ગુજરાતી દેશી ઢોલના તાલે

  • Home
  • India
  • Amadavad
  • ગુજરાતી દેશી ઢોલના તાલે

ગુજરાતી દેશી ઢોલના તાલે For Advt. Dm on Insta
(1)

"ગુજરાતની ધરોહર"

સાહિત્ય વાર્તાઓ,રમુજી ટુચકા અને બીજું ઘણું બધું - પેજને ફોલો કરી દેજો...🙏

અમારો કન્ટેન્ટ ફક્ત શૈક્ષણિક અને મનોરંજનના ઉદ્દેશ્ય થી છે. અમારો મકસદ કોઈ ધર્મ, જાતિ કે સમુદાય ને ઠેસ પહોચાડવાનો નથી.

ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ...
05/09/2025

ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશાનાં આઘાં-આઘાં ઝાડવાં વચ્ચે રોજ જ્યારે રુંઝો રડતી હયો, કંકુડાં ઢોળાતાં હોય, માથે ચાંદો ને ચાંદરણું નીતરતાં હોય, ત્યારે પણ કિલ્લો તો કોઇ ધૂંધળીમસ જેવો ધૂંધળાવરણો અને એકલવાયો જ પડીને ઊભો હોય છે.

હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દીવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે. કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા નીરખવા માટે જુક્તિદાર ઓરડા બંધાવેલા છે. હજુયે એક વાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નીરખીએ, ગરાસિયાનાં ઘોડાં ખેલતાં ભાળીએ, જુવાનોની કુસ્તી જોઇએ, ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદના રાસડા સાંભળીએ ત્યારે કાળ છસો વરસ પાછો ખસી જાય, અને એ વિલાસી રાજા રાણજીના હાસ્ય-કલ્લોલ તથા રાણીઓનાં કરુણ રોણાં કાને અથડાય છે.

એ ગામ રાણપુર : એ બે નદીઓ સુકભાદર અને ગોમા : રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો. એ તે કિલ્લો કે ક્રીડામહેલ !

રાણજી વિલાસી હતો. કહે છે કે એને ચોરાસી રાણીઓ હતી; દિવસ-રાત એ રણવાસમાં જ રહેતો. એને 'કનૈયો' કહેતા. બ્રાહ્મણોના ભુલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનનું મોં ન જોવું.

એક દિવસ જૂનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમણ ડોશી અને એનો દીકરો પાછાં અમદાવાદ જતાં હતાં. રસ્તામાં મા-દીકરો રાણપુર રાત રહ્યાં.

સવાર પડ્યું. રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાઇ. બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની ! રાજાને કુમતિ સૂઝી. એ બાળકનો શિરચ્છેદ કરાવ્યો !

છોકરા વિનાની માતાએ અમદાવાદ જઇને ચોધાર આંસુએ મહમદશાહ બેગડા પાસે વાત કહી. મહમદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે; પરંતુ રાજાને કોણ કહેવા જાય ? દુર્મતિઓ રાજા તો રાણવાસમાં અહોરાત ગુલતાન કરે છે. બહારની દુનિયામાં ડોકિયું પણ કરતો નથી. સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહિ નીકળે.

પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો : "એ બાપ રાણા ! -

રાણા રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
હે રાણા ! હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે સીમાેડ કનારા ગામ સુધી આવી પહોંચ્યું. હે ક્ષત્રિય ! ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો ?

ચારણના શબ્દો કાને પડતાં તે ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ દીધી કે : "જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઊડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું. પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો."

રાણીઓએ ઉત્તર દીધો : "પણ રાજા, જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે ચોરાશીમાંથી એકેય જીવતી નહિ રહીએ."

રાણજી સૈન્ય લઇને રણે ચડ્યો. રાણપુરથી ત્રણ-ચાર ગાઉ આઘે મહમદશાહની ફોજ સાથે એની તલવારો અફળાઈ. આંહીં ગઢને ગોખે બેઠી બેઠી ચોરાશી રજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે, ધજા ગગનમાં ઊડતી દેખાય છે; એ ધજાને આધારે રાણીઓ જીવે છે.

વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે. પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને, તે રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઊતર્યો. રાણજીનું ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર ચોરાશી જીવાત્માઓ ટાંપીને બેઠા હશે !

કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ ચોરાશી ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં મુસલમાન આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા.

વિજયી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા, ત્યાં તો રાણીઓનાં શબથી કૂવો પુરાયેલો દીઠો ! એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો.

હવે જીવીને શું કરવું છે ? એમ વિચારીને એ પાછો વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી તેમાં પહોંચ્યો ને જુદ્ધ કરતાં કરતાં મરાયો.

મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઇને એક દાસી રાણજીના ભાઇને ઘેર ઉમરાળા નાસી ગઇ.

હજુય જાણે એ રાજમહેલમાં ખંડેરમાં ચોરાશી મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે, સામસામી તાળી દેતા સુંદર સુકોમળ હાથની ઘૂઘરીજડિત ચૂડલીઓ જાણે રણઝણી રહે છે; ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે; અને છેવટે ગૂંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ -

રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
અને એ પહોળો કૂવો ! ચોરાશી સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હીબકાં નહિ ભરતાં હોય ? આજ એ કિલ્લાની નદી તરફની આખી દીવાલ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરાં કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાનાં કમાડ પડી ગયાં છે. કમાડ પર છસો ચોમાસાં વરસી ગયાં, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્નભિન્ન છે.

[કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહિ પણ કોઇ મુસલમાન સૂબાએ બંધાવ્યો છે, અને 'રાણાનો કોટ' નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. અને ત્યાં જે કોઇ ખંડેરો દેખાય છે તે રાણાના કોટનાં છે.]

સૌરાષ્ટ્રની રસધાર
રાણજી ગોહિલ
ઝવેરચંદ મેઘાણી

ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ...
04/09/2025

ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીસ સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં.

રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે : ‘હે દયાળુ ! મે’ વરસાવો ! મારાં પશુ, પંખી અને માનવી ભૂખ્યાં-તરસ્યાં મરે છે.’ પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ. ડુંગરા ઉપર ઘાસ ઊગ્યાં.

દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં તો ખરો, મારી વસ્તી સુખી છે કે દુ:ખી ? જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે કે નહિ ? દાણા વાવે છે કે નહિ ? તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ ?’ ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય. ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે, પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાંતીડે બબ્બે બળદો : બળદો પણ કેવા ! ધીંગા અને ધફડિયા.

પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે, પણ હળને બેય બાજુ બળદ નથી જોતર્યા; એક બાજુ જોતરેલ છે બળદ, ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી.

માણસ હળ હાંકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે, બાયડીનેય લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળદે એની પાસે ગયા. જઈને કહ્યું: ‘અરે ભાઈ ! હળ તો ઊભું રાખ !’

‘ઊભું તો નહિ જ રાખું. મારે વાવણી મોડી થાય તો ? તો ઊગે શું, તારું કપાળ ? વાવણી ને ઘી-તાવણી ! મડું ઢાંકીનેય વાવણી કરવી પડે, ઠાકોર !’ એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વીનવ્યો : ‘અરેરે, ભાઈ ! આવો નિર્દય ? બાયડીને હળમાં જોડી !’

‘તારે શી પંચાત ? બાયડી તો મારી છે ને ? ધરાર જોડીશ. ધરાર મારીશ.’

‘અરે ભાઈ, શીદ જોડી છે ? કારણ તો કહે !’

‘મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું વરસ ખાઉં શું ? બાયડી-છોકરાંને ખવરાવું શું ? એટલા માટે આને જોડી છે !’ ‘સાચી વાત ! ભાઈ, સાચેસાચી વાત ! લે, હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.’

‘પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ; તે પહેલા નહિ છોડું. હળને ઊભું તો નહિ જ રાખું. આ તો વાવણી છે, ખબર છે ?’

રાજાએ નોકર દોડાવ્યો : ‘જા ભાઈ, સામાં ખેતરોમાં. મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે.’ તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે.

રાજા બોલ્યા : ‘લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.’ ખેડૂત બોલ્યો : ‘આજ તો ઊભા કેમ રહેવાય ? વાવણીનો દિવસ. ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછાં થઈ જાય !’

રાજાજી દુભાઈ ગયા : ‘તું પુરુષ થઈને આટલો બધો નિર્દય ? તું તો માનવી કે રાક્ષસ ?’

ખેડૂતની જીભ તો કુહાડા જેવી ! તેમાંય પાછો ચારણ ખેડૂત ! બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે ! એવું જ બોલ્યો : ‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જા ને ! તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો ?’

‘બરાબર ! બરાબર !’ કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઊતર્યા. અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું : ‘લે, છોડ એ બાઈને અને જોડી દે મને.’ બાઈ છૂટી એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઈ રહ્યાં. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંક્યે જાય છે.

ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઊથલ પૂરો થયો, ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એ તો રાજાનાં વારણાં લેવા લાગી : ‘ખમ્મા, મારા વીરા ! ખમ્મા, મારા બાપ ! કરોડ દિવાળી તારાં રાજપાટ તપજો !’ દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા.

ચોમાસું પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા ! દરેક છોડની ઉપર અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું ? વેંત વેંત જેવડું ! ડૂંડામાં ભરચક દાણા ! ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા.

જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે ! (એટલે કે એક પણ ડૂંડામાં દાણા જ ન મળે ) આ શું કૌતુક ! ચારણને સાંભર્યું : ‘હા હા ! તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા ! એનાં પગલાં પડ્યાં એટલી ભોમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલા દાણાય ફોગટ ગયા !’ ખિજાઈને ચારણ ઘેર ગયો, જઈને બાયડીને વાત કરી : ‘જા, જઈને જોઈ આવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું.’

બાઈ કહે : ‘અરે ચારણ ! હોય નહિ. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.’

‘ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી !’

દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક થાય છે, સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે : ‘હે સૂરજ, તમે તપો છો, તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટાં થાય છે ? મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ !’

જુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડા નીંઘલ્યાં જ નહોતાં, ને બીજા બધા છોડવા તો ડૂંડે ભાંગી પડે છે !

આ શું કૌતુક !

પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુરસુજાણ હતી.

ચારણી હળવે હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડું હાથમાં લીધું. હળવે હાથે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું.

આહાહાહા ! આ શું ? દાણા નહિ, પણ સાચાં મોતીડાં ! ડૂંડે ડૂંડે મોતીડાં; ચકચકતાં રૂપાળાં: રાતા, પીળાં અને આસમાની મોતીડાં. મોતી ! મોતી ! મોતી ! રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યાં !

ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો : ‘અરે, મૂરખા, ચાલ તો મારી સાથે ! તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો.’ પરાણે એને લઈ ગઈ; જઈને દેખાડ્યું : મોતી જોઈને ચારણ પસ્તાયો : ‘ઓહોહો ! મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી !’ બધાં મોતી ઉતાર્યાં. ચારણે ફાંટ બાંધી, પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુ:ખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ કરે છે ! રાજાજીનાં ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં.

રાજાજી પૂછે છે : ‘આ શું છે, ભાઈ ?’

ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો :

જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;
(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળદે !

[હે દેપાળદે રાજા ! જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે ? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને! – આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત ! ]

રાજાજી તો કાંઈ સમજ્યા નહિ.

‘અરે ભાઈ ! તું આ શું બોલે છે ?’

ચારણે બધી વાત કરી.

રાજાજી હસી પડ્યા : ‘અરે ભાઈ ! મોતી કાંઈ મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ મોતી પાક્યાં.’

ચારણ રડી પડ્યો : "હે દેવરાજા ! મારી ચારણીને હું હવે કે'દીયે નહિ સંતાપું"

ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો : ‘ભાઈ ! આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા !’

‘બાપા ! તમારા પુણ્યનાં મોતી ! તમે જ રાખો.’

‘ના, ભાઈ ! તારી સ્ત્રીનાં પુણ્યનાં મોતી : એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું.’

રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું. લઈને માથા પર ચડાવ્યું. પછી પરોવીને ડોકમાં પહેર્યું.

ચારણ મોતી લઈને ચાલ્યો ગયો; ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો.

સૌરાષ્ટ્રની રસધાર
દેપાળદે
ઝવેરચંદ મેઘાણી

મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાક...
04/09/2025

મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.

સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની હાવળ દીધી.

સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઊઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું: "કોણ?"

જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઇ અસવાર બોલાશ ન આવ્યો.

નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો.

"માથે કોણ છે, મારા બાપ?" કહીને બાઇએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોહીમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે.

વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો.

"જે હોય ઇ! નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે."

​એટલું કહી બાઇએ અસવારને ઘૉડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ, ખાટલે સુવાડ્યો, ઘોડાને ઓશરીમાં બાંધી લીધો.

આદમી જીવે છે કે નહિ? બાઇએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો; ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો ઝગ્યો. ઝટઝટ સગડી ચેતાવી. અડાયાં છાણા અને ડુંગરાઉ લાકડાંનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રી એ ટાઢાબોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઇ નહોતું. ​શેક્યું, શેક્યું, પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. આપ આ વાર્તા ગુજરાતી દેશી ઢોલના તાલે ફેસબુક પેજ પર વાંચી રહ્યા છો. વધુ વાર્તાઓ વાંચવા માટે અમારી ચેબલમાં જોડાઓ જેની લિંક કૉમેન્ટમાં આપેલી છે.

"શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહિ થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમાં કુળનાં પખાં અને આ હત્યા શું મારે માથે ચડશે?"

ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે.

ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ.

"ફકર નહિ! દીવો તો નથી, પણ ઇશ્વર પંડે તો અંધારેય ભાળે છે ને! ફકર નહિ. આ મળમૂતરની ભરેલી કૂડી કાયા ક્યાં કામ લાગશે? અને આ મડું છે, મારું પેટ છે, ફકર નહિ."

જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબું કર્યું. કામળીની સોડ તાણી લીધી, પોતાની હૂફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી.

ધીરે-ધીરે-ધીરે ધબકારા વધ્યા. અંગ ઊનાં થવા લાગ્યાં, શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી લૂગડાં સંભાળ્યાં. ટોયલી ભરીભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું.

પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળવકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું: "હું કોણ છું? તમે કોણ છો, બોન?"

"તું તારી ધરમની બોનને ઘેર છો, બાપ! બીશ મા."

બાઇએ બધી વાત કહી. આદમી ઊઠીને એના પગમાં પડી ગયો. બાઇએ પૂછ્યું, "તું કોણ છો, બાપ?"

"બોન, હું એભલ વાળો."

"એભલ વાળો? તળાજું? તું દેવરાજા એભલ!"

"હા, બોન. એ પંડે જ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું."

​"તારી આ દશા, બાપ એભલ?"

"હા, આઇ, સાત વરસે હું આજ મે'વાળી શક્યો!"

"શું બન્યું'તું, ભાઇ!"

"તળાજા માથે સાત દુકાળ પડ્યા, આઇ! મારી વસ્તી ધા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ફોરુંય ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે: તેમાં એજ્ક કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલાં તરણાંની કેડ ઊગતી આવે છે. આ કૌતુક શું? પૂછતાં પૂછતાં વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઇક જતિ પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી, ડગળી બંધ કરી, બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મે' વરસે. સાંભળીને હું ચડ્યો, બોન! જંગલમાં કાળિયારનો કેડો લીધો. આઘે આઘે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી."

"વાહ રે, મારા વીરા! વારણાં તારાં! વઘ્ન્યાં બાપનાં! અમર કાયા તપજો વીર એભલની!"

"તારું નામ, બોન?"

"સાંઇ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઊતર્યો છે, બાપ! સાત વરસ વિજોગનાં વીત્યાં; હવે તો ભેંસુ હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે, હો! તારી વાત સાંભળીને એને ભારી હરખ થાશે, મારા વીરા!"

"બોન! આજ તો શું આપું? કાંઇ જ નથી. પણ વીરપહલી લેવા કોક દી તળાજે આવજે!"

"ખમ્મા તુંને, વીર! આવીશ."

આરામ થયે એભલ વાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો.

સાત વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદીનેરાં જાય છે ખળખળ્યાં. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકાભરી સાંઇ નેહડીએ એભલ વાળાની વાત કહી સંભળાવી. ગામતરેથી આવતાં તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઊભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું કે 'કોઇ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો!'

ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઇ ગયું. પોતાની કંકુવરણી ચારણી પર એ ટાણે કટાણે ખિજાવા મંડ્યો; છતાં ચારણી તો ચૂપ રહીને જ બધાં વેણ સાંભળ્યે જતી. એને પણ વાતની સાન તો આવી ગઈ છે.

એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આઉમાં પહોંચ્યું. ચારણ ખિજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું: "તારા હેતુને કોને સંભારી રહી છો?" હાથમાં શેલાયું(નોંજણું) હતું. તે લઈને એને સાંઇના શરીર પર કારમો પ્રહાર કર્યો.

ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહિ. દૂધના બોઘરામાંથી અંજળિ ભરીને આથમતા સૂરજ સંમુખ બોલી: "હે સૂરજ! આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ! હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો, ડાડા!" એમ કહીને એણે ચારણ ઉપર અંજળિ છાંટી. છાંટતાં તો સમ! સમ! સમ! કોઇ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઊઠ્યા. ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીનાં નેણાં નીતરવા લાગ્યાં.

થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઇ ગયું. આસું સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી, અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી, કંડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી.

​રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી. આદર સત્કારમાં ઓછપ ન રાખી; પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી.

એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી.

બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો.

"બોન! બાપ! આ દશા?"

"હા બાપ! મારા કરમ!"

"હવે કાંઇ ઉપાય?"

"તેટલા માટે જ તારી પાસે આવી છું."

"ફરમાવો."

"બની શકશે?"

"કરો પારખું!"

"ઉપાય એક જ, ભાઇ! બત્રીસલક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે."

"વાહ વાહ! કોણ છે બત્રીસલક્ષણો? હાજરકરું."

"એક તો તું, ને બીજો તારો દીકરો અણો."

"વાહ વાહ બોન! ભાગ્ય મારાં કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ."

ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું: "બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો."

બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી. પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો થયો, એભલે પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યાં.

આજ પણ સાંઇ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે ચારણોના ​બાબરિયાત ગામ પાસે ખડો છે. અને પિતાપુત્ર એભલ-અણો નીચેના દુહામાં અમર બન્યા છે:

સરઠાં! કરો વિચાર, બે વાળામાં ક્યો વડો?

સરનો સોંપણહાર, કે વાઢણહાર વખાણીએ?

[હે સોરના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને અણો વાળો-બેમાંથી કોણ ચડે? કોનાં વખાણ કરીએ? પોતાનું શિર સોંપનાર બેટાનાં, કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપનાં?]

સૌરાષ્ટ્ર ની રસધાર
સાંઈ નેહડી
ઝવેરચંદ મેઘાણી

Copyright respective owners

ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો ...
03/09/2025

ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : એક આંગળીએ વળગેલું અને બીજુ કેડમાં તેડેલું. બીજો પાળિયો એક ઘોડેસવારનો છે.

કેટલાં વરસ પહેલાંની આ વાત હશે તે તો કેાણ જાણે ! કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી, સાથે એનાં બે છોકરાં હતાં. ચારણી એની ભેંસો હાંકીને પોતાને દેશથી નીકળી હતી. વાટમાં ખાવાનું નહોતું મળ્યું. કેડે બેઠેલાં બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટિંગાતું બાળક, ભેસનું પળી-બે- પળી દૂધ મળતું તે ઉપર નભ્યે આવતું હતું. ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી. ચારણીને માથે ધાબળી પડી હતી, અંગે કાળી લાયનું કાપડું અને ગૂઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યા હતાં. ડોકમાં શૂરાપૂરાનું પતરું, હાથમાં રૂપાના સરલ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ એ એનો દાગીનો હતો. એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી જ ઉદાસ રહે છે : તેમાંયે આ બાઈને તો સંસારનાં વસમાં વીતકેાએ વધુ ઉદાસ કરી મૂકી હતી.

બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી. તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડેસવાર સામે મળ્યો. બાઈને કાંઈક અણસાર આવી. બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું :

“ભાઈ, મારો ભાઈ રેશમિયો આયર આ ગામમાં છે કે નહિ ?”
“કેવાં છો તમે, બાઈ?”
“અમે ચારણ છયેં, બાપ !”
“ત્યારે રેશમિયો આયર તમારો ભાઈ ક્યાંથી ?”

“બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે. પંદર વરસ થયાં અમે એક-બીજાને મળ્યાં નથી. એાણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા. મને સાંભર્યું : કે માલ હાંકીને રેશમિયાની પાસે જાઉં તો કાળ ઊતરી જવાય. બાપુ, પાણીયે મોંમાં નથી નાખ્યું. હશે, હવે ફકર નહિ. ભગવાને ભાઈ ભેળાં કરી દીધાં.”

પોતે ઘોડિયે સૂતી હતી તે દિવસે પોતાનાં માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું. દુકાળ બળતો હતો, માવતર પેટનાં છોરુને રઝળતાં મેલી પોતાનો બચાવ ગોતતાં ભમતાં હતાં, માયા-મમતાની અણછૂટ ગાંઠ્યો પણ છુટી પડતી - એવા કાળા દુકાળને ટાણે ચારણ્યના માબાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો-પરણાવ્યો હતો. એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો. નોખાં પડ્યાં તે દિવસ કહીને ગયેલો કે, 'બોન ! વપત પડે તે દિવસે હાલી આવજે !' આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતતી આવી છે. ઘોડેસવાર વિચારમાં પડી ગયો. એને સાંભરી આવ્યું. એ બોલી ઊઠ્યો : “અરે બેન, રેશમિયો તો પાછો થયો !”

પોતે જ રેશમિયો ભેડો હતો, પણ પેટમાં પાપ પેસી ગયું.
“રેશમિયો પાછો થયો ?” બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું.
“ હા, બાઈ, પાછો થયો – આઠ દિવસ થયા.”
“ભાઈ પાછો થયો ? ના, ના, થાય નહિ.” બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી. 'હેં, પાછો થયો ?' 'પાછો થયો ?' 'થાય કાંઈ?' એમ ધૂન ચડવા લાગી. આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને, ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે, 'વીર મારો પાછો થયો ?'

ઘોડેસવારને થર થર કંપ વછૂટ્યો. ઘણુંય મન થયું કે નાસી છૂટું; પણ ઘોડાની લગામ હલાવી-ચલાવીયે ન શકાણી. ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા. પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતાં પાડતાં મરશિયા ઉપાડ્યા:

ભલકિયું ભેડા, કણાસયું કાળજ માંય,
રગું રેશમિયા, (મારીયું ) વીધીયું વાગડના ધણી !

હે ભેડા, તેં તો મારા કાળજામાં ભાલાં ભોંકયાં હે વાગડિયા શાખાના આયર, મારી નસો તેં વીંધી નાખી.

ઘોડો મૂવો ધર ગિયાં, મેલ્યાં મેવલીએ,
રખડી રાન થિયાં, (ત્યાં) રોળ્યાં રેશમિયે.

ઘોડા જેવો મારો ઘણી મર્યો. મારાં ઘર ભાંગી ગયાં. વરસાદે પણ રઝળાવ્યાં. રખડી રખડીને હેરાન થઈ ગયાં. ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમિયે પણ રોળી દીધાં.
કૈંક કઢારા, કાઢિયા, ( હવે ) છોરું બાંન પિયાં,
રેશમિયો ભેડો જાતે, માથે દાણિંગર રિયાં,

મારે માથે કરજ હતું, તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે.

ભેડો અમણો ભા, (જાણ્યો) વાંઢિયા,ને વરતાવશે,
(ત્યાં તો) વાટે વિસામા, રોળ્યા રેશમિયા !

આશા હતી કે, રેશમિયો ભેડો મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે; ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામા, તેં અમારા જીવન-પ્રવાસને માર્ગે જ અમને રઝળાવ્યાં.

ભેડા ભાંગી ડાળ, જેને આધારે ઊભતા,
કરમે કોરો કાળ, રોળ્યાં રેશમિયા !

હે ભેડા, જેને આધારે અમે ઊભાં હતાં તે ડાળી જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો.

(આ) ટોળાં ટળ્યાં જાય, નવરંગી નીરડીયું [૧] તણાં,
(એના) ગોંદરે નૈં ગોવાળ, રેઢાં ટોળ્યાં રેશમિયા !

આ જાતજાતની રૂપાળી ગાયોનાં ધણ રેઢાં ચાલ્યાં જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે.

જેમ જેમ મરશિયા કહેવાતા ગયા, તેમ તેમ રેશમિયો ઘોડેસવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા, ઘોડાની આખી કાયા કઠણ કાળમીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું, છાતી સુધી જ્યારે

* નીરડી, ખેરડી, ઝરિયું, કાબરી, ગોરી, ધોળી — એ બધી ગાયોનીજાત છે. ગોરા શરીર ઉપર કાળા ડાઘ હોય તેને 'નીરડી' કહેવાય.
પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઊઠ્યો !
"એ બહેન, ખમૈયા કરી જાઃ હું જ તારો ભાઈ - હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું. હવે દયા કરી જા."

ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમ-રોમમાં જાગી ઊઠેલું સત હવે શમે નહિ. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી :

ભેડા ભેળાતે, વીણેલ વણુંને વાળીએ,
( પણ ) સાંઠી સુકાતે, રસ ન રિયો રેશમિયા !

હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વિણાઈ ગયો હોય, ખેતર કોઈએ ભેળી દીધુ હોય, તો તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે. પણ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય. ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે, હે વીર, તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ. એટલું બધું કૂડ તારામાં વ્યાપી ગયું, કે હવે ફરી વાર એમાં પ્રાણ મૂકી ન શકાય.

ભેડાને ભોંય લેતે, દૃશ્યું ચારે ડૂલિયું,
સો ગાઉએ સગા, પંથ બધો માથે પડ્યો.

રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો – જમીન પર સુવાડ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારો સો ગાઉનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો.

આંખે અમરત હોય, ( તો ) જાતાંને જિવાડીએ,
( હવે ) ઝ૨વા માંડ્યું ઝેર, રસ ગ્યો રેશમિયા !

હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોય તો તો મરતાને એક વાર એ દૃષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ. પણ હવે તો મારાં નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું, હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો. મારો ઈલાજ નથી રહ્યો.

ભરદરિયે કોઈ વાણ, ભેડાનું ભાંગી ગયુ,
પંડ થાતે પાખાણ, રસ ગ્યો રેશમિયા !
હે રેશમિયા ભાઈ, તુજ સમું વહાણ મારે જાણે કે જીવતરને મધદરિયે ભાંગી પડયું. મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું, હવે મારા અંતરમાં રસ ન રહ્યા.
ટોળામાંથી તારવ્યે ( જેમ ) ઢાઢું દિયે ઢોર,
(તેમ ) કાપી કાળજ-કોર, ભેડા ભાંભરતાં રિયાં.

હે ભાઈ ભેડા, જેમ કેાઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતાં એ વેદનાની ચીસો પાડે છે, તેમ આજ હુંયે તું વિહોણી થતાં પોકારું છું. તેં મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી. આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો. ચારણી પણ છોકરાં સાથે પથ્થરની પૂતળી બની ગઈ ભેંસો એ સાંજને ટાણે ધાર ઉપર એકલી ભાંભરતી રહી.

સૌરાષ્ટ્રની રસધાર ૩
ભાઈબહેન
ઝવેરચંદ મેઘાણી

Copyright respective owners

આજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમ...
02/09/2025

આજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવેલા ગુલાલનો શણગાર તેમનાં હેતાળ હૈયાં ઉપર તથા પહોળી પરાક્રમી પીઠ ઉપર માતાની પ્રસાદીરૂપે શોભી રહ્યો છે. રબારીનો બચ્ચો શેાણિતવર્ણા આ શણગારને મહામૂલ્યવાન માની મહિનાના મહિના સાચવે છે. જોનારને આ શણગાર ઘાયલ રણસૈનિકોની ભ્રાંતિ કરાવે છે. બળેજમાં એની આથમણી દિશામાં આવેલા ભૂવાકેડામાં આજે મેદની માતી નથી.

એટલામાં પોતાનું પવિત્ર અને વહાલું 'સરજુ'નું સંગીત ગાતી સેંકડો રબારીની એક મંડળી મઢની બહાર નીકળી. સાંભળનારને તો એ ગાનમાં માત્ર 'હા – હે – હૂ-હે'નો લાંબો રાગડો જ લાગે છે; ને એ બોલનાર જંગલી છે એટલો જ ભાસ થાય છે; પણ તેમ નથી. 'હા –હે – હૂ– હે ' એ સૂરોમાં પોતાના ઈષ્ટદેવની 'સરજુઓ' રબારી લોકોએ સાચવેલી છે. સરજુઓ એ સ્તવનકાવ્યો છે, ને વેદમંત્રોની પેઠે અનધિકારીઓથી ગુપ્ત રાખવા માટે તેમાં 'હા – હે – હૂ-હે' એવા સ્વરોની પૂરણી કરેલી છે. એ સરજુ ગાનારી ટોળીમાં એક માણસે હાથમાં 'માતાની પીંછી' [મોરનાં પીંછાની ઝૂડી ] ઝાલેલી હતી, શ્રી કૃષ્ણ શિરે ધરાવેલ એ મયૂરપિચ્છ તે માતાની વહાલામાં વહાલી વસ્તુ છે એમ રબારીઓ માને છે.

હાથમાં કડિયાળી ડાંગોવાળા, કદાવર રબારીઓ સરજુઓ ગાતા ગાતા મઢની બહાર ડાબી બાજુએ ખોડેલા એક પાળિયા પાસે આવ્યા, સિંદૂરે અર્ચેલા એ પાળિયાને શિરે તેમણે માતાની પીંછી અડાડી, ત્યાં ઊભા રહી કેટલીય વાર લાંબે રાગે સરજુઓ લલકારી, કેમ જાણે તેઓ પાળિયાનાં યશેાગાન ગાતા હોય, આમ કરવાનું મેં કારણ પૂછતાં તેમણે કહ્યું :

આજથી આશરે ૧પ૦ વર્ષ ઉપર આ બળેજમાં આલા મેરનો દીકરો જેતમાલ થઈ ગયો. તેનો આ પાળિયો છે. એ જેતમાલ કદે પાંચ હાથ પૂરો : એના ખભા જાણે પાડાની કાંધ : શી એની જુવાની ને શી એની ભલાઈ ! શુરવીરતા તો જાણે એના બાપની ! ઘરનો પણ સુખિયો : મોટો માલધારી : એણે દેવળિયામાં નેસ નાખેલો, અને ત્યાં પોતાનો માલ તથા સગાંસંબંધી રહે. એક વાર બાબીની ગિસ્તે આવીને બળેજનાં ઢોર વાળ્યાં. જેતમાલ બેઠો બેઠો રોટલો ખાતો હતો, ત્યાં સુદાખડા મીરે આવી કહ્યું :

સીમાડે સાવજ તણે, બાકરથી કેમ બેસાય ?
જોતાં જોણ કે'વાય, અચરત આલણરાઉત !

તારા જેવા સિંહને સીમાડે બકરા જેવા બાબીથી કેમ બેસી શકાય? હે આલણનાં સુત જેતા, તું જેવો ભડ બેઠો છતાં જો ગિસ્ત ઢોર હાંકી જશે, તો તુંમાં જોણ કહેવાશે.

ખાવું પડ્યું મૂકી જોગમાયાની જીભ જેવી વિકરાળ તલવાર તાણી, ઘોડીએ ચડી, જેતમાલ પોતાના સાથીઓ સાથે ગિસ્ત પાછળ દોડ્યો. શત્રુઓને પકડી પાડ્યા, અને કાઠાની કદાવર કણબણ દાતરડે કણસલાં કાપે તેમ ગિસ્તને કાપવા લાગ્યા.

ગિસ્તના ભાડૂતી સિપાઈઓ મરદ મેરોની ઝીક ક્યાં લગી ઝીલે ? સિપાઈઓ ઘવાણા ને ઝોળીમાં પડી ટપકતે લોહીએ ઘર ભેગા થયા. એમ પરિયાંને અમરતાનું પાણી પાઈ જેતો ક્ષેમકુશળ ઘેર આવ્યો.

એક બીજો પ્રસંગ : બાલોચ કોટડા તરફ જે સંધી વસતા, તેમને કાંઈક કારણે રબારીઓ સાથે વેર બંધાયેલું. એ વેર વાળવાને મનસૂબે મદોન્મત્ત પંદર સંધીઓ માતાનો મઢ લૂંટવા ભૂવાકેડે આવ્યા. મઢમાં પેસવા જાય છે ત્યાં એક ઘરડા રબારીએ તેમને ટપાર્યા, પણ ત્યાં તો તેમણે પોતાનું પોત પ્રકાશ્યું. વૃદ્ધ રબારીને તરવાર મારી ધૂળ ચાટતો કર્યો.

ભૂવો બહારગામ ગયેલા અને પુરુષવર્ગ સીમમાં ગયેલો. ઘેર હતાં માત્ર બૈરાં-છોકરાં. તેમણે રોકકળ અને બૂમાબૂમ કરવા માંડી. પાસેને રસ્તે ચાલ્યા જતા જેતમાલે એ બૂમો સાંભળી. દોડીને તે ભૂવાકેડામાં આવ્યા. જુએ છે તો માતાના પવિત્ર મઢમાં સંધીઓ ઘૂસેલા ને એક રબારી બહાર ઘાયલ પડેલો.

મામલો જોતાં જ જેતાની આંખ ફાટી. કાળી નાગણના જેવી તલવાર તાણી તે સંધીઓ ઉપર તૂટી પડ્યો. “લેજે મમાઈ !” કહેતો જાય ને એક ઘા ને બે કટકા કરતો જાય. જેને જેતાનો એક ઝાટકો લાગે તે સંધી ફરી શિખામણ ન માગે. એ ધીંગાણામાં એણે બાર જણાને લાંબા તાર કર્યા, પણ છેલ્લા ત્રણ સંધીઓ મરણિયા થઈ જેતા ઉપર ધસ્યા ને આ ઠેકાણે એ મરદ મેરનું માથું નોખું કરી એ લોકો નાઠા. ભાઈ ! એ જોરાવર જેતાની આ અમારે ખાંભી છે. માતાનો મઢ સાચવવા એ ભડે પ્રાણ આપેલા છે. એથી જ અમે એને માથે માતાજીની પવિત્ર પીંછી અડાડીને એને આશીર્વાદ આપીએ છીએ.

મઢ મેલી માતા તણો, જો તું જેતા જાત,
તે સ્ત્રવખંડ ચે'રો થાત, સૂરજ ઊગત નૈ.

સૌરાષ્ટ્રની રસધાર ૩
મેર જેતમાલ
ઝવેરચંદ મેઘાણી

Copyright respective owners

સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધ...
01/09/2025

સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે. દરિયાની ગુંજારવ આઠે પહોર એ નગરીના લોકોને કાને સંભળાતો રહે છે. તે દિવસ તો માલણ નદી સેંજળ વહેતી હતી. એનાં પાણી મહુવાને થપાટો મારતાં હતાં; પણ આજે માલણમાં એકલો વેકરો ધખધખે છે.

આજથી દોઢસો વરસ પૂર્વે આ રઢિયાળા બંદરને માથે ત્રણસો પાદરનો વાવટો ફરકતે. એ ત્રણસો ગામડાંની ઉપર જસા ખસિયા નામના રજપૂત-કોળી રાજાની આણ ફરતી હતી. મહુવાની બે દિશાઓમાં પંદર પંદર ગાઉના પલ્લા પકડીને ગીચ ઝાડી ઊભી હતી. નેવુ નેવુ હાથને માથે ડોકાં કાઢીને સાગરના દરિયાનાં જૂથ આકાશની સામે માથાં ઝુલાવતાં, નાળિયેરીઓ સામસામાં ઝુંડ બાંધીને સૂરજનાં અજવાળાંને રોકી રહી હતી, અને એકબીજાના આંકડા ભીડીને ઊભેલાં કંઈક કાંટાવાળાં ઝાડઝાંખરાંની ને ડાળડાળીઓની એવી તો ઠઠ લાગેલી કે માંહીંથી સસલું જાય તો એની ખાલ ઉતરડાઈ જાય. નવ નવ હાથ લાંબા, ડાલામથ્થા સિંહ જ્યારે એ ઘટામાં કારમી ડણકો દેતા, ત્યારે એ નેસના ડુંગરા હલમલી હાલતા. કુદરતે મહુવાને એવા કુદરતી ગઢકિલ્લા આપ્યા હતા.

ભાવનગરના લોંઠકા ભોપાળ આતાભાઈએ આ ફૂલવાડી જેવા પરગણા ઉપર ત્રણ-ત્રણ વાર નજર નાખી હતી. ત્રણ-ત્રણ વાર એની ફોજ જસા ખસિયા ઉપર ચડી હતી, પણ કાંઈ કાર ફાવ્યો નહિ. સૂરજનું કિરણ પણ ન પેસી શકે એવી કાંટાળાં ઝાડની ઝાડીમાં તો કીડીઓનું કટક કર્યા વિના પેસાય તેવું નહોતું.

ભરતીનાં પાણી પાછાં વળી જતાં ત્યારે અરબી સમુદ્રમાંથી એ ઉઘાડી પડેલી ભૂમિમાં, મહુવાને કિનારે, પાંચ રૂપાળા વીરડા દેખાતા હતા. એક વાર એ વીરડાને ઉલેચી નાખવાથી પાંચેની અંદર મીઠાં અમૃત જેવાં નીર છલકાતાં. ખારા સાગરની આ મીઠી વીરડીએાની જાત્રા કરવા દેશપરદેશનાં ઘણાં જાત્રાળુએા આવતાં, અને જસા ખસિયાને દાણ ભરીને પછી એ પાણીથી સ્નાન કરતાં.

મહુવાના પાડોશમાં દાઠા નામનું એક પરગણું છે. તે સમયમાં દાઠાની ગાદીએ ગોપાળજી સરવૈયા નામના ઠાકોર હતા. ગોપાળજી સરવૈયા મહુવાના ખારા સાગરની મીઠી વીરડીઓની જાત્રા કરવા આવ્યા. ખસિયા રાજાએ ગોપાળજી પાસે દાણ માગ્યું.

મૂછો મરડીને ગોપાળજી કહે : “મારું દાણ ? હું દાઠાનો ધણી.”

“દાણ તો દેવું પડશે - રાજા હો કે રાંક.”

“મારું દાણ હોય નહિ. હું ભાવેણાના ધણી આતાભાઈનો મામો.”

“એમ હોય તો ફોજ લઈને આવજો, અને વિના દાણ સ્નાન કરી જાજો.” ધમેલ ત્રાંબા જેવી આંખો કરીને ગોપાળજી સરવૈયો વળી ગયો. ભાવનગરમાં ભાણેજ પાસે જઈને મામા કહે: “બાપ, મહુવા અપાવી દઉં; સાબદો થા.”

“અરે, મામા ! મહુવા તે કોણીનો ગોળ કહેવાય. પાંચ-પાંચ ગાઉના પલ્લા પકડીને અંધારી ઘોર કાંટ્ય ઊભી છે, જેમાં માનવી તો શું, પણ સૂરજનું અજવાળુંય ન પેસે. એમાં થઈને સોંસરવી આ સેના શી રીતે નીકળે ?”

“બાપ, મારગ દેખાડું. બાકીની કાંટ્ય કાપી નાખીએ.”

ચાર હજાર કુહાડા લઈને આતાભાઈની ફોજ ઊપડી. મામાએ માર્ગ બતાવ્યો. ચાર હજાર કુહાડીવાળા ઝાડ કાપતા જાય અને ફોજ આગળ વધે. જોતજોતામાં તો ઝાડી હતી ત્યાં મેદાન કરી મૂકીને મહુવાના પાદરમાં સેના આવી પહોંચી. ગામ ફરતે ગઢ હતો તેને માથે હડુડુડુ ! હડુડુડુ ! હડુડુડુ ! કરતી દસ-દસ તોપો સામટી વછૂટી. ગઢ તૂટવા લાગ્યો. મૂંઝાઈને જસા ખસિયાએ સંધિનું કહેણ મોકલ્યું. ઈ. સ. ૧૭૮૪ની સાલ હતી.

ભાવેણાનો નાથ બોલ્યા : “અમારે કાંઈ મહુવા કબજે નથી કરવું; પણ જીભ કચરીને આવ્યા છીએ માટે થેાડા દિવસ તો દરબારગઢમાં રહીને દરિયાની લહેરો ખાવી જોશે. આજુબાજુની શેાભા જોશું. ખિસિયાને કહો કે થોડા દિવસ ગઢ ખાલી કરી આપે.”

ચાર જણાનું પંચ નિમાણું : શકરગરજી સાધુ, બીજા દયાશંકર ગેાર, ત્રીજા ગોપાળજી મામો ને ચેાથો જસા ખસિયાનો કામદાર અભો વાણિયો. “દસ દિવસે આતોભાઈ મહુવા ખાલી કરી જાય, અને ન ખાલી કરે તે અમે ચારે જણ ખેાળાધરી લઈએ છીએ.”

મહુવા ખાલી કરી દઈને જસો ખસિયો પોતે સેદરડા ગામમાં જઈને રહ્યો. આંહીં આતાભાઈ એ સેના સહિત ગામનો કબજો લીધો. કિલ્લાના કાંગરે ભાવેણાના નાથની ધજાઓ ફડાકા દેવા લાગી. ગોહિલરાજે કિલ્લાને માથે ચડીને દસે દિશાએ નજર નાખી ત્યાં તો લકૂંબઝકૂંબ લીલુડાં આંબાવાડિયાંએ એની આંખેામાં લોભનું આંજણ આંજી દીધું. મોરલાના મલારે અને કોયલોના ટહુકારે એના કાનમાં સ્વાર્થનું હળાહળ રેડી દીધું : “હાય હાય ! નંદનવન જેવી આ સમૃદ્ધિને શું કોળો ભોગવશે ? આવી કામણગાર ધરતીને શું કોળો ધણી ગમતો હશે ? અહાહાહા ! મહુવા વગરનું મારું ભાવેણું લૂખું લૂખું !”

“અને બાપુ !” હીરાજી કામદાર બોલી ઊઠ્યા : “ભાવેણાના નાથની ધજા ચડી તે શું હવે ઊતરશે ? અપશુકન કહેવાય.”

“ત્યારે શું કરશું, કામદાર ?”

“મહુવા નથી છોડવું, બીજું શું ?”

“પણ દગો કહેવાશે.”

“દગો શેનો ? આપણી જીત થઈ છે ને !”

“પણ ચાર પંચાતિયાનું શું કરશું ?”

“એ હું કરીશ. એ ચાર જણા પણ માનવી જ છે ને!”

દસ દિવસને સાટે તો બે મહિના વીતી ગયા, પણ મહારાજ મહુવામાંથી સળવળતા નથી. જસાએ પંચને કહેવરાવ્યું. પચ માંહેલા શંકરગરજીએ જઈને મહારાજને કહ્યું : “દરબાર, ગામ ખાલી કરો. જુઓ, હું અતીત છું; મારો ભગવો ભેખ જોયો ? મારા તમામ ચેલાને લઈને હુ તમારા ઉંબરે લોહી છાંટીશ. બાવાની હત્યા લેવી છે ? નીકર બહાર નીકળો.”

મહારાજાએ આ બાવાજીને ગોપનાથનાં પાંચ ગામ લખી આપ્યાં; બાવાનું મોં ભરાઈ ગયું, એનો ભગવો ભેખ વેચાઈ ગયો ! એણે તો જઈને જસા ખસિયાને કહ્યું : “મહારાજ નથી નીકળતા. અમે શું કરીએ, ભાઈ? અમારી પાસે કાંઈ ફોજ નથી તે લડીએ. તમે કહો, તો લોહી છાંટીએ.”

“ના, બાપ !” જસો બેાલ્યો : “ સાધુની હત્યા મારે નથી લેવી. તમે તમારે ગેાપનાથને કાંઠે બેસીને લીલાલહેર કરો.”

બીજો વારો આવ્યો દયાશંકર ગોરનો. એ બ્રાહ્મણનું બ્રહ્મતેજ પલક વાર તો બાળી નાખે તેવી વરાળ કાઢવા લાગ્યું. પણ મહારાજાએ એને વીજપડી નામનું ગામ માંડી આપ્યું, એટલે અગ્નિની ઝાળ શમી ગઈ. બ્રહ્મતેજ વેરાઈ ગયાં. જસાને એણે કહ્યું : “આતોભાઈ મારું નથી માનતો; અમે શું કરીએ, ભાઈ?”

જસો બોલ્યો : “ગોર દેવતા ! તમેય છૂટા.”

એક ચારણ પણ જામીન થયો હતેા. એણેય કટાર કાઢીને પેટ નાખવાનો ડર દેખાડ્યો : એને મહોદરીનાં ત્રણ ગામ આપીને ચૂપ કર્યો.

૨.
જસાએ અભા કામદારને પૂછયું : “અભા ! શું કરવું ?”

“બાપદાદાનો આખરી ધરમ : બહારવટું. બીજુ શું ?”

“પણ પહોંચાશે ? જો તો ખરો – એની તોપો મહુવાના ગઢની રાંગ ઉપર બેઠી બેઠી મોં ફાડી રહી છે.”

“પહોંચવાની વાત નથી; મરદની રીતે મરવાની વાત છે."

“મરું તો વાંસે મારાં બાયડી-છોકરાં ?”

“મારા માથા સાટે. તારું અન્ન હજી મારા દાંતમાં છે. લૂણહરામી નહિ થાઉં. હું સોરઠિયાણીને પેટ ધાવ્યો છું.” બસો ઘોડેસવારો લઈને જસો ખસિયો મહુવાને માથે બહારવટું ખેડવા મંડ્યો અને કાયામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી એણે આતાભાઈને મહુવાના દરબારગઢમાં સુખની નીંદર કરવા ન દીધી. આખરે, એનો દેહ પડ્યો, માણસો વીંખાઈ ગયાં. ફક્ત ત્રણ જ જણાં બાકી રહ્યાં : જસાની રાણી, નાનો એક છોકરો અને અભો કામદાર. પોતાના અન્નદાતાની ઓરતને અને દીકરાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે સંતાડતો સંતાડતો અભો વાણિયો રઝળ્યા કરે છે. પોતાની પાસે જે મૂડી હતી તે ખરચી ખરચીને પોતાના બાળારાજાને નભાવી રહ્યો છે અને મહારાજા આતાભાઈની સાથે વિષ્ટિ ચલાવે છે કે, “હવે જસો ખસિયો તો મરી ગયો. હવે આ બાળકને ઠરીને બેસવાનું ઠેકાણું કાઢી આપો. બીજુ કાંઈ નહિ તો લીલિયા પરગણું આપો. શુરવીરાઈના હક્ક દગાથી ડુબાવો મા. ભાવનગરના ધણીને લીલિયું ભારે નહિ પડે.”

પણ મહારાજ ન માન્યા. બરાબર પાંચ વરસ વીતી ગયાં. અભાને ગઢપણે ઘેરી લીધો, એની ડોકી ડગમગવા લાગી. માથું, મૂછો અને આંખનાં નેણ-પાંપણ પણ રૂની પૂણીઓ જેવાં ધેાળાં બની ગયાં. એક વાર સાંજરે એ વૃદ્ધ કામદાર પોતાના સાત વરસના ધણીને ખેાળામાં લઈને બેઠો હતો, ધણીનાં લૂગડાં ઉપરથી ધૂળ ખંખેરતો હતો અને માયાભર્યા સ્વરથી પૂછતો હતો : “કાં બાપા, રમી આવ્યા ? વાહ, મારો બાપો ! ભારે બહાદર ! લેાંઠકાઈ તો બાપુના જેવી જ, હો !”

નાનો કુંવર ગર્વ પામીને એની કાલી કાલી વાણીમાં પડકારા દેતો : “કામદાર, આજ મેં ઓલ્યા છોકરાને હરાવી કાઢ્યો. ઓલ્યો મારાથી મોટો; એનેય મેં પાડી દીધો. ”

“અરે રંગ રે રંગ, બાપલિયા !” બરાબર સાંજ નમેલી. સૂરજ મહારાજ મેર બેસતા હતા. રાજા અને કામદાર સંસારથી આઘેરા જઈને જાણે સાચો આનંદ લૂટતા હતા. જાણે આખા જગતનું એકચક્રી રાજ મળ્યું હોય તેવા તોરથી રાજા-કારભારીની રમત રમાતી હતી. તે વખતે બાળકની વિધવા માતાએ ઓરડામાંથી વજ્ર-બાણ છોડ્યાં :

“બાપ કામદાર, શીદને આમ ફોસલાવવાં પડે છે ? હવે અમારી મરેલાંની મશ્કરી કાં કરો છો, ભા ? છોકરાને કંઈક દા'ડીદપાડી કરતાં શીખવા દ્યો ને ! હવે અમને ક્યાં સુધી આમ ધૂળ મેળવવાં છે ? ક્યાં સુધી આશા દીધા કરશો ? કોણ જાણે માણસનાં પેટ કેવાં મેલાં થાય છે ! બધાય બદલી ગયા. અરે ભગવાન !”

ટપક ! ટપક ! અભાની વૃદ્ધ આંખેામાંથી ઊનાં-ઊનાં આંસુનાં ટીપાં ટપકીને પોતાના ખોળામાં બેઠેલા કુંવરના માથા પર પડવા લાગ્યાં. સાચો રાજ્યાભિષેક થઈ ગયો. રાજમાતાએ જેટલાં વેણ કહ્યાં તેટલાં એણે મૂંગે મોઢે સાંભળી લીધાં; સામો ઉત્તર ન વાળ્યો. રાત પડી ગઈ. આકાશનાં ચાંદરડાં ઘડીક ઝગતાં ને ઘડીક વળી એાલવાતાં આંખમીંચામણીની રમત રમતાં હતાં. પોતાનો નાનો ધણી પોતાના ખોળામાં જ પોઢી ગયેા હતેા. એવી મોડી રાતે એક ફાટેલી પથારીમાં બાળકને સુવાડીને પછી અભો ઘેર ગયો.

સવાર પડ્યું. કામદાર આવ્યા નહિ. ખબર કઢાવી. કામદાર રાતના ઊઠીને અલોપ થયા હતા. ક્યાં ગયા તે કોઈ ન કળી શકયું.

બરાબર બપોર તપતા હતા. ભાવનગરના રાજમહેલમાં છેલ્લી અટારીએ ઠાકોર આતાભાઈ બેઠા હતા. ગાદી માથે બાળકુંવર વજેસંગજી ખેલતા હતા. બાજુએ ભા દેવાણી અને જસોભાઈ વજીર બેઠેલા હતા. બારીએ બારીએ જ્વાસાની ટટ્ટીઓ બંધાઈ ગઈ હતી, પાણી છંટાતાં હતાં, સુગંધી હવાના હિલોળા છૂટતા હતા, ચંદનના લેપ થઈ રહ્યા હતા. રૂપાની ઝારીમાંથી દૂધિયાં પિવાઈ રહ્યાં હતાં. અચાનક મેડીનાં પગથિયાંમાંથી ધબ ! ધબ ! મોટા ધબકારા ગાજી ઉઠ્યા. ભાવેણાનાથની નિસરણીએ આવો કાળા માથાનો કોણ માનવી ચડી રહ્યો છે ? મહારાજ અને એના બે સાથીઓ ચોંકી ઊઠ્યા. કાળી રાડ સંભળાણી કે “ક્યાં છે તમારો ઠાકોર? હિસાબ કરવા આવ્યો છું.”

ઊભા થઈને જોવાની હિંમત કોઈ કરે ત્યાં દાદર ઉપર ધોળા વાળથી વિભૂષિત માથું દેખાણું, રાતીચોળ આંખો દેખાણી, ખેંચાઈને ભેળી થઈ ગયેલી ધોળી ભ્રકુટી દેખાણી. અરરરર ! આ તો અભો ! કાળસ્વરૂપ વાણિયો !

“કાં મહારાજ ! ભાવનગરના ધણી ! બોલો, જસા ખસિયાના કુંવરનું શું ધાર્યું છે? આવો, આજ હિસાબ ચેાખ્ખો કરો.”

એટલું બોલીને અભાની અગ્નિઝરતી આંખો ગાદી ઉપર ખેલતા કુંવર વજેસંગજી ઉપર ઠેરાણી. અભાની છાતીમાં શ્વાસ ધમાઈ રહ્યો હતેા.

“અભા કામદાર !” ગરીબડું મોં કરીને મહારાજ બોલ્યા, “ આમાં હું જો કાંઈ જાણતો હોઈશ તો મને આ વજેસંગના સોગંદ છે.” એમ કહીને મહારાજાએ કુંવરને માથે હાથ મેલ્યો.

"ત્યારે ? બીજું કોણ જાણે છે ?”

“હીરજી મેહતો. ”

પટ દઈને અભો પાછો ફરી ગયો. એક પણ ઉચ્ચાર કર્યા વગર ધબ! ધબ ! ધબ ! ધબકારા કરતો, આખો ગઢ ગજાવતો એ મેડીએથી ઊતરી ગયો. ડેલીએ બેઠેલા આરબની બેરખમાંથી એની સામે જોવાની પણ કોઈની છાતી ન ચાલી, કોઈ એને રોકી ન શક્યું. મહારાજાના શરીરમાંથી પરસેવો છૂટી ગયો.

“અરે, મહારાજ !” ભા દેવાણી બોલ્યા, “ ભાવનગરનો ધણી એક વાણિયાની પાસે પોતાના કુંવરના સમ ખાઈ બેઠો ! એટલી બધી બીક હતી ?”

“ભાઈ! તમે નહોતા સમજ્યા, પણ હું સમજ્યેા હતેા. હું એની અાંખો એાળખી ગયેા હતેા. એ આંખમાં ખૂન હતું. આ વજેસંગ અટાણે હતો-ન-હતો થઈ ગયો હોત. હમણાં તમે સનાનના સમાચાર સાંભળશો. માટે ઝટ આરબની બેરખ હીરજી મહેતાને ઘેર દોડાવો.”

આરબની બેરખને હીરજી મહેતાને ઘેર પહોંચવાનો હુકમ થયો. “એલી ! એલી !” કરતા પચાસ જમૈયાદાર આરબો હાથમાં દારૂ ભરેલી ઝંઝાળો લઈને ઊપડ્યા. બજારમાં સૂનકાર પથરાઈ ગયો.

કેળાં અને રોટલીનું ભેાજન જમીને મોટી ફાંદવાળા હીરજી મહેતા સીસમના પલંગ ઉપર પોઢી ગયા હતા. એ ભીમસેની શરીરને કેટલીયે લડાઈઓની ફતેહની નિશાનીઓ પડી હતી. એની પ્રચંડ ભુજાને શોભાવનારી મેાટી તલવાર સામી ખીંટીએ ટિંગાતી હતી. બખ્તર, ઢાલ અને ભાલું ભીંત ઉપર બેઠાં બેઠાં જાણે કે એ સૂતેલા ધણીની ચાકી રાખતાં હતાં. આતાભાઈને મહુવાનાં ત્રણસો પાદર કમાવી દીધાનો સંતોષ એના મુખમંડળ ઉપર પથરાઈ ગયેા હતેા.

ત્યાં તો કાળના ધબકારા બોલ્યા, મેડી ધણધણી ઊઠી : “હીરજી મે'તા ! સાબદો થાજે.” એટલી હાકલની સાથે જ દાદર ઉપર ઉઘાડી તલવારે ડોકું કાઢ્યું.

“કોણ છે ?” મહેતા હીરજી કામદાર ઝબકી ઉઠ્યા. કાળને જોયો. ખીંટીએથી તલવાર ખેંચવા ભુજા લંબાવી, પણ વખત ન રહ્યો. બીજે પલકારે તો અભો ઠેકીને એના ઢોલિયા ઉપર જઈ પહોંચ્યો ને એની તલવાર ખીંટી પરથી ખેંચી.

“એ અભા, તારી ગા ! મહુવાનો હિસાબ ચુકાવું !”

“હવે તો હિસાબ કરશું ત્યાં, ધણીના દરબારમાં જસા પાસે.”

એટલું બોલી અભાએ ખડગ ઉગામ્યું. મહેતાની ફાંદ ઉપર ઝાટકો દીધો. હીરજી મહેતાનું શરીર ઢળી પડ્યું. પેટમાંથી કેળાં-રોટલી બહાર નીકળી પડ્યાં. એ ઉપર અઢાર ઘા ઝીંકીને અભો ઊભો થયેા; આકાશમાં જોઈને બોલ્યો: “હીરજી મહેતા ! હું યે હમણાં આવું છું. મૂંઝાઈશ મા. મારો ધણી મારી વાટ જોતા હશે. હીરજી મહેતા, આવું છું !”

“માટી થાજે, હિંગતોળ, માટી થાજે !” એવો અવાજ આવ્યો. અભાએ પાછળ જોયું, ત્યાં કલિયા હજૂરીને તલવાર લઈને આવતા જોયો. અભાએ દોટ કાઢીને કલિયાનેય ઢાળ્યો, એના કાન અને ખભા કાપી નાખ્યા, આખી મેડીમાં હોકારા-પડકારા બોલ્યા. હેઠળ “એલી ! એલી ! એલી !” અવાજ સંભળાણો, આરબની બેરખ આવી પહોંચી. અભાએ વિચાર્યું કે, “હમણાં મને બંદૂકે દેશે, મને ભૂંડે મોતે મારશે.”

અભાએ ચારે બાજુ જોયું. એક બ્રાહ્મણને ભાળ્યો. અભો દોડીને એની આગળ ગયો, કહ્યું :

“એ મા'રાજ, આ લે તલવાર, આરબને હાથે મરવા કરતાં બ્રાહ્મણને હાથે મરવું ભલું, ઉડાવી દે મારું ડોકું.”

“ બા...પા ! હું... હું ! તમારી...હ... ત્યા !”

“ જલદી તલવાર ઝીંક, મા'રાજ! નીકર તનેય હમણાં હીરજી મહેતાની પાસે પોગાડું છું. લે, ઝટ કર્ય.” બ્રાહ્મણે તલવારનો ઘા કર્યો, અભાનું માથું ઊડી પડ્યું. એનું ચારણી બિરદ-ગીત છે :

વાગી હાક બપોરા વખતે,
લોપી એક વેણમાં લાજ,
ઊઠી ચડ્યો કઠોડે અભલો,
અભલો મણા ન રાખે અાજ.

બપોરને વખતે હાક વાગી. પોતે પોતાના ધણીને આપેલ એક વચન ખાતર અભાએ લાજ લોપી. અભો કૂદીને મેડીને કઠોડે ચડ્યો.

જાગી મે'તે હાથ જોડિયા,
દજડી દાઝે મુજ મ દાખ્ય,
લેણું ભરાં, દંડ દિયું લાખાં,
રૂડાં સેઠ, મું જીવતો રાખ્ય.

જાગીને હીરજી મહેતાએ હાથ જોડ્યા : હે અભા, મારી સામે તું સળગતી દાઝે ન જો. હું કરજ ભરું, લાખો રૂપિયાનો દંડ દઉં. હે ભલા વણિક, મને જીવતા રાખ.

કહે સોરઠિયો વગદ્યાં કરી લે,
મેલું (તો) લાગે ખોટ મને,
મૂંઝવણ મને આજે મ'વાની,
કરશું સમજણ જસા કને.

અભો સોરઠિયો કહે કે, હવે ગલ્લાંતલ્લાં કરવાં હોય તેટલાં કરી લે. હવે તને છોડું તો મને બટ્ટો બેસે. મને તો મૂંઝવણ મહુવા વિષેની જ છે. મારે કાંઈ રૂપિયા કે દંડ નથી જોતા. એવો બધો હિસાબ તો હવે સ્વર્ગ લોકમાં જસા ખસિયા પાસે જઈને કરશું.

અભલે તાતી ખાગ આછટી,
થ૨હર ભાવનગર થિયો,
હેડી આતા તણી હીરજી,
કટકા મેડી માંય કિયો.

અભાએ તાતી તલવાર ઝીંકી. ભાવનગર થથરી ઊઠ્યું, ને ઠાકોર આતાભાઈના જોડીદાર હીરજી મહેતાના મેડી ઉપર કટકા કર્યા.

ધજવડ ભાંગી તોય ધડુશિયો,
કલિયા તણો ખભો ને કાન,
એ સમયે વિપ્ર એક આવિયો,
દીધું શીશ વિપ્રને દાન.

પછી તલવાર ભાંગી ગઈ તોપણ કલિયાના ખભા ને કાન કાપ્યાં. એ વખતે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો, તેને અભાએ પોતાનું મસ્તક દાનમાં દીધું.

ઈડો લાખો, પેથો, અમરો,
રાધા જેવડા મૂવા રધુ,
આઠગણી ખત્રવટ એનાથી,
વણિક તણો કાંઈ ખેલ વધુ.

પૂર્વે ઈડા વગેરે જે જબરા નરો મૂઆ છે, તેમનાથી પણ આ વણિકની ક્ષત્રવટ તો આઠગણી વધી ગઈ.

મરેલા અભાને મેડીએથી નીચે ફગાવ્યો. ઠાકોર આતાભાઈની આજ્ઞા થઈઃ “એને કૂતરાની માફક ઘસડતા મસાણે લઈ જાવ.”

આવી દશામાં અભાની લાશ નીકળી. સહુ જોઈ રહ્યા. હજારોમાંથી ફક્ત એક જણથી આ હાલ જોઈ ન શકાણા. એનું લોહી ઊકળી આવ્યું : એનું નામ મોડભાઈ નામનો ચારણ અટારીએ ઊભા રહીને આ શબને ઢસરડાતું જોતાં આતોભાઈ મૂછે તાવ દઈ રહ્યા છે, તે વખતે મોડાભાઈએ બજારમાં ઊભીને દુહો લલકાર્યો :

માર્યા ને મૂવા તણો, ઘોખો કાંઉ ધરે ?
મે'તાને મોર્ય કરે, હાલ્યો સોરઠિયો અભો,

એ ઠાકોર, માર્યા-મૂઆનો આવો ખાર મનમાં શું રાખી બેઠો છે ? તું હવે અભાને ઢસરડાવીને લઈ જા, તોપણ શું થઈ ગયું ? અભેા મસાણે જાય છે ખરો, પણ મહેતા હીરજીને મોખરે કરીને જાય છે, એમાં કાંઈ વાંસા-મોર્ય થોડું થવાનું છે ?

મે'ણું સાંભળીને આતોભાઈ શરમાઈ ગયા. અભાના શબની આ દશા અટકાવી દઈને રીતસર દેન દેવરાવ્યું.

[આ કથાના સંબંધમાં બીજા બે ખુલાસા અપાય છે :

૧. જસા ખસિયાને અને એના ભાઈ હમીર ખસિયાને ગરાસ સંબંધે તકરાર પડી, હમીર ખસિયો એક મોટી રકમ આપવાનો ઠરાવ કરી આતાભાઈને લઈ ગયો. પણ મહુવા જિતાયા પછી, વદાડ પ્રમાણે ત્રણ દિવસમાં હમીર ખસિયો નાણાં ન ભરી શક્યો, તેથી આતાભાઈએ મહુવા કબજે લીધું.

૨. હીરજી મહેતાના વંશજો એમ કહે છે કે, “ભાલમાં બાવળિયાળી ગામ પર આતાભાઈને ચડાઈ કરવી હતી. દારૂગોળા અને સૈન્ય માટે નાણાંની જરૂર પડી. તેથી મહુવાના શેઠ અભા સોરઠિયાએ મહુવામાંથી બીજા કેટલાએક શાહુકારોના રૂપિયા લઈને ભાવનગરને ધીર્યા. પણ પછી બાવળિયાળીની ચડાઈ માંડી વાળવી પડી, અને નાણાં ચવાઈ ગયાં. બીજે વરસે દુકાળ પડ્યો. અભાએ પોતાના લેણદારોના દબાણથી ભાવનગર પાસે ઉઘરાણી કરી. પણ ભાવનગરની પાસે પૈસા નહોતા. એમ વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં પત્યાં નહિ. એટલે અભો કોપે ભરાઈને આતાભાઈ પાસે આવ્યા, આતાભાઈએ હીરજી મહેતા પાસે એને મોકલ્યો. હીરજી મહેતા સૂતા હતા. અભાએ પ્રથમ એને દોરી વડે પલંગ સાથે બાંધી લીધા ને પછી હીરજી મહેતાની જ તલવાર લઈને એનો ઘાત કર્યો. પછી ભાને હીરજી મહેતાના આરબોએ માર્યો, મેડી પરથી એની લાશને નીચે ફગાવી, અને ઘસડીને સ્મશાન લઈ ગયા. ત્યાર પછી મહારાજે પોતાની હદમાંથી સોરઠિયાઓને કાઢી મૂક્યા હતા.'

પણ અમે આપેલી હકીકતની સાક્ષી તો ઉપર ટાંકેલા ગીતમાંથી જ જડે છે. ખાસ કરીને–

'કરશું સમજણ જસા કનેં,'

–એ ચરણ બતાવે છે કે આમાં કંઈક જસા ખસિયાનો સવાલ હતો.

આ બનાવ બની ગયા પછી આતાભાઈએ જસા ખસિયાના પુત્ર ખીમાને મોણપર અને સેદરડાનાં બાર ગામ પાછાં આપ્યાં હતાં. અત્યારે ખસિયાઓ એ બાર ગામ ખાય છે. ]

સૌરાષ્ટ્રની રસધાર ૩
અભો સોરઠિયો
ઝવેરચંદ મેઘાણી

Address

Ahmedabad
Amadavad

Website

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાતી દેશી ઢોલના તાલે posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share