં.7ના કોર્પોરેટર અને દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ કરુણ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ અંગે દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે , કેટલાક યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા, તેમાંથી કેટલાક યુવાનોને તળતા નહોતું આવડતું તેમાંથી બે યુવાનોનું મોત નીપજ્યું છે. આ દુઃખદ ઘટના છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને બીચ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાયેલ છે. હાલમાં ગરમીનો માહોલ હોવાથી લોકો અહીંયા ન્હાવા માટે જતા હોય છે.

2 મે, 2026ના રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા-પુત્રો સહિત ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા હતાં. જ્યારે એક ગુમ વ્યક્તિની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા ચારેય લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા.

આ સમયે રોહિત નામનો યુવાન મોઢુ ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતા અન્ય ત્રણ લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ લાશ બહાર કાઢી હતી.

BHELનો નફો 156% વધીને ₹1,290 કરોડ થયો::::સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL નો નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં કન્સોલિ...
05/05/2026

BHELનો નફો 156% વધીને ₹1,290 કરોડ થયો
::::
સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL નો નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 156% વધીને 1,290.47 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને 504.45 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

BHELની આવક 37% વધીને 12,310.37 કરોડ રૂપિયા થઈ ગઈ. ગયા વર્ષના આ જ સમયગાળામાં કંપનીને 8,993.37 કરોડ રૂપિયા હતી. શેરધારકો માટે ₹1.40ના ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. BHEL એ આજે 4 મેના રોજ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

મહારત્ન કંપનીનો આખા વર્ષનો કુલ નફો પણ 200% વધીને 1,600.26 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2025માં આ આંકડો 533.90 કરોડ રૂપિયા હતો. તેમજ, આખા નાણાકીય વર્ષમાં આવક 19% વધીને 33,782.18 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. FY25માં તે 28339.48 કરોડ રૂપિયા રહ્યો હતો.
વાર્ષિક ધોરણે

BHEL FY26 (જાન્યુઆરી-માર્ચ) FY25 (જાન્યુઆરી-માર્ચ) ફેરફાર (%)
ઓપરેશનલ આવક ₹12,310 ₹8,993 37% ↗
કુલ આવક ₹12,553 ₹9,143 37% ↗
કુલ ખર્ચ ₹10,843 ₹8,448 28% ↗
નેટ પ્રોફિટ ₹1,290 ₹504 156% ↗

ત્રિમાસિક ધોરણે
BHEL FY26 (જાન્યુઆરી-માર્ચ) FY26 (ઓક્ટોબર-ડિસેમ્બર) ફેરફાર (%)
ઓપરેશનલ રેવન્યુ ₹12,310 ₹8,473 45% ↗
કુલ આવક ₹12,553 ₹8,692 44% ↗
કુલ ખર્ચ ₹10,843 ₹8,188 32% ↗
નેટ પ્રોફિટ ₹1,290 ₹390 231% ↗

આખા વર્ષ (FY26) માં BHEL નું પ્રદર્શન

BHEL FY26 (એપ્રિલ-માર્ચ) FY25 (એપ્રિલ-માર્ચ) ફેરફાર (%)
ઓપરેશનલ રેવન્યુ ₹33,782 ₹28,339 19% ↗
કુલ આવક ₹34,590 ₹28,804 20% ↗
કુલ ખર્ચ ₹32,512 ₹28,118 16% ↗
નેટ પ્રોફિટ ₹1,600 ₹534 200% ↗

BHELનો શેર પરિણામો પછી 52 સપ્તાહની ઊંચી સપાટી ₹399 પર પહોંચી ગયો હતો. જોકે, હાલમાં તે થોડો નીચે આવ્યો છે અને 7% વધીને ₹377 પર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં 65%નો ઉછાળો આવ્યો હતો. જ્યારે 6 મહિનામાં શેર 41% વધ્યો છે.

ભારત સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ને તેમની કામગીરી અને ટર્નઓવરના આધારે મહારત્ન, નવરત્ન અને મિનીરત્નનો દરજ્જો આપે છે. 'મહારત્ન' નો દરજ્જો એવી કંપનીઓને મળે છે જેમનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ વાર્ષિક નેટ પ્રોફિટ 5,000 કરોડ રૂપિયાથી વધુ હોય અથવા સરેરાશ વાર્ષિક ટર્નઓવર 25,000 કરોડ રૂપિયાથી વધુ હોય.

મેલેરિયા નાબૂદી માટે જાગૃતિ અને સંયુક્ત પ્રયાસો કારગર સાબિત થાય::::અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફ...
05/05/2026

મેલેરિયા નાબૂદી માટે જાગૃતિ અને સંયુક્ત પ્રયાસો કારગર સાબિત થાય
::::
અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફે. વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે આપ્યો જાગૃતિ સંદેશ

વિશ્વ સમસ્તમાં ૨૫ એપ્રિલના દિવસે મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. આજે પણ દુનિયામાં લાખો કેસ મલેરિયાના નોંધાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મેલેરિયાને ખુબજ ગંભીરતાથી લે છે. અને તેના નિવારણ માટે પગલાં ભરી ચોક્કસ થીમ મારફતે લોકોને જાગૃત કરે છે. મલેરિયાના નિવારણ માટે જાગૃતિ અને સંયુક્ત પ્રયાસો જ સચોટ હથિયાર છે. WHOએ આ વર્ષે થીમ આપી છે કે, "મલેરિયા નાબૂદી માટે પ્રતિબધ્ધ છીએ અને તેમ કરી શકીએ છીએ".

અદાણી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફે.ડો. નીરવ નિમાવતના જણાવ્યા અનુસાર વિશ્વ સાથે ભારત પણ મેલેરરિયાને નબળું પાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. અને તેના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે. વૈશ્વિક કક્ષાએ આ પ્રયાસોની ભારતની નોંધ પણ લેવાઈ સાથે પ્રસંશા પણ કરવામાં આવી છે. આ જ તર્જ ઉપર ભારત ૨૦૩૦ સુધીમાં મલેરિયા નિર્મૂલનની દિશામાં આગળ વધી રહ્યું છે.

મેલેરિયાને કારણે સખત તાવ આવે છે. આ તાવ માટે સંક્રમિત માદા એનોફીલીશ મચ્છર જવાબદાર છે. આ માદા સ્વચ્છ પાણીમાં જ ઈંડા મૂકે છે. માટે આવા મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ પાણી જમા થવા ના દેવું, કૂલર સાફ રાખવું વિગેરે શ્રેષ્ઠ ઉપાય છે.

મોટા ભાગે ભારતમાં બે પ્રકારના મેલેરિયાના તાવ છે. એક પ્લાઝમોડિયમ વાયવેક્સ અને બીજો પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ છે. મચ્છર જ્યારે મેલેરિયાગ્રસ્ત વ્યક્તિને કરડે છે, ત્યારે તેના ખૂનમાંથી પ્લાઝમોડિયમ ખેંચી લે છે. જે ૮-૧૦ દિવસ સુધી રહે છે અને પછી મેલેરિયા ફેલાવા માટે સક્ષમ બની જાય છે. જ્યારે મચ્છર માનવીને કરડે છે, ત્યારે આ તાવ ફેલાય છે. આમ જો તાવ આવે તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં પહોંચી તપાસ કરાવી સંપૂર્ણ સારવાર લેવી આવશ્યક છે.

પરંતુ મચ્છર કરડે જ નહીં તે માટે સાવધાની અંગે તબીબોના જણાવ્યા મુજબ ઘરની પાણીની ટાંકી ઢાંકીને રાખવી, પાણીની લાઇનની સફાઈ, ઘરની આસપાસ કે કોઈ જગ્યાએ ખાલી નાળિયેર રાખવા નહીં. મચ્છર સામાન્ય રીતે હાથ અને પગમાં કરડે છે. સાવચેતી માટે હાથ પગ ઢાંકે તેવા શર્ટ અને પેન્ટ પહેરવા ખાસ તો સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો ખુબજ હિતાવહ છે.

ત્વચાની સંભાળમાં જેટલી જાગૃતિ વધુ એટલી ત્વચા વધારે સ્વસ્થ::::અદાણી સંચાલિત GAIMS જી. કે. જન. હોસ્પિ.અને મોરેના ઘરાના દ્વ...
05/05/2026

ત્વચાની સંભાળમાં જેટલી જાગૃતિ વધુ એટલી ત્વચા વધારે સ્વસ્થ
::::
અદાણી સંચાલિત GAIMS જી. કે. જન. હોસ્પિ.અને મોરેના ઘરાના દ્વારા સ્કિન હેલ્થ ડે નિમિતે મીમ્સ નિર્માણ હરિફાઈ યોજાઈ

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સ્કિન વિભાગ અને ગેઇમ્સ ઘરાનાના સંયુક્ત ઉપક્રમે સ્કિન હેલ્થ ડે નિમિતે "બેટર નોલેજ, બેટર સ્કિન હેલ્થ" વિષયવસ્તુ આધારિત ત્વચા અંગે જાણકારી, રોગ અને ઉપાયો ઉપર મિમ્સ અને રીલ્સ નિર્માણ હરિફાઈ યોજાઈ હતી.જેમાં ૪૩ પ્રતિસ્પર્ધકો જોડાયા હતા.

હોસ્પિટલના ત્વચા વિભાગના ડો. ઐશ્વર્યા રામાણીએ કહ્યું કે,ત્વચાના પ્રકાર, દેખભાળ અને ઉપાયો અંગે વ્યક્તિની જેટલી જાણકારી સ્પષ્ટ એટલી જ તેમની સ્કિન સ્વસ્થ રહેશે.ત્વચાની સંભાળ બાબતે જાગૃત રહેવાથી ચામડીની સમસ્યા ઓછી થઇ શકે છે,એમ તબીબોએ જણાવ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજના આસિ. ડીન ડો.અજીત ખીલનાનીએ સ્પર્ધામાં ભાગ લેનાર હરીફોને પ્રમાણપત્રો આપ્યા હતા.આ પ્રસંગે. સ્કિન વિભાગના ડો.ટ્વિંકલ રંગનાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું::::અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવ...
04/05/2026

અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું
::::
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવારે બોગસ એલસી રજૂ કર્યું છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે બોગસ એલસી રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. કલ્પનાબેન સૂરજભાઈ નવલેકર નામથી બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું હતું. ચિરાગ શાહ નામના ફરિયાદીએ જિલ્લા શિક્ષણાધિકારીને કલ્પનાબેનના એલસીની તપાસ કરવા ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે તપાસ કરતા એલ.સી બોગસ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જીઆર નંબર પર અન્ય વ્યક્તિનું નામ હોવાનું ખૂલ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોર્પોરેશનમાં એક માત્ર કુબેરનગર વોર્ડ જ છે, જેમાં 3 મહિલા ઉમેદવાર વિજેતા થયા છે. કલ્પનાબેન કોડેકર એ ત્રીજા ઉમેદવાર છે જેમને જીત મળી છે.

ચિરાગ શાહ નામના ફરિયાદીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી કે કલ્પનાબેન દ્વારા બોગસ એલસી રજૂ કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. તેમજ તપાસ રિપોર્ટ આવ્યા બાદ એલસી બોગસ હોવાનું સામે આવ્યું છે. તેમજ શાળા સંચાલક દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે બોગસ એલસી રજૂ કરી બોગસ સહી પણ કરવામાં આવી છે.

કલ્પનાબેન નવલેકરએ કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હોવાનું એલસી રજૂ કર્યું હતું. જીઆર 1248 અને એલ.સી નંબર 3194થી રજૂ કરાયું હતું. ફરિયાદને આધારે તપાસ કરતા LC ખોટું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરતા જીઆર નંબર અને એલસી નંબર પર અન્ય કોઈ વ્યક્તિનું નામ હોવાનું સામે આવ્યું છે. ખોટી એલસી રજૂ કરી કોઈએ ડુપ્લીકેટ સહી કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી છે.

અમદાવાદ શહેર શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદી ચિરાગ શાહ દ્વારા કચેરી ખાતે ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં એલસી બોગસ હોવાની તેમને રજૂઆત કરી હતી.

કલ્પનાબેન સુરેશભાઈ નવલેકરની એલસી બોગસ હોવાની અમને ફરિયાદ મળી હતી. કૃષ્ણનગર વિદ્યાવિહાર શાળામાંથી સૈજપુર બોઘાથી 1990માં શાળા છોડી છે તે પ્રકારનો એલસીનો આધાર મુકેલ હતો. જેમાં જીઆર નંબર 1248 અને એલસી નંબર 3194 હતો. જેની ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ શાળા સંચાલકોને સાથે રાખી તપાસ કરતા એલસી શાળામાંથી રજૂ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, બોગસ એલસી પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતું હોવાનું સામે આવ્યું હતું. જેને ધ્યાને લઈ સદર શાળાના આચાર્યને અને સંચાલકોને કલ્પનાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કલ્પનાબેન કોંગ્રેસ પક્ષના કુબેરનગરના જીતેલા ઉમેદવાર છે. જોકે હવે પોલીસ ફરિયાદ થયા બાદ વધુ હકીકત સામે આવશે. જી આર નંબર પર અન્ય કોઈ વ્યક્તિનું નામ જોવા મળ્યું છે. વર્ષની અને સમયની ચકાસણી કરતા આવી કોઈ વ્યક્તિ એ સમયે શાળામાં અભ્યાસ કરતી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

ચાર ધામ યાત્રાએ જતા હોય તો આ જરૂર વાંચી લો, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા::::ગુજરાત સહિત ભારતભરમાંથી દર વર્ષે લાખ...
02/05/2026

ચાર ધામ યાત્રાએ જતા હોય તો આ જરૂર વાંચી લો, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા
::::
ગુજરાત સહિત ભારતભરમાંથી દર વર્ષે લાખો યાત્રિકો આસ્થા સાથે હિમાલય વિસ્તારમાં આવેલી ચારધામની યાત્રા ભક્તિભાવ સાથે પૂર્ણ કરે છે. ચારધામ યાત્રાના તમામ તીર્થસ્થળો સમુદ્ર સપાટીથી અંદાજે 2700 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા છે. આ અત્યંત ઊંચા હિમાલયી વિસ્તારોમાં પ્રવાસીઓને અતિશય ઠંડી, ઓછું વાયુ દબાણ, ઓક્સિજનની અછત અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જેવી પડકારરૂપ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આવા સમયે તમામ યાત્રિકોની સુરક્ષા અને સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા ચારધામ યાત્રા -2026 માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

યાત્રા પૂર્વેની તૈયારી (3P - પ્લાનિંગ, પ્રિપેર્ડનેસ અને પેકિંગ)

પ્લાનિંગ - આયોજન: યાત્રાળુઓએ શરીરને ઊંચાઈ અને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે ઓછામાં ઓછા 7 દિવસની યાત્રાનું આયોજન કરવું જોઈએ. મુસાફરી દરમિયાન દર 1 કલાકના ટ્રેક કે 2 કલાકના વાહન પ્રવાસ બાદ 5-10 મિનિટનો વિરામ લેવો જોઈએ.

પ્રિપેર્ડનેસ- તૈયારી: યાત્રાળુઓએ દરરોજ 5-10 મિનિટ શ્વસન સંબંધિત વ્યાયામ અને 20-30 મિનિટ ચાલવાની ટેવ પાડવી જોઈએ. 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અથવા હૃદયરોગ, દમ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસનો ઇતિહાસ ધરાવતા યાત્રિકોએ મુસાફરી પહેલાં ફરજિયાત આરોગ્ય તપાસ કરાવી લેવી જોઈએ.

પેકિંગ: યાત્રાળુઓએ પૂરતા ગરમ કપડાં જેમ કે - સ્વેટર, થર્મલ, પફર જેકેટ, હાથમોજા, મોજાં, રેનકોટ અને છત્રી સાથે રાખો. પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર જેવા પ્રાથમિક સાધનો, નિયમિત દવાઓ સાથે રાખવી. જો ડૉક્ટર મુસાફરી કરવાની ના પાડે, તો યાત્રા ટાળવી.

2. યાત્રા દરમિયાન સાવચેતી
આરોગ્ય કેન્દ્રોની જાણકારી: યાત્રા માર્ગ પર આરોગ્ય વિભાગ દ્વારા સ્થાપિત મેડિકલ કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોના નકશાનો સંદર્ભ લેવો.

તાત્કાલિક લક્ષણો: જો કોઈ પણ યાત્રાળુને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સતત ઉધરસ, ચક્કર આવવા, ચાલવામાં મુશ્કેલી, ઉલટી થવી, ત્વચા ઠંડી પડી જવી અથવા શરીરના કોઈ ભાગમાં સુનપણું લાગે તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

સાવચેતી: યાત્રા દરમિયાન દારૂ, કેફિનયુક્ત પીણાં, ઊંઘની ગોળીઓ અને પેઈનકિલર્સ દવાઓથી દૂર રહેવું, ધૂમ્રપાન ન કરવું. આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી જેમ કે ઓછામાં ઓછું 2 લીટર પાણી લેવું અને પૌષ્ટિક આહાર લેવો.

3. ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો
યાત્રા દરમિયાન 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ, ગર્ભવતીઓ , હૃદયરોગ, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી) ધરાવતા યાત્રિકોએ વિશેષ કાળજી રાખવી. કોઈપણ આરોગ્ય સંબંધિત કટોકટીના સમયે તરત જ 104 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા::::દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક સિનિયર IRS...
23/04/2026

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા
::::
દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ મીણાની પૂછપરછમાં ચોંકાવનારા અને રૂંવાડા ઉભા કરી દે તેવા ખુલાસા થયા છે. 22 એપ્રિલના રોજ દ્વારકાથી ઝડપાયેલા આ નરાધમે પોલીસ સામે કબૂલાત કરી છે કે તેણે કેવી રીતે આખી યોજના બનાવીને આ દરિંદગીને અંજામ આપ્યો હતો.

આરોપી રાહુલ આ પરિવારની ગતિવિધિઓથી પૂરેપૂરો વાકેફ હતો. તેને ખબર હતી કે, યુવતીના માતા-પિતા સવારે જિમ જાય છે અને ઘરમાં કયા લોક કેવી રીતે ખુલે છે. 21મી એપ્રિલે રાજસ્થાનના અલવરમાં એક પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારીને ભાગેલો રાહુલ 22 મીએ સવારે દિલ્હી પહોંચ્યો હતો. તે સીધો જ ઘરની છત પર આવેલા યુવતીના સ્ટડી રૂમમાં ઘુસી ગયો હતો.

12માં ધોરણમાં ઓલ ઈન્ડિયા ટોપર રહેલી અને હાલ યુપીએસસી (UPSC)ની તૈયારી કરી રહેલી દીકરી સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરી રહી હતી. રાહુલે રૂમમાં ઘુસીને તેનું ગળું દબાવવાની કોશિશ કરી. જ્યારે યુવતીએ પ્રતિકાર કર્યો, ત્યારે રાહુલે પાસે પડેલા લેમ્પ અને ભારે વસ્તુથી તેના માથા પર હુમલો કર્યો. હુમલાને કારણે યુવતી લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગઈ હતી.

નરાધમની દરિંદગી અહીં જ ન અટકી. બેભાન હાલતમાં રહેલી યુવતી પર તેણે બળાત્કાર ગુજાર્યો અને ત્યારબાદ મોબાઈલ ચાર્જરના કેબલથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછ કરતી વખતે અધિકારીઓ પણ તેની ક્રૂરતા સાંભળીને ચોંકી ઉઠ્યા હતા.
હત્યા બાદ રાહુલે ઘરમાં લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી. ઘરનું લોકર થમ્બ ઇમ્પ્રેશનથી ખૂલતું હોવાથી, રાહુલ આ મૃત યુવતીની લાશને ઉપરના સ્ટડી રૂમમાંથી ઘસડીને નીચેના રૂમ સુધી લાવ્યો. લોહીથી લથબથ યુવતીની આંગળી લોકર પર લગાવી, પરંતુ લોહી જામી જવાને કારણે કે બ્લડ સર્ક્યુલેશન બંધ થવાને કારણે લોકર ખુલ્યું નહીં. આખરે તેણે સ્ક્રુ ડ્રાઇવરની મદદથી લોકર તોડ્યું અને રોકડ તથા દાગીના બેગમાં ભરી લીધા.

લૂંટ અને હત્યા બાદ તેના કપડાં પર લોહીના ડાઘા લાગ્યા હતા, તેથી તેણે ઘરમાં જ પડેલા યુવતીના ભાઈના પેન્ટ અને ચપ્પલ પહેરી લીધા અને પોતાના કપડાં ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ મીણા ઓનલાઈન ગેમ ૩ પત્તી રમવાનો શોખીન હતો. આ રમત દ્વારા પૈસા કમાતો હતો. તે ગેમમાંથી જીતેલા પૈસાથી દેહવિક્રય કરતી યુવતીઓ સાથે સંબંધ રાખતો હતો. આ વિકૃતિએ તેને એટલો હિંસક બનાવી દીધો હતો કે, દિલ્હીમાં આ ઘટનાને અંજામ આપ્યાના એક દિવસ પહેલા જ તેણે અલવરમાં એક મહિલા સાથે પણ ક્રુરતા આચરી હતી.

મૃતક યુવતી ભણવામાં અત્યંત તેજસ્વી હતી. તેના માતા-પિતાએ જ તેને સવારે વહેલા ઉઠીને વાંચવાની સલાહ આપી હતી અને તેના અભ્યાસના પ્રથમ દિવસે જ આ દુર્ઘટના ઘટી. હાલ પોલીસ રાહુલને રિમાન્ડ પર લઈને ઘટનાસ્થળે લઈ જવાની અને અન્ય પુરાવા એકઠા કરવાની પ્રક્રિયા કરી રહી છે.

Address

B67, Gulmahor Park
Bhuj
370040

Opening Hours

Monday 8:30am - 11pm
Tuesday 8:30am - 11pm
Wednesday 8:30am - 11pm
Thursday 8:30am - 11pm
Friday 8:30am - 11pm
Saturday 8:30am - 11pm
Sunday 8:30am - 11pm

Telephone

+919904408938

Alerts

Be the first to know and let us send you an email when Live Update Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share