Jamnagar News File

Jamnagar News File Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar News File, Media/News Company, 119 Indraprastha Complex PANCHESHWAR TOWER Road, Jamnagar.

30/07/2025
જામનગર મહાનગરપાલિકાની વેરાવસુલાત શાખા સક્ષમ નથી ! જામનગર એક એવું મહાનગર છે જેની આમદાની અઠ્ઠન્ની છે અને ખર્ચા રૂપૈયા ! ખુ...
30/07/2025

જામનગર મહાનગરપાલિકાની વેરાવસુલાત શાખા સક્ષમ નથી !

જામનગર એક એવું મહાનગર છે જેની આમદાની અઠ્ઠન્ની છે અને ખર્ચા રૂપૈયા !

ખુદને હોંશિયાર માનતા શાસકો અહીં 28 વર્ષથી 'રાજ'(શાસન નહીં)કરે છે પણ, જામનગર મહાનગરપાલિકાને આર્થિક રીતે સક્ષમ બનાવી શક્યા નથી, શાસકો એવરેજ અને કંગાળમાંથી સમૃધ્ધ બની ગયા-એ એક અલગ હકીકત છે. શાસકોના સથવારે અહીં અધિકારીઓ પણ કરોડોમાં આળોટતા થઈ ગયા, એ પણ એક અલગ હકીકત છે.

જામનગર મહાનગરપાલિકાને આવકો ઉભી કરતાં આવડતું નથી. ટેક્સ કલેકશનની શાસકોને હોંશ નથી. નાણાંકીય શિસ્તનો અભાવ હોય, કરોડો રૂપિયાનો વેડફાટ અને ભ્રષ્ટાચાર- જામનગર મહાનગરપાલિકાની ઓળખ બની ગઈ છે.

મહાનગરપાલિકાની વેરાવસુલાત શાખા સમરથો સમક્ષ ઝૂકવાની આદત ધરાવે છે અને નાના કે એવરેજ વેરા બાકીદારોને ત્યાં 'ઢોલ' પીટી છાતી ફુલાવે છે. થોડા થોડા સમયે 'જાહેરાત' કરે છે કે, મહાનગરપાલિકાને વેરાવસુલાતમાંથી આટલી આવક થઈ. મહાનગરપાલિકાએ બાકીદારો પાસેથી જે કરોડોની વસુલાત કરવાની છે તેની સરખામણીએ આવકો નજીવી છે.

મહાનગરપાલિકા કાયમ નાણાંભીડ અનુભવે છે. પગાર કરવાના સાંસા હોય છે. સરકાર સમક્ષ વારંવાર ખોળો પાથરવાની કુટેવ ધરાવે છે અને સરકારમાંથી આવતા નાણાંનો 'ભાગ' પાડી લેવાનું મહાનગરપાલિકાને વ્યસન છે. કામોમાં આવડત ન ધરાવતી મહાનગરપાલિકા લોકો સમક્ષ વેરાવસુલાત માટે વટથી જઈ શકે એમ ન હોય, વેરાવસુલાત યોગ્ય પદ્ધતિએ અને અસરકારક રીતે થઈ શકતી નથી. વેરાવસુલાતમાં પણ બેફામ ભ્રષ્ટાચારની વાત છે. સેંકડો મોટા માણસો અને ચબરાક ધંધાર્થીઓ વેરાવસુલાતને કેમ ગોટે ચડાવવી- એ કળા મહાનગરપાલિકા પાસેથી જ શીખ્યા છે.

નાના નગરજનોને દબડાવતી મહાનગરપાલિકા મોટા બાકીદારો સાથે 'ધંધો' ગોઠવે છે અથવા આંખની શરમ રાખે છે. વેરાવસુલાત શાખા પણ શાસકો માટે તો 'ઉપયોગી' શાખા જ છે- TPO સહિતની શાખાઓ માફક. વેરાવસુલાત શાખામાં એકાદ બે અધિકારીઓ અને કર્મચારીઓને બાદ કરતાં બાકીના બધાં એવા એવરેજ કર્મચારીઓ છે, જેમની કામગીરીઓનું ખુદ કમિશનર પણ એસેસમેન્ટ કરતાં નથી. શાસકોની નીતિને કારણે તથા અનીતિને પરિણામે અન્ય શાખાઓ માફક આ શાખા તથા તેનો તોતિંગ ખર્ચ મહાનગરપાલિકાની તિજોરી પર એટલે કે કરદાતા નગરજનો પર બોજ બની ચૂકી છે. શાસકોએ સુધરવું પડશે- સમગ્ર સંસ્થાના નાણાંકીય શિસ્ત માટે.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

સંસદ અને વિધાનસભા ગૃહોને આપણે લોકતાંત્રિક મંદિર લેખાવીએ છીએ, પણ...વિશ્વના કોઇ પણ લોકતાંત્રિક રાષ્ટ્રમાં ત્યાંની સંસદ અને...
22/07/2025

સંસદ અને વિધાનસભા ગૃહોને આપણે લોકતાંત્રિક મંદિર લેખાવીએ છીએ, પણ...

વિશ્વના કોઇ પણ લોકતાંત્રિક રાષ્ટ્રમાં ત્યાંની સંસદ અને એ જ રીતે, રાજ્યોની વિધાનસભાઓ લોકશાહીના ધર્મસ્થાન જેટલાં પવિત્ર લેખાતાં હોય છે. આ જગ્યાઓ #જવાબદેહીથી સંપન્ન હોવી જોઈએ. અહીં શાસકોએ પોતાની નિષ્ઠા અને વિપક્ષે પોતાનું કર્તવ્ય- કોઈ પણ ભોગે દેખાડવાના હોય છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે એટલે, ખરેખર તો આપણી જવાબદારીઓ એટલી હદે વધી જાય છે કે, આપણે સંસદના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ ગૌરવપૂર્ણ પરંપરાઓ અને ઉદાહરણો પેશ કરી, વિશ્વભરમાં લોકતંત્રને સર્વોચ્ચ સ્થાન અપાવવું જોઈએ, પણ....

સૌ જાણે છે એમ, કોઈ પણ વ્યક્તિને તમે એમ કહો કે...સંસદનું સત્ર ચાલુ છે, તો સામેની વ્યક્તિ તરત જ પ્રતિક્રિયા આપશે કે, ત્યાં હંગામા અને ગૃહમોકૂફી સિવાય બીજું હોય છે શું ?! સરેરાશ નાગરિકનો આ પ્રતિભાવ રાષ્ટ્રીય #શરમ લેખાવો જોઈએ. પણ...આપણાં પ્રતિનિધિઓને આવી કોઈ ચિંતાઓ હોય એવું પાછલાં કેટલાંક દાયકાઓથી કયાંય દેખાઈ રહ્યું નથી ! આપણાં માટે, નાગરિકો માટે આ બાબત ચિંતાઓ જ નહીં..ગંભીર ચિંતાઓનો વિષય હોવો ઘટે.

કોઈ પક્ષ કે પક્ષો વિપક્ષમાં હોય ત્યારે, શાસનને બદનામ કરવા ગૃહમાં હંગામા કરે અને એ જ પક્ષ કે પક્ષો સતામાં આવે ત્યારે ગૃહમાં સતાના ગુમાનમાં રાચે, મનમાની કરે- એ રાજનીતિને દેશના કરોડો મતદાતાઓ-કરદાતાઓએ એકદમ #નજીક થી ઓળખી લેવી પડશે, જો લોકતાંત્રિક વ્યવસ્થાઓને જિવતી રાખવી હોય તો.
ચૂંટણીઓ સમયે જ નહીં, બે ચૂંટણીઓ વચ્ચેના સામાન્ય દિવસોમાં પણ કરોડો નાગરિકોએ #જાગતલ રહેવું પડે...નહીંતર, છેવટે લોકતાંત્રિક વ્યવસ્થાઓ ખાટલે પડે...કણસે...અને, કમોતે મરે ! આપણે સૌ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક વ્યવસ્થાને ચાલો મજબૂતી અને સ્વસ્થતા આપવા સંકલ્પબદ્ધ થઈએ, આજે અને અત્યારે જ.
જય ભારત.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

વરસાદી પાણી શા માટે ભરાઈ જાય છે ? અને, કોના પાપે ?! : સમજો...કોઈ પણ શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અને ઝોનફેર- મોટી રકમની ખ...
15/07/2025

વરસાદી પાણી શા માટે ભરાઈ જાય છે ? અને, કોના પાપે ?! : સમજો...

કોઈ પણ શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ અને ઝોનફેર- મોટી રકમની ખાનગી લેતીદેતીઓના 2 મોટાં 'કામ ' હોય છે. અને આથી, દરેક મહાનગરપાલિકાઓ અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ આ પ્રકારના કામોને ટોપ-5 કેટેગરીમાં રાખે, તે સમજી શકાય તેવી બાબત છે. જામનગર મહાનગરપાલિકા પણ સ્વાભાવિક રીતે જ, આમાં અપવાદ નથી.

મહાનગરપાલિકાઓ TP સ્કીમનો ઈરાદો જાહેર કરે એ અગાઉ આ ઈરાદો ખાનગીમાં સંબંધિતો સાથે જાહેર કરવામાં આવતો હોય છે અને એ મુજબ શહેરના અવિકસિત વિસ્તારોમાં જમીનોની મોટાપાયે ખરીદીઓ થતી હોય છે. જેમાં શાસકપક્ષ અને શાસકપક્ષના માનીતા અધિકારીઓ પણ 'ભાગીદાર' હોય છે, બાદમાં આવા વિસ્તારોમાં એકાદ આવાસ યોજના અથવા બ્રિજ જેવું કોઈ મોટું કામ બેસાડવામાં આવતું હોય છે અને ગાંધીનગર સુધીનો 'વહીવટ' ઓફ ધ રેકર્ડ પૂર્ણ થઈ ગયા બાદ, જેતે શહેરના નગરજનો સમક્ષ શાસકો વધામણી ખાતાં હોય છે કે, આપણી મહાનગરપાલિકા ફલાણા વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા શહેરના વિકાસ માટે ફલાણા વિસ્તારમાં નવી TP સ્કીમ જાહેર કરવા જઈ રહી છે. જો કે, આ કામગીરીઓ કાગળ પર અધિકારીઓ 'ગોઠવી' આપતાં હોય છે. જરૂરિયાત મુજબ અથવા સોદેબાજીના ભાગરૂપે કેટલાંક કિસ્સાઓમાં આ કામમાં સ્થાનિક વિપક્ષ પૈકી અમુક લોકોને 'સાથે' રાખવામાં આવતાં હોય છે. ત્યાં સુધીમાં જો કે સંબંધિત વિસ્તારોમાં કેટલાંક બાંધકામ પ્રોજેક્ટ ડેવલપ પણ કરી લેવામાં આવતાં હોય છે.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

અત્રે મહત્વપૂર્ણ બાબત એ છે કે, આવી જમીનોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થાઓ આ બધાં 'ધંધાદારી' અગ્રણીઓ કરતાં નથી. માત્ર માલ જ ભેગો કરે છે. આ ઉપરાંત આવી જમીનો પર જે લોકો બાંધકામ પ્રોજેક્ટ બેસાડે છે, તેમના કન્સલ્ટન્ટ ઈજનેરો પણ અભણ અથવા સ્વાર્થી હોય છે, તેઓ પણ આવી જમીનો પર બાંધકામ પ્રોજેક્ટ ખડકી દેવામાં પાપના ભાગીદાર બનતાં હોય છે. પછી દસ પંદર વીસ વર્ષો સુધી હજારો રહેવાસીઓ વરસાદી પાણીના ભરાવાની સમસ્યાઓ અંગે રાડો પાડતાં રહે છે. પછી, શાસકો અને અધિકારીઓ કરદાતાઓ પર ઉપકાર કરતાં હોય એમ આવા વિસ્તારોમાં storm water drainage system ની જાહેરાતો કરે, કરોડોના બિલો બને, પછી પણ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ ગોઠવાતી નથી. કરોડોના ખર્ચ પાણીમાં વહી જાય. આ મોડસ ઓપરેન્ડી ગુજરાતમાં જામનગર સહિત બધાં જ શહેરોમાં ચાલે છે, કારણ કે આ જ તો ગુજરાતમોડેલ છે !

આહ્ જામનગર, વાહ જામનગર...!!જામનગર-રાજકોટ રોડના જામનગર શહેરના પ્રવેશદ્વાર નજીકના વિસ્તારોમાં સેંકડો સોસાયટીઝ છે, એ જ રીતે...
14/07/2025

આહ્ જામનગર, વાહ જામનગર...!!

જામનગર-રાજકોટ રોડના જામનગર શહેરના પ્રવેશદ્વાર નજીકના વિસ્તારોમાં સેંકડો સોસાયટીઝ છે, એ જ રીતે કાલાવડ બાયપાસ તથા લાલપુર બાયપાસ અને ખંભાળીયા બાયપાસ તેમજ ઢીંચડા તરફના માર્ગ પર તથા તેની આસપાસના જામનગર શહેરના હદ વિસ્તારોમાં 2010થી 2025 દરમ્યાન હજારો નવી સોસાયટીઝ બની, હજારો-લાખો મકાનો અને કોમર્શિયલ ઈમારતો બની. લાખો લોકો અહીં વસવાટ કરે છે.

પાછલાં દસ-પંદર વર્ષ દરમ્યાન જામનગર મહાનગરપાલિકા અહીં પીવાનું પાણી પહોંચાડી શકી નથી, રસ્તાઓ અને ગટરોની સુવિધાઓ આપી શકી નથી, સ્ટ્રીટલાઈટ સુવિધાઓ નામ પૂરતી છે, વરસાદી પાણી બધે જ ભરાય છે, પીવાના પાણીના ટેન્કરો દોડાવવા પડે છે, આ મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભજળ પીવાના કે રસોઈના ઉપયોગમાં લઈ ન શકાય એવા ભાંભરા, કડવા કે ક્ષારયુક્ત છે, તેનાથી કપડાં પણ ધોઈ શકાય નહીં. ટૂંકમાં, મહાનગર બનવા થનગનતા જામનગરના લાખો લોકો અનેક પ્રકારની હાલાકીઓ વેઠી રહ્યા છે, 2013માં જામનગર મહાનગરપાલિકાનો હદ વિસ્તાર વધારવામાં આવ્યો એ પહેલાંના જામનગરના લાખો લોકો પણ ટ્રાફિક જામ, સાંકડા રસ્તાઓ, એકાંતરા પાણી અને સ્વચ્છતાના અભાવ સહિતની હાલાકીઓ વેઠી રહ્યા છે.

ચૂંટાયેલા મહાનુભાવો જાહેરમાં ગમે તેટલી ફાંકા ફોજદારી કરે કે અધિકારીઓ ગમે તેટલાં paid સમાચારો લખાવે- જામનગરના લાખો લોકો શાસનથી સુખી નથી. પાછલાં 25 વર્ષનો ઈતિહાસ સાક્ષી છે. પાછલાં 25 વર્ષથી એક જ પક્ષનું શાસન છતાં શાસકોએ લોકોની સુખાકારી માટે કોઈ જ નોંધપાત્ર કામગીરીઓ કરી નથી. વિઝનનો સંપૂર્ણ અભાવ તો છે જ, સાથેસાથે પ્રાથમિક જવાબદારીઓ અદા કરવામાં પણ શાસકો અને અધિકારીઓ કાયમ ઉણાં ઉતરે છે. દીવા જેવી હકીકત આ છે. મુખ્ય પ્રધાનો અને વડાપ્રધાન આ શહેરમાં, જાહેર કાર્યક્રમોમાં ભાડૂતી તાળીઓ ઉઘરાવતા રહે છે !

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

  Jamnagar Municipal Corporation
04/07/2025

Jamnagar Municipal Corporation

જામનગરની સુભાષ શાકમાર્કેટ: આ મામલામાં પણ કોર્પોરેશનની 'નિયતમાં ખોટ' !! જામનગરમાં કાયદેસર શાકમાર્કેટ કહી શકાય એવી, શહેરની...
03/07/2025

જામનગરની સુભાષ શાકમાર્કેટ: આ મામલામાં પણ કોર્પોરેશનની 'નિયતમાં ખોટ' !!

જામનગરમાં કાયદેસર શાકમાર્કેટ કહી શકાય એવી, શહેરની સાડાસાત લાખની વસતિમાં એકમાત્ર સુભાષ શાકમાર્કેટ છે. જે દર્શાવે છે કે, શહેરમાં 28 વર્ષથી શાસન કરતાં શાસકો અંગૂઠાછાપ છે, જેમને શહેરની દૈનિક જરૂરિયાતની પરવાહ નથી ! અને, આ જામનગર મહાનગરપાલિકા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ નામનો અલાયદો વિભાગ પણ ચલાવે છે, આ વિભાગના અધિકારીઓને વર્ષોથી માત્ર મલાઈદાર કામોમાં જ રસ છે- આટલાં વર્ષોમાં આ અભણ અધિકારીઓ શહેરને શાકભાજી ફળોની સરળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શક્યા નથી. કુલ મિલા કે, આ બાબતમાં પણ શાસકો અને અધિકારીઓ નિષ્ફળ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર નજીકના વિશાળ ઔદ્યોગિક વિસ્તાર ખાવડી ખાતે પણ શાકભાજી અને ફળો આ સુભાષ શાકમાર્કેટથી જ જાય છે- એક જ શાકમાર્કેટ પર 10 લાખ લોકોનું ભારણ ! શાસકોની અને તંત્રની બુદ્ધિને સલામ.

બીજો મુદ્દો : રાજાશાહીના જમાનાની આ સુભાષ શાકમાર્કેટ દસ દસ વર્ષથી જર્જરીત છે ! 10 વર્ષમાં 3 થી વધુ વખત અહીં આગ લાગી છે અથવા લગાડવામાં આવી છે. આ શાકમાર્કેટ આટલાં વર્ષોથી જર્જરીત છે- શાસકો અને માલખાઉ અધિકારીઓને દેખાતું નથી ! શાકમાર્કેટના પુન:નિર્માણની અક્કલ કોઈનામાં કેમ નથી ?!

ત્રીજો મુદ્દો: થોડા થોડા વર્ષના અંતરે મહાનગરપાલિકા શાકમાર્કેટ નવી બનાવવાની વારતાઓ કરે છે. બે માળની માર્કેટ બનશે એવી ફાંકા ફોજદારી કરે છે. નવી શાકમાર્કેટ બનતી કેમ નથી ? તમને કામ કરતાં રોકે છે કોણ ?

ચોથો મુદ્દો: દર ચોમાસે ચોમાસા અગાઉ શહેરની હદમાં દુર્ઘટનાઓ ટાળવા જર્જરીત ઈમારતોને મહાનગરપાલિકા નોટિસ આપે છે. પછી કાંઈ નથી કરતી એ અલગ વાત છે. મહાનગરપાલિકાએ આ સુભાષ શાકમાર્કેટને, અતિ જર્જરીત હોવા છતાંયે કયારેય નોટિસ શા માટે આપી નથી ?! અંધાશ્રમ આવાસ તમારાં પોતાના હતાં છતાં 2018થી આ આવાસોને નોટિસ આપતા હતાં, શાકમાર્કેટને એક પણ નોટિસ શા માટે નહીં ?! શાકમાર્કેટ જર્જરીતની વ્યાખ્યામાં નથી ?!

પાંચમો મુદ્દો : મહાનગરપાલિકાએ હાલમાં શાકમાર્કેટના સેંકડો વેપારીઓને કહ્યું...શાકમાર્કેટ જર્જરીત છે, તોડી પાડવી છે..48 કલાકમાં ખાલી કરી દેજો. ભરચોમાસે અને વર્ષો બાદ મહાનગરપાલિકાને જૂલાઈ મહિનામાં ખબર પડી કે, શાકમાર્કેટ જર્જરીત છે ! અત્યાર સુધી સૌ ક્યાં મરચા ખાંડતા હતાં ?? મહાનગરપાલિકાએ વેપારીઓને ખાલી કરવાની સૂચનાઓ મૌખિક આપી. કેમ ? લેખિત નોટિસ આપવામાં મહાનગરપાલિકાને શું તકલીફ છે ? ભાડૂઆતને જગ્યા ખાલી કરવાની મૌખિક સૂચનાઓ આપી જ ન શકાય. વેપારીઓ ભાડા ભરે છે. વેપારીઓ ગેરકાયદેસર ધંધો નથી કરતા. લેખિત નોટિસ આપો, જગ્યાઓ ખાલી નહીં થાય- આટલું વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ કમિશનરની આંખમાં આંખ નાંખીને કહેવું જોઈએ. છે ત્રેવડ ??

છઠ્ઠો મુદ્દો: કોઈપણ વર્ષો જૂના ભાડૂઆતને મૌખિક સૂચનાઓથી ભરચોમાસે જગ્યાઓ ખાલી ન કરાવી શકાય. આ બાબત ગેરકાયદેસર અને અમાનવીય પણ છે. આ સરાસર જુલમ છે. વેપારીઓએ લડત આપવી જોઈએ. આગેવાનો માત્ર નામના જ આગેવાનો છે ??

સાતમો મુદ્દો: મહાનગરપાલિકાએ જાહેર કરવું જોઈએ કે, ભરચોમાસે શાકમાર્કેટ ખાલી કરાવવાનો નિર્ણય લીધો કોણે ? કોની ડગળી ચસકી ગઈ છે ? એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા વેપારીઓને ધમકાવવા ગયેલા. તેઓ કોની સૂચનાથી 'ધમકી' આપવા ગયેલા ? તેનું નામ જાહેર કરો એટલે નગરજનોને ખબર પડે કે, ક્યા મહાનુભાવ દાદાગીરી આચરવા ઈચ્છે છે ? સનકી કોણ છે ? એ પ્રશ્નનો જવાબ વેપારીઓ અને નગરજનોને ખબર પડવો જોઈએ.

આઠમો અને છેલ્લો મુદ્દો: મહાનગરપાલિકાએ એ વૈકલ્પિક
આયોજન કર્યું છે કે, અત્યારે ભરચોમાસે આપણે શાકમાર્કેટ તોડી પાડીશું તો દસ લાખની વસતિ શાકભાજી અને ફળો લેવા જશે ક્યાં ?? અને, મહાનગરપાલિકાને અત્યારે ભરચોમાસે શાકમાર્કેટ તોડી પાડવાની ઉતાવળ શું કામ છે ? નગરજનોને જવાબ આપો- શાસકો અને તંત્ર.

27/06/2025

રોડ પર પાનની પિચકારી કોણ મારે છે...એ શોધી લ્યે એટલે, જામનગર
'સ્માર્ટ સિટી' બની જાય...

જામનગર શહેરની વસતિ સાત લાખ ઉપર થઈ ગઈ..અહીં લાખો વાહનો છે..રોડ સાંકડા છે..પાર્કિંગ આડેધડ છે..અને શહેરમાં આવી અસંખ્ય સમસ્યાઓ, વર્ષોથી મોઢું ફાડીને ઉભી છે- જેની જામનગર, ગાંધીનગર કે દિલ્હીને, કોઈ જ ચિંતાઓ નથી..રિપીટ..કોઈ જ ચિંતાઓ, કોઈને નથી.

આમ છતાં, આ ટ્રિપલ એન્જિન સરકારની ઈચ્છા એવી છે કે, જામનગરને સ્માર્ટ સિટી નામના શિંગડા ઉગે અથવા સ્માર્ટ સિટી નામનું પૂંછડુ ઉગી નીકળે. આથી દિલ્હીએ ગાંધીનગરને અને ગાંધીનગરે જામનગરને કહ્યું..નવા ઉંબાડીયા શોધી કાઢો..ગ્રાન્ટના રૂપમાં નાણાં અમે મોકલાવીશું..વાપરો..મોજ કરો.

આ મહાનગરમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી, શહેરમાં એક પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ ન કરાવી શકનાર, આ ફાંકાફોજદાર શાસકો શહેરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવા ચાહે છે. શુક્રવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેને અધ્યક્ષસ્થાનેથી આ જાહેરાત કરી દીધી. આ માટે કન્સલ્ટન્ટ શોધી કાઢવામાં આવ્યા છે, સૂત્રના જણાવ્યા અનુસાર, આ કન્સલ્ટન્ટ કમિશનરના 'મિત્ર' છે.

આ કન્સલ્ટન્ટ શહેરનો અભ્યાસ કરી DPR ઉર્ફે detail project report બનાવી આપશે. આ DPR જેટલો વધારે મોટો એટલે કે વધુ ખર્ચાળ બનશે, એટલી વધારે ફી આ કન્સલ્ટન્ટને જામનગર મહાનગરપાલિકા કરદાતાઓ નગરજનોની તિજોરીમાંથી ચૂકવશે.

પછી આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શોધી કાઢશે કે, ક્યા રોડ પર, કોણે, કેટલા વાગ્યે પાનની પિચકારી લગાવી. પછી એ નાગરિકને દંડ થશે. આ પ્રકારની અનેકવિધ કામગીરીઓને કારણે મહાનગર જામનગર સ્માર્ટ સિટી બની જશે. શાસકો પછી પણ 'અંગૂઠાછાપ' જ રહેશે- એવો પ્રશ્ન પૂછવાની મનાઈ છે કારણ કે આ ટ્રિપલ એન્જિન સરકારની રચના તમે કરદાતા મતદાતાઓએ જ કરી છે. સમજી ગયા ??...

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

નગરજનો કચરો ઓછો કરજો..જામ્યુકો એ રોજ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે...જામનગરના નગરજનો કચરો બહુ કરે છે..આ કચરો બિચારા કોન...
27/06/2025

નગરજનો કચરો ઓછો કરજો..જામ્યુકો એ રોજ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે...

જામનગરના નગરજનો કચરો બહુ કરે છે..આ કચરો બિચારા કોન્ટ્રાક્ટરે એકત્ર કરવો પડે છે..પછી તેનું વજન કરવું પડે..અને વજન પ્રમાણે મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા રોજેરોજ ચૂકવવા પડે છે..માટે નગરજનો પ્લીઝ..કચરો ઓછો કાઢજો..

રોજ સવારથી સાંજ સુધીમાં કચરાની કોન્ટ્રાક્ટર પેઢી શહેરમાંથી બધો કચરો એકત્ર કરી લ્યે છે..આ પેઢીનો રોજનો 'પગાર' રૂ. 10 લાખ છે. શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીએ આ કચરાની પેઢીને આપવા માટે રૂ. 900 લાખ અલગ રાખ્યા..આ રૂપિયા કચરાની પેઢીને 90 દિવસના કામ માટે આપવામાં આવ્યા. કચરામાંથી આ કોન્ટ્રાક્ટર રોજેરોજ રૂ. 10 લાખ કમાઈ લ્યે છે. આ પેઢી માટે કચરો કાંચન એટલે કે સોનું છે. જો કે, સૂત્રો તો એમ પણ ચર્ચાઓ કરે છે કે, પેઢીએ રોજના આ 10 લાખમાંથી અમુક નાણાં તમુક લોકોને આપવા પડે છે, જેની મદદથી તમુક લોકો સોનાની ગીની ખરીદી શકે.

જામનગરનું કચરાકાંડ વરસોથી ગાજવીજ કરતું રહે છે. આ વિભાગ સંભાળતા અધિકારી પર શાસકોના ચાર હાથ હોવાથી, આ અધિકારીને તાજેતરમાં 'વહીવટ' વિભાગના આસિસ્ટન્ટ કમિશનર બનાવી દેવામાં આવ્યા છે. આ અધિકારી ઢોરખાતું પણ સંભાળે છે, તે પણ કચરાખાતા જેટલું જ 'મેલુ' છે. ટૂંકમાં, આ બે મેલા ખાતાને કારણે આ અધિકારી અને શાસકો પૈકી અમુક લોકો 'ઉજળા' થઈને ફરી શકે છે.

પરંતુ મતદારો દાયકાઓથી શાસકપક્ષને તોતિંગ બહુમતી આપી રહ્યા છે એટલે, કોર્પોરેશનના મેલા વહીવટને કરદાતાઓ અને મતદાતાઓની પણ મંજૂરી છે- એમ જ સમજવાનું ?!

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક લાખ  ફૂલસ્કેપ ચોપડાઓનું રાહતદરે વિતરણજામનગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખતહાલના સમયમાં ...
25/06/2025

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક લાખ ફૂલસ્કેપ ચોપડાઓનું રાહતદરે વિતરણ
જામનગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત
હાલના સમયમાં ભણતર ને લગતી સ્ટેશનરીની ચીજ વસ્તુઓમાં મોંઘવારીનું ગ્રહણ લાગતું જાય છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારને પોતાના બાળકોને એજ્યુકેશન લગતી સ્ટેશનરી લેવા બહુ મોટો ખર્ચ કરવો પડે છે.

જામનગરના ઈતિહાસ સૌ પ્રથમ વખત શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિના વિધાર્થીઓ માટે એક લાખ ફુલ્સકેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ રાહત દરે ચોપડા વિતરણ સંસ્થા દ્વારા શહેરના પટેલ કોલોની, સાધના કોલોની, પંચેશ્વર ટાવર, ગોકુલ નગર, ખોડિયાર કોલોની, ગ્રીનસીટી, રામેશ્વર નગર સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત ૩૯ દિવસ સુધી કેમ્પ કરી સર્વ જ્ઞાતિના વિધાર્થીઓને રાહત દરે ફુલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સેવા યજ્ઞને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સુનિલ જોષી, કિરીટ ઠાકર, જામ્બાલી રાવલ, રાજેશ ઠાકર, સિમિત રાવલ, નિરવ મહેતા, કમલેશ ભટ્ટ, મહેશ રાવલ, હિના ઠાકર, મનીષા ઠાકર, ધરતી વ્યાસ, જયેષ્ઠા જોષી, મનીષા જોષી, ચંદ્રાવલીબેન જોષી, રક્ષા ભટ્ટ, અર્ચના જોષી, જાહ્નવી શુકલ,કપિલ રાવલ, રાજેશ વ્યાસ, કેતન જોષી, સમીર જોષી, પ્રણવ રાવલ, રાજેન્દ્ર પુરોહિત, દેવેન્દ્ર શુકલ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

સંજય રાવલ (એડિટર-ઇન-ચીફ) JAMNAGAR NEWS FILE

Address

119 Indraprastha Complex PANCHESHWAR TOWER Road
Jamnagar
361001

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar News File posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share