09/08/2026
ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં વન વિભાગનો મોટો નિર્ણય, માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે બનશે ખાસ ઝોન.
માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા વન વિભાગનો મહત્વનો નિર્ણય
અમરેલી: ગુજરાતમાં વધતા માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવા માટે વન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. માનવ પર હુમલાની ઘટનાઓમાં સંડોવાયેલા સિંહોને હવે અન્ય સિંહોથી અલગ રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
આ માટે ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરી વિશેષ સીમિત વિસ્તાર તૈયાર કરવામાં આવશે. આ વિસ્તારમાં માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને તેમની જરૂરિયાતને અનુરૂપ કુદરતી હેબિટેટમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
વન વિભાગ દ્વારા આ કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને વિશેષ વિસ્તાર તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.