04/06/2026
આપણે જીવનના અમુક તબક્કામાંથી પસાર થઈએ પછી, આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલાવા લાગે છે. મારી સાથે તો આ થયું છે કેમકે, મારો 40મો જન્મદિવસ બે વર્ષ પહેલાં પસાર થયો ત્યાર પછી, ધીરે ધીરે મને જીવન નવેસરથી સમજાવા લાગ્યું છે.
આપણે 20 વર્ષના કે 30 વર્ષના હોઈએ, ત્યાં સુધી આપણને આપણો જન્મદિવસ આવે એનો એક અલગ રોમાંચ અને ઉત્સાહ હોય છે. આપણને એવું થાય કે, આપણા સ્કૂલના કે કોલેજના બહુ બધા મિત્રો આપણી જન્મદિવસની પાર્ટીમાં આવે, આપણને બહુ બધી શુભેચ્છાઓ મળે અને સાથે જ બહુ બધી ગિફ્ટ પણ મળે.
પણ એકવાર તમે લગ્ન કરીને સેટલ થઈ જાવ અને, એક કે બે બાળકોના માતા-પિતા બની જાઓ, પછી ધીમે ધીમે એક અલગ સમજણ અંદરથી ઉગવા લાગે છે.
આજે મારા જીવનના 42 વર્ષ પૂરા થયા અને 43 માં વર્ષમાં, મેં મંગલ પ્રવેશ કર્યો છે. તો મેં મારો આજનો જન્મદિવસ બહુ સાદગી સાથે ઉજવવાનું નક્કી કર્યું. કેમકે 40 વર્ષ પછી બહુ બધા લોકોનું ટોળું નથી ગમતું પણ, આપણા પોતાના અને જે આજીવન સાથ આપી શકવાના છે એવા નજીકના લોકો સાથે આપણે, પ્રેમાળ ક્ષણો ઘરમાં જ આનંદથી પસાર કરીએ એ વધારે મહત્વનું અને યાદગાર લાગે છે.
40 વર્ષ પછી જો આપણી અંદર ખરેખર સમજણ ઉગવા લાગે તો, આપણને મોંઘી મોંઘી ગિફ્ટ કરતા આપણી પસંદની એકાદ વસ્તુ પણ મળી જાય તો આપણે ખુશ થઈ જઈએ છીએ. મા બન્યા પછી મને મારા જન્મદિવસ કરતા વધારે ઉત્સાહ, મારા દીકરાના જન્મદિવસનો હોય છે પણ, એ જ દીકરો જ્યારે મારા જન્મદિવસની યાદ રાખીને, મારા માટે એના હાથે નાનકડું બર્થ ડે કાર્ડ પ્રેમથી બનાવીને મને આપે તો, મને એવું લાગે છે કે જાણે મને સ્વર્ગનું સુખ મળી ગયું.
40 વર્ષ પછીના જેટલા પણ જન્મદિવસ આવે છે, એ ખરેખર આપણને એ યાદ અપાવવા આવે છે કે આપણે હવે, દર વર્ષે એક એક પગલું આપણા અંતિમ સમય તરફ એટલે કે, મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ. તો 40 વર્ષ પછી ભલે આપણે 80 વર્ષ સુધી જીવીએ પણ, એ જેટલા પણ વર્ષો જીવીએ એ બહુ શાંતિ અને સમજણ ભરેલા હોય અને, આપણી હાજરી એક વૃક્ષ જેવી થતી જાય કે જેનાથી, આપણા પરિવારને અને આજુબાજુના લોકોને શાંતિ, પ્રેમ અને હુંફ મળતી રહે તો આપણું જીવવું સાર્થક જ ગણાય.