29/05/2026
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ૬ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા
ભરૂચ, તા. ૨૮ મે ૨૦૨૬ ડી એન એસ ન્યૂઝ
ભરૂચ જિલ્લા પોલીસને ઘરફોડ ચોરીના ગુનાઓમાં મહત્વની સફળતા મળી છે. ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના ફીચવાડા ગામે થયેલી અંદાજે રૂ. ૨૫ લાખની મોટી ઘરફોડ ચોરી તેમજ અછાલીયા ગામે થયેલી ચોરી સહિત કુલ ૬ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે એલ.સી.બી.ની અલગ અલગ ટીમો કાર્યરત હતી. ફીચવાડા ગામે તા. ૧૪ અને ૧૫ મેની રાત્રે અજાણ્યા શખ્સોએ મકાનની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજે રૂ. ૨૫ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ થોડા દિવસોમાં અછાલીયા ગામે પણ સમાન પ્રકારની ઘરફોડ ચોરી નોંધાઈ હતી.
આ બનાવોની ગંભીરતા ધ્યાને લઈને એલ.સી.બી. ટીમે સ્થળ તપાસ, સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે દિનેશ પટેલીયા અને ખાટાભાઈ વાઘેલા નામના બે શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા હોઈ શકે છે અને તેઓ અંકલેશ્વર બકરા બજારમાં જોવા મળ્યા છે.
માહિતીના આધારે એલ.સી.બી. ટીમે અંકલેશ્વર બકરા બજારમાંથી બંને શકમંદોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ કેરીની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં આંબાની વાડીઓ ભાગે રાખતા હોવાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ સુરત ખાતે રહેતા જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા સાથે મળી ચારેયે ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ આચરવાનું નક્કી કર્યું હતું.
આરોપીઓ મહિલાઓના વાળની ઘુંચ ખરીદવાના બહાને ગામોમાં ફરી બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે બાઇક લઈને નિશાન બનાવેલા મકાનોમાં સ્લાઇડર વિંડો અથવા દરવાજા પાસે કાણા પાડી અંદર પ્રવેશ કરતા હતા. ફીચવાડા ગામે રસોડાની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવામાં આવી હતી, જ્યારે અછાલીયા ગામે ડીજેના અવાજનો લાભ લઈ મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી ચોરી આચરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓએ વર્ષ ૨૦૨૧માં અછાલીયા અને પ્રાંકડ ગામે તેમજ વર્ષ ૨૦૨૪માં રાજપારડીના સારસા અને નવા ટોઠીદરા ગામે પણ ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે.
પકડાયેલા આરોપીઓમાં દિનેશભાઈ મનજીભાઈ પટેલીયા (રહે. ભુભલી ગામ, ભાવનગર) અને ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા (મૂળ રહે. ખાંટસુરા ગામ, ભાવનગર, હાલ દઢાલ ગામે)નો સમાવેશ થાય છે. પોલીસે બંને પાસેથી રોકડ રૂ. ૨૨,૨૨૦, બે મોબાઇલ ફોન તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૨૫,૭૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હાલ પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે .
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝઘડીયા