02/11/2025
સમજણ.. આ સમજણ બહુ કિંમતી ગુણ છે, જે દરેક વ્યક્તિમાં નથી હોતો. અને એટલે જ જીવનના સાચા અર્થને પણ બધાં નથી સમજી શકતાં.
સમજણ હોવી એટલે બીજાની પરીસ્થીતીને, એની જગ્યાએ પોતાની જાતને મુકીને સમજી શકવી.
આપણે બધા બીજાની વાત સાંભળીને અથવા બીજાની મુશ્કેલીઓ સાંભળીને, એને સમજવા કરતા, એને જજ કરવા લાગી છીએ. કેમકે આપણે પોતે એ પરિસ્થિતિમાંથી પસાર નથી થયા અને એટલે, આપણને એ પરિસ્થિતિનું દુઃખ કે પીડા લગભગ નહીં સમજાય.
પણ જે વ્યક્તિમાં સમજણ હશે, એ વ્યક્તિમાં એટલી સંવેદનશીલતા પણ હોય છે કે, એ પ્રયત્ન કરે છે કે, જો હું સામેની વ્યક્તિની જગ્યાએ હોઉ અને મારી સાથે આવું થાય તો, હું શું કરું ?? હવે જ્યારે આપણે એ પરિસ્થિતિમાં હોઈએ, એ રીતે વિચારીએ ત્યારે જ આપણે સામેની વ્યક્તિને અને તેના નિર્ણયોને થોડા ઘણા અંશે સમજી શકીએ છીએ.
આજના સમયમાં સંબંધોમાં અને પરિવારોમાં, આ સમજણ ઘટતી જાય છે અને એટલે જ લોકો, એકબીજાની મુશ્કેલી કે પીડા સમજવાના બદલે વધારી રહ્યા છે.
એક માણસ જેણે પોતાના જીવનના અમુક શિયાળા, કડકડથી ઠંડીમાં રસ્તા પર સૂઈને પસાર કર્યા હોય, એ માણસ જો ભવિષ્યમાં રૂપિયાવાળો થાય તો સૌથી પહેલા, એ દરેક રસ્તા પર સૂતેલા ગરીબ વ્યક્તિને શિયાળામાં એક હૂંફાળો ધાબળો ઓઢાડશે. કેમકે એ વ્યક્તિએ અનુભવ્યું છે કે, હૃદય થીજાવી દે એવી ઠંડીમાં રસ્તા પર સૂવાનું દુઃખ કેવું હોય ??
તો બસ આપણે ઘણીવાર એવી પરિસ્થિતિમાં નથી હોતા, પણ સામેની વ્યક્તિ દુઃખમાં કે મુશ્કેલીમાં હોય તો, એની મુશ્કેલીને સમજી શકવાની સંવેદનશીલતા અને સમજણ કેળવી શકીએ, તો જ, આપણે માણસ તરીકે જન્મ્યા એ સાર્થક થયું કહેવાય.
ગમે તેટલા રૂપિયા હોય અથવા ઉંમર ગમે તેટલી મોટી હોય, પણ જો હૃદયમાં આ સમજણ કે સંવેદનશીલતા ન હોય તો તમે માણસ કહેવાવાને લાયક નથી.