Live Update Page

Live Update Page લાઈવ અપડેટ ન્યુઝ પોર્ટલ, સચોટ, ત્વરિત ?

PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા હિંસા::::PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા, રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળ...
13/09/2025

PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા હિંસા
::::
PM મોદીની મણિપુર મુલાકાતના બે દિવસ પહેલા, રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. ગુરુવારે મોડી રાત્રે ચુરાચંદપુરમાં તોફાની તત્વોએ PM મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો અને બેનરો ફાડી નાખ્યા, બેરિકેડ તોડી નાખ્યા અને આગ લગાવી દીધી.

આ ઘટના ચુરાચંદપુર પોલીસ સ્ટેશનથી લગભગ 5 કિમી દૂર આવેલા પિસોનામુન ગામમાં બની હતી. પોલીસે ઉપદ્રવીઓને ભગાડ્યા હતા. તેમણે લાઠીચાર્જ પણ કર્યો હતો. જોકે, કેટલા લોકો ઘાયલ થયા તેની માહિતી જાણી શકાઈ નથી.

સમાચાર એજન્સી PTIએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે, મોદી 13 સપ્ટેમ્બરે રાજ્યની મુલાકાત લેશે અને 8,500 કરોડ રૂપિયાની ભેટ આપશે. મોદી ચુરાચંદપુરના શાંતિ ગ્રાઉન્ડથી 7,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ વિસ્તારમાં કુકીઓનું પ્રભુત્વ છે. આ સાથે, PM મૈતેઈ-પ્રભુત્વ ધરાવતા વિસ્તાર ઇમ્ફાલથી 1,200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

મણિપુર હિંસા પછી મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત છે. મણિપુરમાં મે 2023માં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા શરૂ થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

મણિપુરના એકમાત્ર રાજ્યસભા સાંસદ લીશેમ્બા સનાજાઓબાએ વડાપ્રધાનની મુલાકાતને રાજ્ય માટે એક મહાન સૌભાગ્ય ગણાવ્યું. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું- એ ખૂબ જ ભાગ્યની વાત છે કે મોદી લોકોની મુશ્કેલીઓ સાંભળશે.

મણિપુરમાં ભૂતકાળમાં હિંસક અથડામણોનો ઇતિહાસ રહ્યો છે. જોકે, આવા સમયમાં કોઈ પણ વડાપ્રધાને રાજ્યની મુલાકાત લીધી નથી અને લોકોની વાત સાંભળી નથી. મોદી આવા મુશ્કેલ સમયમાં અહીં આવનારા પહેલા વડાપ્રધાન છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત પહેલા ઇમ્ફાલ અને ચુરાચંદપુરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ઇમ્ફાલમાં લગભગ 237 એકરમાં ફેલાયેલા કાંગલા કિલ્લા અને ચુરાચંદપુરમાં શાંતિ ગ્રાઉન્ડમાં વડાપ્રધાનના સમારોહ માટે એક મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં કેન્દ્રીય દળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ કાંગલા કિલ્લા પર 24 કલાક નજર રાખી રહી છે. આ સાથે કિલ્લાની આસપાસના ખાઈઓમાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

1891માં રજવાડાના વિલીનીકરણ પહેલાં કાંગલા કિલ્લો તત્કાલીન મણિપુરી શાસકો માટે શક્તિનું કેન્દ્ર હતું. ત્રણ બાજુ ખાઈઓ અને પૂર્વ બાજુ ઇમ્ફાલ નદીથી ઘેરાયેલા, આ કિલ્લામાં એક મોટું પોલો ગ્રાઉન્ડ, એક નાનું જંગલ, મંદિરના ખંડેરો અને પુરાતત્વ વિભાગનું કાર્યાલય છે.

ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ::::ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત શહેર અને જિલ્લા ...
13/09/2025

ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ
::::
ગુજરાત કોંગ્રેસ દ્વારા તેના નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખો માટે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં એક વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે શિબિરના ત્રીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસ હાઇકમાન્ડે કડક શબ્દોમાં કહ્યું હતું કે 'જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે'.

આજે (12 સપ્ટેમ્બર) કોંગ્રેસના કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે શિબિરમાં હાજર પ્રમુખોને સંબોધિત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પ્રમુખો કામ નહીં કરે, તેમના પદ છીનવી લેવામાં આવશે. તેમણે પર્ફોમન્સ સુધારવા માટે 90 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. 41 શહેર અને જિલ્લા પ્રમુખોમાંથી 9 પ્રમુખોના નબળા પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને નેતાઓને સડેલી કેરી સાથે સરખાવ્યા હતા, જે આખી ટોપલીને ખરાબ કરી શકે છે.

આ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઇકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.
આ શિબિરમાં પ્રમુખોને પક્ષની નીતિઓ, સંગઠનલક્ષી કાર્યક્રમો, અને લોકો સુધી પહોંચવા માટેની રણનીતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ખડગેનું આ કડક વલણ પક્ષમાં શિસ્ત અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં આજ(10 સપ્ટેમ્બર)થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલું પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના 'મિશન 2027' માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે.

અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો::::ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી ...
11/09/2025

અદાણી પાવરને મધ્ય પ્રદેશ પાસેથી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો
::::
ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી થર્મલ વીજ ઉત્પાદક અદાણી પાવર લિ. એ તાજેતરમાં પૂર્ણ થયેલી ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ. દ્વારા તેને કુલ ૪૬૦૦ મેગાવોટ ક્ષમતાનો કરાર આપવામાં આવ્યો હોવાની માહિતી આપતા કંપનીએ જણાવ્યું હતું કે અદાણી પાવર લિ. ને આજે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ તરફથી 'ગ્રીન શુ ઓપ્શન' હેઠળ ૮૦૦ મેગાવોટની વધારાની ક્ષમતાનો લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ જ બિડિંગ પ્રક્રિયામાં ૮૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રારંભિક એવોર્ડ જીતવામાં કંપની સફળ રહી હોવાના અનુસંધાને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા ૧૨ મહિનામાં કંપનીને મળેલા વીજ પુરવઠો આપવા મળેલો આ પાંચમો મોટો ઓર્ડર છે પરિણામે હવે કરારની કુલ ક્ષમતા ૭,૨૦૦ મેગાવોટે પહોંચી છે.

વધારાની આ ૮૦૦ મેગાવોટની ક્ષમતા kWh દીઠ રૂ. ૫..૮૩૮ ના સમાન ટેરિફ પર આપવામાં આવી છે જે અગાઉ આપવામાં આવેલી સરખી ૮૦૦ મેગાવોટ ક્ષમતા પર લાગુ પડે છે. તદનુસાર અદાણી પાવર મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ હેઠળ સ્થાપિત થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા બે મળી કુલ ૧૬૦૦ મેગાવોટની ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર યુનિટમાંથી વીજળી પૂરી પાડશે. આ બન્ને એકમો નિયત તારીખથી પાંચ વર્ષમાં કાર્યરત થશે. કંપની પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓના નિર્માણ માટે લગભગ રૂ. ૨૧,૦૦૦ કરોડનું રોકાણ કરશે.

કોલસા આધારિત વીજ ખરીદીમાં નવીન ગ્રીનશૂ મિકેનિઝમનો સમાવેશ ભારતમાં થર્મલ પાવર ટેન્ડરમાં ગ્રીનશૂ વિકલ્પને અપનાવવાનો આ પ્રથમ નૂતન અભિગમ છે. જેનાથી મધ્યપ્રદેશને વધતા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં મદદ મળવા ઉપરાંત રાજ્યની ઉર્જા સુરક્ષામાં વધારો કરશે.

અદાણી પાવરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી એસ.બી. ખ્યાલિયાએ આ વિષે ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે અદાણી પાવરે મધ્યપ્રદેશમાં માત્ર પ્રારંભિક ૮૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રકલ્પ જ સુરક્ષિત નથી કર્યો પરંતુ ગ્રીનશૂ વિકલ્પ હેઠળ વધારાની 800 મેગાવોટ ક્ષમતા પણ હાંસલ કરી મધ્યપ્રદેશ રાજ્યના લોકોને વિશ્વસનીય, સસ્તી અને ટકાઉ વીજળી પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ પ્રકલ્પ મધ્યપ્રદેશ સાથેની લાંબા ગાળાની અમારી હિસ્સેદારીને વધુ દ્રઢ બનાવીને ભારતની ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસને ટેકો આપવા માટેના અમારા સમર્પણને પ્રદર્શિત કરે છે.

ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પાવર પ્લાન્ટ માટે કોલ લિન્કેજની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રકલ્પના નિર્માણના વિવિધ તબક્કાઓ દરમિયાન નવથી ૧૦ હજાર રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને પ્રકલ્પ કાર્યરત થયા બાદ બે હજાર લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન કરશે તેવી આશા છે. આ વિષે રાજ્ય ડિસ્કોમ સાથે યોગ્ય સમયે પાવર સપ્લાય એગ્રીમેન્ટ અમલમાં મૂકવાની કંપનીની અપેક્ષા છે.

સપ્ટેમ્બર ૨૦૨૪માં અદાણી પાવરને અદાણી ગ્રીન એનર્જી સાથે મળી મહારાષ્ટ્ર રાજ્ય તરફથી ૫,૦૦૦ મેગાવોટ સૌર અને ૧,૬૦૦ મેગાવોટ થર્મલ મળી કુલ ૬,૬૦૦ મેગાવોટ વીજ પુરી પાડવા સંબંધી લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મે ૨૦૨૫માં તેને રાજ્યમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી ૧,૬૦૦ મેગાવોટ વીજ પુરવઠો આપવા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. ગત ઓગસ્ટમાં કંપનીને રાજ્યમાં સ્થાપિત થનારા નવા પાવર પ્લાન્ટમાંથી ૨,૪૦૦ મેગાવોટ વીજળી આપવા માટે બિહાર સરકાર તરફથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. મધ્યપ્રદેશ સરકાર તરફથી ગયા મહિને કંપનીને ૮૦૦ મેગાવોટ ક્ષમતા માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો. હવે મધ્ય પ્રદેશ પાવર મેનેજમેન્ટ કંપની લિ દ્વારા ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કર્યા બાદ ફાળવવામાં આવેલી ક્ષમતા વધીને ૧,૬૦૦ મેગાવોટ થઈ છે.

ભારતની વધતી જતી બેઝ લોડ માંગને સુરક્ષિત કરવા માટે અદાણી પાવર ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચ કાર્યક્રમનો અમલ કરી રહી છે. તેની હાલની સંચાલન ક્ષમતા ૧૨ થર્મલ પાવર પ્લાન્ટ (TPP) થી ૧૮.૧૫ GW છે અને ૨૦૩૧-૩૨ સુધીમાં ૪૧.૮૭ GW ની કુલ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનું કંપનીનું લક્ષ્ય છે.

વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ::::હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર વાત કર...
11/09/2025

વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ
::::
હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર વાત કરવા તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઈઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહામાં હુમલો કરતાં અફરાતફરી સર્જાઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કતારના અમીર તમીમ બિન હમદ અલ-થાની સાથે ટેલિફોનિક વાત કરી દોહામાં થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઈઝરાયલના આ હુમલાને સાર્વભૌમત્વનું "ઉલ્લંઘન" ગણાવી વિવાદોના ઉકેલ માટે વાતચીત કરવા હાંકલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે, 'કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાની સાથે વાત કરી દોહામાં થયેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. ભારત કતારના સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે. ભારતના સુસંગત વલણનું પુનરાવર્તિત કરતા અમે સંવાદ અને રાજદ્વારી દ્વારા વિવાદોનો ઉકેલ લાવવા હાંકલ કરીએ છીએ. વિવાદોને વધતા અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, અમે વાતચીત અને કૂટનીતિ મારફત મુદ્દાઓનું સમાધાન કરવા અને વધતો તણાવ અટકાવવાનું સમર્થન કરીએ છીએ. ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે તમામ રૂપ અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભા છીએ.

હમાસે જણાવ્યા અનુસાર, ઈઝરાયલ દ્વારા દોહામાં કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે. જેમાં હમાસના નેતાઓના ત્રણ અંગરક્ષક પણ સામેલ છે. હમાસના પોલિટિકલ બ્યૂરોના સભ્ય સુહૈલ અલ-હિન્દીએ જણાવ્યું હતું કે, ખલીલ અલ-હય્યાના પુત્ર હમ્મામ અલ-હય્યા તેમજ તેમના ઓફિસ મેનેજર જિહાદ લબાદ બંને માર્યા ગયા છે. વડાપ્રધાન મોદીની ચિંતા અને સહાનુભૂતિ પર કતારના તમીમ બિન હમદે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા દોહાના પ્રયાસોના વખાણ કર્યા હતા. ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની પહેલ સહિત કતારની મધ્યસ્થીની ભૂમિકાના પણ વખાણ કર્યા હતા. તેમણે કતારના લોકો અને રાજ્ય વતી પીએમ મોદીનો આભાર માન્યો હતો.

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા::::ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 Petrol)નો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભર...
11/09/2025

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનોને નુકસાનના દાવા ખોટા
::::
ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 Petrol)નો મુદ્દો હાલ વિવાદમાં છે. દેશભરમાંથી અનેક લોકોએ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી ફરિયાદો નોંધાવી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઈલેજ અને પર્ફોર્મન્સમાં ઘટાડો થયો છે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા આપી છે કે, આ રાજનીતિથી પ્રેરિત પૈસા આપી મારી વિરૂદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ (કેમ્પેઈન) હતી.

દિલ્હીમાં આયોજિત સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના 65માં વાર્ષિક સંમેલનમાં ગડકરીએ કહ્યું કે, હું સોશિયલ મીડિયા પર એક 'પેઈડ પોલિટિકલ કેમ્પેઈન' (પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલી રાજકીય ઝુંબેશ)નો ભોગ બન્યો છું. E20 પેટ્રોલ કે, જેમાં પારંપારિક ફ્યુલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા પર તેના વિશેની ચિંતાઓને મોટુ સ્વરૂપ આપી રજૂ કરવામાં આવી રહી છે.

ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ઈંધણ સુરક્ષિત છે, અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઈલ પ્રોડ્યુસર્સ બંને દ્વારા સમર્થિત છે. ARAI અને સુપ્રીમ કોર્ટને E20 પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર મને રાજનીતિનો ભોગ બનાવી એક પેઈડ કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. આથી મેં તેના પર ધ્યાન આપ્યું નથી.

સોશિયલ મીડિયા પર હાલ ઈથેનોલ મિશ્રિત ઈંધણ મુદ્દે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે, E20 જેવા હાઈ ઈથેનોલ બ્લેન્ડિંગથી વાહનોની માઈલેજ પર અસર થાય છે, તેમજ જુના મોડલ, ખાસ કરીને 2023 પહેલાં બનેલા વાહન ટેક્નિકલી રીતે તેના ઉપયોગ માટે સજ્જ નથી. લોકોએ જુદા-જુદા ફોરમ સમક્ષ પણ આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે, E20 પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનની માઈલેજ ઘટી છે, તેમજ ફ્યુલ સિસ્ટમને નુકસાન થઈ રહ્યું છે. લોકલ સર્કિલના એક સરવેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આશરે 44 ટકા લોકો ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું સમર્થન કરતા નથી. ઉલ્લેખનીય છે,

આ મામલે પેટ્રોલિયમ-નેચરલ ગેસ મંત્રાલયે X પર નિવેદન આપ્યું હતું કે, રેગ્યુલર પેટ્રોલની તુલનાએ ઈથેનોલની એનર્જી ક્ષમતા ઓછી હોવાથી માઈલેજમાં નજીવો ઘટાડો થાય છે. E10 માટે ડિઝાઈન કરવામાં આવેલા તેમજ E20 માટે કેલિબ્રેટ કરવામાં આવેલા ફોર વ્હિલર્સમાં 1-2 ટકા અને જ્યારે અન્ય વાહનોની માઈલેજમાં 3-6 ટકાનો ઘટાડો થાય છે.

મેહુલ ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરથી શરૂ થશે::::ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના બેલ્જિયમથી ભારત પ્રત્ય...
11/09/2025

મેહુલ ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરથી શરૂ થશે
::::
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની કાર્યવાહી 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. સમાચાર એજન્સી PTI દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ચોક્સી પર પંજાબ નેશનલ બેંક સાથે ₹13,850 કરોડની છેતરપિંડીનો આરોપ છે.

આ કેસની સુનાવણી બેલ્જિયમની ફેડરલ કોર્ટમાં થશે. આમાં, CBI અને વિદેશ મંત્રાલય (MEA)ના વકીલો ભારત વતી પોતાનો પક્ષ રજૂ કરશે. 8 સપ્ટેમ્બરના રોજ, ભારતે બેલ્જિયમને લેખિત ગેરંટી આપી છે. કેન્દ્રએ બેલ્જિયમ સરકારને એક પત્રમાં જણાવ્યું હતું કે, ચોક્સીને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખવામાં આવશે. એક સેલમાં 6 લોકોની ક્ષમતા છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ચોક્સીને બેલ્જિયમથી ભારત લાવવામાં આવશે, તો તેની સાથે માનવીય વર્તન કરવામાં આવશે. તેને 14થી વધુ સુવિધાઓની ખાતરી આપવામાં આવી છે. જેમાં 24 કલાક તબીબી સંભાળ, ચોખ્ખુ પાણી, સારો ખોરાક અને નિષ્ણાત ડૉક્ટરની સુવિધાઓનો સમાવેશ થાય છે.

જોકે, ચોક્સીના વકીલે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને જામીન માગ્યા હતા, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધા હતા. ચોક્સીના વકીલ તેમના ક્લાયન્ટની સ્વાસ્થ્ય સમસ્યાઓનો હવાલો આપી રહ્યા છે, પરંતુ ભારતનું કહેવું છે કે દેશમાં પણ સારવાર થઈ શકે છે. જો કોર્ટ ભારતના પુરાવા સાથે સહમત થાય, તો ચોક્સીને ભારત મોકલી શકાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચોક્સીના વકીલો પણ તેની મુક્તિ માટે અપીલ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આમાં તેઓ તબીબી દલીલો સહિત અન્ય ઘણી દલીલો રજૂ કરી શકે છે. જો બેલ્જિયમ કોર્ટ આ દલીલો સ્વીકારે તો મુક્તિ શક્ય બની શકે છે.

• મેડિકલ ગ્રાઉન્ડ: વકીલના મતે ચોક્સીને કેન્સર છે. આવી સ્થિતિમાં તેના ભાગવાની કોઈ શક્યતા નથી.
• પુરાવાનો અભાવ: જો CBI અને વિદેશ મંત્રાલય મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય, તો કોર્ટ ચોક્સીને મુક્ત કરી શકે છે.
• માનવ અધિકારો અને જેલની સ્થિતિ: બેલ્જિયમની કોર્ટ ભારતીય જેલોની સ્થિતિ અને ચોક્સીના માનવ અધિકારોના રક્ષણ અંગે સવાલો ઉઠાવી શકે છે. જો ભારત આ ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ જાય, તો પ્રત્યાર્પણ અટકાવી શકાય છે, જેનાથી મુક્તિનો માર્ગ મોકળો થઈ શકે છે.

ભારતીય તપાસ એજન્સીઓની પ્રત્યાર્પણ અપીલ પર 12 એપ્રિલે ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. તે અને તેનો ભત્રીજો નીરવ મોદી PNB છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી છે. ભાગેડુ નીરવ મોદી લંડનમાં છે. તેના પ્રત્યાર્પણ માટે પણ પ્રયાસો ચાલુ છે. બંને 2018માં ભારત છોડીને ગયા હતા.

અમેરિકા બાદ કેનેડાનો ભારતને ઝટકો, 80% સ્ટુડન્ટ વિઝા ફગાવ્યા::::અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય પ્રવાસી વિદ્યાર્થીઓ ...
10/09/2025

અમેરિકા બાદ કેનેડાનો ભારતને ઝટકો, 80% સ્ટુડન્ટ વિઝા ફગાવ્યા
::::
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય પ્રવાસી વિદ્યાર્થીઓ અને H-1B વિઝા ધારકો પર તાજેતરમાં લેવાયેલા કડક પગલાં બાદ હવે તેના પાડોશી દેશ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. કેનેડાએ 2025માં 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ રદ કરી હોવાનો ખુલાસો થયો છે.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (RCC)ના અહેવાલ અનુસાર, કેનેડાએ 2025માં 80% ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢી હતી, જે એક દાયકામાં સૌથી વધુ છે. માહિતી અનુસાર, એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ નકારી કાઢવામાં આવી છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.

કેનેડાના આ પગલાથી ત્યાંની કૉલેજોમાં નોંધણી પર પણ અસર પડી છે. કેનેડિયન સરકારના ડેટા અનુસાર, 2024માં કેનેડાએ ફક્ત 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.

કેનેડા અને અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય દેશો હતા જ્યાં લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હવે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પરંતુ આ બંને દેશોના ખરાબ વર્તન અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના ઉદાસીન વલણને કારણે ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળી ગયો છે. જર્મની ટોચના પ્રિય દેશ તરીકે ઉભરી આવ્યું છે. આને કારણે, કેનેડા હવે ફક્ત 9 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે.

કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં રહેણાંક સુવિધાઓનો ભારે અભાવ છે. આ ઉપરાંત, માળખાગત સુવિધાઓ પર દબાણ વધી રહ્યું છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને પણ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કેનેડાએ હવે વિદ્યાર્થીઓને વિઝા આપવા માટેના તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે વિઝા માટે અરજી કરતાં વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે. એટલે કે, હવે તેમને 20,000 કેનેડિયન ડૉલરના કાગળો બતાવવા પડશે. આ ઉપરાંત, વિગતવાર અભ્યાસ યોજના અને ભાષા પરીક્ષાના પરિણામો સબમિટ કરવાના રહેશે.

જી. કે. જન. હોસ્પિ.ટના મનોચિકિત્સકોએ વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ નિમિતે સમાજ,દોસ્તો અને પરિવારોની સકારાત્મક ભૂમિકાને અહં ...
10/09/2025

જી. કે. જન. હોસ્પિ.ટના મનોચિકિત્સકોએ વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ નિમિતે સમાજ,દોસ્તો અને પરિવારોની સકારાત્મક ભૂમિકાને અહં ગણાવી
::::
- જીવન પ્રત્યે નિરાશ બનેલી વ્યક્તિ સાથે નિખાલસ વાતચીત આત્મહત્યા અટકાવનું પ્રથમ પગથિયું

વિશ્વમાં દર વર્ષે ૧૦મી સપ્ટેમ્બરના દિવસે આંતરાષ્ટ્રીય આત્મહત્યા અટકાવ સંઘ દ્વારા આત્મહત્યા અટકાવ દિન મનાવવામાં આવે છે. આત્મહત્યા કરવા પાછળ મુખ્યત્વે તણાવ,એકલાપણું,સામાજિક અને આર્થિક દબાણ,પારિવારિક ઝઘડા,ઘરેલું હિંસા,શૈક્ષણિક અસફળતા,વ્યસન અને લાંબી શારીરિક અને માનસિક બીમારીઓ જવાબદાર હોય છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના તબીબોના જણાવ્યા મુજબ,વ્યક્તિ ત્યારે જ અંતિમ પગલું ભરે છે જ્યારે આશાનું કોઈ જ કિરણ દેખાતું ન હોય. માટે ઉપરોક્ત કારણો ઓળખી નિખાલસતાથી વાત કરાય અને "હું તારી સાથે છું", જેવો સધિયારો સગાઓ, મિત્રો કે સામાજિક કાર્યકરો દ્વારા પીડિત વ્યક્તિને મળે તો સ્થિતિ બદલી શકે. વ્યક્તિની સમસ્યા અંગે ખુલ્લા દિલે વાત કરવી એ સમસ્યાની દિશામાં પ્રથમ પગલું છે,એમ મનોચિકિત્સક ડો.રિદ્ધિબેન ઠક્કરે કહ્યું હતું.

સૌથી મહત્વની ભૂમિકા સકારાત્મક સામાજિક સમર્થનની છે. આત્મહત્યાનો વિચાર જ દર્શાવે છે કે નિરાશ વ્યક્તિની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. નિરાશ વ્યક્તિ જો ગુમસુમ રહેતી હોય ઊંઘ ન આવે,ખાવા પીવાનું છોડી દે અથવા આડકતરી રીતે નિર્દેશ કરે કે જીવનમાં રસ નથી. તો સગા સંબંધીઓએ તેને ક્યારેય એકલો મૂકવો નહીં . કારણકે નિરાશાભરી મનોદશા કોઈપણ પગલું ભરી શકે છે,એમ ડો.નીરવ ચાંપાએ જણાવ્યું હતું.

તમામ પ્રકારની સાવચેતી સાથે શારીરિક રીતે પ્રવૃત્તિશીલ રહેવું એ એટલુંજ આવશ્યક છે.જો નિયમિત રીતે શરીરને અનુકૂળ પ્રવૃતિ અને કસરત કરાય તો શરીર અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે.ઉપરાંત સ્વસ્થ ખોરાક પણ આ ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવે છે.રાત્રે જરૂરી ૭ થી ૮ કલાકની ઊંઘ પણ લેવી જોઈએ.

મદદ માટે તબીબોએ કહ્યું કે,નિરાશ અને સંકટમાં હોય એવી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય જેવી મદદની જરૂર હોય છે માટે તેને મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સકની સેવા સુધી પહોંચે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ,આત્મહત્યા સામે જાગૃતિ વધારવી જેથી લોકો આગળ આવે અને સહજતા અનુભવે,મદદ માંગવા આગળ આવે. સમાજનો ટેકો,પરિવાર, દોસ્તો પણ હૂંફ આપી અનેક રીતે મદદ કરી શકે.ખાસ કરીને શિક્ષણ અને પ્રશિક્ષણ આત્મહત્યા સામે જાગૃતિ લાવવાનું મોટું પરિબળ છે.

એક અભ્યાસ મુજબ વિશ્વમાં દર સેકન્ડે ૪૦ અને દર વર્ષે ૭ લાખ લોકો આત્મહત્યા કરે છે. માટે જ વાતચિત દ્વારા જ વાત બદલોની થીમ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવી છે.

અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 14મીએ ઉદ્ઘાટન::::વર્ષ 2036માં ઓલિમ્પિક અને 2030માં કોમનવેલ્...
10/09/2025

અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 14મીએ ઉદ્ઘાટન
::::
વર્ષ 2036માં ઓલિમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત પણ આ માટે સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરા ખાતે ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. 1.18 લાખ ચોરસમીટરના વિસ્તારમાં રૂ. 824 કરોડના ખર્ચે બનેલા આ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આગામી 14 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. એ દરમિયાન ભવ્ય કાર્યક્રમ અને જાહેરસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને એની ગુણવત્તા અને સુવિધાઓને માન્યતા આપી છે. એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ અને વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજશે. આમ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચૂકી છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર, નંદનવન પાસે રૂ. 824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો 29 મે 2022ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને જુદી જુદી ગેમ્સનાં ફેડરેશન દ્વારા કરવામાં આવેલાં સૂચનો અને ભલામણોને આધારે લગભગ 1.18 ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી અને રૂ. 824 કરોડના અંદાજિત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સિવાય સામાન્ય નાગરિકો પણ પોતાને મોબાઈલમાંથી બહાર કાઢીને ફિટ રહી શકે એ માટે કોમ્પ્લેક્સની અંદર જ ફિટ ઈન્ડિયા ઝોન બનાવાયો છે, સાથે જ ખેલાડીઓ માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ બનાવાયાં છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્કિંગ બનાવાયું છે. અહીં આવવા માટે લોકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે એ માટે અમદાવાદ શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે.

સ્પોર્ટસ કોમ્પ્લેક્સના બ્લોક-Aને એક્વાટિક સ્ટેડિયમ નામ અપાયું છે, જેની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે, જેમાં 1500 પ્રેક્ષકની બેસવાની વ્યવસ્થા કરાઈ છે, જોકે આ સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ ઓલિમ્પિક ગેમ્સમાં ઉપયોગમાં નહીં લઈ શકાય, કારણ કે ઓલિમ્પિકના નિયમ પ્રમાણે એની ઓડિયન્સ કેપેસિટી 12,000 જેટલી હોવી જોઈએ અને અહીં 1500 પ્રેક્ષકની બેસવાની વ્યવસ્થા છે.

પરંતુ નેશનલ અને ઈન્ટરનેશનલ ગેમ્સમાં કે કોમનવેલ્થ ગેમ્સમાં આ સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલનો ઉપયોગ થઈ શકે છે, જેમાં વિશાળ કોમ્પિટિશન પૂલ-ડાઈવિંગ પૂલ બનાવાયો છે. આ સ્વિમિંગ પૂલ FINA નોર્મ્સ મુજબ બનાવાયો છે. FINA એ ફ્રેન્ચ શબ્દનું શોર્ટ ફોર્મ છે. એનું ફ્રેન્ચમાં આખું નામ છે - ફેડરેશન ઈન્ટરનેશનલ દે નાટાશન. સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલના નિયમો બનાવતી આ ઈન્ટરનેશનલ ગવર્નિંગ બોડી છે. એના નિયમ મુજબ અહીં સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયા છે.

સામાન્ય રીતે આપણે જોયું છે કે સ્વિમિંગ પૂલ બનાવવા માટે ખાડો ખોદવામાં આવે. બ્લૂ કલરની ટાઈલ્સ ફિટ કરવામાં આવે અને પછી પાણી ભરવામાં આવે, પણ મર્થા ટેક્નોલોજીમાં એવું નથી. એમાં પહેલા ખાડો ખોદવામાં આવે. પછી ટાઈલ્સ ફિટ કરવામાં આવે. પછી હાઈટવાળા સ્ટીલના ગર્ડર અને સ્ટીલની પ્લેટ મૂકવામાં આવે છે. આ ગર્ડર અને પ્લેટ PVC કોટેડ હોય છે. ગર્ડર મૂક્યા પછી એના પર ખાસ પ્રકારની પીવીસી કે રબર જેવા મટીરિયલની શીટ મૂકવામાં આવે.

આ શીટ ઉપર પાણી ભરવામાં આવે, એટલે કોઈ સ્વિમર ડાઈ મારે કે ઝડપથી તરે તોપણ તેને જમીનની ટાઈલ્સ વાગે નહીં. કોઈ પ્રકારની ઈજા થાય નહીં. મર્થા ટેકનોલોજી હોય તેવા પૂલમાં જ કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ગેમ્સ રમી શકાય છે. મર્થા પૂલ ટેક્નોલોજીમાં પૂલને કસ્ટમાઈઝ કરી શકાય છે, એટલે કે પૂલને એની કેપેસિટી મુજબ નાનો-મોટો કરી શકાય છે.

માનો કે બાળકો માટે સ્વિમિંગ કોમ્પિટિશન હોય તો પૂલ નાનો કરી દેવામાં આવે. મોટી સ્પર્ધા હોય તો પૂલની સાઈઝ વધારીને લાંબો કરી દેવામાં આવે. પૂલમાં વચ્ચે ખાસ પ્રકારનું પાર્ટિશન હોય છે. મર્થા ટેક્નોલોજીમાં કોંક્રીટ ઓછું વપરાય છે અને પાણી પણ ઓછું વપરાય છે. મોડ્યુલર સ્ટ્રક્ચર રિસાઇકલ કરી શકાય છે, આ મટીરિયલ ઈકોફ્રેન્ડલી હોય છે. મર્થા પૂલ ટેકનોલોજીમાં ભૂકંપની અસર ઓછી થાય છે. એ પૂલમાં લીકેજ અટકાવે છે.

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બીજા બ્લોક-Bને સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ નામ અપાયું છે. એમાં 42 બાય 24ના બે મોટા હોલ છે, જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલી બોલ કોર્ટ અથવા 8 બેડમિન્ટન કોર્ટનો એક સમયે ઉપયોગ થઈ શકશે. આ સેન્ટરના મલ્ટીસ્પોર્ટ્સ હોલમાં 2 ટેકવાન્ડો કોર્ટ અથવા બે કબડ્ડી કોર્ટ, બે રેસલિંગ અથવા 12 ટેબલટેનિસની મેચ એક જ સમયે યોજી શકાશે.

આ સેન્ટરમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું એક સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઈક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથેનો ટ્રેનિંગ રૂમ અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ પણ બનાવાઈ છે. વધુમાં આ સેન્ટરમાં કોચ માટે 8 ડબલરૂમ, ખેલાડીઓ માટે 100 ટ્રિપલ બેડરૂમ તેમજ 150 કોર્પોરેટ માટેના ડાઈનિંગ હોલનો સમાવેશ થાય છે.
આ બ્લોક-Bમાંથી ખેલાડીઓ અને કોચ ડાયરેક્ટ બ્લોક-C (ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેના)માં જઈ શકે એ માટે ખાસ અલાયદો ફૂટઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે.

ત્રીજો C બ્લોક સૌથી મોટો બ્લોક છે. આ ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેનામાં 81 બાય 45ની સાઈઝના વિશાળ હોલમાં વિવિધ ઈન્ટરનેશનલ કક્ષાની ઓલિમ્પિક સહિતની ઈવેન્ટ કરવામાં આવશે, જેમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટબોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ આ સિવાય ટેબલ ટેનિસ, કબડ્ડી, કુસ્તી સહિતની મલ્ટીપર્પઝ હોલની સુવિધા કરવામાં આવી છે.

એકસાથે 5200 પ્રેક્ષક બેસીને મેચ નિહાળી શકે એવી વ્યવસ્થા છે. આ સિવાય વોર્મ-અપ એરિયા, ખેલાડીઓ, કોચ, રેફરી અને વી.આઈ.પી. માટે લોન્જ એરિયા, સેન્ટ્રલ એડમિન ઓફિસ, સ્પોર્ટ્સ ફેડરેશન રૂમ, ડોપિંગ એરિયા, મેડિકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ અને આ સિવાય ટેક્નિકલ ઓપરેશનલ સુવિધાઓ માટેના રૂમની વ્યવસ્થા છે.

આ કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર એક પ્રકારનું ક્લબ હાઉસ હશે, જે નાગરિકો માટે બનાવાયું છે. એમાં ક્લબની મેમ્બરશિપ લઈને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં અલગ અલગ રમતો રમી શકાશે. એની અંદર કાફેટેરિયા, લાઈબ્રેરી, જિમ-એરોબિક્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ અને સ્નૂકર, અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે એવો મલ્ટીપર્પઝ હોલ બનાવાયો છે.

જેની ઓડિયન્સ કેપેસિટી 300 લોકોની છે તેમજ 6 સ્કવોશ કોર્ટ અને ઈન્ડોર શૂટિંગ રેન્જ માટેનું પણ આયોજન કરાય એવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગેટ નંબર 2થી એન્ટર થતાં જ ડાબી બાજુ ફિટ ઈન્ડિયા ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં કોઈપણ નાગરિક જઈ શકશે અને જનતા માટે હંમેશાં ખુલ્લો રહેશે. આ ફિટ ઈન્ડિયા ઝોનની અંદર સિનિયર સિટિઝન માટે સિટિંગ એરિયા, બાળકો માટે ચિલ્ડ્રન ઝોન, યોગા લોન તેમજ શહેરીજનોના ઉપયોગ માટે પ્લાઝા કમ સ્કેટિંગ રિંક, કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, આઉટડોર જિમ અને જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે.

ઉપરોક્ત સુવિધા ઉપરાંત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગેટ નંબર 2થી એન્ટર થતાં જ જમણી બાજુ આઉટડોર સ્પોર્ટ્સ માટે 6 ટેનિસ કોર્ટ, 1 બાસ્કેટબોલ કોર્ટ, 1 વોલીબોલ કોર્ટનો સમાવેશ કરાયો છે. આ સિવાય બ્લોક-A અને બ્લોક-B ની વચ્ચે ખુલ્લી જગ્યામાં FINA નોર્મસ મુજબ વોર્મ અપ સ્વિમિંગ પૂલ બનાવાયો છે, જેથી ખેલાડીઓ મેચ શરૂ થાય એની પહેલાં થોડી પ્રેક્ટિસ કરી શકે.

2036ના ઓલિમ્પિક પહેલાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય એ માટે ભારતે બીડ પણ કરી દીધી છે. જો મંજૂરી મળશે તો 2030-કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે અને એના પરથી દુનિયાને એક મેસેજ પણ આપી શકાય છે કે 2036ની ઓલિમ્પિક ભારતમાં ગુજરાતનું અમદાવાદ કરવા સક્ષમ છે.

આ માટે કોમનવેલ્થ ગેમ્સનું ડેલિગેટ્સ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આવીને નિરીક્ષણ પણ કરીને ગયું છે, જેનો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સના નિયમો મુજબ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું પડકાર છે અને અમદાવાદે આ કરી કરી બતાવ્યું છે.

એસ જયશંકરે બ્રિક્સ સમિટના ઇમરજન્સી વર્ચ્યુઅલ સમિટમાં હાજરી આપી::::સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિક્સ સમિટના ઇમરજન્સ...
09/09/2025

એસ જયશંકરે બ્રિક્સ સમિટના ઇમરજન્સી વર્ચ્યુઅલ સમિટમાં હાજરી આપી
::::
સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિક્સ સમિટના ઇમરજન્સી વર્ચ્યુઅલ સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન જયશંકરે કહ્યું કે વેપાર નીતિ ન્યાયી, પારદર્શક અને બધા માટે ફાયદાકારક હોવી જોઈએ.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના, જયશંકરે કહ્યું કે સમસ્યાઓ ઊભી કરવાથી અને વ્યવહારોને મુશ્કેલ બનાવવાથી કોઈ ફાયદો થશે નહીં. વેપાર હંમેશા સરળ હોવો જોઈએ.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા પણ વર્ચ્યુઅલ સમિટમાં હાજરી આપી હતી. અગાઉ, પીએમ મોદી આ બેઠકમાં હાજરી આપશે તેવા સમાચાર આવ્યા હતા.

આ સમિટનો હેતુ અમેરિકાની ટેરિફ નીતિઓથી ઉદ્ભવતા વેપાર પડકારોની ચર્ચા કરવાનો હતો. અમેરિકાએ ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર 50% સુધીના ટેરિફ લાદ્યા છે. બ્રિક્સ એ 11 મુખ્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના વેપાર પડકારોનો સામનો કરવા માટે એકતાનું આહ્વાન કર્યું છે. જિનપિંગે કહ્યું- "કેટલાક દેશો દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધો અને ટેરિફ યુદ્ધો વિશ્વ અર્થતંત્રને અસર કરે છે અને નિયમોને નબળી પાડે છે."

એસ જયશંકરની 4 મોટી વાતો :
1. સપ્લાય ચેઇન મજબૂત હોવી જોઈએ: જ્યારે પણ કટોકટી આવે છે, ત્યારે વસ્તુઓની અછત સર્જાય છે. આને રોકવા માટે દેશોએ પરસ્પર સહયોગ વધારવો પડશે. એક મજબૂત અને સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવી પડશે જેથી માલ સમયસર પહોંચી શકે.
2. વેપાર ખાધનો ઉકેલ લાવવો મહત્ત્વપૂર્ણ છે: ભારતનો બ્રિક્સ દેશો સાથે, ખાસ કરીને ચીન સાથે સૌથી વધુ વેપાર ખાધ છે. આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવો મહત્ત્વપૂર્ણ છે જેથી બ્રિક્સ દેશો વચ્ચેનો વેપાર સંતુલિત અને બધા માટે ફાયદાકારક રહે.
3. વૈશ્વિક કટોકટીમાં મોટા સંગઠનો નિષ્ફળ: કોરોના, યુદ્ધ અને આબોહવા સંકટથી સમગ્ર વિશ્વ પરેશાન છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર જેવા મોટા સંગઠનો આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા છે. તેથી, આ સંસ્થાઓમાં સુધારાની જરૂર છે.
4. વેપારને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી: વેપારને રાજકારણ કે બિન-વેપાર બાબતો સાથે જોડવો ફાયદાકારક નથી. બ્રિક્સ દેશોએ પરસ્પર વેપારની સમીક્ષા કરવી જોઈએ.

ભારત 2026માં બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે અને 18મા બ્રિક્સ સમિટનું આયોજન કરશે. આ જવાબદારી 1 જાન્યુઆરી, 2026 થી બ્રાઝિલથી ભારતને સોંપવામાં આવશે. મોદીએ 2025 માં રિયો ડી જાનેરોમાં 17મા બ્રિક્સ સમિટ માટે ભારતની યોજના શેર કરી. ભારત બ્રિક્સનું એક નવું સ્વરૂપ રજૂ કરવાનું લક્ષ્ય રાખે છે જે આના પર ધ્યાન કેન્દ્રિત કરશે:

• માનવતા પ્રથમ: ભારત BRICS ને એક એવું પ્લેટફોર્મ બનાવશે જે લોકોના હિતોને પ્રાથમિકતા આપે છે, જેમ તેણે G20 ના પ્રમુખપદ દરમિયાન કર્યું હતું.
• સ્થિતિસ્થાપકતા અને નવીનતા: ભારત વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે નવી ટેકનોલોજી અને સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
• સતત વિકાસ: આબોહવા પરિવર્તન, પર્યાવરણીય સંરક્ષણ અને વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે.
• વૈશ્વિક દક્ષિણનો અવાજ: ભારત વિકાસશીલ દેશોના હિતોને પ્રોત્સાહન આપશે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, IMF અને વિશ્વ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની માંગ કરશે.
• આતંકવાદ વિરોધી પગલાં અને આર્થિક મજબૂતાઈ: ભારત આતંકવાદ વિરોધી પગલાં અને આર્થિક સહયોગને મજબૂત બનાવવા પર ભાર મૂકશે.

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ. પ્રીતિ અદાણીની હિમાયત::::- હોંગકોંગમાં AVPN ગ્લોબલ કોન...
09/09/2025

સામાજિક પ્રભાવને વધારવા માટે સુગ્રથિત સહયોગ પ્લેટફોર્મ બનાવવા ડૉ. પ્રીતિ અદાણીની હિમાયત
::::
- હોંગકોંગમાં AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2025માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષાનું ચાવીરુપ સંબોધન

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ -2025માં કરેલા ચાવીરુપ સંબોધનમાં પરોપકારીઓ, વ્યવસાયિકો અને પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત આપો નહીં પણ સાથે મળીને નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી.

ડૉ. અદાણીએ સામાજિક વિકાસ માટે આવનારા સમયનો મોટો જમ્પ પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક જ પ્લેટફોર્મ પર કે બોધ કે શીખ વહેંચીને પ્રભાવક ગુણાકારથી સહિયારા પ્રયાસોનો સેતુ રચાય છે તેના ઉપર આધારિત બની રહેવાનો છે તેના ઉપર ભાર મૂકતા તેમણે ઉપસ્થિત સહુને યાદ અપાવતા કહ્યું હતું કે પરોપકારની સાચી તાકાત અલગ-અલગ યોગદાનમાં નથી પરંતુ સુગ્રથિત કાર્યવાહીમાં છે. વાસ્તવિક પરિવર્તન ત્યારે લાવી શકાય છે

જ્યારે આપણે ભાગીદાર તરીકે કામ કરી સંસાધનોનું એકત્રીકરણ તેને ખુલ્લું મૂકીએ છીએ. આ માટે આપણે ફક્ત સખાવતીઓ જ નહીં પણ સહ-નિર્માતા બનવું જોઈએ.

જ્યાં વિશ્વભરના પરોપકારીઓ સંખ્યાઓથી આગળ વધે તેના બદલે ગૌરવ, લવચિકતા અને પરિવર્તનની માનવીય ગાથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એવા એક સહયોગ પ્લેટફોર્મ બનાવવાની ડો.પ્રીતિ અદાણીએ ભારપૂર્વક હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે સંખ્યાબળની અસર વિષેની વાત નથી. પરંતુ તેમની પાછળ રહેલી આશા, પરિવર્તન અને સક્તિકરણની કથનીઓ વિશે છે.

ડૉ. પ્રીતિ અદાણીના સંબોધનને એક સ્પષ્ટ અને નિડર પગલાં લેવાનું શક્તિશાળી આહ્વાન ગણાવી AVPN ના સી.ઇ.ઓ. શ્રીમતી નૈના સુબ્બરવાલ બત્રાએ જણાવ્યું હતું કે "ડો.અદાણીએ અમને યાદ અપાવ્યું છે કે આપણે અનિશ્ચિતતા વચ્ચે પણ કાર્ય કરવાની અને એશિયા માટે ટકાઉ અને સમાન ભવિષ્યનો પાયો સ્થાપવા માટે ઉકેલોની દિશામાં રોકાણ કરવાની જરૂર છે. અમે AVPN ખાતે ઠોસ કાર્યવાહીના આ આહવાનને વધાવીએ છીએ. પરોપકારના માર્ગ પર ઉભા રહીને વિવિધ સહયોગીઓને એક કરવા જોઈએ જેથી સાથે મળીને તેના પ્રભાવને આપણે અનુભૂતિની પ્રક્રિયામાં ફેરવી સમય અને અનિશ્ચિતતાની કસોટીનો સામનો કરી શકીએ તેવી પ્રથાનો ચિલો ચિતરી શકીએ.
આ તકે ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી જેમાં પ્રથમ સહ-નિર્માણ કે જ્યાં દરેક ભાગીદાર દાતા તરીકે નહીં પરંતુ કાયમી પરિવર્તનના નિર્માતા તરીકે જોડાય છે. બીજું લાભાર્થી નહીં, પણ ગુણાકાર કે જ્યાં આપણે શું આપીએ છીએ તેના પ્રભાવના સાચા માપ પર નહી, પરંતુ પરિવર્તનના ગુણાકાર તરીકે આપણે લાભાર્થીઓને કેવી રીતે વિસ્તૃત કરીએ છીએ તેના પર છે. અને છેલ્લે કૌશલ્યોને મૂલ્યો સાથે જોડવા જોઇએ કારણ કે મૂલ્યો વિનાની કુશળતા પાયા વિનાની ઇમારતો છે. તેમને એક તાંતણે જોડો- અને પેઢીઓનું નિર્માણ કરો.જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ડૉ. અદાણીએ જાહેર કર્યું કે "આ પ્રસંશાની ઘડી નહી પણ પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિની ક્ષણ છે ત્યારે આપણે એવી પેઢી બની રહેવું જોઈએ, વરસાદના વરતારાને ભાખીને જેણે દુષ્કાળમાં વાવણી કરી હોય તેમજ જેમણે તમામ માટે ગૌરવ અને તકનો પાક બનાવ્યો હોય.

અંતમાં ડૉ. અદાણીએ અહીં હાજર સહુને પ્રતીકાત્મક અભિગમથી આગળ વધીને સક્રિય રીતે સહયોગ કરવા, એકબીજા પાસેથી શીખવા, શ્રેષ્ઠ પ્રથાઓ આપસ આપસમાં વહેંચવા અને ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવા માટે એકબીજાને પ્રેરણા આપવા અરજ કરી. હતી.

Address

B67, Gulmahor Park
Bhuj
370040

Opening Hours

Monday 8:30am - 11pm
Tuesday 8:30am - 11pm
Wednesday 8:30am - 11pm
Thursday 8:30am - 11pm
Friday 8:30am - 11pm
Saturday 8:30am - 11pm
Sunday 8:30am - 11pm

Telephone

+919904408938

Alerts

Be the first to know and let us send you an email when Live Update Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share