14/12/2025
શું ધનવાનોને જ પ્રતિષ્ઠા હોય છે?
https://www.facebook.com/share/v/1G7g42cD4G/
સંસદસભ્ય પરિમલ નથવાણીએ 13 ડીસેમ્બર 2025ના રોજ, સોશિયલ મીડિયા પર જાણ કરી છે કે “મેં 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો છે. માનનીય કોર્ટે હુકમ કરેલ છે કે મારી સામેનું બધું જ બદનક્ષીવાળું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 48 કલાકમાં દૂર કરવું. મેં સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન @ બન્ની ગજેરા સામે મારા વિશે ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ રૂપિયા 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. 12 ડીસેમ્બર 2025ના રોજ, માનનીય કોર્ટે સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા છે.“
થોડાં મુદ્દાઓ :
[1] કોઈ પણ વ્યક્તિને બદનક્ષી રોકવાનો અધિકાર છે. પાયાવિહોણા હુમલાઓથી બચાવ કરવાનો અધિકાર છે જ. પરંતુ શું ગરીબ / મધ્યમ વર્ગની વ્યક્તિ પોતાની બદનક્ષી રોકી શકે છે? શું કોર્ટ તેમને સાંભળે છે? સ્વતંત્ર ડિજિટલ મીડિયા ચલાવનાર આર્થિક રીતે નબળા હોય છે, જ્યારે કોર્પોરેટ કંપની/ તેમના પ્રતિનિધિને કોર્ટનો/ વકીલનો ખર્ચ પોસાય છે. કોર્પોરેટ કંપની/ વ્યક્તિ પાસે કાનૂની કાર્યવાહી કરવા માટે નોંધપાત્ર નાણાકીય સંસાધનો હોય છે. શું આર્થિક નબળી વ્યક્તિ કોર્પોરેટ વ્યક્તિ સામે ટકી શકે?
[2] કઈ કોર્ટે રાહત આપી છે તેનો ઉલ્લેખ પરિમલ નથવાણીએ કરેલ નથી. સિવિલ કોર્ટ કે હાઈકોર્ટ? કઈ સિવિલ કોર્ટ?
[3] સામેની પાર્ટીને સાંભળ્યા વગર કોર્ટ આવો હુકમ કરી શકે? કરે તો ક્યાં સંજોગોમાં કરી શકે? શું આપણી કોર્ટ ક્યારેય ગરીબ/ મધ્યમ વર્ગની વ્યક્તિની બદનક્ષી રોકવા એકપક્ષીય આવો હુકમ કરે છે? શું ધનવાનોને જ પ્રતિષ્ઠા હોય છે?
[4] શક્તિશાળી કોર્પોરેટ અને રાજકીય સંસ્થાઓ દ્વારા ટીકા, investigative journalism અને જાહેર ચર્ચાને શાંત કરવા માટે માનહાનિના મુકદ્દમાઓનો વ્યૂહાત્મક ઉપયોગ ‘હથિયાર‘ તરીકે થઈ શકે છે, જે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર ભયાનક અસર કરી શકે છે. આ હથિયારનો હેતુ ટીકાકારોને ચૂપ કરવાનો હોય છે. ભલે કેસ નબળો હોય. ધ્યેય ઘણીવાર કેસ જીતવાનો નથી હોતો, પરંતુ વિરોધીને લાંબી કાનૂની લડાઈમાં ફસાવવાનો હોય છે. કેસની પ્રક્રિયા જ સજા બની જાય છે. જેથી થાકી-હારી હાથ જોડી ચૂપ રહે. ખર્ચાળ મુકદ્દમાનો સામનો ન કરી શકનાર મીડિયા આઉટલેટ્સ કાનૂની પરિણામોના ડરથી જાહેર હિતની ચિંતાઓ પર રિપોર્ટિંગ કરવાનું ટાળે છે.
[5] બદનક્ષીના કેસમાં વાદીએ સાબિત કરવું આવશ્યક છે કે ખોટા નિવેદનથી ગંભીર નુકસાન અથવા નાણાકીય નુકસાન થયું છે અથવા થવાની સંભાવના હતી. એક તરફ બદનક્ષીનો કાયદો પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવા માટે મદદ કરે છે. પરંતુ બીજી તરફ શક્તિશાળી વ્યક્તિ/ કંપની/ સંસ્થા આ કાયદાનો દુરુપયોગ આલોચના અને રિપોર્ટિંગને દબાવવા માટે કરી શકે છે.
[6] આવા કેસમાં બચાવ શું? જાહેર હિત અને વાજબી ટિપ્પણી એ બચાવ છે. જાહેર ચિંતાના મુદ્દાઓ પર તથ્ય વિશ્લેષણ અથવા સદભાવનાવાળા મંતવ્યો પર આધારિત નિવેદનો ઘણીવાર સુરક્ષિત હોય છે અને બદનક્ષીભર્યા માનવામાં આવતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માનહાનિના કેસોનો ઉપયોગ રાજકીય અથવા કોર્પોરેટ ‘શસ્ત્ર’ તરીકે અસંમતિ અને ટીકાને દબાવવા માટે ન કરવો જોઈએ. rs