Raju Raval

Raju Raval પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

સુંદર સૃષ્ટિ--ખુશીની વૃષ્ટિ********************સર્જનહારે રચેલી સુંદર સૃષ્ટિ મને ગમે છે. સૌંદર્યથી છલકાતી સંધ્યા  મને ગમે...
24/10/2024

સુંદર સૃષ્ટિ--ખુશીની વૃષ્ટિ
********************
સર્જનહારે રચેલી સુંદર સૃષ્ટિ મને ગમે છે. સૌંદર્યથી છલકાતી સંધ્યા મને ગમે છે. મલકાતી મધુર ચાંદની મને ગમે છે. મન મૂકી ને વરસતી વૃષ્ટિ મને ગમે છે. મોરલો હોય કે માનુની હોય, એનું ટેહુક ટેહુક મને ગમે છે.કોયલના એક સરસ ટહુકાની તરસ મને ગમે છે. કુદરતના રંગીન નઝારાને મારી આંખોમાં આંજવું મને ગમે છે.

સ્મૃતિ મંજુશામાં સંઘરેલી સુખદ ક્ષણોને મનમાં માંજવી મને ગમે છે. મનગમતાનો ગુલાલ કરવો મને ગમે છે. રંગબેરંગી સૃષ્ટીનો સરસ રસ ભરી ભરી પીવો મને ગમે છે...અને આ બધું જ પામવા મન મારુ ક્યારેક ભ્રમર બનીને ભમે...એય પણ મને ગમે છે..!!

વાતાવરણ શાંત હોય, એકદમ એકાંત હોય, મન અને તન ને નિરાંત હોય, ચાંદની રાત હોય, ટમટમતા તારાઓથી ચમકતું ખુલ્લું આકાશ હોય,આકાશની લાડકી દીકરી જેવી ખુલ્લી અગાશી હોય, ખુલ્લું નિર્મળ મન હોય, ખુલ્લું નિર્મળ હૃદય હોય ને ખુલ્લમખુલ્લા ખૂલેલી-ખીલેલી સૌંદર્ય સભર સંધ્યા રાણી હોય ત્યારે આનંદની અસીમ ક્ષણો ખુશ્બુદાર બની શ્વાસને મારા સુગંધિત બનાવી દે છે..

®®®રાજુ રાવલ

મન-એ-ઉપવન★★★★★★મારી નીચે ની ગંભીર મુખ મુદ્રા જોઈ મન માં મનન ચાલુ થઇ ગયું. શાંત સ્થિતિ માં કોઈ મુદ્દા પર નું ગહન મનન એ  ચ...
21/10/2024

મન-એ-ઉપવન
★★★★★★
મારી નીચે ની ગંભીર મુખ મુદ્રા જોઈ મન માં મનન ચાલુ થઇ ગયું. શાંત સ્થિતિ માં કોઈ મુદ્દા પર નું ગહન મનન એ ચિંતન કહેવાય. જો ચિત્ત કોઈ વાતે ચકરાવે ચડી જાય તો એ ચિંતા થઈ કહેવાય. વિચારો નો શાંત વાયુ મન માં વહેતો હોય તો મન ઝટ રઘવાયું ના થાય. જો મન નો વિચાર વાયુ મટી ને મોટું વાવાઝોડું થઈ જાય તો તો મન ને ચિંતાગ્રસ્ત જાહેર કરવું પડે.

મન અને વન માં શું સામ્યતા કે શું ભિન્નતા..? ફળદ્રુપ વન માં વૃક્ષો ની કૂંપળ ફૂટે ને ફળદ્રુપ મન માં વિચારો ની કૂંપળ ફૂટે છે. વન માં વાંદરાઓ હુપાહુપ કરે છે તો મન માં વિચારો ના વાનરો નું હુપાહુપ..!! વન માં વિરાટ વૃક્ષો સાથે શામળી વાદળી નું સંવનન ને મન માં સ્વપ્ન સુંદરી સાથે નું કાલ્પનિક સંવનન ને વૈચારિક મસ્ત મિલન ને દોહન..!!

ઉપયોગી મન એ વન -ઉપવન છે ને ઉપદ્રવી મન એ ઉકરડો કહેવાય..અને એક ખાનગી વાત જે જાહેર માં છાતી પર હાથ મૂકી કોઈ જ નહીં સ્વીકારે પણ ખાનગી માં કબૂલ કે વિચારવા માટે નું આપણું સહુ નું શ્રેષ્ઠ સ્થળ એ આપણું શૌચાલય જ હોય ને...!! જ્યાં દુનિયા ભર ના વિચારો નું મન મિલન ને સંમેલન નિરાંતે ભરાતું હોય..!!

સારા કે નરસા વિચારો એ આપણા મન ની પેદાશ છે.મન એ પહેલાં વિચાર પછી આવિષ્કાર ની એક મસમોટી ફેક્ટરી જ છે.. રામ કે રાવણ એમની આકૃતિ થી નહિ પણ એમના વિચાર ના આકાર ને લઈ ને દેવ અને દાનવ નું બિરુદ ને સ્વરૂપ પામ્યા.. મન માં ઉઠતા ઉચ્ચ વિચારો માણસ ને ઉચ્ચ બનાવે છે તો નિમ્ન વિચારો માણસ ને નીચ સાબિત કરી દે છે..

ગ્રેહામ બેલ ના મન ના એક વિચાર અને આવિષ્કાર થકી આજે આપણે ટેલિફોન પર Hiii-Heloo કહેતા થઈ ગયા. થોમસ અલ્વા એડિસન નો એક વિચાર આપણ ને રોશની આપી ગયો. અણુબોમ્બ શોધવા નો આલ્ફ્રેડ નોબલ નો એક ઉચ્ચ વિચાર વિશ્વ ને અણુ શક્તિ થી સજ્જ કરતો ગયો.. એજ અણુશક્તિ ના દુરુપયોગ ના એક હરામખોર વિચારે હીરોશીમા માં હાહાકાર મચાવી દીધો. એક નીચ વિચારે નાગાસાકી ને તહસનહસ કરી નાખ્યું.. એક વિચાર ની કેટલી જબરજસ્ત તાકાત છે તે આ ઉદાહરણો થી સમજી શકાય છે.. પણ આ તો મન છે મારું કે કોઈ નું કહ્યું ના માને રે..!!

જાહેર સેવા આયોગ ની સ્પર્ધાત્મક પરીક્ષા ના ઇન્ટરવ્યુ માં મને એક સવાલ પૂછવા માં આવેલો કે તમને શું વિશેષ ગમે..? ને મારા મનગમતા સવાલ નો ઉત્તર મારે મને બનતી ત્વરા થી આપેલો જે અક્ષરશઃ અહીં ટાંકુ છું..મેં કહેલું કે.. એકદમ એકાંત હોય, ચારેકોર નીરવ નિરાંત હોય, ચાંદની રાત હોય, મધરાત હોય, વાતાવરણ સાવ શાંત હોય, ક્યાંય બીજી કોઈ વાત ના હોય ,ખુલ્લી અગાશીમાં હિંચકે મારું આસન હોય , ખુલ્લું મન હોય ને માથે ખુલ્લું નીરભ્ર ગગન હોય અને એ ટાણે મન ના તમામ બારી બારણાં ખોલી નાખું ને મારુ મન માંકડું એ સમયે સ્વૈરવિહાર કરતું હોય છે ત્યારે મને સ્વર્ગીય આનંદ ની અનુભૂતિ થાય છે..

હું ઈચ્છું કે મને-તમને - આપણ ને સહુ ને શ્રેષ્ઠ વિચારો આવે, મન ની જેવી વૃત્તિ એવી જ આપણી પ્રવૃત્તિ હોય છે એ ન્યાયે આપણી વૃત્તિ ને પ્રવૃત્તિ સારી બને એ જ પ્રભુ પ્રાર્થના..

અંત માં એક વેદમંત્ર સાથે મારી વાત ને વિરામ આપું કે...
!! આ નો ભદ્રા કૃતવો યંતુ વિશ્વત : !! વિશ્વ ની પ્રત્યેક દિશાઓ માંથી મને સારા વિચારો પ્રાપ્ત થાઓ...

જીવતા હોવું એટલે ધુમાડાનું હોવું..જીવંત હોવું એટલે ધુમમ્સનું હોવું**************************જીવતા રહેવું અને જીવંત રહેવુ...
19/10/2024

જીવતા હોવું એટલે ધુમાડાનું હોવું..
જીવંત હોવું એટલે ધુમમ્સનું હોવું
**************************
જીવતા રહેવું અને જીવંત રહેવું એમાં જમીન આસમાનનો ફેર. માત્ર જીવતા હોવું , અને જીવંત હોવું એમાં ધુમ્મસ અને ધુમાડા જેટલો ફેર પડે. ધુમાડા ભર્યા જીવનનો રોટલો ચૂલા પર શેકતા શેકતા આંખોમાં અંધારા આવી જાય. દુઃખના હવાયાં લાકડાં ને બાળવા માં કાળી મજૂરીની ભૂંગળી ફૂંકી ફૂંકીને ફેફસા બહાર આવી જાય તોય જીવનમાં દુઃખનો ધૂમાડો દૂર ના થાય.

અને હા, જીવનની વસંત ખીલે છે ત્યારે જાણે જીવન ગગનમાં ગાઢ ધૂમમ્સ છવાય છે. તત્સમયે સુખની ઝીણી ઝીણી ઝરમર જીવનને ઝંકૃત કરે છે. ભીની ભીની ઝાકળનો સ્પર્શ રોમ રોમને સદાય રોમાંચિત રાખે છે. ઘુમ્મસથી છવાયેલ જીવનના નીલગગનનો મેઘધનુષી નઝારો હૃદયને હરદમ સંગીતની સરગમથી સંતુષ્ટ રાખે છે.

મિત્રો, જિંદગીનો હેતુ જ હેતુ સભર જીવન જીવવાનો છે. જ્યાં સુર સંગીત બની મનને ડોલાવે છે, જ્યાં અંગ ભંગ ને અદાઓ નૃત્ય બની મનને નચાવે છે, જ્યાં કોઈ ના હોઠો પર નું હાસ્ય હૈયા ને ડોલાવે છે અને જ્યાં એકાગ્રતા એકરૂપ થઈ મન ને મનાવે છે ત્યારે લાગે છે કે જિંદગી એક ઉત્સવ છે..ઉજવણી છે.. આવો આપણે સહુ જીવન ને ઉત્સવ ની જેમ જીવંત બની ઉજવીએ-જીવીએ..જીવન નો પ્રવાસ ભગ્ન હૈયે નહિ પણ મગ્ન હૈયે જીવવા પ્રયાસ કરીએ...

જિંદગી ક્યાંક ખારી લાગે, તૂરી લાગે પણ અંતે તો જો કોઈ માધુરી મળે તો અધૂરી છતાં ય મધુરી બની જાય છે ને? બસ મિત્રો, વાંધો પડે ત્યાં સાંધો ને સિવતાં શીખો ને શાણા બની જીવતાં ય શીખો..મન ભરી ને જીવીએ, મનમાં ભરીને નહિ એ જીવન મંત્ર સાથે આવો જીવંત બની જીવન ને વસંત બનાવીએ..

કોણ જવાબદાર?વ્યક્તિ કે વસ્તુ..?****************આજકાલ સ્વામી શુધ્ધાનંદજીએ ઓકલેન્ડની ધરતી પર વ્યક્ત કરેલ વિદવતાપૂર્ણ વ્યાખ...
09/10/2024

કોણ જવાબદાર?
વ્યક્તિ કે વસ્તુ..?
****************
આજકાલ સ્વામી શુધ્ધાનંદજીએ ઓકલેન્ડની ધરતી પર વ્યક્ત કરેલ વિદવતાપૂર્ણ વ્યાખ્યાનોનો સંકલિત સંગ્રહ Conscious living વાંચી રહ્યો છું. પ્રત્યેક વિચાર મનના અવાવરુ ખૂણાને સ્પર્શી રહ્યા છે. બંધ દિમાગના દરવાજા ખુલી રહ્યા છે.

મૂળ વિચાર એકજ કે કોઈપણ વિપત્તી -આપત્તી કે પરિસ્થિતિના નિર્માણ માટે જવાબદાર કોણ? કર્તા કે કર્મ? વ્યક્તિ જવાબદાર કે વિચાર જવાબદાર? વ્યક્તિ જવાબદાર કે વસ્તુ જવાબદાર?

આ પ્રશ્નો કે દ્વિધાને વિસ્તૃત રીતે સમજીએ. કોઈ એક ઘરનો મુખીયો દારૂડિયો છે. ઘર એનું તબાહ થાય છે. કોણ જવાબદાર? દારૂ કે દારૂડિયો? એક મોંઘીદાટ કારનો ડ્રાઈવર અકસ્માત કરે છે. એક નવલોહીયો અડફેટે ચડે છે. કોણ જવાબદાર ગાડી કે કારનો બેદરકાર ડ્રાંઇવર? સોની બજારમાંથી પસાર થતી સ્ત્રી શોરૂમમાં સજાવેલ સુવર્ણ અલંકાર જોઈ શોરૂમ માં ઘૂસે છે. કોણ જવાબદાર શોરૂમનુ ઝગમગતું સોનુ કે સોનાથી મોહિત સ્ત્રી સ્વયં. સાડીના સુંદર શોરૂમ જોઈ ખરીદીની લાલચમાં શોરૂમમાં પ્રવેશતી સ્ત્રી જવાબદાર કે સુંદર સાડીઓ જવાબદાર ગણવી?

એક અંતિમ અને આતંકી સવાલ..મુંબઈના બૉમ્બ ધડાકામા કોણ જવાબદાર? આતંકવાદી જવાબદાર કે બૉમ્બને જવાબદાર ગણવો? ફરી ફરી એજ પૂનરોચ્ચાર કે કોણ જવાબદાર? વ્યક્તિ કે વસ્તુ..? Who is responsible? Subject or object.?

હવે રસપ્રદ વિચારોમા આગળ વધીએ. કોઈપણ કર્મ માટે કર્તાને જવાબદાર ગણવો? કેવી રીતે જવાબદાર ગણાય? ખરેખર વસ્તુને જવાબદાર ન ગણાય? હકીકતમાં, વ્યક્તિ પોતેજ જવાબદાર છે. બૉમ્બ નહીં પણ આતંકવાદી જવાબદાર છે. વાહન નહીં બેદરકાર ડ્રાઈવર જવાબદાર છે દારૂ નહીં દારૂડિયો જ જવાબદાર છે. શો રૂમ નહીં ત્યાં જનાર સ્ત્રી જવાબદાર છે..

મને લાગે છે કે આ અંગે સર્વ સંમતિ જ હોઈ શકે. મતલબ સ્પષ્ટ છે કે object is never problem.. Subject is always problem. બરાબરને?

ખરેખર તો વ્યક્તિ પણ જવાબદાર નથી. વસ્તુ પણ જવાબદાર નથી. જવાબદાર તો છે આપણું મન. જવાબદાર છે વ્યક્તિનું મન. મનમાં જેવા વિચારનું બીજ રોપાય એવા છોડનું સર્જન થાય. જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. જેની વૃત્તિ સારી હોય એની પ્રવૃત્તિ સારી જ હોય..

હવે મનની જ એકલાની જવાબદારી? ના , એકલું મન જવાબદાર નથી જ નથી. અંતે જે આખરી જવાબદાર છે તે વ્યક્તિ નહીં, વસ્તુ નહીં, વ્યક્તિનું મન નહીં પણ વ્યક્તિના મનમાં રહેલ વિચાર જવાબદાર છે. વ્યક્તિની વિચારસરણી જવાબદાર છે. કાતિલ વિચારો માણસને કાતિલ બનાવે છે. ઉમદા વિચારો વ્યક્તિને ઉમદા બનાવે છે ભ્રષ્ટ વિચાર વ્યક્તિને ભ્રષ્ટ બનાવે છે અને દૃષ્ટ વિચાર વ્યક્તિને દૃષ્ટ બનાવે છે. હલકા વિચાર મનમાં ભરીને જીવો તો હલકાઈ જ મળે.

વ્યક્તિ તો માત્ર રિવોલ્વર છે. કાર્ટિઝ એ વસ્તુ છે. વ્યક્તિ માત્ર કાર છે પેટ્રોલ એ વસ્તુ છે. પણ વસ્તુ નહીં,વ્યક્તિ નહીં, મન નહીં અલ્બત્ત મનમાં રહેલા વિચારો આપણને દોરે છે, પ્રેરે છે. આપણા વિચારો આપણી જાતનું ડ્રાઇવિંગ કરે છે. જરૂરી છે એ વિચારો ને નિયંત્રિત કરવાની. જો તમે તમારા મનમાં ઉઠતા ખરાબ વિચારોને નિયંત્રિત કરી શકો તો તમે દુષકૃત્ય થી બચી શકશો. જો ખરાબ વિચારો તમને જ નિયંત્રિત કરશે તો તમે દુષકૃત્ય કરવા પ્રેરાશો..

યાદ રાખો તમે તમારા મનના માલિક બનો ગુલામ નહીં. તમારા વિચારોના માલિક બનો, બિચારા નહીં. વ્યક્તિના શરીરને કોઈ જબરજસ્તી સ્પર્શી જાય તો ધક્કો વાગે પણ કોઈના મનને જો જકડી જાય તો ઝાટકો વાગી જાય. શરીર ખોખું છે ચિત્ત એ ચોરખાનું છે. વિચારો એ ચિત્તનું શસ્ત્રભંડાર છે..

માટે સાવધાન દોસ્તો. સજ્જનો અને સુવિચારોને જ તમારા મન સુધી પ્રવેશવા દો. દુર્જનો અને દુર્વિચારો ને મારા મનમાં પ્રવેશવાની સખ્ત મનાઈ છે એવુ બોર્ડ આજે જ મારી દો..

જીવો તો જીવન છેભોગવો તો ભુવન છે..ભટકો તો વન છે જીવન..◆◆◆◆◆◆◆◆◆◆◆◆સગર્ભાવસ્થાથી શરુઆત થતી અને સ્મશાન સ્થળે અંતિત થતી શ્વા...
06/10/2024

જીવો તો જીવન છે
ભોગવો તો ભુવન છે..
ભટકો તો વન છે જીવન..
◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સગર્ભાવસ્થાથી શરુઆત થતી અને સ્મશાન સ્થળે અંતિત થતી શ્વાસ સભર સફરને આપણે જિંદગી કહીએ છીએ. જિંદગી જો જીવો તો દિવ્ય જીવન છે અને ભટકો તો વેરાન વન છે . જો ભોગવો તો ભવ્ય ભુવન છે ને સમજો તો ગહન જ્ઞાન છે આ જિંદગી..

મિત્રો જિંદગી વિશે જેટલું લખાય એટલું ઓછું હોય પણ આજે હું જિંદગીને આપણા ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો અને અદાકારોએ કઈ દ્રષ્ટિએ આલેખી છે એની રસપ્રદ ને રોચક ચર્ચા કરવા ચાહું છું.

1970 ના અરસામાં નવા સવા નિશાળીયા જેવા અભિનેતા અમિતાભની આનંદ ફિલ્મનું મન્નાડેના અવાજમાં ગુંજેલું એક ગીત હતું..

"જિંદગી કૈસી હૈ યે પહેલી..
કભી હસાયે તો કભી રુલાયે.."

અહીં જિંદગી ને કોયડો ગણ્યો છે.. ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી જિંદગી ને સમજવી સહેલી નથી . સપના સજાવવાને સાકાર કરવા સવારથી સાંજ સુધી ભાગવું, સાકારના થાય તો ભાંગી પડવું, ઘરના સજાવીએ માળા, સગા સ્નેહીઓના મળે મેળા, સુખ દુઃખમાં સાથે હળ્યામળ્યાને મેળ ના પડે ત્યાં છૂટી જવાય સવેળા..

1972 માં રિલીઝ થયેલી, જોરશોર મચાવતી શોર ફિલ્મનું એ મશહુર ગીત યાદ આવે છે..

"જિંદગી એક પ્યાર કા નગમા હૈ...
તેરી મેરી કહાની હૈ....."

આ ગીત પ્યાર મહોબતની કહાની ને જિંદગાની સમજે છે.મસ્તીનાં ઉછળતા મોજાં જેમ જીવાતી જિંદગી..

1960 માં બિંદીયા ફિલ્મ બનેલી જેમાં મોહમમદ રફી ના અવાજમાં એક ગીત હતું કે...

"મૈં અપને આપસે ગબરા ગયા હું..
અય જિંદગી મુજે દીવાના બના દે.."

ક્યારેક નીંદ માં સ્વપ્નશીલ દેખાતી જિંદગી ધોળે દહાડે જાત ને ગભરાવી, ધમરોળી નાખે છે એ હકીકત છે. 1975 માં આવેલી ફિલ્મ આપકી કસમ માં ગીત હતું કે...

"જિંદગી હૈ એક સુહાના સફર...."

તો આજ અરસા માં મિલી ફિલ્મ આવેલી જેમાં કિશોર કુમાર ના કંઠે ગવાયેલા ગીત ના શબ્દો હતા..

"બડી સુની સુની હૈ યે જિંદગી... "

તો આંધી ફિલ્મ માં યુગલ ગીત ના શબ્દોમાં હતા કે..

" તેરે બિના જિંદગી સે કોઈ સિકવા નહિ..."

1971 માં આવી હતી પિયા કા ઘર ફિલ્મ જેમાં કિશોરકુમાર ગાય છે કે...

"યે જીવન હૈ... યહી હૈ જીવન કે રૂપ રંગ.."
બીજું જ એવું કિશોર ના
સ્વરે શોભતા ગીત ના શબ્દો હતા..

"જિંદગી એક સફર હૈ સુહાના..
યહાં કલ કયા હૈ કિસને જાના.."

1965 માં રિલીઝ થયેલી એક ફિલ્મ 'પૂર્ણિમા' હતી જેમાં લતાજી એ ગીત ગાયેલું હતું..ગીત નો સાર એજ કે જિંદગી માં કોઈ પંખ છે તો કોઈ પરવાઝ છે..1963 માં આવેલું પિકચર હતું..' યે રાસ્તે હૈ પ્યાર કે..' જેમાં કહ્યું છે કે જિંદગી એ ખુશીઓ થી ઝૂમતી છે તો તનહાઈઓ વચ્ચે ગુજરતી પણ જીંદગી છે.

1953 માં જગજીત કૌર નું એક ગીત ગવાયેલું હતું જેનો અર્થ હતો કે જો કોઈ ને અફસાના, કોઈ ને પરવાના, કોઈને દીવાના તો કોઈ ને નજરાના મળી જાય તો જિંદગી રંગીન બની જાય નહીં તો ગમગીન રહી જાય છે. 1953 માં આવેલી અનારકલી ફિલ્મ આપણને કહી જાય છે કે..

"યે જિંદગી ઉસીકી હૈ..
જો કિસીકા હો ગયા.."

જિંદગી માં એક વાર કોઈ ના થઇ ગયા પછી જિંદગી ખીલે છે પુરબહાર..આજ વાત શિકસ્ત ફિલ્મ દોહરાવે છે..એનું એક સમૂહ ગાન છે કે..

" નઈ જિંદગી મેં પ્યાર કરકે દેખ..
ઇસ કે રૂપ કા ઇઝહર કરકે દેખ.."

ક્યારેક જિંદગી માં એવું બને કે હાથ ના કર્યા હૈયે વાગે છે. સન ઓફ ઇન્ડિયા ફિલ્મ નું રફી સાહેબ ના સુર માં ગવાયેલું એક ગીત આજ વાત કરે છે..

"જિંદગી મેં આજ મેરે નામ સે શરમ આતી હૈ..
ખુદ કી હાલત દેખ અપને આપ પે હંસી આતી હૈ...."

મશહૂર ફિલ્મ કોરા કાગજ નું ગીત કોણે નથી સાંભળ્યું..?

"મેરા જીવન કોરા કાગજ કોરા હી રહ ગયા..."

જિંદગી ના વિષય ને લઈ ને ગવાયેલ ફિલ્મી ગીતો નો અહીં માત્ર સંક્ષિપ્ત ઉલ્લેખ આપ સહુ ની સાથે ક્ષણિક આનંદ વહેંચવા કર્યો છે દોસ્તો પણ આ ગીત ભુલતા નહિ કે ...

જિંદગી એક કટી પતંગ હૈ..

હા , દોસ્તો એક વાત ચોક્કસ છે કે જિંદગી જીવવા માટે ને જીતવા માટે તમારે સિકંદર બનવું જ પડશે. મુકંદર કા સિકંદર સાબિત થવું જ પડશે.. જિંદગી માં જીતા વહી સિકંદર..મુકંદર ખોઈ બેઠા, જિંદગી હારી બેઠા તો હરિ હરિ..
ઉદાસ થઈ બની જશો જો દેવદાસ તો કાંકરિયા ની પાળે બેસી એક વાર મુકંદર કા સિકંદર પિકચર ના ગીત ની નીચેની કંડીકાઓ કંઠસ્થ કરી જરા જોરશોર થી લલકારી ન લેતા કે...

" જિંદગી તો બેવફા હૈ એક દિ ઠુકરાયેગી..
મૌત તો મેહબુબા હૈ સાથ અપને લે જાયેગી..".

ના દોસ્તો ના..એવું ના થાય હો..

જિંદગી હૈ પલ દો પલ...ઇસે ખોના નહીં..રોના નહીં, માયુસ હોના નહિ...અને હા દોસ્તો એક ગીત નો સંદેશો છે કે.

"દુનિયા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા..
જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા.."

અંતે તો દોસ્તો, જીવન હૈ ચલતી કા નામ ગાડી...ચલતે રહો, ચલતે રહો સુબહ સે શામ તક....
જિંદગ ની સાંજ ઢળે ત્યાં સુધી....

( તા. ક.- નીચેની તસ્વીર સીઓલ શહેરની સીન નદી પરના રિવર ફ્રન્ટની યાદગીરી છે)

હું  નામે એક રાજુ..બનું મજાનું મસ્ત મોજું..********************પ્રેમ અને મૈત્રી એટલે,જ્યાં કોઈ જ છળ નથી તે હ્ર્દયસ્થળ. જ...
02/10/2024

હું નામે એક રાજુ..
બનું મજાનું મસ્ત મોજું..
********************

પ્રેમ અને મૈત્રી એટલે,
જ્યાં કોઈ જ છળ નથી તે હ્ર્દયસ્થળ. જ્યાં સ્નેહનું નિર્મળ જળ છે છતાં કોઈ વ્હેમનું વમળ નથી એ હ્ર્દયસ્થળ.જ્યાં છલોછલ છલકાતી લાગણી ઉછળકૂદ કરતી હોય એ હ્ર્દયકુંડ. જ્યાં થીજેલી લાગણીઓના બરફ જામે છે અને એકમેકની ઉષ્માથી થીજેલી લાગણીઓ પ્રેમનો પવિત્ર પ્રવાહ બની એકમેકને ભીંજવે છે એ હ્ર્દયસ્થળ.

સ્નેહભર્યા છલોછલ સરોવરમાં ઉછળકૂદ કરવાની અદમ્ય ઈચ્છા થાય અને એકમેકના મનમાં કાયમી મુકામ કરવાની હોડ જામે છે એ જ ઇશ્ક છે જેનું બીજું નામ તે પ્રેમ..

પ્રેમ અને મિત્રતા એટલે બર્ફીલો હિમાલય,
જ્યાં હૈયાને અંગતની હૂંફ અને ઉષ્મા મળે એટલે
બરફ પીગળી ને બની જાય બસ,નસ નસ માં વહેતો લાગણી નો ધૂંઆધાર ધોધ..
ને લાગણીઓ ઘવાઈને જો થીજી જાય તો ફરી બની જાય એ જ જામેલો-થીજેલો બરફ.

એક કવિતામાં કહ્યું છે કે--

" થીજાવી દે તેવી આફતોની ટાઢમાં,
હૂંફ દેવાને ધગ ધગે જે જિંદગી"

જીવનમાં મિજાજી પ્રેમ નો બરફ ક્યારેક થીજી થઇ જાય ઘન સ્વરૂપ..

ક્યારેક ઓગળી ને ઓળ ધોળ થઇ થાય પ્રવાહી સ્વરૂપ...

ક્યારેક વિરહની વેદનામાં
ઉની ઉની આહ ભરતો પ્રેમ બની જાય છે વાયુ સ્વરૂપ...

દોસ્તો,
આ લખનાર ઋજુ હૃદયી રાજુની આરજુ તે કેવળ પ્રેમભાવ છે. સર્વભાવમાં શ્રેષ્ઠ પ્રેમભાવ મારો જન્મજાત સ્વભાવ છે.એક સૂફી શાયર ના શબ્દોમાં કહું તો..

"મેરા ફર્ઝ કયા હૈ
આહલે સિયાસત જાને.

મેરા પયગામ તો
પ્યાર હી હૈ જહાં તક પહુંચે"

હા, પ્રેમ એ મારી પ્રકૃતિ છે, પ્રેમ આપવો અને પ્રેમ પામવો એ મારો ઉચ્ચતમ ઉદ્દેશ અને શ્રેષ્ઠ સંદેશ છે.શાંતિ એ મારો સ્વભાવ છે દોસ્તો..

હું
નામે રાજુ-રાજુ

હું
પ્રેમ અને મસ્તી નું
બની જાઉં એક
જબરદસ્ત મોજું

ને

મંડરાઈ જાઉં આપની
આજુબાજુ..

**@રાજુ રાવલ

તક, તાકાત અને તકદીર*******************વિષય આમ તો એક આખું પુસ્તક લખાય એટલો મહાકાય છે. લાબું લચક લખાણ  વાચકને રોચક કે પાચક...
26/09/2024

તક, તાકાત અને તકદીર
*******************
વિષય આમ તો એક આખું પુસ્તક લખાય એટલો મહાકાય છે. લાબું લચક લખાણ વાચકને રોચક કે પાચક ન જ લાગે એટલે અહીં ટૂંકમાં વર્ણવું છું.

આપણા English Alphabets માં B અને D વચ્ચે એક અક્ષર આવે છે C..અહીં B એટલે કે Birth અને D એટલે કે Death.. પણ મિત્રો, Birth અને Deathની વચ્ચે આવતો C એટલે કે choice, chance,career,cash, credit.character, curriculm,competition,comparing, contempt વગેરે વગેરે.. બીજા અર્થમાં B એટલે જિંદગીની Begining થી D એટલે Destination સુધીની મંજિલમાં C ક્યારેક chances અને choice આપે છે તો ક્યારેક cheating અને crisisis આપે છે.

મૂળ વાત એજ કે જીવનમાં તકની પ્રાપ્તિ થતી રહે છે. પણ તક ઝડપી લેવાની તાકાત અને તૈયારી ન હોય તો તકદીરને દોષ દેવાનો અર્થ નથી. ઝાકળ તો પરોઢિયે ઉઠનાર ને દેખાય, સૂર્યવંશી ને નહિ.

ભાવિના ગર્ભમાં શુ છુપાયું છે એ કોને ખબર ? એક શિશુની સુક્ષ્મ આંખ આખું આસમાન જોવા સક્ષમ છે તો એજ આંખો સોનેરી સપના આંજવા કેમ સક્ષમ ન હોય? એક પંખીની નાનકડી પાંખ થકી આસમાનમાં ઉડવા સક્ષમ હોય તો આપણે પણ સંકલ્પોની પાંખ અને સ્વપ્નની આંખ થકી ઉચી ઉડાન કેમ ન ભરી શકાય? પડવાની બીકે દોડવાનું થોડું મુલતવી રહે? ખરેખર તો પડવાથી નહિ પણ પડ્યા રહેવાથી જ પતન થાય છે.

લોલક જેવું મન જીવનને લોકલ ગાડી જેવું બનાવે છે અને આપણે માત્ર એક ડબ્બા જેવા ડોબા સાબિત થઈએ છે. દ્વિધાયુક્ત મન જીવનમાં દ્વંધ્વ અને દુવિધા પેદા કરે છે દ્વિધા મનમાં હમેશ દ્વંધ્વ યુદ્ધ પેદા કરે છે. નેક નીતિ, સાફ નિયતને દ્રઢ નિર્ણયશક્તિ નવી જીવન દ્રષ્ટિ આપે છે.મન હોય તો માળવે જવાય. જાતને જોમ જુસ્સાથી જોતરવી જ પડે. કડી મહેનતથી કપરા સંજોગોની શિલાઓને કોતરવી જ પડે.

તમે કેટલા સશક્ત છો એની ખુદ પરીક્ષા લો.તમારી ક્યાં અને કેટલી નબળાઈ છે એનો ખુદ એક્સ રે કાઢો. તમારા આત્મા સાથે સાધો અનુસંધાન. તમારી શક્તિને કરો સતેજ.તમારી ક્ષતિઓને કરો ક્ષત-વિક્ષત. અને બનો સશક્ત. મનને કરો મજબૂત. તનને કરો તાકતવર. હણહણતા અશ્વ જેવા બનો દુર્બળ ખચ્ચર જેવા નહી. સરસ શબ્દોમાં કહેવાય છે કે,

"ખુદી કો કર બુલંદ ઇતના કે હર તદબીર સે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યાં હૈ ?"

અને જો જિંદગીમાં આટલું કરશો તો વિધાતા પણ તમારા ઉજ્જવળ ભાગ્યનો લેખ લખવા માટે અવશ્ય વિચાર કરશે.

મારા નવયુવાન દોસ્તોને મારે એટલું જ કહેવું છે કે જાવું જરૂર છે, મંઝિલ છો દૂર છે. સાચું કહું તો જીવનમાં તક અવશ્ય મળે જ છે પણ તકને તતસમય ઝડપી લેવાની તૈયારી હશે, તાકાત હશે તો તકદીરની લકીર તમારી હસ્તરેખામાં હાજરાહજૂર હશે જ. god always gives a Chance but choice is yours.

અંતમાં મારા નવયુવાન દોસ્તોનો હોંસલો વધારતો એક શેર ટાંકુ તો..

"જિંદગી કી અસલી ઉડાન અભી બાકી હૈ..
આપકે ઈરાદો કા ઈમ્તિહાન અભી બાકી હૈ..
અભી તો નાપી હૈ સિર્ફ મુઠ્ઠીભર જમીન મેરે દોસ્તો..
અભી તો ઉડને કે લીએ સારા આસમાન બાકી હૈ.."

®®® રાજુ રાવલ

24/09/2024

મન ભરીને જીવો..
મનમાં ભરીને નહિ..
◆◆◆◆◆◆◆◆◆

મન અને તન શરીર તંત્રના અગત્યના અવયવો છે. મન એ મારું માળિયું છે તો તન એ મારું તળિયું છે.તન એ જાણે મારી સ્થાવર મિલકત અને મન એ મારી જંગમ મિલકત. પળપળ આ ચંચળ મન મારી રોજિંદી પ્રવૃત્તિમાં ચંચૂપાત કરતું રહે છે.

મન આપણું એક વલોણું છે. નિયમિત વલોવાય પછી ક્યાંક નીપજે છે નવનીતને ક્યાંક વછૂટે છે ખાટી છાછ.

મનની ભૂમિ ફળદ્રુપ હોય તો ઝુલો તમે આંબાડાળ ને ઉજ્જડ હોય તો લટકો તમે બાવળ ડાળ. વિચારોનું પણ એવું જ છે. જો તમે ઉપવનમાં ઉભા છો તો વિચારો પણ ખુશનુમા આવશે અને ઉકરડે ઉભા છો તો વિચારો પણ દુર્ગંધયુક્ત આવશે.

એક મનમાં આવે છે કલ્પનાઓ અને સપનાઓ. એક મનમાં આવે છે વિધવિધ વિચારો, વિકારો ને ક્યારેક નવીન આવિષ્કારો. યોગ્ય વિચારને પોષક વૈચારિક આહાર મળેને એક કલ્પનાને કોઈ આકાર મળેતો એ એક વિશિષ્ટ આવિષ્કાર બની રહે છે.

ગ્રેહામ બેલના મનનો એક વિચાર ટેલિફોન બની જાય છે. આલ્ફ્રેડ નોબલના મનનો એક વિચાર અણુબોમ્બનો આવિષ્કાર બની રહે છે. અંતેતો દુનિયાની કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય, શ્રાવ્ય કે અશ્રાવ્ય વસ્તુનો વિચાર વ્યક્તિના મનની જ નીપજને ઉપજ છે ને..

માણસનું મન વિચાર શક્તિનું એક મહાકાય કારખાનું છે. નવરા અને નબળા માણસ માટે એ શક્તિનું કારખાનું નહિ પણ ભૂંડું ભારખાનું જ સમજવું.મન એ તનની અગાસીએ આવેલી ઓવરહેડ ટેંક છે. ટાંકીમાં શુદ્ધ પાણી હશે તો હૃદયમાં શુદ્ધ જળભાવ આવશે. ટાંકામાં ગંદુ પાણી વિચારોમાં અવશ્ય ગાંડપણ આણે છે.

મન એ પક્ષી છે તન એ પિંજર છે. આ પંખીને ભલે પાંજરે પૂરો પણ એની પાંખ ના કાપો.ક્યારેક ખુલ્લા આકાશમાં એને વિહાર કરવા દો.. ખૂબ જ આનંદ આવશે આપને. કેમ કે મનનો ભટકવાનો મૂળભૂત અધિકાર છે. ભટકતા ભ્રમર મન પર જેટલો અંકુશ એટલું જ જીવન સ્થિર છે.

હા, મન મુલાયમ છે એ નબળા મન પર જોર જુલમ ન થાય. એ ગુલાબી મન પર ગુલામી ન થાય. એ મજબૂત મન ને મારી મચકોડીને માંદલું ને માંહ્યકાંગલું ન બનાવાય. એ કોમળ મનને સાવ કહ્યાગરુ ય ના કરાય. હા, મનને મનાવવું પડે, સારથી બની સમજાવવું પડે જેમ કૃષ્ણ અર્જુન ને સમજાવે છે એમ જ..

એક વાત ચોક્કસ કહીશ કે મન પર કોઈ જાતની મનાઈ વહેલા મોડા તમને માંદલા બનાવશે. મનતો માંકડું છે મનના માળિયે ચડી કુદાકૂદ કરશે. એતો વાંદરૂ છે વિચારોની ડાળ ડાળ એ હુપાહુપ કરશે. મનના વનમાં કાંઈ કેટલાય મોરલાઓ કળા કરી જવાના. કારીગરી કરનારા મનને હળતા- મળતા રહેવાના..

મન વિશેની વાત સમાપ્ત કરતાં પહેલાં એક ખાસ વાત. જીવનમાં મન ભેદ ભલે થાય પણ મતભેદ ના થાય એ જરૂરી છે. મનની આગળ ન શબ્દ મુકું તો શબ્દ નમન બનશે. જો મનની પાછળ ન શબ્દ મુકું તો મનન શબ્દ બનશે.. મન --નમન--મનન.. સાચા અને સારા મન મનુષ્ય ને આવો નમન કરીએ અને વિચાર વિકાર વાળી વેળાએ મનન કરતા થઈએ..

હા- દોસ્તો, એટલે જ કહું છું કે:--

આવ ને રાજુ,

મનમાંથી ખાર ભાગે,
મન માં થી વેર ભાગે,
મનમાં જ પ્યાર જાગે...!

આવ ને રાજુ,

એકમેકના મનના
વેર મિટાવી
પ્યાર કરતા રહીએ..

આવ ને રાજુ,

મનમાં ભરીને નહિ
પણ
મન ભરીને જીવીએ...

આવ ને રાજુ,

આપણાં મનનાં
બારી-બારણાં ઉઘાડાં રાખી

એકબીજાને ડંખતા નહિ
પણ
ઝંખતા જીવીએ..

®®®રાજુ રાવલ

પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

22/09/2024

વય નહિ લય જોઈએ
******************
આજ પ્રભાતમાં વાત વાતમાં મારી ધર્મપત્નીએ મારી જાતને પ્રશ્ન પૂછ્યો કે પ્રેમમાં વય જોવાય કે લય જોવાય.? મારો અંગત મત છે કે વધતી વય વચ્ચે જો જીવનનો લય જળવાય તો જરૂર હોંશેહોંશે જીવાય.

જીવનમાં વધતી વય સાથે જીવવાનો લય જળવાય એ જરૂરી છે. જીજીવિષા જીવંત હોયએ જરૂરી છે. ખ્વાહિશ ખોરવાય એ ના ચાલે, વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ પછી જીવનમાં પાનખરની ઉદાસ વૃત્તિ આવે એ ના પાલવે. વધતી વયની સાથ સાથ સ્વયં નો શોખનો શંખનાદ નસ નસ માં ફૂંકાતો રહેવો જ જોઈએ

પ્રેમમાં વય નહિ લય જોવાય. પ્રેમ એ લિટર, મીટર કે કિલોમીટરમાં ન મપાય. ઉંમરલાયક યુગલોની પ્રેમગોષ્ઠિ એમના વૃદ્ધત્વનો અમીરસ છે. એ ઉંમરે મનના આવેગ નહિ પણ હૂંફ મનના ઉદ્વેગને મારી હટાવે છે. વધતી વયમાં પરસ્પર સાથ, સંગાથ અને એકબીજા ના હાથની જરૂર વર્તાય છે.

ઘડપણમાં લાકડીના ટેકાની સાથે જો લાગણીનો ટેકો મળી જાય તો એ વડીલો ટકી રહે છે.

ક્યારેક ક્યારેક કોઈ વડીલો વૃધ્ધત્વ માં પણ જે રીતે પરસ્પર ને પ્રેમ અને આદર આપે છે એ જોઈ મને કવિશ્રી સુરેશ દલાલની નીચેની મજાની પંક્તિઓ યાદ આવી જાય છે..

કમાલ કરે છે, કમાલ કરે છે..

એક ડોસી ડોસાને હજુય વ્હાલ કરે છે..

વયની વૃદ્ધિ સાથે લયની સમૃદ્ધિ જાળવી રાખનાર સહુ કોઈ વડીલોને મારુ હુંફાળું વ્હાલ મુબારક.
વૃદ્ધ બનો પણ શરીરથી સમૃદ્ધ બનો એજ શુભેચ્છાઓ.

સાથે છેલ્લે એક શેર પ્રસ્તુત કરી સમાપન કરું છું.

"કૌન કહતા હૈ કી
બુઢે ઇશ્ક નહિ કરતે..

વો ભી કરતે હૈ બેશક,
મગર કોઈ શક નહિ કરતા"..😊

પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

20/09/2024

એક ટહુકાની તરસ...
****************
જિંદગીમાં સહુને સરસની જ તરસ હોય છે. કોઈને કોયલના પ્રેમ ટહુકાની તરસ છે તો કોઈને ખણ ખણ ખણતા પૈસાની તરસ છે. કોઈને પદની પડી છે તો કોઈને પ્રતિષ્ઠામાં જ પોતાની આસ્થા સ્થાપિત કરવી છે.

માણસ માત્રને પદ, પૈસો, પ્રેમ, પ્રતિષ્ઠા અને પરિવારની માયા છે. હા, ક્યાંક કોઈની પ્રતિશોધની તરસ છીપાતી નથી.

કોઈને કોઈના સુગંધિત શ્વાસમાં સમાઈ જવું છે તો કોઈને કોઈના સહવાસમાં જ અજવાસ શોધવો છે. ક્યાંક કોઈના શ્વાસમાં વેદનાની વાસ સન્યાસનો ક્ષણિક આભાસ ઉભો કરે છે. જીવનના રસને ભરી પીવા માટે ભૌતિકતાની ભૂખ અને પ્રેમરસની તરસ જરૂરી છે.

કોઈના જીવનમાં સુખદ ક્ષણો સરસ રીતે વરસ ભર વરસ વરસ કરે છે. તો કોઈના જીવનમાં દુઃખના માવઠાનું આધિપત્ય અણનમ રહે છે.
જીવનની સૂકી બંજર ભૂમિ પર વરસતી વાદળીનું વરસવું જરૂરી છે. રણને પણ હરિયાળીની તરસ લાગે જ. સૂકી ભઠ નદીને પણ ક્યારેક કોઈ હોડીના હલેસાની તરસ લાગે જ.

જીવનમાં જીવંતની વસંતને પામવા સરસની તરસ અનિવાર્ય છે. ક્યારેક જિંદગીને કહેવાનું મન થાય છે કે..

"અય જિંદગી,
હજુ એકવાર થાપ આપી દે,
તૂટેલા સાઝ ને
સંગીત તું આપી દે
પ્રથમ આપી દે
સાગર નું વિશાળ દિલ
પછી ભલે
દર્દ બેસુમાર તું આપી દે.."

®®® રાજુ રાવલ

પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

18/09/2024

સાગર અને શશી
●●●●●●●●●●

શાંત સાગર મને ગમે છે. સૂરીલો સૂર મને ગમે છે, સલૂણી સંધ્યા મને ગમે છે. શીતળ શશી મને ગમે છે અને સરળ શૈશવ મને ગમે છે.

સાગરની અગાધ ગહરાઇ મને ઘણી ગમે છે. શ્યામ શ્વેત શશી મને કાયમ ગમે છે. શશીનું શીતળ તેજ બહુ જ ગમે છે. મને શૈશવનો નિર્દોષ વૈભવ ઘણો ગમે છે.

સાગર અને શશી આજીવન મારા રસના સરસ વિષયો રહ્યા છે. સાગર હોય કે શશી હોય એ હંમેશા મને સદાબહાર લાગ્યા છે . સાગરની શોભતી જળસપાટી અને આંખોને આકર્ષતી એની રમણીય ચોપાટી મને મનભરી માણવી ગમે છે.

સાગર શીખવે છે કે, જીવનમાં ભરતી અને ઓટ આવે પણ પાનખરની ઉદાસ વૃત્તિ ના પાલવે. શશી પણ મને શીખવે છે કે જીવનમાં વદ અને સુદ તો આવે જ. અંધારિયા હોય કે અજવાળીયાં હોય પણ આંખોમાં ઝળઝળિયાં ના ચાલે.વય ભલે વધે પણ લયનો વિલય થાય એ ના ચાલે. ખ્વાહિશ ખોટકાય એ ખોટ નો ધંધો ના ચાલે..

સાગર વિશાળ છે, ધીર છે,ગંભીર છે.શાંત છે, પ્રશાંત છે અને રોજનો ઘૂઘવાટ હોવા છતાં રઘવાટ નથી. રુમઝુમ રુમઝુમ નાચતું નાનું ઝરણું એક દિન નદી કન્યા બની પોતાના સુહાગ સાગરમાં એકરસ થઈ સમાઈ જાય છે. સાગર સશક્ત હોવા છતાં ય એના કિનારાની મર્યાદાનું એ ક્યારેય ઉલ્લંઘન નથી કરતો. એ પણ મારી તમારી જેમ વિરહ માં વ્યાકુળ બને છે. પૂનમ ના ચાંદને પામવા પાગલ થાય છે ત્યારે તે કિનારે પડેલા કાળમીંઢ પથ્થરો પર પોતાનું માથું પછાડતો પીડા પામે છે..!

સાચ્ચે જ દોસ્તો....

સાગર થવાનું શમણું મને ઘણું ..!
પણ સાગર ન થવાયું તો શું થયું..?

સાગર નહિ તો એક ગાગર થઈ
કોઈ તરસ્યા કંઠ ની તૃષા છીપાવું તોય ઘણું ..!!

પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

16/09/2024

હૈયું મારું હિમાલય
●●●●●●●●●●●●
હા, માનો તો હું હિમાલય છું. મન મારું મહાલય છે. હૈયું મારૂં હિમશિખર છે , કે જ્યાંથી લાગણીની હિમશિલાઓ ઓગળતી, નિગળતીને પીગળતી પવિત્ર પ્રેમ ગંગા બનીને મારે રૂંવે રૂંવે વહે છે.

મારા ઉર પ્રદેશમાં ઉર્મિઓને ઉગતી, પાંગરતી, પ્રફુલ્લિત થતી મેં જોઈ છે. ઉરમાં ઉઠતી ઉર્મિઓને મેં ખીલતી, ખૂલતી ને ખુશ્બુ દઈને ખરી પડતી જીવનમાં જોઈ છે. મારા દિલના તોફાની દરિયે મસ્ત મજાના મસ્તી કરતાં મોજાં મેં જોયા છે. ક્યારેક ચાંદની મધરાતે સાહિલની કાળમીંઢ શિલાઓ ઉપર મદહોશ બની મસ્તક પટકતી મોજાં જેવી જવાન ઝંખનાઓને ઝુરતી મેં નજરે જોઈ છે.

મારી આંખોના આકાશમાં આંકાક્ષાની રાણીઓને ઝૂમતી મેં જોઈ છે તો ઉદાસીને દાસી જેમ ઝુરતી પણ મેં જોઇ છે. મારી આકાશી આંખે ક્યારેક તરસતી, ક્યારેક વરસતી, ક્યારેક મારી પાંપણના તટ પ્રદેશ પર વહેતી અશ્રુધારાના મૂળમાં રહેલું શૂળ મેં મારા હૈયે વળની જેમ વળગતું ય જોયું છે.

હા, હું છું હિમાચ્છાદિત હિમાલય. જો હું થીજી જાઉં તો બરફ બની જાઉં છું .બરફ બનું એટલે ના બોલું એક હરફ. ગ્રીષ્મની ઉની ઉની ઉષ્માના સ્પર્શથી પીગળીને હું બની જાઉં છું પવિત્ર ગંગાનું નિર્મળ જળ..

થીજી જાઉં હું તો હિમાલયનો બરફ અને ઓગળી જાઉં હું ત્યાં ગંગાજળ.

હા દોસ્તો હું હિમાલય, પવિત્ર પ્રેમ ગંગા જ્યાં વહે..!!

હા, હું છું હિમાલય, જ્યાં વાદળીઓ આવી વ્હાલ પણ કરે ને વ્હાલ ની વર્ષા પણ કરે છે. મારા હિમાલયથી હેતની હિમશિલાઓ ધસી પડી છે તો ક્યાંક લાગણીઓનું ભૂસ્ખલન થતું જોયુ છે .ક્યાંક પવિત્ર ગંગામાં પાદ પ્રક્ષાલનનો લાખેણો લહાવો ય લીધો છે...

હા, હું છું એક હિમાલય.મન મારું મહાલયને હૈયું મારુ હિમશિલા...પવિત્ર પ્રેમ ગંગા જ્યાં વહે...!!!

®®®રાજુ રાવલ

પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

12/09/2024

નેહનો વરસે મેહ
°°°°°°°°°°°°°°°°°°
જીવ માત્ર કોઈની નયનમાં નેહનો મેહ ઝંખે છે. સર્વ સજીવોને સ્નેહની આશ અને પ્રેમની પ્યાસ હોય છે. પ્રત્યેક પાત્ર પ્રેમની પ્રાપ્તિ માટે તડપે છે. કોઈ જીવ એની જાનકીને ઝાંકે છે ને ઝંખે છે. કોઈ દિલ એની દ્રૌપદી માટે દ્રવે ને દુભે છે. તો કોઈનું મન એની મંથરા માટે મથે છે ને મરે છે
જેની નસ નસમાં સ્નેહ રસ છલકાય છે તે નસીબદાર છે. જેની જીવનભૂમિમાં સ્નેહનો મેહ વરસી પડે એ નસીબદાર છે. અલબત્ત કોઈ કમનસીબને માથે મેહ નહિ પણ નઠારા માવઠા મંડરાતા હોય છે. જીવનમાં પ્રેમની પ્રાપ્તિ , પ્રેમની તૃપ્તિ,પ્રેમની સંતૃપ્તિ સાચું સુખ પ્રદાન કરે છે.

આપણી સમૃદ્ધ સંસ્કૃત ભાષામાં એક સુંદર શ્લોક છે.

*दर्शने स्पर्शणे वापि श्रवणे भाषणेऽपि वा।*

*यत्र द्रवत्यन्तरङ्गं स स्नेह इति कथ्यते॥*

મતલબ કોઈને જોવાથી, કોઈને સ્પર્શ કરવાથી, કોઈની વાતના શ્રવણ થકી કે કોઈની સાથે વાત કરવાથી જો તમારું મન હળવું થાય કે તમારું દિલ દ્રવી ઉઠે તો સમજો કે એ સાચો સ્નેહ છે. એજ સાચો પ્રેમ છે.

મારી આંખ એ મારા સશક્ત શરીરની અગાસી છે. હૃદય એ મારું લાગણીઓ ભરવાનું ભોંયરૂ ઉર્ફે ભંડાર છે. જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. પ્રેમનો અભાવ એટલે ક્રૂરતા અને કઠોરતા.જ્યાં સ્નેહ છે ત્યાં હોઠો પર સ્મિત છે. જ્યાં સ્નેહનો અભાવ ત્યાં સ્વાર્થ ડોકિયાં કરે છે અને ઘૃણા ઘુરકિયા કરે છે.

પ્રેમ અને મોહબ્બતની વાત નીકળી છે તો એક હળવા મિજાજની આડવાત.
આજકાલ મેલેરિયા ઘટ્યો છે પણ લવેરિયા વધ્યો છે.આજકાલની ઉછળતી યુવાનીના મગજમાં જાણે તાકાત અને હાથમાં બુદ્ધિ આવી ગઈ છે. આજના ડિજિટલ યુગમાં કોઈ યુગલ ઑન લાઇન પોતાની મહેબૂબા ને મળવા મુંબઇ દોડી જાય. પોતાની પ્રેયસીને મળવા પેરિસ પહોંચી જાય. પોતાની દિલરૂબાને મળવા દિલ દિલ્હી દોડી જાય..!!

આમ જ, સવાર સવારમાં એક નવજવાન નિરાશ સુર ને સ્વરમાં પોતાની પ્રિયતમાને એક પંક્તિ સંભળાવી રહ્યો હતો...

"મૈને પ્યાર કિયા તુજે અબલા સમજકે,
ઔર તેરે બાપને પીટા મુજે તબલા સમજકે"..😜

અલબત્ત મારા મનની વાત જગજાહેર કરું તો..

મિત્રો,હું દિલથી માનું છું અને સહુને સ્નેહની મધ મીઠી ગોળી ગળી મનાવવા માંગુ છું કે મેં આયખાભર મારે આંગણે સબંધોના સુગંધી છોડવા વાવ્યા છે. જેમાંથી આજ અનેક પ્રેમપુષ્પો મહેંકી રહ્યા છે. મેં બાંધેલા સબંધના બંધ અને અનુબંધ અખંડ રહે એજ અભ્યર્થનાસહ નીચેની પંક્તિ ટાંકી મારી વાત સમાપ્ત કરું તો,

"સ્નેહનો સબંધ એજ છે
સાચો સેતુ..
બાકી તો બધેય છે
રાહુ ને કેતુ...

®®®રાજુ રાવલ

પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

09/09/2024

હું એટલે who ?
●●●●●●●●●●●

ખરેખર, આ પ્રશ્નનો પ્રતિઉત્તર શુ હોઈ શકે? હું એટલે કોણ? હું એટલે હુ (who)? આ સવાલ નો જવાબ બાયોલોઝીકલ હોઈ શકે. સ્પિરિચ્યુઅલ હોઈ શકે. ફિલોસોફીકલ હોઈ શકે. પ્રશ્ન એક પણ પ્રત્યુત્તર અનેક હોઈ શકે છે.

એક ઇન્સાન ના નાતે, સીધા અર્થ માં કહું તો હું એટલે રાજુ. હું એટલે સરકાર માં કોઈક પદસ્થ અધિકારી. હું એટલે એક પિતાનો પુત્ર. હું એટલે એક પુત્રનો પિતા. હું એટલે એક સ્ત્રીનો પતિ. હું એટલે કોઈકનો મિત્ર. હું એટલે કદાચ કોઈનો દુશમન. હું એટલે એક મનુષ્ય. હું એટલે એક સામાજિક પ્રાણી પણ ખરો.

વિજ્ઞાન કહે છે કે હું શરીર છું. હાડ-માંસ ને ચામડી નો બનેલો દેહ છું. આધ્યાત્મ કહે છે કે હું અમર અને અવિનાશી આત્મા ને પરમાત્મા નો અંશ છું. મૃત્યુ સમયે આત્મા ખોળિયું બદલે છે.તત્વજ્ઞાની કહે છે કે તમારા હું ને ઓળખો. હું માં અહમ ભર્યો હોય છે. સાધક એમ કહે છે કે હું એ માત્ર માયા ને મૃગજળ જ છે.
સમાજ માં સહુ એમ કહેશે કે , હું તો ડોક્ટર છું, હું તો વકીલ છું, હું તો બિલ્ડર છું.

એક અક્ષર ના 'હું ' શબ્દ પર કોઈપણ સાક્ષર કે નિરક્ષર પણ ઘણું બધું સમજતો હોય છે ને બીજા કોઈ ને સમજાવી જતો હોય છે. પણ હું એટલે who? હું તો એમ જ કહીશ કે હું એટલે રાજુ ઉર્ફે રાજીયો ઉર્ફે રાજેન્દ્રકુમાર કુમાર રામશંકર રાવલ જ છું.

હું હાડ માંસ નો બનેલો પામર મનુષ્ય છું જેનો નાશ નિશ્ચિત છે મોત નો મુકામ લલાટે લખાયેલો જ છે. હું કોઈ જ આત્મા નથી આત્મા કે પરમાત્મા નો અંશ નથી, અવિનાશી નથી. હું કોઈ હોદા ના હિલોળે હિંચવા વાળો નથી. હોદ્દા નો ફુગ્ગો હવા માં ગમે તેટલો ઉંચે ઉડે, અંતે એ ફુગ્ગો ફૂટ્યા વિના રહેવાનો નથી.હું એટલે મારામાં જીવ છે ત્યાં સુધી સજીવ ને જીવ જાય એટલે નિર્જીવ. મોત નું માતમ ને જીવન ખતમ. અંતે તો શાયર પાલનપુરી ના શબ્દોમાં માં સ્વીકારવું રહ્યું કે, જળ માં થી આંગળી નીકળે ને જગા પુરાઈ જાય એમ આપણે પણ ભુલાઈ જવાના..

હું એટલે અહમ એ પણ મારી દ્રષ્ટિએ મોટો ભ્રમ છે.સમય હરદમ આપણામાં ઠાંસી ઠાંસી ને દમ અને ગમ ભરે છે.ક્યારેક આ હું ની ખાંસી ઉપડે છે ક્યારેક આ હું ની હાંસી પણ ઉડે છે. I is always capital જ રહેવાનો. અલબત્ત 'હું કોણ'? એ જાણવા સારું 'તું કોણ?'એ સવાલ પૂછવો જોઈએ અને એજ આપણને સાચો અરીસો બતાવશે.

એક આખરી વાત.. હું એટલે who? એ પ્રશ્ન મેં મારી અર્ધાંગિની ને પૂછ્યો ને જે જવાબ મળ્યો એ આપ સહુની સાથે વહેંચવા ચાહું છું.એનો હૃદયસ્પર્શી જવાબ આ હતો.

"રાજુ, તું છે તો જ હું છું".

હું કોણ છું એનો મારા હૈયા ને માત્ર આભાસ નહિ પણ ઉંડો અહેસાસ.. હું એટલે કોઈને માટે કોઈ અહેસાન નહિ પણ એક આગવો અહેસાસ. હું એટલે કોઈને માટે એક એક ઉંડો વિશ્વાસ.હું એટલે કોઈને માટે ખસ ખસ નહિ પણ ખાસ ખાસ. હું એટલે કોઈને માટે શેષ તો કોઈને માટે વિશેષ. હું એટલે કોઈને માટે દીવાને આમ ને કોઈને માટે એક નજરીયું નામ..!!

હવે, છેલ્લા બોલે હું એક સિક્સર મારી લઉં તો..

"વ્હેંચાતા વ્હેંચાતા
છેલ્લે 'હું' જ વધ્યો

કોઈએ ન લીધો!!!
કારણ કે

બધા પાસે
પોતાનો 'હું' હતો."..!!

છેલ્લે છેલ્લે દોસ્તો, બધું જ વહેંચાઈ જાય છે, વેચાઈ પણ જાય છે ને જે વધી પડે છે તે એક માત્ર આ હું જ વધી પડે છે.!!
®®®રાજુ રાવલ*

પ્રેમ મારી પ્રકૃતિ છે
અને
શાંતિ મારો સ્વભાવ છે.😊

*વન પ્રવેશે નહીં પણ યૌવન પ્રવેશે સહી* *****************ગત ગણપતિચતુર્થીના પાવન દિને ગણેશ દાદાના ભરપૂર આશીર્વાદ પ્રાપ્ત થય...
08/09/2024

*વન પ્રવેશે નહીં
પણ
યૌવન પ્રવેશે સહી*
*****************
ગત ગણપતિચતુર્થીના પાવન દિને ગણેશ દાદાના ભરપૂર આશીર્વાદ પ્રાપ્ત થયા. પ્રાતઃ કાળે ઘરે ગણપતિ દાદાનું સ્થાપન થયું અને સાયંકાળે પચ્છિમ ક્ષેત્રે દ્વારિકા પીઠાધીશ્વર અનંતશ્રીવિભૂષિત પરમ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના દર્શન -પાદુકા પૂજન અને સત્સંગનો પાવન લ્હાવો લીધો. એટલુંજ નહીં પરમ ધર્માચાર્ય પૂજ્ય શ્રી પરમાત્માનંદજી મહારાજના વિદવતાપૂર્ણ વ્યાખ્યાન અને ભાવભર્યા આતિથ્યનો ભરપૂર લાભ પામ્યો.

હવે આ તકે મારું મન મનન અને ચિંતન કરવા ચાહે છે.આજકાલ આપણે આધુનિકતા પાછળ ભોટ બની આંધળી દોટ મૂકી છે.એટલે જ આધ્યાત્મિકતામાં જબરી ઓટ આવી છે.આ પરિસ્થિતિ આવનારા વર્ષોમાં સમાજમાં નૈતિક અને સાંસ્કૃતિક પતનનું નિમિત્ત બનેતો નવાઈ નહીં.

આપણે એવુ માનીએ છીએ કે આધ્યાત્મિક બાબત તો વયોવૃદ્ધ માટે છે. આપણે એવુ અર્થઘટન કરીએ છીએ કે વનપ્રવેશ પામી ચૂકેલ લોકો માટે ધર્મ અને મોક્ષનો વિષય છે. અને યુવાનો માટે તો અર્થ અને કામ એજ કલ્યાણ. આ બહુ જ મોટી ગેરસમજ સર્જાઈ રહી છે.
અલ્બત્ત આ ગહન વિષયની વિસ્તૃત ચર્ચા અહીં કરવા નથી ઈચ્છતો પણ એટલું અવશ્ય કહીશ કે
ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન *વનપ્રવેશે નહીં પણ યૌવન પ્રવેશે જ* જરૂરી છે. માત્ર વયોવૃદ્ધ વડીલ જ નહીં પણ પ્રત્યેક યુવાદીલમાં પણ પુરાતન પરંપરાઓને પુન : પ્રસ્થાપિત કરવી પડશે. આપણી ભવ્ય પરંપરાને આધુનિક યુગમાં *ખંડિત ન કરતાં નવ સ્વરૂપે મંડિત કરવાની* આવશ્યકતા છે.

પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ ખૂબ સરસ વાત કહી કે આજકાલ એકલદોકલ દર્દી (લોકો )ડોક્ટર (ધર્મગુરુ )પાસે ઈલાજ (સત્સંગ )માટે જાય છે પણ એવી સ્થિતિનું નિર્માણ ન થાય કે રોગચાળો( અધર્મનું આધિપત્ય) ફાટી નીકળે અને ડોક્ટરોએ ( ધર્માચાર્યો ) લોકો પાસે દોડી જવુ પડે..!!

અંતમાં હું મારી અંગત વાત કરું તો *આધ્યાત્મિકતાની આલીશાન અટારી કરતાં મને મારો આધ્યાત્મિકતાનો ઓટલો અતિ વહાલો...*

*®®®રાજુ રાવલ*

Address

Mehsana

Telephone

+917069019441

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju Raval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raju Raval:

Share