Live Update Page

Live Update Page લાઈવ અપડેટ ન્યુઝ પોર્ટલ, સચોટ, ત્વરિત ?

ABRSM- ગુજરાતના પદાધિકારીઓની કચ્છ જિલ્લા પ્રવાસ દરમિયાન ભચાઉ ખાતે સમન્વય બેઠક યોજાઇ::::- કચ્છના કાર્યકર્તાઓને પ્રાંત અધ્...
30/07/2025

ABRSM- ગુજરાતના પદાધિકારીઓની કચ્છ જિલ્લા પ્રવાસ દરમિયાન ભચાઉ ખાતે સમન્વય બેઠક યોજાઇ
::::
- કચ્છના કાર્યકર્તાઓને પ્રાંત અધ્યક્ષ દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયુ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત પ્રાંત કારોબારી કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલ હતી. પ્રાંત કારોબારી તમામ સંવર્ગ અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ, આંતરિક ઓડિટર રણછોડજી જાડેજા તેમજ માધ્યમિક મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર ભચાઉ સંઘ કાર્યાલય ખાતે પધારેલ હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સરસ્વતી વંદનાથી કરવામા આવેલ હતી.

જિલ્લા સદસ્યતા અભિયાન તેમજ વર્ષ દરમિયાન થયેલ કાર્યોની ગતિવિધિનો પરિચય કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા દ્વારા આપવામાં આવેલ, ત્યારબાદ સંગઠનનું મહત્વ અને કચ્છ જિલ્લાના સંગઠનના કાર્યોની વિગતે ચર્ચા પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી અને સરકારી માધ્યમિક સંવર્ગ રાજય અધ્યક્ષ નયનભાઈ વાંઝા દ્વારા કરવામાં આવેલ હતો.

ત્યારબાદ સદસ્યતા અભિયાન અંતર્ગત વાત તેમજ સંગઠનના અન્ય કાર્યક્રમો બાબતે પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર દ્વારા રાજ્યભરના જુદા જુદા જિલ્લામાં થયેલ સદસ્યતા અભિયાન અંગેના કાર્યોની વિગતો રજૂ કરેલ, ત્યારબાદ પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા સંગઠનની સફળતા તેમજ આગામી પડતર પ્રશ્નો બાબતે માહિતી પૂરી પાડવામાં આવી તેમજ જિલ્લા સ્તરે ૩૧ જુલાઈ સુધી આપેલ સદસ્યતાના લક્ષ્યાંક તેમજ મંડલ રચના પૂર્ણ કરવા બાબતે આહ્વાન કરેલ હતુ. "અમારી શાળા, અમારુ તિર્થ", અંતર્ગત ૧ સપ્ટેમ્બરના રોજ શાળામાં ઉજવણી બાબતે જરૂરી સૂચનો આપવામાં આવેલ. જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજા અને પ્રાંત સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા પ્રેરક માર્ગદર્શન મળેલ હતું.

આ તકે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકા અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ચંદ્રેશભાઈ જોશી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ- હર્ષદભાઈ ચૌધરી, સંગઠન મંત્રી- હિતેન્દ્રભાઈ પાવરા, ઉપાધ્યક્ષ- રામચંદ્રભાઈ રાજગોર, જિલ્લા ઉપાધ્યક્ષ- રણજીતસિંહ પરમાર, જિલ્લા સહ સંગઠન મંત્રી - અનિલભાઈ રાઠોડ, પ્રાથમિક ગ્રાન્ટેડ જિલ્લા ઉપાધ્યક્ષ મનુભા સોઢા, માધ્યમિક ગ્રાન્ટેડ જિલ્લા આંતરિક ઓડિટર કે.પી.ચૌહાણ, અન્ય કાર્યકરો પ્રભુભાઈ ઢીલા, ધવલભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, દેવજીભાઈ આહિર, કલ્પેશભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ મેમકિયા સહિતના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહામંત્રી ચંદ્રેશભાઈ જોષી દ્વારા આભાર વિધિ તેમજ કલ્યાણ મંત્ર કરવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ મેમકિયાએ કરેલ હતુ, એવું માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવાયું હતું.

સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81,482 પર બંધ::::સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે, બુધવાર (30 જુલાઈ)ના રોજ, સેન્સેક્સ 144 પોઈન્...
30/07/2025

સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81,482 પર બંધ
::::
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે, બુધવાર (30 જુલાઈ)ના રોજ, સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 81,482 પર બંધ થયો. નિફ્ટી પણ 34 પોઈન્ટ વધીને 24,855 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરમાં તેજી અને 15 શેરમાં ઘટાડો રહ્યો. L&T, સન ફાર્મા અને NTPCના શેર 4.72% વધીને બંધ થયા. જ્યારે ટાટા મોટર્સ, પાવર ગ્રીડ અને બજાજ ફિનસર્વના શેર 3.48% ઘટ્યા હતા.

નિફ્ટીના 50 શેરોમાંથી 21 શેરમાં તેજી જ્યારે 29 શેરો ઘટીને બંધ થયા. NSEના FMCG, IT અને ફાર્મા ઇન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો. જ્યારે ઓટો, મીડિયા, બેંકિંગ અને રિયલ્ટી ઇન્ડેક્સ 1% ઘટીને બંધ થયા.

• એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.019% વધીને 40,682 પર અને કોરિયાનો કોસ્પી 0.84% વધીને 3,258 પર ટ્રેડ કરી રહ્યો છે.
• હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.29% ઘટીને 25,449 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.51% વધીને 3,628 પર ટ્રેડ કરી રહ્યો છે.
• 29 જુલાઈના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.46% ઘટીને 44,633 પર બંધ થયો. તેમજ, નેસ્ડેક કમ્પોઝિટ 0.38% વધીને 21,098 પર અને S&P 500 0.30% વધીને 6,371 પર બંધ થયો.
• 29 જુલાઈના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 4,636.60 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 6,146.82 કરોડની નેટ ખરીદી કરી હતી.
• જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રૂ. 41,227.73 કરોડના શેર વેચ્યા છે. દરમિયાન, સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન રૂ. 52,737.34 કરોડની નેટ ખરીદી કરી છે.
• જૂન મહિનામાં, વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 7,488.98 કરોડની રહી હતી. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 72,673.91 કરોડની નેટ ખરીદી કરી હતી.

આજે લક્ષ્મી ઇન્ડિયા અને આદિત્ય ઇન્ફોટેકના IPOનો બીજો દિવસ છે. રોકાણકારો 31 જુલાઈ સુધી ઓછામાં ઓછા 14,850 રૂપિયાથી આ IPOમાં રોકાણ કરી શકે છે. બંને કંપનીઓના શેર 5 ઓગસ્ટના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થશે.

મંગળવારે (29 જુલાઈ), અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 81,338 પર બંધ થયો. તે દિવસના નીચલા સ્તરથી લગભગ 850 પોઈન્ટ રિકવર થયો હતો. નિફ્ટી પણ 140 પોઈન્ટ વધીને 24,821 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરમાં તેજી અને 9 શેર ઘટ્યા હતા. રિલાયન્સ અને L&T 2.3% ઘટ્યા. કુલ 9 શેરો 1% વધીને બંધ થયા. એક્સિસ બેંક અને TCSના શેર ઘટીને બંધ થયા.

નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરો વધ્યા અને 14 ઘટ્યા. શરૂઆતના ઘટાડા પછી, બધા NSE ઈન્ડેક્સ વધીને બંધ થયા. મેટલ, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેર 1% થી વધુ વધીને બંધ થયા. જ્યારે ઓટો, મીડિયા અને બેંકિંગ ઈન્ડેક્સ 1% વધ્યા.

વીરાગામમાં વિરાટ સૌંદર્ય ખીલવવા અદાણી .ફાઉ નું અનોખુ અભિયાન ::::- હરસિદ્ધિ મંદિરને પ્રસિદ્ધ પર્યટન સ્થળ બનાવવાનો ‘મંગળ પ...
30/07/2025

વીરાગામમાં વિરાટ સૌંદર્ય ખીલવવા અદાણી .ફાઉ નું અનોખુ અભિયાન
::::
- હરસિદ્ધિ મંદિરને પ્રસિદ્ધ પર્યટન સ્થળ બનાવવાનો ‘મંગળ પ્રારંભ’

અદાણી ફાઉન્ડેશન અને ટુના પોર્ટના સંયુક્ત ઉપક્રમે અંજાર તાલુકાના વીરાગામને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરને પ્રકૃતિક સૌંદર્ય આચ્છાદિત કરવા વૃક્ષારોપણ અભિયાનનો મંગળવારથી મંગળપ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત 5100+ વૃક્ષારોપણ થકી વીરાનો કાયાકલ્પ કરવામાં આવશે.

વીરાગામનું હરસિદ્ધિ માતાનું મંદિર વર્ષોથી હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. દરવર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે. વિશાળ તળાવ અને હરિયાળીથી ઘેરાયેલા મંદિર પરિસરને પર્યટન સ્થળ તરીકે વિસસાવવા અદાણી ફાઉન્ડેશને ખાસ પહેલ આદરી છે. વીરા ગ્રામ પંચાયત સાથે મળીને આ વિસ્તારને હરિયાળો બનાવવા બહોળા વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે.

વિવિધ પ્રકારના 5100+ વૃક્ષો વીરાના કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવશે અને પર્યાવરણમાં નવો પ્રાણ ફૂંકશે. વૃક્ષોના ઝડપી ઉછેર માટે ટપક સિંચાઈ અને જાપાનની વિખ્યાત મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફળાઉ અને આયુર્વેદિક વૃક્ષો માનવ સાથે પશુ-પક્ષીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. વાવેલા વૃક્ષોનું સંરક્ષણ અને માવજત માટે તારની વાડ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે આયોજીત ખાસ કાર્યક્રમમાં આસપાસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વીરાના સરપંચ મહેશભાઈ આહીરે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે,"આધ્યાત્મિક સ્થળે વૃક્ષારોપણ કરવાથી એક અનોખુ સૌંદર્ય અને રમણીય વાતાવરણ ઉભુ થશે. આ પહેલ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગ્રામજનો તેમાં સંપૂર્ણ સહયોગ કરશે." આ પરિસર લીલુછમ જંગલ બનતા જ પક્ષીઓના કિલકિલાટથી ગુંજી ઉઠશે અને સ્થાનિક ઇકોસિસ્ટમને લાભ થશે.

અદાણી ફાઉન્ડેશનના પંકતિબેન શાહે જણાવ્યુ હતુ કે, "અહીં લોકમેળાઓ યોજાય છે, પરંતુ ગાઢ જંગલ બન્યા પછી, હવે પક્ષીમેળાઓ યોજાશે, કારણ કે જંગલમાં તમામ પ્રકારના વૃક્ષો છે જેમાં તેમને ખોરાક અને આશ્રયસ્થાન ઉપલબ્ધ થશે." વળી જૈવ વિવિધતાનો પણ વિકાસ થશે.

અદાણી તુણા પોર્ટના સીઓઓ વિવેક સીંગે પહેલના વ્યાપક વિઝન પર ભાર મૂકતા જણાવ્યુ હતું કે, "અમારા ચેરમેનનું વિઝન ભારતની ભૂમિ પર 1૦ કરોડ વૃક્ષો વાવવાનું છે. આગામી વર્ષોમાં અમે વધુને વધુ વૃક્ષો વાવીશું અને સંયુક્ત પ્રયાસો દ્વારા કચ્છની ભૂમિને હરિયાળી બનાવીશું."

હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે. અગાઉ મુંદ્રાના વિરણીયા ખાતે લગભગ 4૦ પ્રકારના પાંચ હજાર સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડ રોપવામાં આવ્યા હતા.

🚢⚓

ઓપરેશન મહાદેવ બાદ સેનાનું 'ઓપરેશન શિવશક્તિ', બે આતંકી ઠાર::::ભારતીય સેના આતંકવાદ વિરૂદ્ધ એક-પછી એક ઓપરેશન હેઠળ આતંકીઓને ...
30/07/2025

ઓપરેશન મહાદેવ બાદ સેનાનું 'ઓપરેશન શિવશક્તિ', બે આતંકી ઠાર
::::
ભારતીય સેના આતંકવાદ વિરૂદ્ધ એક-પછી એક ઓપરેશન હેઠળ આતંકીઓને ઠાર કરી રહી છે. આજે ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર એક સફળ આતંકવાદ વિરોધી અભિયાન ઓપરેશન શિવશક્તિ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, આ આતંકવાદીઓ સરહદ ઓળંગી ઘૂસણખોરી કરી રહ્યા હતાં. તેમની પાસેથી ત્રણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના ગુપ્ત સુત્રોએ આ આતંકવાદીઓ વિશે બાતમી આપી હતી.

છેલ્લા બે દિવસમાં સેનાનું આ બીજું એન્કાઉન્ટર છે. 28 જુલાઈના રોજ, સુરક્ષા દળોએ શ્રીનગરના દાચીગામ નેશનલ પાર્ક નજીક હરવાન વિસ્તારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી સુલેમાન પણ હતો.

બાકીના બે આતંકવાદીઓની ઓળખ જિબ્રાન અને હમઝા અફઘાની તરીકે થઈ છે. જિબ્રાન 2024માં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ પર થયેલા હુમલામાં સામેલ હતો. આતંકવાદીઓ પાસેથી અમેરિકન M4 કાર્બાઇન, AK-47, 17 રાઇફલ્સ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. તેને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું હતું.

વ્હાઈટ નાઈટ કોરએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન શિવશક્તિ અંગે માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, અમારી સતર્ક સેનાએ સટીક લક્ષ્યો દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી આતંકવાદીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. આ અભિયાન બુધવારે સવારે શરૂ થયુ હતું. જે હાલ ચાલુ છે. સેનાએ જણાવ્યું કે, આ ઓપરેશન અમારા ગુપ્ત એકમો અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત કામગીરી દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે. જે સફળ રહ્યું છે.

ભારતીય સેનાએ અગાઉ સોમવારે જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા. આ ત્રણેય આતંકવાદીઓ પહલગામ હુમલામાં સામેલ હતાં. આતંકવાદી સુલેમાન લશ્કર એ તૈયબાનો એ ગ્રેડ કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. સુલેમાન પહલગામ અને ગગનગીર આતંકી હુમલામાં સામેલ હતો. ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી.

જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલે આતંકી હુમલા બાદ ભારતીય સેના અને સુરક્ષાદળોએ આતંકવાદીઓનો સફાયો કરવા રાજ્યમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આતંકવાદીઓની શોધ કરી તેમના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતાં. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

50 વર્ષના વિઝન સાથે અંબાજી યાત્રાધામ 1632 કરોડના ખર્ચે ‘મોડેલ ટેમ્પલ ટાઉન’ બનશે::::ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ...
29/07/2025

50 વર્ષના વિઝન સાથે અંબાજી યાત્રાધામ 1632 કરોડના ખર્ચે ‘મોડેલ ટેમ્પલ ટાઉન’ બનશે
::::
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના અંતર્ગત અંબાજી મંદિરથી ગબ્બર સુધી ભવ્ય ‘શક્તિ કૉરિડોર’નું નિર્માણ કરવામાં આવશે, જે આગામી 50 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક નવી સુવિધાઓ પૂરી પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.

અરવલ્લીની પર્વતમાળામાં આવેલું અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક સમા શ્રી અંબાજીમાતા મંદિર હવે ‘મૉડેલ ટેમ્પલ ટાઉન’ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનાનું અમલીકરણ બે તબક્કામાં થશે, જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા આ 50 વર્ષીય વિઝન પ્લાનનું કેન્દ્રબિંદુ ગબ્બર પર્વત (જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું મનાય છે) અને અંબાજી માતાનું વિશા યંત્ર સ્થાન છે. માસ્ટર પ્લાન હેઠળ આ બંને પવિત્ર સ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે.

મુખ્ય આકર્ષણો:
• ‘શક્તિ કૉરિડોર’: અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો આ મુખ્ય કોરિડોર ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને એક સંકલિત નેટવર્કથી જોડશે. શક્તિપથ દ્વારા વિશાળ શક્તિ ચોક ગબ્બર દર્શન ચોક સાથે જોડાશે.
• ચાચર ચોકનું વિસ્તરણ: યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહ માટે ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ કરવામાં આવશે.
• ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન: સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવાશે.
• યાત્રી નિવાસ અને સુવિધાઓ: શ્રદ્ધાળુઓ માટે યાત્રી નિવાસ સુવિધા, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, અને દિવ્ય દર્શન પ્લાઝાનો સમાવેશ થાય છે.
• આધ્યાત્મિક કેન્દ્ર: હાલની તમામ સુવિધાઓના પુનર્વિકાસ સાથે અંબાજીને એક અદ્યતન આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં આવશે.
• પૌરાણિક કથાઓનું પ્રદર્શન: શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે.
• ટેકનોલોજીનો ઉપયોગ: માતા સતીનું હૃદય સ્થળ ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

પ્રથમ તબક્કો (અંદાજે રૂ. 950 કરોડ): અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો શક્તિ કૉરિડોર, દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓ સાથે અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન, મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે.
બીજો તબક્કો (અંદાજે રૂ. 682 કરોડ): ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.
આ માસ્ટર પ્લાન અંબાજી યાત્રાધામને વૈશ્વિક કક્ષાનું આધ્યાત્મિક અને પર્યટન સ્થળ બનાવશે, જે ભક્તોને અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે.

અદાણી ગ્રીન એનર્જીને પ્રતિષ્ઠિત મેરકોમ ઈન્ડિયા એવોર્ડ-2024 એનાયત::::ખાવડાના ઐતિહાસીક વિન્ડ પ્રોજેક્ટ માટે સમિટમાં સન્માન...
29/07/2025

અદાણી ગ્રીન એનર્જીને પ્રતિષ્ઠિત મેરકોમ ઈન્ડિયા એવોર્ડ-2024 એનાયત
::::
ખાવડાના ઐતિહાસીક વિન્ડ પ્રોજેક્ટ માટે સમિટમાં સન્માનિત

અદાણી ગ્રીન એનર્જી (AGEL) ની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઇન્ડિયા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ખાવડામાં 250 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કરવાની ઐતિહાસીક સિદ્ધિ હાંસલ કરવા બદલ કંપનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રીન એનર્જીએ 2024માં કચ્છ જિલ્લાના ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં ૨૫૦ મેગાવોટ સફળતાપૂર્વક કાર્યરત કર્યું હતું. ગુરુવારે (24 જુલાઈ) મેરકોમ ઇન્ડિયા રિન્યુએબલ્સ સમિટમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં કંપનીની અસાધારણ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.

અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતના ખાવડામાં ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી મોટું 5.2 મેગાવોટનું ઓનશોર વિન્ડ ટર્બાઇન સ્થાપિત કર્યું છે. આ શક્તિશાળી વિન્ડ ટર્બાઇન મુન્દ્રામાં અદાણીની પવન ઉત્પાદન સુવિધામાં બનાવવામાં આવે છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ભારત સરકારના સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર માટેના કેન્દ્રિત પ્રયાસો પર પ્રકાશ પાડતા પાંચ મુખ્ય પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી. તેમણે ભારતના સ્વચ્છ ઉર્જા પરિવર્તનને વેગ આપતી યોજનાઓ પર ભાર મૂક્યો હતો. જેમાં વીજ ખરીદી કરાર (PPA), મજબૂત ગ્રીડ અને સંગ્રહ પ્રણાલીઓ, સ્થાનિક ઉત્પાદન, જમીન ઉપયોગ ઑપ્ટિમાઇઝેશન અને નાણાકીય સહાયનો સમાવેશ થાય છે.

ભારતે 2030 ના લક્ષ્યાંક કરતા પાંચ વર્ષ પહેલાં બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી તેની સ્થાપિત વીજળી ક્ષમતાના 50 ટકા હાંસલ કરી લીધી છે. હાલમાં, ભારતની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 245 GW થી વધુ છે, જેમાં 116 GW સૌર અને 52 GW પવન ઉર્જાનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઉર્જા એજન્સી (IRENA) ના તાજેતરના અભ્યાસ મુજબ, 2024 માં ભારતના નવીનીકરણીય ઉર્જા વિસ્તરણથી દેશને અશ્મિભૂત ઇંધણની આયાત અને પ્રદૂષણ સંબંધિત ખર્ચ ટાળીને લગભગ 4 લાખ કરોડ રૂપિયા બચાવવામાં મદદ મળી છે. આમાં ૧૪.૯ અબજ ડોલરની અશ્મિભૂત ઇંધણ બચત, ૪૧૦.૯ મિલિયન ટન CO2 ની બચત અને ૩૧.૭ અબજ ડોલરના આરોગ્ય અને વાયુ પ્રદૂષણ લાભનો સમાવેશ થાય છે.

ભારત ૫૦૦ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જાના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યું છે. ઉર્જા મંત્રાલયે CEA, CTU અને પાવરગ્રીડ સાથે સંકલનમાં ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા માટે એક વ્યાપક ટ્રાન્સમિશન યોજના તૈયાર કરી છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામાં::::ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્ય...
29/07/2025

ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામાં
::::
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેમ છતાં પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

નોંધનીય છે કે, બંનેએ રાજીનામુ આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે.

મળતી માહિતી મુજબ, વિજય બારૈયા અને વિજય જોશીએ પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધા છે. રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારાઓએ અવગણનાનો આરોપ લગાવ્યો છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ આરોપોની વચ્ચે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલાં હજુ વધુ રાજીનામાં પડી શકે તેવી શક્યતા છે. જોકે, આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાનો સાધતા પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.

જી.કે.જન. હોસ્પિ.ના  મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને પોસ્ટપાર્ટમ સાકોસીસ રોગની અપાઈ ...
19/07/2025

જી.કે.જન. હોસ્પિ.ના મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને પોસ્ટપાર્ટમ સાકોસીસ રોગની અપાઈ સારવાર
::::
- પ્રસૂતિ પછી માતાઓમાં દેખાતા મનોવિકારમાં પારિવારિક સહકાર સાથે મનોચિકિત્સકની સારવાર પણ મહત્વપૂર્ણ

માતા બનવા પછી મહિલા બેહદ નાજુક સ્થિતિમાંથી પસાર થાય છે,ત્યારે પ્રસવોત્તર અર્થાત્ ડિલિવરી પછી મનોવિકારનો (પોસ્ટપાર્ટમ સાયકોસીસ)રોગ પણ મહિલાઓમાં ક્યારેક જોવા મળે છે.જે ખાસ પ્રસૂતિના અંતિમ સમયમાં અગર તો પછી થોડા દિવસોમાં દેખાય છે.અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને સારવાર આપવામાં આવી છે.

આ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડૉ.રિધ્ધિબેન ઠક્કરના જણાવ્યા મુજબ ડિલિવરી પછી ઉદભવતી આ માનસિક અસર થવાનું કારણ હોર્મોનનો બદલાવ,આનુવંશિક અગર તો મનોવૈજ્ઞાનિક હોઈ શકે.મનોચિકિત્સકોએ સારવાર સરળ બનાવવા આ રોગના ત્રણ પ્રકાર પાડ્યા છે.પ્રથમ માઇલ્ડ અર્થાત્ સામાન્ય જેને બ્લુઝ કહેવાય છે. દ્વિતીય માઇલ્ડથી વધુ ડિપ્રેશન પ્રકારનું અને ત્રીજું સીવિયર અગરતો સાયકોસીસ (મનોવિકૃતિ) છે.

મનોચિકત્સકના જણાવ્યા મુજબ, માઇલ્ડમાં પ્રસૂતિ પછી માતાનું વર્તન બદલાયેલું દેખાય છે.જેમાં મૂડ સ્વિંગ મુખ્ય છે અને તેનું પ્રમાણ ૭૦ થી ૭૫ ટકા જોવા મળ્યું છે.જે સામન્ય રીતે જલ્દી રીકવર થઈ જાય છે.પરંતુ કેટલીક વાર એ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે.

રોગ સીવિયર બને ત્યારે માતા વહેમી અને શંકાશીલ બની જાય,બાળકની દેખરેખ ન રાખે , મરી જવાનું મન થાય, ઉંધી ચતી વાતો કરે,અકારણ ગુસ્સો અને સૌથી મહત્વની હકીકત એ સામે આવી છે કે,માતા અને પુત્ર વચ્ચે બોન્ડિંગ અર્થાત્ લગાવ તૂટી જાય છે.જો આ રોગની સારવાર ન થાય અને કુટુંબ ધ્યાન ન આપેતો માતાના લક્ષણો દિકરા દીકરીને પણ ભવિષ્યમાં નુકસાન કરી શકે.માટે સારવાર લેવી ખૂબ જરૂરી બને છે.

પ્રસવોત્તર મનોરોગથી પીડિતાને માનસિક હૂંફની વધુ જરૂર:

પ્રસૂતિ પછી પરિવારનો સહયોગ આવા મનોવિકારમાં વધુ કારગર સાબિત થાય છે.કુટુંબીજનોએ માતામાં આ રોગના લક્ષણો દેખાય તો મનોચિકિત્સકની સલાહ લેવી.ડિલિવરી પછી માતા બાળક પ્રત્યે વધુ સંવેદનશીલ હોવાથી માતા કે બાળક કોઈને પણ એકલા ન છોડવા.માતાની લાગણી સમજવી, તેને હૂંફ આપવી.બંને માં દીકરાની સંભાળ રખાય તો આ રોગના નિવારણની દિશામાં ઉપયોગી પુરવાર થઈ શકે.

ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો::::ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ ડિમાન્ડિંગ એ...
19/07/2025

ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો
::::
ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ ડિમાન્ડિંગ એવા ઈન્ટિગ્રેટેડ કોર્સીસ એમબીએ અને એમએસસી આઈટીમાં આ વર્ષે 50 ટકા ફી વધારો કરવામા આવ્યો છે. સ્ટાફનો પગાર નીકળતો ન હોય અને છેલ્લા 14 વર્ષથી ફી વધારો થયો ન હોવાથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો કરવામા આવ્યો છે. પરંતુ ફી વધારાની અગાઉથી કોઈ જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરાઈ ન હતી કે ફી વધારાને લઈને ઈસી કે બોર્ડ મીટિંગમાં કોઈ નિર્ણય લેવાયો હતો કે નહીં તે પણ પ્રશ્ન છે.

ગુજરાત યુનિવર્સિટીના કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગમાં વર્ષોથી ઈન્ટિગ્રેટેડ એમબીએ અને ઈન્ટિગ્રેટેડ એમએસસીઆઈટી કોર્સ ચાલે છે. ધોરણ 12ના કોમર્સ-સાયન્સના તમામ વિદ્યાર્થીઓ કોર્સીસમાં પ્રવેશ લઈ શકે છે અને આ કોર્સીસ ગ્રાન્ટેડઈન ધોરણે ચાલતા હોય ઓછી ફીને લીધે તેમજ સારા પ્લેસમેન્ટને લીધે ખૂબ જ ડિમાન્ડિંગ છે.

આ ઉપરાંત કોર્સીસમાં પ્રવેશ માટે ધોરણ 12ના 80થી 85 ટકા જરૂરી હોય છે. આ કોર્સીસમાં અત્યાર સુધી સેમેસ્ટર દીઠ 9500 રૂપિયા ફી હતી, એટલે કે વાર્ષિક 19 હજાર ફી હતી, પરંતુ આ વર્ષે એકાએક ફી વધારો કરી દેવાયો છે. હવે સત્ર દીઠ ફી વધારીને 14, 750 રૂપિયા અને વાર્ષિક 29, 500 રૂપિયા ફી કરાઈ છે. જેમાં પરીક્ષા સહિતના તમામ ખર્ચ હોય છે.

છેલ્લે વર્ષ 2011માં ફી વધારાઈ હતી ત્યારે 14 વર્ષથી ફી વધી ન હોઈ ખાનગી યુનિવર્સિટીઓની સરખામણીએ ઈન્ટિગ્રેટેડ લેવલના આ કોર્સીસમાં હવે 14 વર્ષે ફી વધારો થાય તે જરૂરી છે. પરંતુ એક સાથે 50 ટકાનો ફી વધારો કરી દેવાતા વિદ્યાર્થીઓ માથે બોજ વધશે. યુનિવર્સિટીના તંત્રનો દાવો છે કે, સારા વિઝિટિંગ ફેકલ્ટીથી માંડી સ્ટાફનો પગાર પણ જૂની ફીમાં નીકળતો ન હોય અને પગાર કરવા માટે વિભાગે લોન લેવી પડતી હોઈ ફી વધારો થયો છે.

યુનિવર્સિટી દ્વારા બંધ બારણે ફી વધારો કરી દેવાયો હોવાની ફરિયાદ ઊઠી છે. કારણ કે યુનિવર્સિટી દ્વારા ફી વધારા માટે કોઈ પણ અગાઉથી જાહેરાત થઈ ન હતી. આ બંને કોર્સમાં ડિમાન્ડને પગલે 90-90 ટકા બેઠકો વધારા માટે જાહેરાત થઈ હતી. ફી વધારા માટે કોઈ જાહેરાત થઈ ન હતી. જ્યારે એનએસયુઆઈની ફરિયાદ છે કે બેઠક વધારા માટે જીકાસની સાઈટ પર સ્પષ્ટતા નથી.

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત   ::::- નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ...
19/07/2025

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત
::::
- નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ કરવા આગેકૂચ

અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં તેનો હિસ્સો 56% થી વધીને 62.5% થયો છે. 18 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થયેલ રૂપાંતરમાં જાન્યુઆરી 2024 માં યુનિટ દીઠ રૂ. 1,480.75 ના ભાવે વોરંટ જારી કર્યા બાદની બાકીની ચુકવણીને બોર્ડની મંજૂરી પછી રૂ. 1,110.56 પ્રતિ યુનિટના ભાવે કરવામાં આવી હતી.

માર્કેટ એક્સપર્ટ તેમાં AGEL ના વિકાસ માર્ગને મજબૂત સમર્થન તરીકે જુએ છે. પ્રમોટર ગ્રુપે અગાઉ જાન્યુઆરી 2023 ના હિન્ડેનબર્ગ રિપોર્ટ પછી AGEL માં તેનો હિસ્સો ઘટાડીને 56% કરતા GQG પાર્ટનર્સ અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને તેના શેર વેચ્યા હતા. 9350 કરોડ રૂપિયાનું નવું રોકાણ, જેમાંથી 62૦૦ કરોડ રૂપિયા વૃદ્ધિને વેગ આપશે અને 3116 કરોડ રૂપિયા દેવાને નિવારણ કરશે, તે આગામી પાંચ વર્ષમાં AGEL ની મહત્વાકાંક્ષી $1૦૦ બિલિયન મૂડીખર્ચ યોજના સાથે સુસંગત છે. નાણાકીય વર્ષ 26 માં AGEL 5 GW નવીનીકરણીય ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય રાખે છે, જેના માટે 31૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે.

૧૫.૮ GW ની વર્તમાન સ્થાપિત ક્ષમતા સાથે AGEL નાણાકીય વર્ષ ૨૬ સુધીમાં ૧૯ GW અને ૨૦૩૦ સુધીમાં ૫૦ GW નું લક્ષ્ય રાખે છે, જેમાં અડધાથી વધુ ગુજરાતના ખાવડા સોલાર પાર્કમાં આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વના સૌથી મોટો છે. જેમાં ૩૦ GW મોટે ભાગે સૌર અને કેટલીક વીન્ડ એસેટ્સ છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ તેનું વિસ્તરણ ચાલી રહ્યું છે. કંપની ખર્ચ ઘટાડવા અને માર્જિન વધારવા માટે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ગ્રુપ સિનર્જી, સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન અને સ્ટોરેજ સોલ્યુશન્સનો ઉપયોગ કરે છે.

AGEL નું નાણાકીય શિસ્ત નાણાકીય વર્ષ 2025 માં તેના 6.05 ગણા ઘટેલા ચોખ્ખા દેવા-થી-EBITDA ગુણોત્તરમાં સ્પષ્ટ દેખાય છે, જે 6.57 ગણાથી ઘટીને FY28 સુધીમાં 4 ગણા લક્ષ્ય સાથે વૈશ્વિક સ્તરે સૌથી ઓછા સ્તરવાળી નવીનીકરણીય ઊર્જા કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓએ નાણાકીય વર્ષ 2025 માં EBITDA માં 8% નો વધારો નોંધાવ્યો હતો અને રૂ. 90,000 કરોડનો મજબૂત રોકડ પ્રવાહ દર્શાવ્યો હતો. 16 GW નવા વીજ ખરીદી કરારો પર હસ્તાક્ષર સાથે, AGEL ભારતના નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ કરવા માટે આગેકૂચ કરી રહ્યું છે.

EDની રડાર પર AAPના નેતા, મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ::::દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો સતત...
19/07/2025

EDની રડાર પર AAPના નેતા, મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ
::::
દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો સતત ઘેરા બની રહ્યા છે. ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા ઈડીની રડારમાં આવ્યા છે. ઈડીએ દિલ્હીમાં AAPની સરકારમાં ત્રણ મોટા કૌભાંડ થયો હોવાનો દાવો કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઈડીએ દાવો કર્યો છે કે, આપની સરકાર હતી ત્યારે દિલ્હીમાં હોસ્પિટલ નિર્માણ, સીસીટીવી પ્રોજેક્ટ અને શેલ્ટર હોમમાં નાણાકીય ગેરરીતિઓ થઈ હતી. આ મામલે ઈડીએ મની લોન્ડરિંગના ત્રણ કેસ નોંધ્યા છે. ઈડીએ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ પણ નોંધ્યો છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર કેસ દાખલ કરવા પર કહ્યું કે, ભાજપે તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવાનું ફરી શરૂ કરી દીધું છે. આપના નેતાઓ પર ખોટા કેસ દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. આ બધુ ગુજરાતના વિસાવદરમાં આવેલા ચૂંટણી પરિણામોના કારણે થઈ રહ્યું છે. અહીં ભાજપના તમામ પ્રયાસો અને તરકટો છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભારે મતોથી જીત મેળવી હતી.

પહેલો કેસ રૂ. 5590 કરોડના હોસ્પિટલ નિર્માણ કૌભાંડ સંબંધિત છે. 2018-19માં દિલ્હી સરકાર દ્વારા 24 હોસ્પિટલની યોજનાને મંજૂરી અપાઈ હતી. જે છ મહિનામાં તૈયાર કરવાની હતી, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ બાંધકામ બાકી છે. અત્યાર સુધી તેની પાછળ રૂ. 800 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે અને હજી સુધી 50 ટકા કામ જ પૂરું થયું છે. બીજી તરફ, એલએનજેપી હોસ્પિટલનો ખર્ચ રૂ. 488 કરોડથી વધી રૂ. 1135 કરોડે પહોંચ્યો છે. આ મામલામાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા સામે સવાલ ઉઠી રહ્યા છે.

બીજો કેસ રૂ. 571 કરોડના સીસીટીવી કૌભાંડ સાથે જોડાયેલો છે. 2019માં દિલ્હીના 70 વિધાનસભા ક્ષેત્રોમાંથી 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવાઈ હતી. આ કોન્ટ્રાક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને અપાયો હતો, પરંતુ આ યોજના સમયસર પૂરી થઈ ન હતી. BEL પર રૂ. 17 કરોડનો દંડ ફટકારાયો હતો. ત્યાર બાદ કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વિના તે માફ કરવામાં આવ્યો હતો.

ડીયુએસઆઈબી શેલ્ટર હોમના નિર્માણ કાર્યમાં 207 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનો દાવો કરાયો છે. દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડ (ડીયુએસઆઈબી) સાથે જોડાયેલી આ યોજનામાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે. જેમાં નકલી ફિક્સ્ડ ડિપોટિઝ રિસિપ્ટ મારફતે રૂ. 207 કરોડની હેરાફેરી થઈ હોવાનું ઈડીનું કહેવું છે. લોકડાઉન વખતે દસ્તાવેજમાં જાણવા મળ્યું કે, રૂ. 250 કરોડનું શેલ્ટર હોમનું કામ 'ઘોસ્ટ વર્કર્સ'ના નામે દર્શાવાયું હતું. આ કામદારોનો પગાર કમિશન પેટે નેતાઓ સુધી પહોંચ્યું હોવાનો આરોપ છે.

સૂત્રો અનુસાર, આ તમામ કેસની તપાસ સીબીઆઈ અને એસીબી દ્વારા ચાલી રહી છે. આ તપાસ એજન્સીઓની એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો છે. આ મામલે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓની પણ પૂછપરછ થઈ શકે છે.

ગુજરાતના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં EDની એન્ટ્રી::::ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ...
18/07/2025

ગુજરાતના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં EDની એન્ટ્રી
::::
ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. EDએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં 2050 કરોડના કૌભાંડ અને તેના મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

EDએ તમામ 164થી વધુ કરંટ એકાઉન્ટ્સની સઘન તપાસ શરૂ કરી છે, જેનો ઉપયોગ આ રેકેટમાં થતો હોવાનું મનાય છે. ખાસ કરીને, હવાલા મારફતે આ પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો તે અંગેની તપાસ EDની પ્રાથમિકતા છે. પોલીસે અત્યાર સુધી એકત્રિત કરેલા તમામ નિવેદનો, ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવા EDને સોંપવામાં આવ્યા છે, જેના આધારે ED પોતાની તપાસને આગળ વધારી રહી છે.

આ રેકેટનું આંતરરાષ્ટ્રીય જોડાણ ક્યુબા દેશ સાથે હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અલગ-અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટોકરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા. આ બાબત કૌભાંડની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે.

આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરીને કર્યો હતો. સાયબર ફ્રોડની તપાસ દરમિયાન જ પોલીસને જાણવા મળ્યું હતું કે એક આરોપી ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પણ ચલાવે છે. ED હવે માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ ફોરેક્સ ટ્રેડિંગના કૌભાંડમાં પણ થયેલા મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

આ વિશાળ કૌભાંડમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. સુરતના 2050 કરોડના સાયબર ફ્રોડ કેસમાં દીપ મુકેશ ખેની (ઉં.વ. 25, રહે. મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા, મૂળ ભાવનગર)ને ગીર સોમનાથથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ 21 મેના રોજ સુરતના ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કિરાત જાડવાણી અને મીત ખોખરની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.

તપાસમાં એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાઓ મેળવતા હતા. દરેક ખાતા માટે તેઓ 1 લાખથી 7 લાખ સુધીનું કમિશન આપતા હતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું. આ મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજો દ્વારા સાયબર ક્રાઈમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતો હતો. ઉધના પોલીસે આવા 164 બેંક ખાતાઓ જપ્ત કર્યા છે અને વિવિધ બેંકો પાસેથી વિગતો મેળવી છે. ખાસ કરીને આરબીએલ બેંકના 89 ખાતાઓમાં જ કુલ 2050 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે, જે કૌભાંડના વિશાળ કદને સ્પષ્ટપણે દર્શાવે છે.

દીપ મુકેશ ખેનીને તેના મામાના ઘરેથી ગીર સોમનાથથી પકડવામાં આવ્યો હતો, જ્યાં તે તેના સાથીદારો, મીત, કિરાત અને દિવ્યેશ (શાળાનો મિત્ર), પકડાયા પછી ભાગી ગયો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દીપ ખેનીએ કિરાતને સાયબર ફ્રોડ કરવા માટે 10 જેટલા બેંક ખાતા પૂરા પાડ્યા હતા, જેના બદલામાં તેને કુલ 70 લાખનું કમિશન મળ્યું હતું. ખાતા મેળવવાની તેની પદ્ધતિ આધુનિક અને સુવ્યવસ્થિત હતી.

દીપ ખેની એવા લોકોને શોધતો હતો જેઓ બેંક ખાતા ખોલાવવા તૈયાર હોય અને તેમને દરેક ખાતા દીઠ આશરે 20,000નું કમિશન આપતો હતો.

બેંક ખાતાઓને કાયદેસર બનાવવા માટે દીપ ખેની એક દુકાન ભાડે રાખતો, તેમાં સાડીઓનો સ્ટોક ભરાવતો અને કમ્પ્યુટર ગોઠવતો, જેનાથી એક કાયદેસર વ્યવસાયનો દેખાવ ઊભો થતો.
ત્યારબાદ તે બેંક ખાતું ખોલવા માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરતો, જે પછી કિરાતને સોંપવામાં આવતા હતા.

આ રીતે સફળતાપૂર્વક ખોલવામાં આવેલા દરેક બેંક ખાતા માટે ખેનીને કિરાત પાસેથી 7 લાખનું કમિશન મળતું હતું. દીપ ખેનીની ધરપકડ આ મોટા પાયે ચાલી રહેલા સાયબર ફ્રોડ ઓપરેશનને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ નેટવર્ક અને પદ્ધતિઓ પર વધુ પ્રકાશ પાડે છે. પોલીસ અને ED આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સામેલ અન્ય વ્યક્તિઓની વિગતો મેળવવા અને તેમને પકડવા માટે તપાસ ચાલુ રાખી છે. આ કૌભાંડમાં વધુ મોટા માથાઓ ખુલ્લા પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

Address

B67, Gulmahor Park
Bhuj
370040

Opening Hours

Monday 8:30am - 11pm
Tuesday 8:30am - 11pm
Wednesday 8:30am - 11pm
Thursday 8:30am - 11pm
Friday 8:30am - 11pm
Saturday 8:30am - 11pm
Sunday 8:30am - 11pm

Telephone

+919904408938

Alerts

Be the first to know and let us send you an email when Live Update Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share