23/04/2026
પુસ્તક અને મસ્તક
****************
આજ ત્રેવીસ એપ્રિલ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. પુસ્તકનું જીવનમાં અનેરું મહત્વ અને ઉપયોગિતા રહી છે. શાસ્ત્રો હોય કે શસ્ત્રો હોય એનું સાચું જ્ઞાન તો ગ્રંથો જ પીરસી શકે.
મારી દ્રષ્ટિએ એક સારું પુસ્તક એક સારા મસ્તકને તૈયાર કરે છે. પુસ્તક અને મસ્તકનો જ્યાં સુભગ સમન્વય છે ત્યાં સાચું જ્ઞાન દર્શન છે. સારું પુસ્તક મગજને સાચી સમજ આપી શકે છે.
સાચ્ચેજ એક સારું પુસ્તક મસ્તકનો વિકાસ કરી શકે છે. એક સારો ગ્રંથ ઘણી બધી ગ્રંથિથી આપણને મુક્ત કરી શકે છે. અરે, એક સારું પુસ્તક નવરા પુરુષને પસ્તી થતાં અટકાવી શકે છે એનો સાક્ષાત નમૂનો હું પોતે જ છું.
મારી પુસ્તકાલય પરત્વેની પ્રીતિ પુષ્કળ. લાયબ્રેરી પ્રત્યેનો લગાવ ઘણો. કોઈ પણ નવા ગામ કે શહેરમાં મારો પડાવ હોય તો સહુ પ્રથમ ત્યાંની લાયબ્રેરીની શોધખોળ આદરૂ. એ શહેરના સ્થાયી થયેલા નામાંકિત કવિ-લેખકોના સરનામાં શોધું અને મળવાનો મોકો શોધું.અમદાવાદ જાઉં તો જોવાલાયક વિખ્યાત જગ્યાઓ જોવા કરતાં મને માણેકલાલ જેઠાલાલ લાયબ્રેરી એ જાવું ઝાઝું ગમે. પાટણ જાઉં તો રાણકીવાવ ને બદલે ફતેસિંહ રાવ ગાયકવાડની લાયબ્રેરી જોવી મને ઘણી ગમે.
લખવા - વાંચવાની સમજણ આવી ત્યારથી પુસ્તક અને પુસ્તકાલય મારી પ્રથમ પસંદગી રહી છે. મારી આજની ઉચ્ચ કારકિર્દીના મૂળ મારા ગામની ધૂળમાં પડ્યા છે. ચૂમી લેવાનું મન થાય એવી મારી વતન ભૂમિ ઉનાવાના આઝાદ ચોકમાં આવેલી શ્રી હરનારાયણ ભુદરજી રાવલ સાર્વજનિક પુસ્તકાલય એ મારી પ્રારંભિક પુસ્તક પરબ જ્યાં મેં મારી વાંચનની તરસ સંતોષી છે.
પુસ્તકાલયમાંમાં રોજેરોજ જવું, વાંચવું, પુસ્તકાલય બંધ થાય એટલે એના ઓટલે ગામ ગપાટા મારવા, વડીલ ગ્રંથપાલ વીરચંદ ભાઈ ભાવસાર ઉર્ફે માસ્તરને ખીજવવા , એમની ગાળો સાંભળવી, આવતા જતાંની મજાક મસ્તી કરવી એ બધી પ્રવૃત્તિઓનું નિર્દોષ કેન્દ્ર એટલે મારી ઉનાવાની લાયબ્રેરી. આઝાદ થઈ ગયેલા આઝાદ ચોકના કેટલાક અમે જવાનીયા ક્યારેક કોઈને ત્રાસવાદી જેવા જણાયા હતા એ હકીકતનો ઇનકાર ના થઇ શકે.
અલબત્ત મારો કહેવાનો મતલબ એજ કે ગાયકવાડ સરકારના પ્રગતિશીલ વિચારોને પરિણામ સ્વરૂપ મારા ગામમાં 1932 માં લાયબ્રેરી સ્થપાઈ હતી અને એ લાયબ્રેરીએ જ મને મારી કારકિર્દીમાં કક્કા નો ક ઘૂંટવાથી લઈ કલેક્ટર ના ક સુધીના મુકામ સુધી પહોંચાડ્યો છે.
આજ કારણે મેં મારા કલેકટરના કાર્યકાળમાં ગામડે ગામડે ગ્રંથાલય સ્થાપવા પ્રયાસ આદરેલ.
કોઈ બારી વિનાના ઘરને હું અંધારી કોટડી માનું છું. એજ રીતે લાઈબ્રેરી વિનાના ગામને હું અંધારીયો ખંડ જ સમજું છું. ઘર વિનાની બારી અને લાઈબ્રેરી વિનાનું ગામ મારે મન બેકાર છે.
સાહિત્ય પરત્વે પ્રીતિ, વાંચન પરત્વે વિશેષ રસ રહ્યો છે. એટલે જ આજે શારીરિક, માનસિક અને વૈચારિક રીતે સજ્જ રહી શક્યો છું, એ પણ એક હકીકત છે.
આગળ વધીને હું કહીશ કે ગુજરાત રાજ્યના મોટા મોટા યાત્રાધામોમાં પણ મોટી મોટી લાઈબ્રેરી હોવી જોઈએ. દેવાલયમાં ગ્રંથાલય કે દેવાલયમાં પુસ્તકાલયનો વિચાર શું પ્રગતિશીલ નથી? દર્શનાર્થીઓને દેવના આશીર્વાદની સાથે સાથે વેદના આશીર્વાદ મળે અને નકારાત્મક ગ્રંથિઓથી મુક્ત કરાવે તેવું પવિત્ર ગ્રંથાલય હોવું જોઈએ.
આજના પુસ્તકદિને સહુ અક્ષરના આરાધકો ને આભ ભરી શુભેચ્છાઓ..
Raju Raval Following
રાજુ રાવલ ®®®