20/05/2026
આયોથી થાસ: તમિલનાડુમાં બ્રાહ્મણવાદ વિરોધી બહુજન ક્રાંતિના પિતામહ - એક પરિચય
જન્મદિવસ (૨૦ મે) આદરપૂર્વકના નમન સાથે
આયોથી થાસની તમિલનાડુમાં લગભગ એ જ ઐતિહાસિક ભૂમિકા રહી છે, જે મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફૂલેની રહી છે. તમિલનાડુમાં દલિત-બહુજન અને પેરિયારના આંદોલનની પૃષ્ઠભૂમિ આયોથી થાસે તૈયાર કરી હતી. ઇતિહાસનો સંયોગ એવો છે કે મહારાષ્ટ્રમાં બહુજન આંદોલનનો પાયો પછાત વર્ગમાં જન્મેલા જ્યોતિરાવ ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે નાખે છે, તો તમિલનાડુમાં તેનો પાયો દલિત (પરિયા) સમાજમાં જન્મેલા આયોથી થાસ નાખે છે. આજે આયોથી થાસનો જન્મદિવસ છે. દલિત-બહુજન આંદોલનમાં તેમની ઐતિહાસિક ભૂમિકાને સંક્ષિપ્તમાં રેખાંકિત કરતો આ લેખ તમારી સમક્ષ પ્રસ્તુત છે-
(અછૂત ગણાતી પરિયા જાતિમાં ૨૦ મે ૧૮૪૫ના રોજ જન્મેલા અયોથી થાસે બ્રાહ્મણવાદ, જાતિ-વ્યવસ્થા, આર્ય સર્વોપરિતા અને તમિલ ભાષા પર સંસ્કૃત ભાષાના વર્ચસ્વને પડકાર્યું અને અનાર્ય દ્રવિડ, બૌદ્ધ મૂલ્યો, વિચારધારા, સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક વ્યવસ્થાને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રજૂ કરી તેમજ સંસ્કૃત ભાષાના વર્ચસ્વને તોડવા અને તેની જગ્યાએ તમિલ ભાષાને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો. જે રીતે મહારાષ્ટ્રમાં ડૉ. આંબેડકરની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધાર જ્યોતિબા ફૂલેએ ઊભો કર્યો, તેવી જ રીતે ઇ.વી. રામાસામી 'પેરિયાર'ની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધારનું નિર્માણ તમિલનાડુમાં અયોથી થાસે કર્યું હતું. માત્ર સામાજિક પૃષ્ઠભૂમિ ભિન્ન હતી. જ્યાં જ્યોતિબા ફૂલે શૂદ્ર કહેવાતી માળી જાતિ (સછૂત)માં જન્મ્યા હતા, ત્યાં અયોથી થાસ અતિશૂદ્ર અથવા પંચમ વર્ણ (પરિયા જાતિ- અછૂત)માં જન્મ્યા હતા.
જ્યાં એક તરફ જ્યોતિબા ફૂલેની વિચારધારાને અછૂત ગણાતી જાતિ (મહાર)માં જન્મેલા ડૉ. આંબેડકરે આગળ ધપાવી, ત્યાં અયોથી થાસની વિચારધારાને પછાત જાતિ (નાયકર)માં જન્મેલા પેરિયારે આગળ ધપાવી.)
૨૦ મે ૧૮૪૫ના રોજ ચેન્નાઈ નજીક 'અછૂત' ગણાતી પરિયા જાતિમાં જન્મેલા અયોથી થાસની આધુનિક ભારતના ઇતિહાસમાં ભૂમિકાનું મૂલ્યાંકન કરતાં પહેલાં, આધુનિક ઇતિહાસકારોના આધુનિક ભારતના ઇતિહાસ પ્રત્યેના દ્રષ્ટિકોણ પર એક અત્યંત સંક્ષિપ્ત નજર નાખવી જરૂરી છે.
આધુનિક કાળના મોટાભાગના ઉદારવાદી અને ડાબેરી ઇતિહાસકારોએ સ્વતંત્રતા આંદોલન અને આધુનિક ભારતના ઇતિહાસને ઉમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, તિલક, ગોખલે, રાજગોપાલાચારી અને પાછળથી ગાંધીના નેતૃત્વમાં બ્રિટિશ સંસ્થાનવાદી સત્તા સામે સ્વશાસન, સ્વરાજ અને પાછળથી પૂર્ણ આઝાદીની માંગના આંદોલનનો પર્યાય બનાવી દીધો. કેટલાક ઇતિહાસકારોએ તેમાં દેશભક્ત ક્રાંતિકારી યુવાનો દ્વારા બ્રિટિશ સત્તાને ઉખાડી ફેંકવા માટે કરવામાં આવેલા સંઘર્ષોને સામેલ કર્યા અને કેટલાકે ખેડૂતો-મજૂરો અને આદિવાસીઓ દ્વારા બ્રિટિશ સત્તા સામે કરવામાં આવેલા સંઘર્ષોને પણ સ્થાન આપ્યું.
પરંતુ એવા ઇતિહાસકારો નહિવત્ રહ્યા, જેઓ એ જોઈ શક્યા અથવા જેમણે એ જોવાની જરૂર સમજી કે જે સમયે બ્રિટિશ સત્તા સામે સ્વશાસન, સ્વરાજ અને પાછળથી દેશની પૂર્ણ આઝાદી માટે ઉચ્ચ જાતિઓના નેતૃત્વમાં સ્વતંત્રતા આંદોલન ચાલી રહ્યું હતું, તે જ ગાળામાં આર્ય-બ્રાહ્મણવાદી અને વર્ણ-જાતિવાદી દેશી શાસન-સત્તા, વર્ચસ્વ અને શોષણ-ઉત્પીડનની વ્યવસ્થા સામે એક બીજું સ્વતંત્રતા કે મુક્તિનું આંદોલન પણ સમાંતર રીતે ચાલી રહ્યું હતું, જેની માંગ સૌના માટે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ એટલે કે એક નવા આધુનિક ભારતના નિર્માણની હતી. એવું ભારત કે જેમાં ધર્મ, જાતિ, પિતૃસત્તા અને ભાષા આધારિત સર્વોપરિતા અને વર્ચસ્વ માટે કોઈ સ્થાન ન હોય. આ મુક્તિ આંદોલનનું નેતૃત્વ કોઈ પણ અપવાદ વિના શૂદ્ર (પછાત જાતિઓ) અને અતિશૂદ્ર ('અછૂત' જાતિ)ના લોકો કરી રહ્યા હતા. તેના અગ્રણી નેતાઓએ ધર્મ, સમાજ, ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને જોવાનો એક નવો વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વિચારધારા પૂરી પાડી.
જ્યાં મહારાષ્ટ્રમાં આર્ય-બ્રાહ્મણ દેશી વર્ચસ્વ અને શોષણ-ઉત્પીડનની વ્યવસ્થા સામે સંઘર્ષની શરૂઆત માળી જાતિ (શૂદ્ર, સછૂત)ના જ્યોતિબા ફૂલે (૧૧ એપ્રિલ ૧૮૨૭ - ૨૮ નવેમ્બર ૧૮૯૦) એ કરી, ત્યાં તમિલનાડુમાં તેની શરૂઆત દલિત (પરિયા, પંચમ, 'અછૂત' ગણાતી જાતિ) જાતિના અયોથી થાસ (૨૦ મે ૧૮૪૫ - ૧૯૧૪) એ કરી. આધુનિક યુગમાં સૌથી પહેલાં ફૂલે અને અયોથી થાસે ભારતીય સમાજ, ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને જોવાનો એક નવો વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વિચારધારા ઉપલબ્ધ કરાવી, જે ભારતને જોવા-સમજવાના પ્રભાવી, વર્ચસ્વવાદી, આર્ય-બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ અને વિચારધારા માટે એક નિર્ણાયક પડકાર હતો.
અયોથી થાસે બ્રાહ્મણવાદ, જાતિ-વ્યવસ્થા, આર્ય સર્વોપરિતા અને તમિલ ભાષા પર સંસ્કૃત ભાષાના વર્ચસ્વને પડકાર્યું અને અનાર્ય દ્રવિડ, બૌદ્ધ મૂલ્યો, વિચારધારા, સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક વ્યવસ્થાને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રજૂ કરી તેમજ સંસ્કૃત ભાષાના વર્ચસ્વને તોડવા અને તેની જગ્યાએ તમિલ ભાષાને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો. જે રીતે મહારાષ્ટ્રમાં ડૉ. આંબેડકરની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધાર જ્યોતિબા ફૂલેએ ઊભો કર્યો, તેવી જ રીતે ઇ.વી. રામાસામી 'પેરિયાર'ની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધારનું નિર્માણ તમિલનાડુમાં અયોથી થાસે કર્યું હતું. માત્ર સામાજિક પૃષ્ઠભૂમિ ભિન્ન હતી. જ્યાં જ્યોતિબા ફૂલે શૂદ્ર કહેવાતી માળી જાતિ (સછૂત)માં જન્મ્યા હતા, ત્યાં અયોથી થાસ અતિશૂદ્ર અથવા પંચમ વર્ણ (પરિયા જાતિ- અછૂત)માં જન્મ્યા હતા.
જ્યાં એક તરફ જ્યોતિબા ફૂલેની વિચારધારાને અછૂત ગણાતી જાતિ (મહાર)માં જન્મેલા ડૉ. આંબેડકરે આગળ ધપાવી, ત્યાં અયોથી થાસની વિચારધારાને પછાત જાતિ (નાયકર)માં જન્મેલા પેરિયારે આગળ ધપાવી. ડૉ. આંબેડકર અને પેરિયાર બંનેએ પોતાની સામાજિક પૃષ્ઠભૂમિ અને વિચારધારાના આધારે જ્યોતિબા ફૂલે અને અયોથી થાસની વિચારધારામાં ઘણું બધું ઉમેર્યું અને કેટલીક વસ્તુઓ છોડી પણ દીધી અથવા છોડી દેવી પડી. આવું ઇતિહાસની દરેક આગામી પેઢી કરે છે, તેના કારણો ભિન્ન હોઈ શકે છે. હાલ અહીં તે ચર્ચાનો વિષય નથી.
અયોથી થાસે ડૉ. આંબેડકર દ્વારા બૌદ્ધ ધમ્મ સ્વીકારવાના લગભગ ૫૦ વર્ષ પહેલાં બૌદ્ધ ધમ્મ અંગીકાર કરી લીધો હતો. આ બાબતમાં તેમને થિયોસોફિકલ સોસાયટીના કર્નલ ઓલકોટનો સહયોગ મળ્યો હતો. ઓલકોટના સહયોગથી અયોથી થાસે સિલોન (શ્રીલંકા) જઈને ભિખ્ખુ સુમંગલા નાયક પાસેથી બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી.
તેમનું કહેવું હતું કે પરિયા અનાર્ય આદિ દ્રવિડ છે અને મૂળભૂત રીતે બૌદ્ધ રહ્યા છે, જેમને બૌદ્ધ હોવાના કારણે દ્રવિડો પર વિજય મેળવનારા આર્ય બ્રાહ્મણવાદીઓએ 'અછૂત' જાહેર કરી દીધા. બૌદ્ધોને 'અછૂત' જાહેર કરવાની વાત ડૉ. આંબેડકરના લેખનમાં પણ જોવા મળે છે. અયોથી થાસ બ્રાહ્મણ ધર્મની વિજય અને બૌદ્ધ ધમ્મની પરાજયને એક કડી તરીકે જોતા હતા. ડૉ. આંબેડકરે પોતાના પુસ્તક 'પ્રાચીન ભારતમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ'માં એ સ્થાપિત કર્યું છે કે બ્રાહ્મણવાદ બૌદ્ધ ધમ્મ સામે એક પ્રતિક્રાંતિ હતી. દ્રવિડ-તમિલ સમાજને આર્ય-બ્રાહ્મણવાદી ચુંગાલમાંથી મુક્ત કરવા માટે અયોથી થાસે ન્યાય, સમાનતા, બંધુત્વ અને તર્ક આધારિત બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કરવા અને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા. આ માટે તેમણે ૧૮૯૮માં શાક્ય બુદ્ધિસ્ટ સોસાયટીની સ્થાપના કરી અને તેનું નેતૃત્વ કર્યું, જેનું નામ પાછળથી સાઉથ ઇન્ડિયન બુદ્ધિસ્ટ સોસાયટી પડ્યું.
૧૮૯૮માં સ્થાપિત શાક્ય બુદ્ધિસ્ટ સોસાયટીએ દક્ષિણ ભારત અને વિશ્વના ઘણા દેશોમાં બૌદ્ધ ધમ્મના પ્રચાર-પ્રસારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ભારત તેમજ વિદેશોમાં આ સોસાયટીની શાખાઓ પણ સ્થપાઈ. આ દેશોમાં બર્મા, શ્રીલંકા, ફિજી, મલેશિયા અને દક્ષિણ આફ્રિકા પણ સામેલ હતા. બૌદ્ધ ધમ્મ અને તેની તર્ક આધારિત સમાનતા તેમજ બંધુત્વની વિચારધારાને પ્રચારિત-પ્રસારિત કરવા માટે અયોથી થાસે સોસાયટીના મુખ્યાલય મદ્રાસથી 'તામિઝાન' નામનું નિયમિત સાપ્તાહિક પત્ર પણ શરૂ કર્યું. આ માટે તેમણે બુદ્ધિસ્ટ પ્રેસ અને ગૌતમ પ્રેસની પણ સ્થાપના કરી. પાછળથી કોલાર ગોલ્ડ ફિલ્ડ્સમાં સિદ્ધાર્થ પ્રેસની સ્થાપના કરી. આ પ્રેસ નવા સામાજિક, ધાર્મિક વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વિચારધારાના પ્રચાર-પ્રસારનું મહત્વનું કેન્દ્ર બની ગયું.
અયોથી થાસ માટે બૌદ્ધ ધમ્મે વેદ, પુરાણ, સ્મૃતિ અને ઉપનિષદ આધારિત બ્રાહ્મણવાદની (જેને પાછળથી હિન્દુ ધર્મ કહેવામાં આવ્યો) વર્ણ-જાતિ આધારિત અસમાનતા અને અન્યાયની વ્યવસ્થાને તોડવા તેમજ સમતામૂલક ન્યાય આધારિત સમાજના નિર્માણ માટેનો દાર્શનિક-વૈચારિક આધાર પૂરો પાડ્યો. આધુનિક દલિત આંદોલને અયોથી થાસના માધ્યમથી પોતાના મૂળ બૌદ્ધ ધમ્મમાં શોધ્યા અને બૌદ્ધ ધમ્મને પુનર્જીવન પ્રદાન કર્યું. પાછળથી ડૉ. આંબેડકરે પણ દલિત આંદોલનના મૂળિયાંને બૌદ્ધ ધમ્મની ન્યાય, સમાનતા અને લોકકલ્યાણની વિચારધારા સાથે જોડ્યા.
૧૯૦૧ની પ્રથમ વસ્તીગણતરી વખતે અયોથી થાસે અછૂતોને આહ્વાન કર્યું કે તેઓ પોતાને જ્ઞાતિવિહીન આદિ દ્રવિડ તરીકે વસ્તીગણતરીમાં નોંધાવે. ૧૯૧૧ની વસ્તીગણતરી વખતે તેમણે ફરી આ માંગણી દોહરાવી. આ ઉપરાંત તેમણે બ્રિટિશ સરકાર પાસે એવી માંગણી કરી કે તેઓ અછૂતોને મૂળ બૌદ્ધ તરીકે સૂચિબદ્ધ કરે, ભલે 'અછૂત' પોતાની ઉપ-જાતિઓ પણ વસ્તીગણતરીમાં નોંધાવે. અયોથી થાસ કોઈ પણ સંજોગોમાં આદિ દ્રવિડોને હિન્દુ માનવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે બ્રાહ્મણવાદના સ્વરૂપમાં હિન્દુ ધર્મ આદિ દ્રવિડો પર થોપી દઈને તેમને 'અછૂત' જાહેર કરી દેવામાં આવ્યા અને તેમની મનુષ્ય હોવાની ઓળખ જ છીનવી લેવામાં આવી. આ રીતે મૂળભૂત રીતે બૌદ્ધ એવા આદિ દ્રવિડોને 'અછૂત' જાહેર કરી, તેમને તેમની માનવીય ગરિમાથી વંચિત કરી દેવામાં આવ્યા. અયોથી થાસનો મૂળ સંઘર્ષ બહુમતી (આશરે ૯૭ ટકા) બિન-બ્રાહ્મણ દ્રવિડો અને આદિ દ્રવિડો (અછૂતો)ને માનવીય સમાનતાનો દરજ્જો અપાવીને તેમની ગુમાવેલી માનવીય ગરિમા પાછી અપાવવાનો હતો.
અયોથી થાસના સંઘર્ષનો દાયરો માત્ર અછૂત (પરિયા) લોકો પૂરતો સીમિત નહોતો. તેમણે તમામ બિન-બ્રાહ્મણ તમિલ લોકો માટે ન્યાય અને સમાનતા માટે સંઘર્ષ કર્યો. પોતાના જીવનના પ્રારંભિક ગાળામાં જ તેમણે આશરે ૨૫ વર્ષની ઉંમરે નીલગિરીમાં, ૧૮૭૦માં આદિવાસીઓને તેમના હિતો માટે સંગઠિત કર્યા. તેમણે ૧૮૭૬માં અદ્વૈતાનંદ મહાસભાની રચના કરી. ૧૮૮૫માં અયોથી થાસે જોન રત્નમ સાથે મળીને 'દ્રવિડ પાંડિયન' પત્રિકા શરૂ કરી. ૧૮૮૬માં તેમણે એવી જાહેરાત કરી કે 'અછૂત' હિન્દુ નથી. આપણે બધા જાણીએ છીએ કે ડૉ. આંબેડકર પણ 'અછૂત' કહેવાતા સમાજને હિન્દુ નહોતા કહેતા અને તેઓ સછૂત સમાજને હિન્દુ કહીને સંબોધતા હતા.
તેઓ અછૂતોને બહિષ્કૃત સમાજ, ડિપ્રેશ્ડ ક્લાસ અને કાયદાકીય રીતે અનુસૂચિત જાતિ કહેતા હતા. ૧૮૯૧માં અયોથી થાસે પંચમાર મહાસભાની સ્થાપના કરી. તમિલ સમાજમાં પંચમાર એવા લોકોને કહેવામાં આવતા, જેમને ચારેય વર્ણોમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. હિન્દી કે ગુજરાતી ભાષામાં જેને પંચમ વર્ણ કે અંત્યજ કહે છે. આ લોકોને 'અછૂત' નો દરજ્જો વર્ણ વ્યવસ્થાના નિર્માતા અને સંચાલક એવા બ્રાહ્મણોએ આપ્યો હતો. અયોથી થાસે જે પરિયા જાતિમાં જન્મ લીધો હતો, તે પણ આ જ પંચમ વર્ણની એક પેટાજાતિ હતી.
અયોથી થાસે પોતાને ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દાયરા સુધી સીમિત ન રાખ્યા. તેમણે કોંગ્રેસના નેતૃત્વમાં ચાલી રહેલા સ્વદેશી અને સ્વરાજના આંદોલનના બ્રાહ્મણવાદી ઉચ્ચ-જાતિવાદી ચરિત્રને પોતાની પત્રિકા 'તામિઝાન'માં શ્રેણીબદ્ધ લેખો લખીને ખુલ્લું પાડ્યું. આ પત્રિકાનું પ્રકાશન ૧૯૦૭માં શરૂ થયું હતું અને તેમના પરિનિર્વાણ (૧૯૧૪) સુધી આ પત્રિકા પ્રગટ થતી રહી.
૧૯૦૭માં મદ્રાસ પ્રેસિડેન્સીમાં કોંગ્રેસ દ્વારા જોરશોરથી સ્વદેશી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અયોથી થાસે પોતાની પત્રિકા 'તામિઝાન'માં 'સ્વદેશી રિફોર્મ' નામે એક કોલમ શરૂ કરી. આ કોલમ પત્રિકાના પ્રથમ સાપ્તાહિક અંકથી જ શરૂ થઈ ગઈ હતી. મુખ્યત્વે આ કોલમ અયોથી થાસ પોતે જ લખતા હતા. આ કોલમમાં તેમણે બ્રાહ્મણવાદની રાજનીતિ અને રાષ્ટ્રવાદના બ્રાહ્મણવાદી તત્વોનું વિશ્લેષણ કર્યું. અયોથી થાસને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે કઈ રીતે કોંગ્રેસમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ છે. તેમણે એ પણ જોયું કે બ્રાહ્મણોની માલિકીના પ્રેસમાં કેવી રીતે બ્રાહ્મણોનું જ વર્ચસ્વ છે અને તેઓ માત્ર પોતાના વિચારોને જ પ્રચારિત-પ્રસારિત કરે છે.
અયોથી થાસનું કહેવું હતું કે નીચેની બાબતો વિના સ્વદેશી આંદોલનનો કોઈ અર્થ નથી-
👉 રાજકીય સુધારાના વિચાર અને વ્યવહાર ત્યાં સુધી કોઈ અર્થ નથી રાખતા, જ્યાં સુધી વિચારવાની શૈલી અને સામાજિક વ્યવહારના સિદ્ધાંતોમાં પરિવર્તન ન આવે. અયોથી થાસ એક એવા નાગરિક સમાજની કલ્પના કરતા હતા, જેમાં આંતરિક રીતે રાજકીય સુધારા સામાજિક અને આર્થિક સુધારા સાથે જોડાયેલા હોય. તેઓ એવું પણ કહેતા હતા કે લોકોના જીવનમાં રૂપાંતર કરીને જ રાષ્ટ્રીય સુધારા અને પ્રગતિ હાંસલ કરી શકાય છે.
તેમનું કહેવું હતું કે રાજકીય સ્વતંત્રતા કે સ્વરાજ માત્ર સ્વશાસનથી હાંસલ ન કરી શકાય, તેની સાથે લોકોના સામાજિક અને આર્થિક જીવનમાં પણ ખુશહાલી આવવી જોઈએ. તેથી તેમનું કહેવું હતું કે સ્વતંત્રતા ત્યારે જ મળી શકે જ્યારે જ્ઞાતિઓ નાબૂદ થાય અને શ્રમ કરનારાઓ બહેતર જીવન જીવવા લાગે તેમજ તેઓ એવી સ્થિતિમાં આવી જાય કે પોતાના હિતોના મામલામાં રાજકીય જીવનને પ્રભાવિત કરી શકે.
👉 અયોથી થાસનું કહેવું હતું કે ભારતમાં સુશાસનની શરૂઆત માત્ર ભદ્ર, બાહ્ય લોકો (બ્રિટિશ શાસન)ના હેઠળ શરૂ થઈ. ભારતના લોકો આ શાસનમાં ત્યારે જ સામેલ થઈ શકે જ્યારે વિવિધ સમુદાયો આ પ્રક્રિયા અને સરકારની સંસ્થાઓમાં ભાગીદારી કરે, નહીંતર શાસનને ન્યાયસંગત બનાવવાની બ્રિટિશ શાસનની તમામ કોશિશોને સ્વયંભૂ અને મહત્વાકાંક્ષી બ્રાહ્મણો દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવશે.
અયોથી થાસના સ્વશાસન અને સ્વરાજના આ મૂલ્યાંકનમાં ડૉ. આંબેડકર, પેરિયાર અને અન્ય બહુજન નાયકોનો એ જ સૂર સંભળાય છે, જેમાં તેઓ વારંવાર એવો સવાલ કરે છે કે ઉચ્ચ જાતિઓના નેતૃત્વમાં ચાલી રહેલું સ્વશાસન અને સ્વરાજ આંદોલન આખરે કોના માટે સ્વશાસન અને સ્વરાજની માંગ કરી રહ્યું છે? એ સ્વશાસન અને સ્વરાજમાં શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓ માટે શું સ્થાન હશે?
અયોથી થાસ દાર્શનિક, વિચારક, તમિલ સાહિત્ય અને સંસ્કૃતિના નિષ્ણાત હોવાની સાથે સાથે પરંપરાગત સિદ્ધ ઔષધિ વિજ્ઞાનના જ્ઞાતા અને પ્રયોગકર્તા પણ હતા. અયોથી થાસના દાદા લોર્ડ એરિંગ્ટનને ત્યાં રસોઈયા (ખાનસામા) હતા. આયોથી થાસનું મૂળ નામ કથાવરાયન હતું, તેઓ અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા, તમિલ ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃત અને પાલી ભાષા પર તેમનું પૂર્ણ પ્રભુત્વ હતું.
આ સમગ્ર સંદર્ભમાં એક તથ્ય રેખાંકિત કરવું જરૂરી છે કે ભારતમાં કંપની રાજ (ઈસ્ટ ઇન્ડિયા કંપની) અને પાછળથી બ્રિટિશ ક્રાઉનના પ્રત્યક્ષ શાસન પહેલાં પંચમ વર્ણ (અછૂત સમુદાય)ની કોઈ પણ વ્યક્તિ શિક્ષણ મેળવવા અને લખવા-વાંચવામાં મહારત હાસલ કરવા વિશે વિચારી પણ શકતી નહોતી. એવામાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આખરે અયોથી થાસે જ્ઞાન મેળવ્યું કેવી રીતે?
હાલ અહીં એટલું જાણી લેવું પૂરતું છે કે જે મદ્રાસ પ્રેસિડેન્સીમાં અયોથી થાસનો જન્મ થયો હતો, ત્યાં ૧૭૭૪માં બ્રિટિશ સત્તાની સંપૂર્ણ સ્થાપના થઈ ચૂકી હતી. ૧૭૭૪થી ૧૮૫૮ સુધી મદ્રાસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શાસિત હતું. ૧૮૫૮માં મહારાણી વિક્ટોરિયા દ્વારા જારી કરાયેલા 'મહારાણીના ઢંઢેરા'ની શરતો હેઠળ મદ્રાસ પ્રેસિડેન્સીની સાથે-સાથે બાકીનું બ્રિટિશ ભારત પણ બ્રિટિશ ક્રાઉનના પ્રત્યક્ષ શાસન હેઠળ આવી ગયું.
મદ્રાસ પ્રેસિડેન્સીમાં પૂર્ણ બ્રિટિશ સત્તા સ્થાપિત થવાના ઘણા સમય પહેલાં જ ૧૬૩૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મદ્રાસપટ્ટનમ ગામ ખરીદી લીધું હતું અને તેના એક વર્ષ પછી મદ્રાસ પ્રેસિડેન્સીના પૂર્વવર્તી, સેન્ટ જ્યોર્જ કિલ્લાની એજન્સીની સ્થાપના પણ કરી લીધી હતી. આ વિગતોનો અર્થ એ છે કે અયોથી થાસના જન્મ (૨૦ મે ૧૮૪૫)ના આશરે ૭૦ વર્ષ પહેલાં મદ્રાસ પ્રેસિડેન્સી પર અંગ્રેજોનું શાસન સ્થપાઈ ગયું હતું અને તેમના જન્મના આશરે ૨૦૦ વર્ષ પહેલાં મદ્રાસમાં અંગ્રેજી જ્ઞાન-વિજ્ઞાનનો મર્યાદિત પાયા પર જ સાચો પ્રચાર-પ્રસાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન સાથે શરૂ થઈ ગયો હતો. આ બાબતે ત્યાંના રાજકીય જીવનને તો બદલી જ નાખ્યું, પરંતુ તેની સાથે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં પણ મોટી ઉથલપાથલ મચાવી દીધી.
અહીં બ્રિટિશ સંસ્થાનવાદી સત્તાના ભારત અને તેના વિવિધ વર્ગો-સમુદાયો માટેના નુકસાન અને ફાયદાઓની વિગતવાર ચર્ચા કરવાનો અવસર નથી, પરંતુ અયોથી થાસના વ્યક્તિત્વના નિર્માણના સંદર્ભમાં એટલું કહેવું જરૂરી છે કે બ્રિટિશ શાસને જ્ઞાન-શિક્ષણ મેળવવાના દરવાજા એ 'અછૂત' કહેવાતી જ્ઞાતિઓ માટે પણ ખોલી દીધા, જેના માટે જ્ઞાન-શિક્ષણના દરવાજા બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણોએ બંધ કરી રાખ્યા હતા. આ કાર્ય બ્રિટિશ સત્તાએ પ્રત્યક્ષ રીતે અને ખ્રિસ્તી મિશનરીઓએ તેમના સહયોગથી કર્યું. શિક્ષણ અને જ્ઞાન મેળવીને પોતાની જાતને, પોતાના સમુદાયને અને સમગ્ર સમાજને બ્રાહ્મણવાદના ચુંગાલમાંથી મુક્ત કરવાની આ તકનો ઉપયોગ અયોથી થાસે ખૂબ જ સારી રીતે કર્યો, જેમનો જન્મ પરિયા (અછૂત) જાતિમાં થયો હતો અને જેમના માટે શિક્ષણના દરવાજા અને બારીઓ બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણોએ બંધ કરી દીધા હતા.
અયોથી થાસે બ્રિટિશ સત્તાના આગમનથી પેદા થયેલી નવી તકોનો ભરપૂર ઉપયોગ કર્યો અને અનાર્ય-દ્રવિડ, બિન-બ્રાહ્મણવાદી ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ-આધારિત રાષ્ટ્ર-સમાજના નિર્માણ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું.
આવો, તેમના જન્મદિવસે બહુજન મુક્તિ આંદોલનના પ્રણેતા આયોથી થાસને યાદ કરીને તેમને નમન કરીએ.
સંદર્ભ ગ્રંથો-
૧- વી. ગીતા અને એસ.વી. રાજાદુરાઈ, "ટુવર્ડ્સ, અ નોન-બ્રાહ્મિન મિલેનિયમઃ ફ્રોમ આયોથી થાસ ટુ પેરિયાર", બીજી સંશોધિત આવૃત્તિ, ૨૦૦૮, પુનર્મુદ્રણ, ૨૦૧૧, પ્રકાશક- મંદિરા સેન ફોર સામ્યા, કોલકાતા.
૨- દલિત-સબાલ્ટર્ન ઇમર્જન્સ ઇન રિલીજિયો-કલ્ચરલ સબ્જેક્ટિવિટી, આયોથી થાસાર ઇમેન્સિપેટરી બુદ્ધિઝમ, જી. અલોયસિયસ, ક્રિટિકલ ક્વેસ્ટ, નવી દિલ્હી.
૩- દલિત-સબાલ્ટર્ન, સેલ્ફ આઇડેન્ટિફિકેશન્સ, આયોથી થાસાર એન્ડ તામિઝાન, જી. અલોયસિયસ, ક્રિટિકલ ક્વેસ્ટ, નવી દિલ્હી.
મૂળ લખાણ : સિદ્ધાર્થ રામુ
ગુજરાતી અનુવાદ : RK Araj