Jignesh Mehta

Jignesh Mehta જીંદગી ને કોઈ પણ શતઁ વગર પ્રેમ કરો.
(1)

05/11/2025

ડૉક્ટરની ડાયરી-લેખક: ડૉ. શરદ ઠાકર

હું અહીં છું એનું જેને ભાન છે,
એ બધા મારા માટે ભગવાન છે..

ત્રણ ભાઈઓમાંથી સહુથી મોટા કંદર્પભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. રોજ ઓફિસેથી છૂટીને ઘરે આવીને પત્નીને પહેલો પ્રશ્ન આ પૂછે, ‘ગૌરવ ક્યાં છે? સ્કૂલમાંથી આવી ગયો? એના રૂમમાં છે? પરીક્ષાની તૈયારી કરે છે?’ પત્ની કામિની વાતનો વિષય બદલવાની કોશિશ કરે, ‘તમે બેસો, પાણી પીઓ, હું ચા બનાવીને લાવું.’ કંદર્પ એનો હાથ પકડીને કહે, ‘ચા પછી મૂકજે, પહેલાં એ કહે કે ગૌરવ શું કરે છે?’
નાછૂટકે કામિની જવાબ આપે, ‘એ તો શાળાએથી છૂટીને સીધો ફિલ્મ જોવા ઉપડી ગયો છે. એના ફ્રેન્ડ્ઝ સાથે પ્રોગ્રામ ઘડી જ રાખ્યો હતો. સવારે તમે ઘરેથી ઓફિસે જવા માટે નીકળ્યા એ પછી એણે મને વાત કરી.’
વચલો ભાઈ ખંજન સિવિલ એન્જિનિયર હતો. એ કન્સ્ટ્રક્શનની સાઈટ પરથી છૂટીને થાક્યો-પાક્યો ઘરે આવે ત્યારે પહેલી પૂછપરછ નાના ભાઈ ગૌરવ વિશે જ કરે. એની પત્ની ખુમારી પણ સાચું બોલવાનું ટાળે. પતિ જીદ કરે એટલે કહી દેવું પડે, ‘ગૌરવ એના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો છે.’ બંને ભાઈઓ ગૌરવ પર ગુસ્સે થઈ જાય, પણ જ્યારે ગૌરવ ઘરે આવે ત્યારે એને ન તો ખખડાવી શકે, ન એને ધોલધપાટ કરી શકે.
કારણ એક જ કે ત્રણેય ભાઈઓના પિતા એકાદ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. મરણપથારી પર પિતાના છેલ્લા શબ્દો આ હતા: ‘કંદર્પ! ખંજન! મેં તમને બંનેને તો ભણાવી-ગણાવીને ‘સેટલ’ કરી દીધા છે. પરણાવી પણ દીધા, પણ ગૌરવનું કામ અધૂરું રહી ગયું. એની જવાબદારી તમને બેયને સોંપતો જાઉં છું. મારું સપનું હતું કે ગૌરવને ડોક્ટર બનાવવો. હું તો હવે ચાલ્યો. તમે બંને એનું...’
બંને ભાઈઓએ આપેલા વચનને લઈને અને પોતાના અંતિમ શ્વાસને છોડીને પિતા ચાલ્યા ગયા. છએક મહિના સુધી તો શોકસંતપ્ત પરિવારમાં શાંતિ રહી, પણ પછી ધીમે ધીમે ઘરમાં અશાંતિ અને અજંપાનાં આંદોલનો પ્રસરવા લાગ્યાં. બંને ભાઈઓ અને ભાભીઓની નજરમાં એ વાત આવી કે નાનો ભાઈ ગૌરવ ભણવામાં ધ્યાન આપતો ન હતો. મિત્રોની સાથે રખડવું, ફિલ્મો જોવી, ક્રિકેટ રમવું, બહાર ચા-નાસ્તા કરવા આ બધું એનો શોખ બની ગયું હતું.
આ બધાંની પાછળ ગૌરવનો સમય અને ઘરના પૈસા બંને વેડફાઈ રહ્યા હતા. કંદર્પ અને ખંજન લાચાર હતા. પિતાની ગેરહાજરીમાં નાના ભાઈને મારવાનું તો વિચારી શકાય જ નહીં. મા તો વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી. ભાભીઓ પણ લાડકા દિયરને છાવરતી હતી. એની પાછળનું મુખ્ય કારણ સમાજનો ડર હતો. સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ? પડોશીઓ વાત ફેલાવે કે મા-બાપ વગરના ગૌરવને એના મોટાભાઈઓ માર મારે છે. ગૌરવ બુદ્ધિશાળી હતો, પણ મહેનત કરવામાં એ ભારે આળસુ. ભણવા સિવાયની બધી વાતોમાં એને રસ પડે.
પરિણામ એ આવ્યું કે પિતાની હયાતીમાં જે ગૌરવ નેવું ટકા માર્ક્સ લાવતો હતો એ હવે અઠ્ઠાવન ટકા સુધી નીચે ઉતરી ગયો હતો. બંને ભાઈઓને લાગ્યું કે હવે ગૌરવને સમજાવવાનો સમય પાકી ગયો છે. એમણે ગૌરવને પાસે બેસાડીને દોઢ કલાક સુધી સમજાવ્યો જેનો સાર આવો હતો, ‘ગૌરવ, પપ્પાનું સપનું હતું કે તું ડોક્ટર બને. તારામાં બુદ્ધિ છે, તું ધારે તો મહેનત કરી શકે છે, શાળામાં પ્રથમ નંબર લઈ આવી શકે છે.
તારા મિત્રોની સોબતમાં અવળા રસ્તે ચડીને તું પપ્પાનું સપનું અને તારું ભવિષ્ય બરબાદ કરી રહ્યો છે. મહેરબાની કરીને તું સુધરી જા.’ ગૌરવ ન જ માન્યો. કદાચ એ પણ સમજી ગયો હતો કે ઘરમાં કોઈ એને ઠપકો આપવાનું નથી, ધોલધપાટ કરવાનો તો પ્રશ્ન જ ઊઠતો નથી, ભાભીઓ એને ભૂખ્યો રહેવા દેવાની નથી, એના પોકેટમની પર કાતર ફરવાની નથી. જો એ ડોક્ટર નહીં બને તો પણ શો ફરક પડવાનો છે? બંને મોટાભાઈઓ ખૂબ સારું કમાય છે. એ લોકો નાના ભાઈને ‘સેટલ’ કરી જ દેવાના છે. કંદર્પ અને ખંજન ગહન ચિંતામાં સરી પડ્યા.
એમની નજર સામે નાના ભાઈની કારકિર્દી ખતમ થવા તરફ જઈ રહી હતી અને તેઓ કશું જ કરી શકતા ન હતા. લોકો તો પછી વાત કરવાનાં જ કે બાપના મર્યા પછી બે મોટાભાઈઓએ નાના ભાઈ તરફ ધ્યાન ન આપ્યું એટલે જ ગૌરવ ભણ્યો નહીં, બાકી બાપ જીવતા હતા ત્યાં સુધી એ કેટલા બધા માર્ક્સ લઈ આવતો હતો! પૂરા એક મહિના પછી ફર્સ્ટ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર થયું. ગૌરવ આડત્રીસ ટકે પાસ થયો. હવે પરિવારના સભ્યોની ધીરજની હદ આવી ગઈ. ખંજને એક રસ્તો વિચાર્યો, મોટાભાઈ કંદર્પને જણાવ્યો. કંદર્પ પહેલાં તો ચોંકી ગયો, પછી એ તૈયાર થઈ ગયો.
બીજા દિવસે બંને ભાઈઓ શહેરના જાણીતા વકીલ આર. કે. શાહની ઓફિસમાં જઈ પહોંચ્યા. પિતાના અવસાનથી લઈને ગૌરવના છેલ્લા રિઝલ્ટ સુધીની વિગતવાર ચર્ચા કરી. વકીલે પૂછ્યું, ‘આમાં હું શું કરી શકું? મારા કહેવાથી ગૌરવ થોડો સુધરી જવાનો છે?’ ‘ના, અમે એ માટે તમારી પાસે નથી આવ્યા. અમે તો તમારી પાસે સ્ટેમ્પ પેપર ઉર એક ખાસ પ્રકારની એફિડેવિટ કરાવવા માટે આવ્યા છીએ. અમે...’ કંદર્પે રજૂઆત કરી. વકીલ નવાઈ પામી ગયા. હસી પડ્યા. પછી તૈયાર થઈ ગયા.

સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવામાં આવ્યું: ‘અમે કંદર્પ નાથાભાઈ જાની અને ખંજન નાથાભાઈ જાની સોગંદનામા ઉપર જાહેર કરીએ છીએ કે અમારા સૌથી નાના ભાઈ ગૌરવ જાનીના ઉચ્ચ શિક્ષણ માટે અમે પૂરેપૂરો ખર્ચ કરવા તૈયાર છીએ, પણ ગૌરવને ભણવામાં રસ નથી. માતા-પિતાની ગેરહાજરીમાં અમે એના પ્રત્યે કડક થઈ શકતા નથી. જો એ પિતાજીનું સપનું સાકાર નહીં કરે તો અમે પાંચ વર્ષ પછી વડીલોપાર્જીત ચલ-અચલ સંપત્તિનો ત્રીજો ભાગ આપીને એને અલગ કરી દઈશું. એ પછી એના માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.’ ભાષા વકીલની હતી, પણ લખાણનો ભાવ આવો હતો.
એફિડેવિટ તૈયાર થઈ ગયા બાદ એની ઝમ્બો ફોટોસ્ટેટ કોપી કઢાવીને, ફ્રેમમાં મઢીને ઘરના ડ્રોઈંગરૂમમાં એક દીવાલ પર લટકાવી દીધી. ઘરે સહજ રીતે મુલાકાતીઓ આવતા રહ્યા અને લખાણ વાંચીને પૂછતા રહ્યા, ‘આવું કેમ કરવું પડ્યું? ભવિષ્યમાં ગૌરવના ભાગે શું આવશે?’ જવાબ: ‘પિતાજીએ તો આખી જિંદગી ભાડાના મકાનમાં કાઢી હતી. આ બંગ્લો અમે બે ભાઈઓએ બનાવ્યો છે. પિતા કુલ છ લાખ રૂપિયા મૂકી ગયા છે. ગૌરવના ભાગે બે લાખ આવશે. મમ્મી પાંચ તોલા સોનાના દાગીના મૂકી ગઈ છે, એમાંથી...’ આ બધું જોઈને, વાંચીને, સાંભળીને ગૌરવ સમજી ગયો કે એનું ભાવિ અંધકારમય બની રહેવાનું છે.
એ દિવસથી એ ચોટલીએ ગાંઠ બાંધીને ભણવા માંડ્યો. બુદ્ધિ તો અપાર હતી જ. રાતોના ઉજાગરા રંગ લાવીને રહ્યા. એ વર્ષની છેલ્લી પરીક્ષામાં ગૌરવ એંશી ટકા માર્ક્સ લઈ આવ્યો. આ ઘટનાને અત્યાર ચાળીસ વર્ષ થઈ ગયાં. તે વખતના એંશી ટકા એટલે આજના પંચાણું ટકા! ગૌરવ માનભેર મેડિકલ કોલેજમાં પ્રવેશ્યો. ડોક્ટર બન્યો. સ્પેશિયાલિસ્ટ બન્યો. પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી.
મોટો બંગ્લો બનાવ્યો. લગ્ન કર્યાં. ત્રણેય ભાઈઓનો સંયુક્ત પરિવાર એ બંગ્લામાં સહિયારો કિલ્લો કરે છે. એક વાત કરવાની બાકી છે. ડો. ગૌરવ જાનીએ પોતાના બંગ્લામાં પેલા એફિડેવિટની ફોટોફ્રેમ આજે પણ રહેવા દીધી છે, એની એક નકલ પોતાના કન્સલ્ટિંગ રૂમની દીવાલ પર પણ રાખી છે.

04/11/2025

દેવકી નહિ તો યશોદા જ ભલે !

વિદ્યા તેના મા-બાપની એક જ દીકરી. ખૂબ જ વિવેકી અને સંવેદનશીલ સ્વભાવ ધરાવતી વિદ્યા દેખાવે પણ સુંદર... વિદ્યા વયસ્ક થતા તેના મા-બાપે વિદ્યા માટે વર શોધવાનું શરૂ કર્યું. જ્ઞાતિના સારા-સારા યુવકના માગા આવતા, પણ વિદ્યાની પસંદગી અનોખી હતી. તેને વરમાં સમજૂ, કુટુંબપરાયણ અને સંવેદનશીલ જેવા ગુણો જોઈતા હતા.. આખરે એકવાર વિદ્યાએ તેના મા-બાપને વાત કરતાં સાંભળ્યા..

`એક વિધુર અને ઉંમરમાં આઠ વર્ષ મોટો.. એ તો ઠીક પણ બે બાળકોનો પિતા ? એકની એક દીકરી માટે આવો વિચાર પણ કેમ આવે તમને ? આપણી વિદ્યા ક્યાં હજુ એવડી થઈ ગઈ છે કે આટલુ બધુ જતુ કરવું પડે ? સમાજ શું કહે ?’ વિદ્યાના મમ્મી સુમિત્રાબેને પતિ રમેશભાઈને ગુસ્સે થતા કહ્યું...

`અરે ! મારી પૂરી વાત તો સાંભળ… વેદના પિતા અને હું નાનપણના મિત્રો હતા.. આજે મારા મિત્રની હયાતી નથી પણ વેદને હું સારી રીતે જાણું છું. ઘર ખૂબ સારું છે. આપણી દીકરી પણ ખુશ રહેશે. વળી કુટુંબના નામે માત્ર એક બહેન છે વેદને.. એ પણ સાસરે.. તું એકવાર મળીને તો જો વેદને ! મળવામાં શું વાંધો ?’ સુમિત્રાબેન કશો જ જવાબ આપી શકતા નહોતા, માની આ દુવિધા જોઈ વિદ્યા પોતે બહાર આવી અને કહ્યું, `પપ્પા બરાબર કહે છે, મમ્મી ! એકવાર મળી લઈએ. હું મળવા માંગુ છું.’ દીકરી આગળ સુમિત્રાબેને કચવાતા મને હા પાડવી પડી..

વેદ તેની બહેન અને બનેવી સાથે વિદ્યાને ઘરે આવ્યો. વેદ અને વિદ્યા મળ્યા. વેદનો સ્વભાવ શાંત, સમજુ અને સંવેદનશીલ જેવો વિદ્યાને જોઈતો હતો.. તે વેદની વાતોથી આકર્ષાઈ. વેદ પણ વિદ્યાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, આખરે ત્રીસ મિનિટ સુધી બંનેની મિટિંગ ચાલી. ચા-નાસ્તાની વિધિ પૂરી થઈ. જયશ્રી કૃષ્ણ કહી બધા છૂટા પડ્યા.

વિદ્યાએ મમ્મી-પપ્પાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું, `મને વેદ ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું.’ વિદ્યાએ નીચુ જોઈ કહ્યું. સુમિત્રાબેન આ સાંભળી થોડા વિચારમાં પડી ગયા.. પણ દીકરીની ઈચ્છા આગળ તેમણે નમતું જોખ્યું. રમેશભાઈએ ખુશ થઈ, વેદના બહેનને ફોન જોડ્યો. સામેથી વેદની પણ હા હતી, પણ વેદની ઈચ્છા હતી કે વિદ્યા બેય બાળકોને મળી લે. વિદ્યાને પણ આ બરાબર લાગ્યું. વિદ્યા વેદ અને તેના બેય બાળકોને મળવા તેના ઘરે આવી. વેદએ બાળકોનો પરિચય આપતાં કહ્યું, `આ કથા પાંચ વર્ષની અને આ કવન આઠ વર્ષનો છે.’ બંને સ્કુલે જાય છે. વિદ્યાએ બંને બાળકોને ચોકલેટ આપી તેમની જોડે દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. કથા તો વિદ્યાના ખોળામાં જઈ બેસી ગઈ પણ કવન થોડો ખચકાટ અનુભવતો હતો. કંઈ બોલ્યા વગર તે દોડીને રૂમમાં જતો રહ્યો. વેદ અને વિદ્યાએ બાળકો સાથે થોડો સમય વિતાવ્યો, પછી વિદ્યાને તેના ઘરે મૂકી ગયો.

એક મહિના પછી બંને વિવાહસંબંધથી જોડાયા. રંગેચંગે લગ્ન પત્યા. વિદ્યાએ વેદના ઘરમાં કુમકુમ પગલા પાડ્યા. એક દિવસ, બે દિવસ એમ કરતાં અઠવાડિયું થયું પણ કવન હજુ વિદ્યાને સ્વીકારી શકતો નહોતો. કથા હજુ નાની હતી તેથી તેને વિદ્યા જોડે ગોઠી ગયું. વિદ્યાએ પણ ધીરજથી કામ લેવાનું નક્કી કર્યું.

દિવાળી આવી ગઈ વિદ્યાએ આખા ઘરને દીવડાથી સજાવ્યું. બાળકોને સુંદર કપડામાં તૈયાર કરી તેમની જોડે રંગોળી કરી. સાંજે વેદ વિદ્યા અને બંને બાળકો ફટાકડા ફોડવામાં મશગૂલ હતા. અચાનક એક રોકેટ ત્રાંસુ ફાટ્યું, વિદ્યાએ જોયું કવન ત્યાં જ ઊભો હતો. તેણે ભાગીને કવનને ખેંચી લીધો અને બેલેન્સ જતાં પોતે ભોંય પર પડી જ્યાં સળગતું તારામંડળ હતું. વિદ્યાને જમણા હાથ પર દાઝી. કવન તો હતપ્રભ જ થઈ ગયો હતો. વેદ વિદ્યાને ટેકો આપી ઘરમાં લાવ્યો. કવન અને કથા પાછળ પાછળ આવ્યા. વિદ્યાને હાથે વેદે ઠંડુ પાણી રેડ્યું અને દવા લગાવી. થાક્યાપાક્યા બધા રાતે સૂઈ ગયા.

વિદ્યાને અચાનક ડૂસકા સંભળાયા. તેણે જોયું તો કવન તેની બાજુમાં બેઠોબેઠો દાઝેલા હાથને પંપાળતો હતો. વિદ્યાએ લાઈટ ઓન કરી કવનની સામે જોયું, તે રડી રહ્યો હતો.`તમે મારા લીધે દાઝ્યા ને ? સોરી મમ્મી..’ `મમ્મી ?’ આજ કવનએ પહેલીવાર વિદ્યા જોડે વાત કરી અને તેને `મમ્મી’ કહ્યું. વિદ્યાની આંખમાંથી આનંદના અશ્રુ રોકાતા નહોતા. તે કવનને વળગી પડી. બંને મા-દીકરો એકબીજાની ઓથમાં નિંદ્રાધીન થઈ ગયા. સવાર પડતાં જ વિદ્યાએ વેદને બધુ કહ્યું. વેદને પણ સંતોષ થયો, કે બાળકો વિદ્યાને અપનાવી રહ્યા છે.

સમય વીતવા લાગ્યો, આ નાનકડો પંખીઓનો માળો જીવનને સુખેથી માણી રહ્યો હતો ત્યાં જ દુઃખનું વાવાઝોડુ આવ્યું. વેદનો ઓફિસેથી આવતા એક્સિડેન્ટ થઈ ગયો. ભયાનક એક્સિડેન્ટ. ઓન ધ સ્પોટ વેદનું મૃત્યુ થયું. પરિવાર પર આભ તૂટી પડ્યું. વેદના બહેન-બનેવી, વિદ્યાના મમ્મી-પપ્પા બધા જ વેદના મૃત્યુથી ભાંગી પડ્યા હતાં.. વિદ્યા પણ પતિ સાથેના આટલા નાના સહજીવન માટે ઈશ્વરને ફરિયાદ કરી રહી હતી. બંને નાના બાળકો પપ્પાના ફોટા સામે જોઈ આંસુ સાર્યા કરતાં. વિદ્યાને આ બાળકોનું દુઃખ પોતાના દુઃખ કરતાં મોટુ લાગ્યું. તેણે જાતને સંભાળવાનું શરૂ કર્યું. આંસુ લૂછી નાખ્યા અને પોતાનું સંપૂર્ણ ધ્યાન કથા-કવનના ઉછેર તરફ લગાવ્યું. વેદનો બિઝનેસ પણ સંભાળવા લાગી.

કથા અને કવનનું ભણતર, સંસ્કારરોપણ અને બિઝનેસ પ્રત્યે વિદ્યાએ પોતાને સમર્પિત કરી દીધી. બાળકો મોટા થતાં ગયાં. કથા આજે એલ.એલ.બી કરી રહી છે અને કવન ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યો છે. સમાજનો સોતેલી મા તરફનો અભિગમ વિદ્યાએ બદલી નાખ્યો હતો. જોનારાઓ સ્તબ્ધ આંખે જોઈ રહેતા કે, કેવી રીતે એક મા જેણે આ બાળકોને જન્મ નથી આપ્યો પણ એક જનેતા કરતાં વિશેષ ભોગ આપ્યો છે !

આજે વેદની તિથિ છે. કથા અને કવન વિદ્યા સાથે પૂજા કરે છે. વિદ્યા વેદના ફોટાની સામે જોઈ કહે છે. `કથા અને કવન જેવા સંતાનોની માતા થવાનું સદભાગ્ય આપ્યા બદલ તમારો ખૂબ આભાર. હું ધન્ય થઈ કે, કથા-કવનએ મને તેમના જીવનમાં `મા’ નું બિરૂદ આપ્યું, સન્માન આપ્યું.’

`નહિ મા.. ધન્ય તો અમે થયા. તમારી મમતાના પાલવે અમને હંમેશા હૂંફ આપી.’ કહી કથા અને કવન વિદ્યાને પગે લાગ્યા.

`મારી ઈશ્વર પાસે એટલી જ અભ્યર્થના કે, જન્મોજન્મ તમારા જેવા સંતાનોની મા બનાવજે. દેવકી નહિ તો યશોદા જ ભલે.’ વિદ્યા આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થી રહી હતી.
લેખીકા-જ્હાન્વી કાનાબાર

03/11/2025

નોટપેડ..

નામ એનું અનુરાગ. પાંચ , છ વર્ષનો હશે ને મમ્મીનો દેહાંત થઈ ગયો.. નિખિલ ઉપર બેવડી જવાબદારી આવી પડી..... સમય , સ્થિતિ બધુ વિખરાય ગયું . નાના એ માસૂમ અનુરાગનું ધ્યાન રાખનાર કોણ ?... નિખિલ સામે પણ હજુ લાંબી જિંદગી સફર કરવાની હતી. વડીલમાં માતાપિતાનો સહારો હતો નહિ.... બાકી રહેલા સગાસંબંધી અને વડીલોએ નિખિલને બીજા લગ્ન કરવા માટે રાજી કર્યો..... તપાસ કરતા અને લોકોની સાથે વાતચીત દરમ્યાન એક જ વાત સામે આવી કે બાળક સાથે અપનાવવા કોઈ રાજી નહોતુ '....
અંતે એક સાધારણ ઘરની સારી સંસ્કારી દીકરી માધવીના માબાપ રાજી હતા.. બધા વડીલોની હાજરી સાથે કોર્ટમેરેજ કરી નવી મમ્મીનું એટલે કે માધવીનું ઘરમાં આગમન થયુ... અનુરાગનું મન પણ નવી મમ્મીને મળવા ઉત્સુક હતુ.... સારું નરસુ કંઈ ખબર નહોતી પણ મમ્મી છે એટલી જ ખબર હતી...

જે સગાવહાલાં લગ્ન કરાવવા ઉતાવળા હતા... એ જ સગાવહાલાં અનુરાગના મનમાં માધવી વિરુદ્ધ કાનમાં ઝેર ભરતા રહ્યા..... એ નાદાન બાળક કશુ સમજે કે ના સમજે પરંતુ એના મનમાં એક ડર જરૂર બેસી ગયો....હજુ તો અંકુરિત થતો છોડ મુરઝાવા લાગ્યો .... મનની અંદરનો મૂંઝારો કોને જઈને કહેવો...?
સમય વીતતો રહ્યો પરંતુ મા-દીકરા વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધવા લાગ્યું..થોડીઘણી જે ખબર પડતી એ મનની વાતોને પોતાની એક ડાયરીમાં લખવા લાગ્યો ..... લખવાથી એના મનનો બોજ હળવો થવા લાગ્યો .... ડાયરી પર સુંદર અક્ષરોમાં
" નોટપેડ "....લખીને સુંદર મજાની ડાયરી બનાવી... આ ડાયરી હંમેશા સાથે ને સાથે જ રાખતો . જીવનમાં આવતી સારી નરસી દરેક બાબતોને કાગળ પર મરોડદાર અક્ષરોમાં કંડારી દેતો.... રંગોનો ચાહક હતો.. ડાયરીના એક એક પાનાને સુંદર મેઘધનુષી રંગોની જેમ શણગારી હતી અંદરના દરેક કાગળ પર શબ્દોનો ધોધ વરસાવતો... લખાયેલા એ શબ્દોમાં એની અંદરનો છાનો ડર અને નફરત......બસ... એ સિવાય કશુ હતું જ નહીં...ક્યાંક થોડા શબ્દોમાં પિતા પ્રત્યેની લાગણી છલકાતી હતી..
કાગળ ઉપર વણ નોતર્યા શબ્દોનું ટોળુ હતુ ... સાવકી મા વિશે લોકોથી સાંભળેલ વાતો એના મનને કોરી ખાતી હતી...પોતાની અંદરના વ્હેમને પંપાળતો રહ્યો . કોઈની કહેલી વાતોમાં કેટલું સત્ય હતું ? એ ક્યાં ખબર હતી...

માધવીનું મન પણ બેચેન રહેતું.. અનુરાગના વર્તનને લઈને ઘણી ચિંતિત હતી . નાનો હતો ત્યારે કોઈવાર વઢી નાખતી , મારતી પણ ખરી ...આ વ્યવહારને કારણે અનુરાગમાં મનમાં એમના પ્રત્યેની નફરત વધતી રહી....

સવારે સ્કૂલ જવાના સમયે અનુરાગને ઉઠાડવા માધવી એના વાળ પર પ્રેમથી હાથ ફેરવતી ...પરંતુ અનુરાગને એના હાથને દૂર કરી દેતો માધવીની આંગળીઓ અનુરાગને કાંટાની જેમ ચુભતી...મા-દીકરા વચ્ચે આપસી વ્યવહારમાં અંતર તો વધવા લાગ્યું. માધવીના લાખ પ્રયત્નો છતાં એ અનુરાગનું દિલ જીતી ન શકી....
હા... તે છતાં એણે નિખિલ આગળ કોઈ દિવસ ફરિયાદ કરી નહોતી.. .....જિંદગી બસ આમને આમ દોડી રહી હતી...નિખિલની નોકરી પણ એવી હતી સવારે નીકળીને સીધા રાતના ઘર ભેગા થતા...
રાતના જમવાના સમયે અનુરાગ ઔપચારિકતા પૂરતું બોલતો... જેનાથી પપ્પાને કોઈ દુઃખ ન પહોંચે.

અનુરાગ શાળાઓનું જીવન પૂરું કરીને હવે કોલેજના પગથિયાં ચડી ચુક્યો હતો .ઉંમરની સાથે સમજદારી આવવા લાગી. નાનપણની નાસમજ અને નાદાની ના કારણે ડાયરીના પાના પર કંડારેલા એ શબ્દો પોતાને જ ખટકવા લાગ્યા... અલગ અલગ રંગોથી સજાવેલ અને એમાં પોતાના જ લખાયેલ શબ્દોને વાંચતો રહ્યો.
' પોતાની જાત પ્રત્યે ધૃણા થઈ ગઈ.
ડાયરીને ફાડીને ફેંકી દેવાનું મન થયું.. જે લખ્યું હતું અને લોકોએ કહ્યું હતું એવું તો કશું પોતાની જિંદગીમાં બન્યું જ નહોતું... પછી પોતાનો ખોટો ડર, પોતાના મનનો વહેમ ... એનો સંગ્રહ શામાટે... ??? ' પોતાની કોઈ ભૂલ ઉપર અગર વઢતી કે મારતી તો એ સામાન્ય હતું... એ તો કદાચ મારી સગી મા હોત તો એ પણ કરતી...... અબ પછતાયે હોત ક્યાં...'.જબ ચીડિયા ચૂગ ગઇ ખેત '

અનુરાગ કોલેજના પ્રથમ વર્ષની છેલ્લી પરીક્ષાનું છેલ્લું પેપર આપીને ઘેર આવતો હતો . રસ્તામાં વિચારતો રહ્યો ... આ વેકેશનમાં મા સાથે રહેલા અંતરને કઈ રીતે ઓછું કરવુ ...? કૈક તો એવું કરવું જ છે.. મારી કરતા તો મા ની મનોદશા કેટલી ખરાબ હશે.!!! મને સાચવવા લાખ પ્રયત્નો કર્યા હશે.. પણ હું કમનસીબ એની મમતાને સમજી જ ના શક્યો... વિચારોમાં ને વિચારોમાં ઘર આવી ગયું...ઘેર આવતા જ જોયું તો ચાર, પાંચ ભાઈઓ ઘર આંગણે ઉભા હતા.. અનુરાગ તુરંત દોડીને ગયો... ત્યાં ઉભેલા ભાઈએ કહ્યું ... દુકાનેથી સામાન લઈને આવતા હતા ને કોઈ સ્કુટર વાળો ટક્કર મારીને નીકળી ગયો...અહીં ઘર આગળ જ થયું...

અનુરાગે તુરંત પપ્પાને ફોન કર્યો , મા ને ઊંચકીને કારમાં બેસાડી ફટાફટ હોસ્પિટલ લઈ ગયો.. કપાળ પર રહેલ ઘાવ પર પટ્ટી તેમજ હાથમાં છ મહિનાનું ફ્રેક્ચર આવ્યું હતું....

હોસ્પિટલથી ઘેર આવતા જ મમ્મીને બેડ પર સુવડાવી બોલ્યો ' હવે ખબરદાર જો અહીંથી હલ્યા છો...તો , ....એમ પણ કાલથી મારે વેકેશન છે.. એટલે જે પણ કામ હોય એનો ફક્ત આદેશ કરજો... આ બંદા હાજર થઈ જશે...

માધવીની આંખોમાં આંસુ હતા.

એને વાગેલી પછડાટના દુખાવા કરતા અનુરાગની પોતાના તરફની કાળજી જોઈ હૃદય રડી પડ્યું...

બીજા દિવસની સવારની ચા થી લઈને જમવાનું બનાવવાનું કામ પણ અનુરાગે માથે લઈ લીધું... મા ને કહી દીધું... ' તમે જેમ જેમ બોલતા રહેશો એમ એમ હું કરતો રહીશ... હા..., રોટલીમાં તમને જાતજાતના નકશા જોવા મળી શકશે... રોજનો આ ક્રમ બની ગયો... સવાર હોય કે સાંજ અનુરાગ પોતાના હાથથી જમવાનું બનાવતો.. અને મનમાં વિચારતો.
' મા પ્રત્યેના ખોટા વિચારોનો પશ્ચાતાપ આનાથી વધુ શુ હોય શકે..' !!! આજે રવિવાર હોવાથી નિખિલ પણ ઘરમાં હતો. રસોડામાં ચાલતા માં-દીકરાના મીઠા સંવાદથી નિખિલનું મન પણ ખુશહાલ થઈ ગયું....

બહાર ઘનઘોર અંધારેલા કાળા વાદળો ....અને... વરસાદ ધમધોકાર તૂટી પડ્યો...નિખિલ દોડીને રસોડામાં ગયો , મા-દીકરા બંનેનો હાથ પકડી બહાર ઓટલે ખેંચી લાવ્યો... પોતે દોડીને વરસતા વરસાદમાં ન્હાવા ઉપડી ગયો . પિતાની પાછળ અનુરાગ પણ દોડી ગયો... માધવી ઓટલે બેસીને વરસાદનો ભરપૂર આનંદ લઈ રહી.... અનુરાગે સ્કુટરની ડીકીમાં પડેલી પોતાની ડાયરી એટલે કે
"નોટપેડ" કાઢી વરસતા વરસાદમાં બહાવી દીધી ... શણગારેલી ડાયરીના રંગબેરંગી કલરો મેઘધનુષ બની ચમકી રહ્યા .... સંબંધોમાં આવેલ દુકાળમાં લાગણીના પાણીનો ધોધ વરસી રહ્યો હતો...
-અજ્ઞાત

01/11/2025

લવ મેરેજ કરી ભાગેલી દીકરીએ પપ્પાને લખેલો કાગળ: ” તમે સાચા છો પણ હું ખોટી નથી!!”
ડિયર પપ્પા, કેમ છો એવું નહીં કહું, કેમકે અત્યારે તમે હોસ્પીટલના કોઈ એક 201 નંબરના વોર્ડમાં સૂતા છો. ઓક્સિજન માસ્ક લાગેલો છે, તમને વેન્ટીલેટર પર જોવાની મારામાં હિંમત નથી પણ પપ્પા, મારે તમને જોવા છે…મારે આવવું છે, પ્લીઝ મને આવવા દો !

“હું મરી જાઉં ત્યારે પણ આ છોકરીને મારું મોં ન બતાવતા” આ બોલવું અને નિભાવવું તમારા માટે કપરું હતું એટલું જ મારા માટે પણ અઘરું હતું. પપ્પા, મારો વાંક શું હતો ? મને ગમતા છોકરા સાથે મેં લગ્ન કર્યા એ ? તમને ગુસ્સો કઈ વાતનો આવ્યો હતો ? મેં મારી જાતે છોકરો પસંદ કરી લીધો એટલે કે પછી તમને રીઅલાઈઝ થઈ ગયું કે તમારી દીકરીને હવે તમારી જરૂર બિલકુલ નથી એટલે ? નાનપણથી દરેક ઝીણી ઝીણી બાબતો પર હું તમારા પર આધાર રાખતી આવી છું. તમે મમ્મીને હંમેશા કહેતા કે “આ છોકરીને મારા વગર ક્યારેય નહીં ચાલે.”
મમ્મી ઘણીવાર કહેતી કે “તમારી છોકરી તમારા વિના સાસરિયે કઈ રીતે રહેશે ?” પપ્પા, એ વખતે તમે કહેતા કે “હું એવા છોકરા સાથે મીલીના લગ્ન કરાવીશ જે મીલીના બધા ડરને સંભાળી લે.” પપ્પા, મારો વિશ્વાસ કરો. સુમિત એવો જ છોકરો છે. પપ્પા, સુમિત સાથે મેં લગ્ન કર્યા કેમકે એ તમારા જેવો છે ! દરેક છોકરી પોતાના પતિમાં પપ્પાને શોધતી હોય છે. તમને નારાજ કરીને મારે કશું જ સાબિત નહોતું કરવાનું. પપ્પા, મેં તમને અને મમ્મીને કહ્યું હતું કે મને સુમિત ગમે છે પણ તમે લોકોએ મારા માટે એનઆરઆઈ છોકરો શોધી રાખ્યો હતો. મને પરણીને અમેરિકા નહોતું જવું !

મને મુંબઈ જ રહેવું હતું તમારા લોકોની સાથે. મેં તમને અનેક વખત સમજાવ્યા પણ તમે સુમિતને સ્વીકારવા તૈયાર નહોતો. પપ્પા, તમને ખબર છે ? આ દિવસોમાં સુમિતે મને એકવાર પણ જીદ કરીને એમ નથી કીધું કે તારા પપ્પાને સમજાવ કે તું મને તારી ‘હા’ કે ‘ના’ જલદી કહે કે મારા ઘરના લોકો મારા લગ્નનું બીજી જગ્યાએ વિચારી રહ્યા છે કે ચલ ભાગી જઈએ. કશું જ નહીં. આટલી ધીરજ તમારા સિવાય મેં આ એક બીજા પુરુષમાં જોઈ એટલે હું સુમિતને પરણી. તમે લોકો સુમિતને સ્વીકારશો એવી કોઈ અપેક્ષા નહોતી રહી એ પછી જ મેં કોર્ટ મેરેજ કર્યા ! પપ્પા, આ કોર્ટ મેરેજ માટે પણ સુમિત તો રેડી નહોતો જ, એ તો તમને મળવા માંગતો હતો. હું તમને જેટલા પણ ઓળખું છું એ પરથી મને ખાત્રી હતી જ કે તમે સુમિતનું અપમાન કરશો, કદાચ તમાચો પણ મારી બેસશો. મેં એટલે જ સુમિતને તમારા સુધી ન આવવા દીધો. જેમ હું ક્યાંય તમારું અપમાન ન સહી શકું એમ સુમિતનું અપમાન પણ ન જ સહી શકું.

પપ્પા, દરેક માબાપ એના સંતાનને સુખી જોવા ઈચ્છતા હોય છે. હું સુખી છું. જો મારા જ સુખમાં તમારું સુખ હોય તો પછી આ નારાજગી કોના માટે ? મારા લગ્નને હમણા પાંચ વર્ષ પુરા થશે. આ પાંચ વર્ષમાં હું તમને દરરોજ યાદ કરું છું. તમને લોકોને યાદ કરીને હું રડી પડું ત્યારે સુમિત મને કહેતા હોય છે કે “ચલ મીલી, પપ્પા મમ્મીને મળી આવીએ, એકવાર તને જોશે એટલે બધું નોર્મલ થઈ જશે.” પણ હું વટમાં અટવાયેલી હતી કે હવે તો પપ્પા પાસે ત્યારે જ જઈશ જ્યારે સુમિતને પણ એ ઘરમાં વેલકમ કરવા એ લોકો રાજી હોય. હું તમારા ફોનની રાહ જોતી રહી પણ ક્યારેય તમારો ફોન આવ્યો જ નહીં.

મારા બર્થ ડે પર જ્યારે મારા મોબાઈલની રીંગ વાગતી તો હું ઉછળી પડતી કે સુમિત, પપ્પાનો ફોન હશે…પણ તમારો ફોન ક્યારેય નથી આવ્યો. મારા બર્થ ડે પર તમે મારી ફેવરીટ સ્ટ્રોબેરી કેક લાવી આપતા ને હું મીણબત્તી ઓલવતા પહેલા કેક પર તુટી પડતી. તમને ખબર છે પપ્પા, લગ્ન પછી મેં એક પણ કેક નથી કાપી કેમકે મને રાહ હતી, ક્યારેક તો પપ્પા કેક લઈને દોડતા આવશે. આઈમ શ્યોર પપ્પા, મને ફોન કરવા માટે કેટલીયવાર તમે ફોન હાથમાં લીધો હશે પણ તમારી આંગળીઓ માત્ર ધ્રુજતી રહી, તમે કોલ ન જ કર્યો ! રસ્તામાં જ્યારે પણ કેકશોપ આવી હશે ત્યારે તમને હું યાદ આવી હોઈશ, એક ક્ષણ માટે તમે બાઈક ધીમી પાડી હશે પણ તમે મારા માટે સ્ટ્રોબેરી પેસ્ટ્રી પણ ન જ લઈ શક્યા.

તમને લોકોને યાદ કરીને હું ઉદાસ હોંઉ ત્યારે સુમિત મને લઈને આપણા ઘરથી થોડે દૂર સાઈડમાં કાર ઉભી રાખી દે. કારના વિન્ડો ગ્લાસમાંથી આપણા ઘરને જોતી રહેતી. મમ્મી ચૂપચાપ રસોડામાં રસોઈ બનાવતી હોય અને તમે સોફા પર બેસીને ચેનલો ફેરવતા રહો સતત. એ ઘરમાં હું મારી બુમો મીસ કરતી પપ્પા.

કેટલાક સંજોગો એવા વિચિત્ર હોય કે તમે સામાવાળા વ્યક્તિને વ્યક્ત કરીને કશું કહી ન શકો કે હું તમને કેટલો પ્રેમ કરું છું કે તમે મારા માટે કેટલા અગત્યના છો. એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે તમે પ્રેમ નથી કરતા. પપ્પા, અમુક સંબંધોમાં એટલી બધી સ્પેસ હોય છે કે બધું કહેવું નથી પડતું. એમ છતાં પણ સામેની વ્યક્તિ બધું જ સમજી જતી હોય છે. દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ જ છે જેને વ્યક્ત કરવા શબ્દો, ભેટ સોગાદો કે સ્પર્શની જરૂર નથી પડતી. પપ્પા અને દીકરીનો સંબંધ આવો જ હોય છે.

આપણા સંબંધોની આસપાસ અત્યારે ફરિયાદો, અભાવો, તકલીફો અને અપરાધભાવની લીલ બાઝી ગઈ છે , એના કારણે જ આપણા દરેક પ્રયત્નો લપસી જાય છે અને એકબીજા સુધી આપણી વાત નથી પહોંચી રહી. સંબંધોની હુંફ મળશે તો લીલ સુકાશે અને તળીએ તો આપણો નક્કર રોકડો સંબંધ ચળકતો દેખાશે.

પપ્પા, હવે તો જીદ મુકો. તમે સાચા જ છો અને સાચા જ રહેવાના પણ હું ખોટી નહોતી અને અત્યારે પણ નથી જ. કદાચ આપણી વચ્ચેનો એ સમય ખોટો હતો, એ સંજોગો ખોટા હતા. પપ્પા, આ લખતી વખતે વારંવાર ધસી આવતા આંસુને લૂંછી લૂંછીને હું તમને એટલું પૂછવા માંગુ છું કે આપણી વચ્ચે પણ આ બધું ખાધું પીધુંને રાજ કર્યું ન થઈ શકે ?
મારી આંખમાં આંસુ જોઈને તમે દોડી આવતા ને તમે આંસુ લૂછી આપતા. મમ્મી મને ઉંચા અવાજે કશું કહેતી તો તમે મમ્મીને પણ ખીજાઈ જતા. આ પાંચ વર્ષ તમારા વિના બહું જ રડી છું. આજે તમને આ કાગળ લખી રહી છું ત્યારે આંસુ રોકાવવાનું નામ નથી લેતા. તમે ગુસ્સામાં છો પણ એ ગુસ્સાના પડ નીચે મારા માટે અખૂટ વ્હાલનો દરિયો ઉછાળા મારે છે. પપ્પા, એ દરિયાના બે ચાર ટીપા માટે હું તરસી રહી છું.

પેલ્લી વખત મેં મારા મનને ગમ્યું એવું કશું કર્યું અને તમને ખરેખર એંમાં મારો વાંક દેખાતો હોય તો મને માફ કરી દો. તમે કહેશો ત્યાં સુધી કાન પકડીને ઉઠક બેઠક કરીશ પણ પપ્પા, મને તમારી પાસે આવવા દોને !

લી. તમારી પોતાની દીકરી મિલી
-રામ મોરી

31/10/2025

માળિયુ સાફ કરતા.. પાર્થિવ નાણાવટી

ઘરમાં એક તરફ લગ્નની તૈયારી ચાલી રહી હતી. દીકરીના લગ્ન, વ્યવહાર અને બીજો ખર્ચ ગણતરી કરતા વધી જતો હતો, ક્યાં કાપ મુકવો સમજાતું ન હતું. ઘણી વખત રાત્રે મારી ઊંઘ હરામ થઈ જતી હતી. ઓછામાં ઓછું 10 તોલા સોનુ આપવું પડે તેમ હતું, કુમારને વીંટી તો ખરી જ.

મારી પત્ની સ્મિતા તેના લગ્ન સમયે મળેલ સોનુ, મારી સામે મૂકી બોલી, ચિતા ના કરો. સોનાનો ભાવ અકલ્પનીય ચાલે છે. મારુ સોનુ વેચી 'પાયલ'ના ઘરેણાં કરાવી નાખીએ.

લગ્ન પછી પરિવારની જવાબદારીઓથી હું ઘેરાઈ ગયો હોવાથી નવા ઘરેણાં તો સ્મિતાને અપાવી શક્યો ન હતો, તેથી તેના લગ્ન સમયના ઘરેણાંને આ રીતે વેચી દેવાની મેં સ્પષ્ટ ના પાડી.

ભગવાન ઉપર ભરોસો હતો. એટલે મેં ખૂણામાં બિરાજમાન ભગવાન સામે જોઈ કીધું, હું જ્યારે જ્યારે મૂંઝાયો છું ત્યારે ત્યારે તેં કોઈ પણ સ્વરૂપે મદદ કરી છે મારી ચિંતા તને સોંપી એમ કહી હું હસી પડ્યો.

કેમ એકલા એકલા હસો છો, સ્મિતા બોલી.

મેં કીધું સ્મિતા એ તો મારી અને ભગવાનની વાતો હતી.

આ બાજુ મારા પપ્પા મારી તકલીફ અને વાતો સાંભળતા હતા એની મને ખબર ન હતી. મારા મમ્મીના ગયા પછી, પપ્પા અમારી વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતા નહિ, પુછીયે તેટલો જવાબ, વણમાંગી સલાહ તેઓ કદી કોઈને આપતા નહિ, તેઓ હંમેશા માનતા કે, મફત કે કોઈ પ્રયત્ન કર્યા વગર મળેલ લાગણી કે સલાહની, લોકોની નજરમાં કોઈ કિંમત હોતી નથી.```

*બાળકો વચ્ચે, ઘડપણમાં સ્વમાનથી જીવવું હોય તો પૂછે તેટલો જવાબ આપો, તેમની દરેક પ્રવૃતિઓમાં ટાંગ મારવી નહિ, આપણી પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત રહેવું.*

```પપ્પાએ અચાનક મને કીધું. બેટા એક કામ છે, કરીશ? પપ્પા માનસિક શારીરિક એટલા સ્વસ્થ હતા કે તે પોતાના દરેક કામ જાતે જ કરી લેતા. આજે અચાનક મને એવો સવાલ કર્યો એટલે મેં કીધું બોલો પપ્પા.

બેટા કાલે રવિવાર, તારે રજા છે ને?

હા, તો પપ્પા.

બેટા તારી માઁ ના ગયા પછી બેડરૂમનું માળિયું મેં સાફ કર્યું નથી.

હા પપ્પા પણ માળિયું સાફ કરવાની મારી પણ ક્યાં ઉમ્મર છે? મેં હસતા હસતા કીધું. તમે કહેતા હો તો થોડા રૂપિયા આપી માળિયું સાફ કરાવી આપું.

ના બેટા, મારે તો તારા હાથે જ માળિયું સાફ કરાવવું છે.

હું પપ્પાની જીદને સમજી શક્યો નહિ, પણ મમ્મીના ગયા પછી પપ્પાએ કોઈ પણ પ્રકારનો મને આગ્રહ કર્યો ન હતો. તેઓ વ્યક્તિગત એવુ માનતા કે જીવનમાં ગ્રહ કોઈને નડતા જ નથી, નડે છે તો માત્ર આગ્રહ.

એટલે મેં કીધું સારું પપ્પા.

બીજે દિવસે સવારે સોસાયટીમાંથી સીડી લાવી હું માળિયે ચઢ્યો. એક પછી એક નકામી વસ્તુ હું માળિયેથી નીચે ફેંકવા લાગ્યો, ત્યાં એક પતરાની તાળું મારેલ બેગ મેં ઉંચી કરી પપ્પાને બતાવી મેં કીધું : પપ્પા, ફેંકી દયો આવો ભંગાર. આવી બેગને હવે શું કરવી છે? આ બેગને તાળું પણ માર્યું છે, ચાવી કોને ખબર ક્યાં હશે? હું બબડયો.

પપ્પા ધીરુ હસતા બોલ્યા : બેટા એ પેટી મને આપ અને હવે તું માળિયેથી નીચે ઉતરી જા. માળિયામાંથી મારે જે કાઢવાનું હતું એ મને મળી ગયું છે.

હું કંઈ સમજ્યો નહિ છતાં પતરાની પેટી પપ્પાના હાથમાં આપી હું ધીરેથી સિડીથી નીચે ઉતર્યો.

પપ્પાએ પતરાની પેટી પલંગ ઉપર મૂકી. મને કીધું આવ બેટા મારી બાજુમાં બેસ, હું પપ્પાને ધ્યાનથી જોતો રહ્યો.

પપ્પાએ મારા માથે હાથ ફેરવી કીધું બેટા, તારી ચિંતાઓ આ પેટી ખોલતા દૂર થશે.

પપ્પાનો અચાનક હાથ ફરતા, એ પણ જ્યારે હું મુસીબતમાં હતો ત્યારે મને ઘણું સારું લાગ્યું. વડીલોની ગેરહાજરીમાં તેમનું યોગદાન આપણને સમજાય છે પણ જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું ન થઈ જાય એ ધ્યાન રાખજો. ફોટા પાસે યાદ કરી રડવું એ સારી નિશાની છે પણ પસ્તાવો કરી રડવું પડે તેવો વ્યવહાર કદી વડીલો સાથે ન કરવો જોઈએ.

માઁ ના પ્રેમ કરતા પપ્પાના પ્રેમને ઓળખવા માટે તાકાત જોઇએ, પપ્પાને મેં રડતા ફક્ત મમ્મીની વિદાય સમયે જોયા હતા, બાપની આંખમાં આંસુ જો આપણા વ્યવહારને કારણે આવે તો સમજી લેજો, ધન દોલત નસીબથી મળશે પણ શાંતિ અને આનંદ કદી નહિ મળે.

બાકી મારા વાણી વર્તન કે વ્યવહારથી મેં કદી પપ્પાને દુઃખી કર્યા ન હતા કે તેમની આંખના આંસુનું કારણ હું કદી બન્યો ન હતો એ માટે હું મારી પત્ની સ્મિતાનો પણ આભારી છું.

પપ્પાની આંખ ભીની હતી, એ બોલ્યા : બેટા સમીર, આ પેટીને મારેલ તાળાની ચાવી લે કહી મારા હાથમાં ચાવી મૂકી બોલ્યા, બેટા આ પેટી ખોલતા જ તારી ચિંતાઓ દૂર થશે. પેટી ખોલવાનો આ યોગ્ય સમય છે.

પપ્પાના ભેદભરમ વાળા શબ્દો હું સમજી શક્યો નહિ. મેં પેટીનું તાળું ખોલ્યું, તેમાં લાલ કપડાંના બે પોટલાં હતા. એ મેં ખોલ્યા તો એ પોટલાં સોનાના ઘરેણાંથી ભરેલ હતા. હું પોટલાં સામે અને પપ્પા સામે જોતો રહ્યો.

બેટા તારી માઁ કહેતી ગઈ હતી યોગ્ય સમયે આ ઘરેણાંનો ઉપયોગ કરજો. બેટા આજ યોગ્ય સમય મને લાગ્યો છે.

હું ખુશ થઈ પપ્પાને ભેટી રડી પડ્યો. બોલવા માટે કોઈ શબ્દો ન હતા.

પપ્પાના કેહવા મુજબ અંદાજીત 50 તોલાથી વધારે સોનુ હતું અને બીજા અસંખ્ય નાના મોટા ચાંદીના વાસણ અને ઘરેણાં જોઈ હું હરખાઈ ગયો મેં સ્મિતાને બુમ મારી અંદર બોલાવી, બેગ બતાવી, વિગતે વાત કરી. સ્મિતા પણ પપ્પાને પગે લાગી. બોલી પપ્પા તમે સાચા સમયે અમને મદદ કરી છે.

મેં સ્મિતાને કીધું : મેં તને કીધું હતું મારી મુસીબત સમયે ભગવાન કોઈ પણ સ્વરૂપે હાજર થાય છે. આજે મારા પિતા ભગવાન સ્વરૂપે હાજર થયા છે. ભગવાન પોતે હાજર નથી થતો. સામેની વ્યક્તિમાં આપણા પ્રત્યે કરુણા જગાડે છે.

પપ્પા સ્મિતાને બોલ્યા, બેટા તારું એક પણ ઘરેણું વેચવાનું નથી. આ ઘરેણાંનો વહીવટ તમે બન્ને સાથે મળી કરો, હું હવે છુટ્ટો. મારી જિંદગીનો ભરોસો ન કહેવાય, અત્યારે તમે મુંઝાતા હો ત્યારે આ ઘરેણાં ઉપર માળિયામાં પડ્યા રહે, તેનો કોઈ મતલબ નથી.

બેટા તારી માઁ ના ગયા પછી તમે મને માન સન્માન સાથે સાચવ્યો છે. શરૂઆતમાં મને ડર હતો કે, દીકરા અને વહુનું વર્તન વ્યવહાર બદલાઈ જશે તો? એટલે મુસીબતની સાંકળ તરીકે આ ઘરેણાં મેં માળિયામાં મૂકી રાખ્યા હતા.

પાયલના લગ્ન ધામધૂમથી કરજે. એકાદ બે ફિક્સ તોડવી પડે તો મને કહેજે, પણ લગ્ન ધામ ધૂમથી કરજે.

હા, પણ આપણે મધ્યમવર્ગ પરિવારના છીએ એ ભૂલતો નહિ. ખોટો ભપકો, લોકોની અપેક્ષાઓ વધારે છે.

સ્મિતા અને મેં પપ્પાના ચરણ સ્પર્શ કરી કીધું, ભગવાન છે એવું મેં સાંભળ્યું છે પણ જોયો નથી, પણ "આજે મારી નજર સામે ભગવાનનું સ્વરૂપ હું જોઇ રહ્યો છું."

બેટા તું અને સ્મિતા પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મારી સેવા કરો છો. બાળકોની ખરી કસોટી ઘડપણ સમયે જ થાય છે. તેમાં પણ ખાસ બે પાત્રમાંથી એક પાત્ર વિદાય થાય પછી. એ એકલતાને દૂર કરવા બાળકોનો વ્યવહાર જીવન જીવવા માટેનું પ્રેરક બળ બની જાય છે.

અમે કીધું પપ્પા અમને આશિર્વાદ આપો.

પપ્પા એ કીધું, બેટા માઁ બાપના આશિર્વાદ સદા એના બાળકો સાથે જ હોય છે. આશિર્વાદ આપવા લેવાની વસ્તુ નથી, એતો બાળકોના જન્મતાની સાથે મા બાપનું વરદાન જ હોય છે.

બાકી દરેક વ્યક્તિ સુખી કે દુઃખી તેના વ્યવહાર અને સ્વભાવથી થાય છે, ત્યાં આશિર્વાદ કામ પણ નથી આવતા બેટા. જીવનમાં સુખી થવું હોય તો દેખાદેખી ન કરતો, આપણે મધ્યમવર્ગીય પરિવારના સંતાનો છીએ એ કડવી વાસ્તવિકતા કદી ભૂલતો નહિ.

જે વ્યક્તિઓને આપણી જીવન શૈલી અનુકૂળ ન આવતી હોય એ આપણાથી દુર રહે અથવા આપણે એવી વ્યક્તિઓથી દુર રહેવું, પાપ થાય તેવું કમાવું નહિ, કોઈને દુઃખ થાય તેવું બોલવું નહિ અને તબિયત બગડે તેવું ખાવું નહિ, વાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, છૂટેલા તીર અને બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી, આપણા મૌન અને આપણા શબ્દોની કિંમત સમજવી, તેનો યોગ્ય સમયે ઉપયોગ કરીએ તો તેની અસરકારકતા વધી જાય છે.

બસ બેટા, આ જીવન જીવવાની જડી બુટ્ટી છે. આપણી પાસે રૂપિયા અને સતાની તાકાત ગમે તેટલી હોય, પણ સમયની તાકાત સામે આ તાકત પણ વામાણી સાબિત થાય છે.

ભીંત ઉપર લખી રાખ, સમય પરિવર્તનશીલ છે. ચકવાતી તૂફાન કદી લાંબો સમય રહેતું નથી. આ સમયે છોડ નમી જાય છે, ઝાડ અક્કડ રહે છે, એટલે તેને મૂળથી ઉખેડી ચક્રવર્તી પવન ફેંકી દે છે. સમય ખરાબ ચાલતો હોય ત્યારે નમ્રતા અને મૌન ઉત્તમ સાધન છે, ખરાબ સમય તો પસાર થઈ જશે પણ ખોટી વાણી વર્તન વ્યવહાર સંસાર હમેશા યાદ રાખશે.

પપ્પાના શબ્દરૂપી અમૂલ્ય મોતી વેરાતા હતા અને હું એ મોતીને એકઠા કરી રહ્યો હતો, વર્ષો પછી પપ્પાએ મને અને સ્મિતાને બાજુમાં બેસાડી જીવન કેમ જીવાય તેની સલાહ પણ આપી. તેમનું ઉદાહરણ તો મારી સામે હતું..

30/10/2025

એક નાનકડી સહાયથી બદલાઈ જતી જિંદગી…

૧૯૪૩ ની વાત છે, જ્યારે ડૉ. આર. એચ. કુલકર્ણી હુબલીમાં રહેતા એક યુવાન ડૉક્ટર હતા અને મહારાષ્ટ્ર-કર્ણાટકની સરહદ નજીક ચાંદગઢ ગામની એક સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. ગામ ઓછી વસ્તી ધરાવતું હતું અને ગાઢ જંગલથી ઘેરાયેલું હતું.

જુલાઈ મહિનો હતો. ભારે વરસાદ સાથે તોફાની રાત્રે, ડૉ. કુલકર્ણી એક પુસ્તક વાંચી રહ્યા હતા. અચાનક, તેમણે તેમના ઘરના દરવાજા પર જોરથી ટકોરા સાંભળ્યા. તેમને આશ્ચર્ય થયું કે રાત્રિના આ સમયે કોણ હોઈ શકે. ભયના ભાવ સાથે, તેમણે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ, તેમણે ચાર માણસોને ઊનના કપડાંમાં લપેટાયેલા અને હાથમાં લાકડીઓ સાથે જોયા. તેઓએ મરાઠીમાં ડૉ કુલકર્ણીને કહ્યું , "તમારી બેગ લો અને ઝડપથી અમારી સાથે ગાડીમાં બેસી જાવ."

ડૉક્ટરને લાગ્યું કે આ લોકોનો વિરોધ કરવામાં જોખમ વધારે છે, તેથી તેઓ શાંતિથી તેમની બેગ લઈને તેમની સાથે ગયા. ડરીને તેમણે પૂછ્યું, "તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો?" જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તે ચૂપચાપ બેઠો. દોઢ કલાક પછી, ગાડી અટકી.

ચારે બાજુ અંધારું હતું. લાકડીઓવાળા માણસો ડૉક્ટરને ગાડીમાંથી બહાર કાઢ્યા અને તેમને એક કાચાના ઘરમાં લઈ ગયા. એક ઓરડો ફાનસથી પ્રકાશિત હતો, અને એક ગર્ભવતી સ્ત્રી ખાટલા પર સૂતી હતી. તેની બાજુમાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. આ દ્રશ્ય જોઈને, ડૉક્ટર અંદરથી ધ્રુજી ગયા અને શું થઈ રહ્યું છે તે સમજી શક્યા નહીં. આ સમયે, તેમને જાણ કરવામાં આવી કે તેમને બાળકની ડિલિવરી કરવા માટે લાવવામાં આવ્યા છે.

પીડાથી રડતી તે છોકરી જોઈને, ડૉક્ટરનું હૃદય પીગળી ગયું. જોકે તેમણે પહેલાં ક્યારેય ડિલિવરી કરી ન હતી, છતાં તેમણે નક્કી કર્યું કે તે તોફાની રાત્રે આ છોકરીને ચોક્કસપણે મદદ કરશે, અને તેણીને પૂછ્યું, "તમે કોણ છો? તમે અહીં કેવી રીતે પહોંચ્યા?"

"ડૉક્ટર, હું જીવવા માંગતી નથી," છોકરીએ પીડાદાયક અવાજમાં કહ્યું. તેણીએ પોતાની કરુણતા વર્ણવતા કહ્યું, "હું અહીં એક મોટા જમીનદારની દીકરી છું."

તેણીએ આગળ કહ્યું, "અમારા ગામમાં કોઈ હાઈસ્કૂલ ન હોવાથી, મારા માતા-પિતાએ મને દૂરના શહેરમાં ભણવા મોકલી. હું એક સહાધ્યાયી સાથે પ્રેમમાં પડી ગઈ... અને ગર્ભવતી થઈ. જ્યારે મને ખબર પડી, ત્યારે મેં તરત જ તે છોકરાને કહ્યું. પરંતુ તે મને છોડીને ભાગી ગયો. જ્યારે મારા માતા-પિતાને ખબર પડી, ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. તેથી જ તેઓએ મને અહીં મોકલી દીધી, જેથી કોઈને તેના વિશે ખબર ન પડે." છોકરીએ પોતાની વાર્તા પૂરી કરતા જોરથી રડવા લાગી.

ડૉ. કુલકર્ણીએ ડિલિવરીની તૈયારી શરૂ કરી. તેમના પ્રયત્નોથી, મહિલાએ એક છોકરીને જન્મ આપ્યો, પરંતુ બાળકી રડી નહીં. જ્યારે યુવતીને આ ખબર પડી, ત્યારે તે કહેવા લાગી, "આ એક દીકરી છે! તેને મરવા દો નહીંતર તેને પણ મારી જેમ કમનસીબ જીવન જીવવું પડશે."

પરંતુ ડૉ. કુલકર્ણીએ હજુ પણ બાળકીને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, અને તેમના સતત પ્રયાસો પછી, બાળકી રડી પડી. ડિલિવરી પછી જ્યારે ડૉક્ટર રૂમમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમને 100 રૂપિયા આપવામાં આવ્યા, જે તે સમયે મોટી રકમ હતી. ડૉક્ટર કુલકર્ણી ત્યારે ₹75 માસિક પગાર મેળવતા હતા. ફી લીધા પછી, ડૉક્ટરને ખ્યાલ આવ્યો કે તેઓ તેમની બેગ રૂમમાં ભૂલી ગયા છે. બેગ લેવાના બહાને, ડૉક્ટર કુલકર્ણી ફરી એકવાર તે રૂમમાં ગયા અને છોકરીના હાથ પર 100 રૂપિયા મૂક્યા અને કહ્યું, "બહેન, આનંદ અને દુ:ખ માનવીની સમજની બહાર છે, પણ તું બધું ભૂલી શકે છે અને પોતાનું અને આ નાના જીવનું ધ્યાન રાખી શકે છે. જ્યારે તું મુસાફરી કરી શકે, ત્યારે પુણેની નર્સિંગ કોલેજ જા. ત્યાં મારા એક મિત્ર છે જેનું નામ શ્રી આપ્ટે છે. તેમને મળજે અને તેમને કહો કે ડૉ. આર. એચ. કુલકર્ણીએ તમને મોકલ્યા છે. તેઓ ચોક્કસ તમને મદદ કરશે. તેને ભાઈની વિનંતી માનો. હમણાં, હું તમારા માટે વધુ કંઈ કરી શકીશ નહીં." તેમણે તેમના માથા પર હાથ મૂક્યો અને ચાલ્યા ગયા.

આ ઘટનાને વર્ષો વીતી ગયા. ડૉ. આર. એચ. કુલકર્ણી પાછળથી સ્ત્રી પ્રસૂતિશાસ્ત્રમાં નિષ્ણાત બન્યા. એકવાર, તેઓ એક મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ઔરંગાબાદ ગયા હતા. એ કોન્ફરન્સમાં એક યુવાન, ઉત્સાહી અને તેજસ્વી ડૉક્ટર, ડૉ. ચંદ્રાના લેકચરથી તે ખૂબ પ્રભાવિત થયા હતા. તે જ કાર્યક્રમ દરમિયાન, કોઈએ ડૉ. કુલકર્ણીને તેમના નામથી બોલાવ્યા, અને ડૉ. ચંદ્રાનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. તે સીધી તેમની પાસે ગઈ અને તેમને પૂછ્યું, "સાહેબ, શું તમે ક્યારેય ચાંદગઢ ગયા છો?"

ડૉ. કુલકર્ણી: "હા, મેં જોયું છે, પણ એ તો વર્ષો પહેલા."

ડૉ. ચંદ્રા: "તો તમારે મારા ઘરે આવવું જ પડશે."

ડૉ. કુલકર્ણી: "ડૉ. ચંદ્રા, હું આજે પહેલી વાર તમને મળ્યો છું. મને તમારું લેક્ચર સાંભળીને ખૂબ આનંદ થયો, અને હું તમારા જ્ઞાન અને સંશોધનની કદર કરું છું. પણ હું આજે તમારી સાથે જોડાઈ શકીશ નહીં. હું ચોક્કસ બીજી કોઈક વાર આવીશ."

પણ ડૉ. ચંદ્રાએ આગ્રહ ચાલુ રાખ્યો, "સાહેબ, કૃપા કરીને આજે થોડી વાર મારી સાથે આવો, હું જીવનભર તમારી આભારી રહીશ." ડૉ. કુલકર્ણી, ડૉ. ચંદ્રાના પ્રેમાળ આમંત્રણને નકારી શક્યા નહીં. છેવટે, ડૉ. ચંદ્રા, ડૉ. કુલકર્ણીને લઈને પોતાને ઘરે ગઈ અને ઘરે પહોચીને બૂમ પાડી, "મા જુઓ, આપણા ઘરે કોણ આવ્યું છે!"

ડૉ. ચંદ્રાની માતા બહાર આવી અને ડૉ. કુલકર્ણીને પોતાની સામે જોઈને, પહેલા તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેમની આંખો આંસુઓથી ભરાઈ આવી પણ પોતાની લાગણી કાબુમાં રાખવા પ્રયત્ન કર્યો.

ડૉક્ટર કુલકર્ણી મૂંઝાઈ ગયા અને ગભરાઈ ગયા. પરંતુ તેઓ કંઈ સમજે તે પહેલાં, ડૉ. ચંદ્રાની માતાએ જૂની વાર્તા યાદ કરીને કહ્યું: "ડૉક્ટર, હું એ જ છોકરી છું જેને તમે મધ્યરાત્રિએ ચાંદગઢ નજીકના ગામમાં પ્રસુતિ કરી હતી. થોડા સમય પછી હું પુણે ગઈ અને ત્યાં તમારી સલાહ મુજબ સ્ટાફ નર્સ બની. મેં મારી દીકરીને ખૂબ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરી અને તમને આદર્શ માનીને તેને ગાયનેકોલોજિસ્ટ બનાવી. મારી દીકરી ચંદ્રા એ જ છે જેનો જન્મ તે રાત્રે તમારા હાથે થયો હતો."

આ બધું સાંભળીને ડૉક્ટર કુલકર્ણી ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને ખૂબ જ ખુશ થયા. તેણે ચંદ્રાને પૂછ્યું, "પણ તમે મને કેવી રીતે ઓળખી કાઢ્યો?"

ડૉ. ચંદ્રાએ કહ્યું, "મેં તમને તમારા નામથી ઓળખ્યા, સર. મેં મારી માતાને હંમેશા તમારા નામનો જાપ કરતા સાંભળ્યા છે."

વિસ્મયથી, ડૉ. ચંદ્રાની માતાએ કહ્યું, "સાહેબ, તમારું નામ રામચંદ્ર છે. તે નામથી જ, મેં મારી દીકરીનું નામ ચંદ્રા રાખ્યું છે. તમે અમને એક અદભૂત નવું જીવન આપ્યું છે. ચંદ્રા પણ તમને એક આદર્શ માને છે અને ગરીબ મહિલાઓને મફત સારવાર આપીને મદદ કરે છે."

(ડૉ. આર. એચ. કુલકર્ણી એ શ્રીમતી સુધા મૂર્તિના પિતા છે)

આ હૃદયસ્પર્શી વાર્તા યાદ અપાવે છે કે સહાનુભૂતિ, નિસ્વાર્થ સેવા અને પ્રેરણા માત્ર અન્યને જ નહીં, પણ આપણી જાતને પણ એક અનોખી હેપીનેસની અનુભૂતિ કરાવે છે.

Address

Ahmedabad
380058

Alerts

Be the first to know and let us send you an email when Jignesh Mehta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jignesh Mehta:

Share