20/02/2021
શ્રીનગરમાં પોલીસ પર હુમલો: કસાબ સ્ટાઈલથી શ્રીનગરમાં હાથમાં ખુલ્લી મશીનગનથી આતંકીનું ફાયરિંગ, 2 પોલીસ જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર પોલીસ કર્મીઓને ટાર્ગેટ કર્યા છે. બારાબુલ્લા વિસ્તારમાં આતંકીઓએ જુમ્માના દિવસે પોલીસ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમના મોત થયા છે. શહીદ બંને જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના છે. આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
પોલીસ પાર્ટી પર આતંકી હુમલાના એક સીસીટીવી ફુટેજ પણ પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક આતંકી એકે-47 લઈને ભાગતો દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આતંકી માર્કેટની વચ્ચે દેખાઈ રહ્યો છે અને તેના હાથમાં એક-47 દેખાઈ રહી છે. આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. આ સિવાય આજુબાજુના વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે.
સીસીટીવીમાં એક આતંકી દેખાઈ રહ્યો છે. જોકે ઘટના સ્થળે ઉપસ્થિત લોકોની વાત માનીએ તો બે આતંકીઓએ હુમલો કર્યો છે. ફાયરિંગ કર્યા પછી આતંકી તાત્કાલિક ફરાર થઈ ગયા. ઘટના સ્થળે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો પહોંચી ગયા છે.
માનવામાં આવે છે કે, આતંકીઓએ પોલીસકર્મી પર હુમલો તે સમયે કર્યો જ્યારે તેઓ શ્રીનગર એરપોર્ટને શ્રીનગર શહેર સાથે જોડતા રસ્તા પર સુરક્ષામાં તહેનાત હતા. બાજુમાં બગાત બારાજુલ્લાનું પોલીસ સ્ટેશન પણ હતું. સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે, આતંકીઓ કોઈ ગલીમાંથી આવ્યા અને પોલીસકર્મીઓ પર નજીકથી ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.