12/12/2025
ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિમાં, લગ્નના અર્થ સાવ અલગ છે.
પશ્ચિમી દેશોમાં લગ્ન એક બાહ્ય આકર્ષણની અસરમાં આવીને કરાય છે, જેમાં મજા અને શારીરિક સંબંધો જ પ્રાથમિકતા રહે છે. આ જ કારણે ત્યાં આજીવન સાથે રહેવાનું કોઈ મહત્વ નથી. લગ્ન કર્યાં અને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી સાથે રહેવાનું, અને જેવી થોડી માથાકુટ થાય કે સંબંધો થોડા તાણ ભરેલાં થાય એટલે એકબીજાની સાથે ઊભા રહેવાને બદલે, જવાબદારીથી ભાગીને છુટાછેડા લઈ લેવાના. આ શું લગ્નનો સાચો અર્થ છે ???? ... બિલકુલ નહીં.
ભારતીય સંસ્કૃતિ લગ્નને એક સ્ત્રી અને પુરુષના જીવનનું એક મહત્વનું અંગ માને છે. આપણી સંસ્કૃતિમાં લગ્ન માત્ર મોજમજા માટે નથી કરાતાં.
અહીં લગ્ન એક જીવનભરનું બંધન અને જવાબદારી મનાય છે જેમાં એક સ્ત્રી અને પુરુષ, પોતાની શારીરિક સંબંધોની ઈચ્છા, સુરક્ષિત સંબંધમાં પુરી કરી શકે છે અને સાથે જ, પોતાના પરીવારની જવાબદારી પણ પ્રેમથી નિભાવે છે.
અને એટલે જ ભારતીય સંસ્કૃતિ બાળકોને લગ્ન કર્યાં પછી જન્મ આપવા પર જોર આપે છે.
લગ્ન પછી જન્મેલું બાળક એક જવાબદાર માતા પિતાને જન્મ આપે છે. અને બાળકનું યોગ્ય ભરણ પોષણ કરવું તેમજ બાળકોને સુરક્ષિત અને પ્રેમાળ પરીવાર અને જીવન આપવું, એ માતા-પિતા તરીકે દરેક પતિ પત્નીની પહેલી ફરજમાં આવે છે.
ભારતમાં લગ્ન કામ અને ભોગથી ધીમે ધીમે જવાબદાર બનીને મોક્ષ સુધી દોરી જનારો પવિત્ર સંબંધ છે.
એટલે જ ભારતીય સંસ્કૃતિ લગ્નમાં જવાબદારી અને ત્યાગની વૃત્તિને બહુ મહત્વ આપે છે.
આજે નવી પેઢીને આ લગ્નની સાચી સમજણ નથી એટલે જ છુટાછેડાનું પ્રમાણ વધ્યું છે.
દરેક માતા પિતા જો લગ્ન પહેલા પોતાના સંતાનને લગ્નજીવનનું આ મહત્વ સમજાવે, તો જ લગ્ન જીવન સુખી બને અને આજીવન ચાલી શકે.