27/05/2017
((http://1nonlynews.com/gramin-vistarna-balkone-have-abhyash-mate-sarkari-school-ma-pravesh-levo-padse/})
ગ્રામીણ વિસ્તારના બાળકોને હવે આગળ અભ્યાસ માટે સરકારી શાળામાં પ્રવેશ લેવો પડશે
શિક્ષણ વિભાગના નિયમ અનુસાર એક વર્ગમાં ગ્રાન્ટેડ શાળામાં ૪૫ અને નોન-ગ્રાન્ટેડ શાળામાં ૩૮થી વધારે બેસાડી શકાય નહિ
દરેક શાળાઓ કાયદાનું પાલન કરે છે કે નહિ તે જોવા માટે નિમણુંક કરેલા બીટ ઇન્સ્પેક્ટરો શાળામાં બેસી માત્ર ટોળ-ટપ્પા કરતા હોય છે
સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર એકદમ નીચે હોવાથી વાલીઓ પણ ખાનગી શાળાઓનો આગ્રહ રાખે છે.
(પદમા પટેલ) હિંમતનગર તા.૨૭
સાબરકાંઠા સહીત સમગ્ર ગુજરાત રાજ્યમાં દર વર્ષે સ્વનિર્ભર શાળાઓ દ્વારા મનફાવે તેમ ફી વધારો કરી ચલાવતી ઉઘાડી લુંટ સામે આ વખતે વાલીઓ લડી લેવાના મુડમાં આવી જતા છેવટે સરકારે તેમની સામે ઝૂકવું પડ્યું છે.પરંતુ શિક્ષણ વિભાગના આ નિયમનું પાલન કરતા ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા બાળકોને ધો-૫ પછી પોતાના ગામની નજીકના ગામોમાં પ્રવેશ નહિ મળતા છેવટે સરકારી શાળાઓનો સહારો લેવાનો વારો આવ્યો છે અથવા તો દુર-દુર સુધી શાળાઓમાં જવાની તૈયારી રાખવી પડી રહી છે.
શિક્ષણ વિભાગના નિયમ અનુસાર પ્રાથમિક શાળા જો ગ્રાન્ટેડ હોય તો એક વર્ગમાં ૪૫ અને નોન-ગ્રાન્ટેડ હોય તો ૩૮થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવાનો કાયદો છે જ પરંતુ આટલા વર્ષોથી શિક્ષણ વિભાગ અને શાળાના ટ્રસ્ટીઓની મિલીભગતથી કોઈ કાયદાઓનું પાલન થતું ન હતું.પરંતુ ચાલુ વર્ષે સરકારે શિક્ષણ વિભાગને કડક શબ્દોમાં સુચના આપી તમામ નિયમોનું પાલન થાય છે કે નહિ તે જોવા માટેની સુચના આપી છે.
પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યાના કારણે જે ગામોમાં માત્ર ધો-૧ થી ૪ના જ વર્ગો છે તે બાળકોને હવે ધો-૫માં ગામથી નજીકની શાળામાં પ્રવેશ મળી રહ્યું નથી.જેથી કરીને ફરજીયાતપણે સરકારી શાળાનો આશરો લેવો પડી રહ્યો છે અથવા ગામથી દૂરની શાળામાં અભ્યાસ કરવા જવું પડશે.
વર્ષોથી શાળાઓના સંચાલકો દ્વારા કાયદાઓનું પાલન કરવામાં આવે છે કે નહિ તે જોવા માટે બીટ ઇન્સ્પેક્ટરની નિમણુંક કરી છે.પરંતુ તેઓ પણ શાળાઓમાં બેસીને ટોળ-ટપ્પા મારવા સિવાય કઈ કરતા નથી.
આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જે બાળકોને પ્રવેશ ના મળી શકે તેમ હોય તે માટે સરકાર દ્વારા પ્રાથમિક શાળા ચલાવાય જ છે.
સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર નીચું હોવાના કારણે પણ વાલીઓ ગમે તે ભોગે પોતાના બાળકને ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્નો કરે છે પરંતુ હવે વર્ષો બાદ સંખ્યાના કાયદાનું પાલન થતાં ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ-વાલીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.