29/05/2026
*માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને પાંચ રાષ્ટ્રીય પહેલોનું શુભારંભ કર્યું, ધ આર્ટ ઑફ લિવિંગના ૪૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું.*
૨૯ મે ૨૦૨૬, બેંગલુરુ
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે ધ આર્ટ ઑફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં યુવા વિકાસ, ઉદ્યોગસાહસિકતા, સ્થિરતા, ચેતના અભ્યાસ અને શિક્ષણ સાથે સંકળાયેલી પાંચ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય પહેલોનું શુભારંભ કર્યું. આ કાર્યક્રમ ધ આર્ટ ઑફ લિવિંગના માનવસેવાના ૪૫ વર્ષ અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના ૭૦મા જન્મવર્ષ નિમિત્તે, તેમના શાંતિ, સુખાકારી તથા માનવીય મૂલ્યો પ્રત્યેના જીવનભરના અમૂલ્ય યોગદાનની ઉજવણીરૂપ બન્યો.
માનનીય ઉપરાષ્ટ્રપતિએ અન્ય ગણમાન્ય મહેમાનો સાથે એક સ્મારક ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યું, જે વ્યક્તિગત કલ્યાણ, સામાજિક પરિવર્તન અને વૈશ્વિક શાંતિ ક્ષેત્રે ધ આર્ટ ઑફ લિવિંગના ૪૫ વર્ષના યોગદાનનું પ્રતિક છે.
શરૂ કરાયેલ પહેલોમાં યુથ કરિયર એક્સેલન્સ પ્રોગ્રામ, ફેકલ્ટી ઑફ ઇસ્ટર્ન નોલેજ સિસ્ટમ્સ, આર્ટ ઑફ લિવિંગ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ઇન્ક્યુબેશન, સેન્ટર ઑફ એક્સેલન્સ ઑન કોન્શિયસનેસ સ્ટડીઝ એન્ડ હ્યુમન પોટેન્શિયલ તથા ઇકો શાંતિનો સમાવેશ થયો હતો. આ પહેલો શિક્ષણ, નવીનતા, પર્યાવરણીય સ્થિરતા અને માનવ વિકાસ પ્રત્યે સંસ્થાના વધતા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.
આ સમારોહ ધ આર્ટ ઑફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં મહિના ભર ચાલેલા ઉત્સવનો શિખરબિંદુ હતો, જેમાં ભારત અને વિશ્વભરના ૬૭૮ પ્રતિષ્ઠિત મહેમાનોએ ભાગ લીધો હતો. તેમાં વિવિધ રાજકીય વિચારધારાના રાષ્ટ્રીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો, આધ્યાત્મિક ગુરુઓ, રાજદૂત, કલાકારો અને સામાજિક પરિવર્તનકારોનો સમાવેશ થતો હતો.
સભાને સંબોધતા માનનીય ઉપરાષ્ટ્રપતિએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આ આંદોલનની અસાધારણ વૈશ્વિક પહોંચ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
તેમણે કહ્યું, “આજે આપણે એવી મહાન દૃષ્ટિકોણની ઉજવણી કરી રહ્યા છીએ, જેણે વિવિધ ખંડોમાં કરોડો લોકોના જીવનને સ્પર્શ્યું છે. મને જાણીને આશ્ચર્ય થયું કે ધ આર્ટ ઑફ લિવિંગ ૧૮૨ દેશોમાં કાર્યરત છે. માનવજાતની લગભગ સમગ્ર સભ્યતા આ આંદોલન દ્વારા પરસ્પર જોડાઈ રહી છે.”
સંસ્થાની યાત્રાનું વર્ણન કરતાં તેમણે આગળ કહ્યું, “પિસ્તાલીસ વર્ષ પહેલાં એક સરળ પરંતુ અત્યંત ઊંડા વિચાર સાથે આ આંદોલનની શરૂઆત થઈ હતી. આંતરિક શાંતિ જ બાહ્ય સૌહાર્દનો આધાર છે. સંઘર્ષ અને અનિશ્ચિતતાથી ઘેરાયેલા આ વિશ્વમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી જ્ઞાન, જાગૃતિ, શાંતિ અને સદભાવ ના મૂલ્યો દ્વારા માનવતાને સતત પ્રેરણા આપી રહ્યા છે.”
ગુરુદેવની સરળતા અને તેમના પ્રભાવની પ્રશંસા કરતાં શ્રી રાધાકૃષ્ણને જણાવ્યું, “તેમનું સ્મિત, તેમની વિનમ્રતા અને તેમનો સ્નેહ દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય છે. તેમના યોગદાનને અસાધારણ બનાવે છે તેમની અંદરની વિનમ્રતા અને માનવતા.”
માનનીય ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ આધુનિક પડકારોના ઉકેલમાં આંતરિક વિકાસની શાશ્વત પ્રાસંગિકતા પર ભાર મૂક્યો.
ગુરુદેવે કહ્યું, “આજે વિશ્વે સ્વીકારી લીધું છે કે ધ્યાન હવે કોઈ વૈભવ નથી. વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવા માટે ૧૯૨ દેશો એક સાથે આવ્યા, તે દર્શાવે છે કે સ્વસ્થ, સુખી અને તણાવમુક્ત જીવન માટે ધ્યાન એક મૂળભૂત આવશ્યકતા છે.”
માનવ વિકાસ માટે સર્વાંગી દૃષ્ટિકોણની આવશ્યકતા દર્શાવતા તેમણે આગળ કહ્યું, “જીવનભર ત્રણ વસ્તુઓ હંમેશા આપણા સાથે હોવી જોઈએ. જ્ઞાન, ધ્યાન અને સંગીત.”
વૈશ્વિક સૌહાર્દના સંદેશ સાથે પોતાની વાત પૂર્ણ કરતાં ગુરુદેવે કહ્યું, “ચાલો આપણે એવા ‘વસુધૈવ કુટુંબકમ્’નું સ્વપ્ન જોઈએ, જે ભય, તણાવ અને ઘૃણાથી મુક્ત વૈશ્વિક પરિવાર હોય. શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિશ્વની શરૂઆત શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વ્યક્તિઓથી જ થાય છે.”
કર્ણાટકના માનનીય રાજ્યપાલ શ્રી થાવરચંદ ગહેલોતે પણ સભાને સંબોધી સંસ્થાના ઉદ્ભવ સાથે કર્ણાટકના ગાઢ સંબંધને રેખાંકિત કર્યો.
તેમણે કહ્યું, “આ કર્ણાટક માટે ગૌરવની વાત છે કે આ વૈશ્વિક આંદોલનની જડો અમારી આ પવિત્ર ભૂમિ સાથે જોડાયેલી છે. ચાર દાયકાથી વધુ સમયથી ધ આર્ટ ઑફ લિવિંગ વિવિધ કાર્યક્રમો દ્વારા વ્યક્તિગત, સામુદાયિક અને વૈશ્વિક સ્તરે શાંતિ અને સુખાકારીને પ્રોત્સાહિત કરી રહ્યું છે.”
શાંતિ સ્થાપનામાં ગુરુદેવના યોગદાનને ઉજાગર કરતાં રાજ્યપાલે આગળ જણાવ્યું, “માનવસેવા ઉપરાંત ગુરુદેવના શાંતિ સ્થાપનાના પ્રયત્નોએ લાંબા ગાળાના સંઘર્ષોના નિરાકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માનવીય મૂલ્યોના પુનર્જાગરણ દ્વારા હિંસા-મુક્ત અને તણાવ-મુક્ત સમાજની તેમની દૃષ્ટિને સમગ્ર વિશ્વમાં પ્રશંસા અને માન્યતા પ્રાપ્ત થઈ છે.”
આશ્રમ મુલાકાત દરમિયાન માનનીય ઉપરાષ્ટ્રપતિએ સંસ્થાની વિવિધ સુવિધાઓ અને પહેલોનું નિરીક્ષણ કર્યું. તેમણે શ્રી શ્રી ગુરુકુલમની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો, પ્રથાપ ગણપતિ મંદિરમાં પ્રાર્થના કરી, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના પવિત્ર અવશેષોના દર્શન કર્યા અને આશરે ૧,૬૦૦ દેશી ગાયોના નિવાસસ્થાન શ્રી શ્રી ગૌશાળાની મુલાકાત લીધી.
આ મુલાકાતનું વિશેષ આકર્ષણ ધ આર્ટ ઑફ લિવિંગના ઇન્ટ્યુશન પ્રોગ્રામના અભ્યાસકર્તાઓ દ્વારા આપવામાં આવેલ પ્રદર્શન હતું, જેમાં બાળકોએ વ્યવસ્થિત તાલીમ અને અભ્યાસ દ્વારા વિકસાવેલી પોતાની સહજ જ્ઞાન ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું.
લગભગ એક મહિના સુધી ધ આર્ટ ઑફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરે જીવનના દરેક ક્ષેત્રમાંથી આવેલા લોકોને આવકાર્યા, જે ‘વસુધૈવ કુટુંબકમ્’ - એક વિશ્વ પરિવારની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આ સમગ્ર મહિના દરમિયાન નવા નિર્મિત ધ્યાન મંદિરમાં વૈશ્વિક ધ્યાન સત્રો, ભારતની કલાત્મક વારસાને ઉજવતા સાંસ્કૃતિક કાર્યક્રમો, માનસિક સુખાકારી અને ચેતના પર ચર્ચાસત્રો તથા છેલ્લા સાડા ચાર દાયકામાં ગુરુદેવના કાર્યોથી પ્રભાવિત થયેલા લોકોના જીવનપરિવર્તનની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી.
મૂળરૂપે, આ ઉત્સવ આંતરિક શાંતિ, સેવા અને માનવીય મૂલ્યો પર આધારિત તણાવમુક્ત અને હિંસા-મુક્ત સમાજ માટે ગુરુદેવની અડગ દૃષ્ટિના પુનઃપ્રતિબદ્ધતાનું પ્રતિક બન્યો.
Gnc Ajay Modi