02/06/2026
પક્ષીઓના સંરક્ષણ માટે વીરા ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા દ્વારા ભગીરથ પહેલ : ‘પક્ષી મિત્ર અભિયાન ૫૫૧’ અંતર્ગત ૧૫૧ ચબૂતરાઓનું નિઃશુલ્ક સ્થાપન
જેતપુર, પ્રતિનિધિ :
વધતી ગરમી, ઘટતા વૃક્ષો અને બદલાતા પર્યાવરણના કારણે પક્ષીઓના અસ્તિત્વ સામે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકના અભાવે હજારો પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે. આવા સંવેદનશીલ સમયમાં જીવદયા અને પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સતત અગ્રેસર રહેતી વીરા ચેરિટેબલ ટ્રસ્ટ – સુલતાનપુર દ્વારા એક સરાહનીય અને પ્રેરણાદાયી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ‘પક્ષી મિત્ર અભિયાન ૫૫૧’ અંતર્ગત જેતપુર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પક્ષીઓ માટે મજબૂત, ટકાઉ અને ઉપયોગી લોખંડના ચબૂતરાઓ નિઃશુલ્ક સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષીઓને સુરક્ષિત આશરો, ચણ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી તેમની જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવાનો છે.
અભિયાનના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં ૧૫૧ ચબૂતરાઓ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો લાભ રોજ હજારો પક્ષીઓ લઈ રહ્યા છે. ચબૂતરાઓની વિશેષ રચના એવી રીતે કરવામાં આવી છે કે જેમાં પક્ષીઓને એક જ સ્થળે બેસવાની, ચણ ચણવાની અને પાણી પીવાની સગવડ સરળતાથી મળી રહે. ઉનાળાની ઋતુમાં આ ચબૂતરાઓ પક્ષીઓ માટે જીવનદાતા સમાન સાબિત થઈ રહ્યા છે.
આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે સમાજના દાતાશ્રીઓ અને સેવાભાવી લોકોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરીને સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા, સહિત અનેક દાતાઓએ આ અભિયાનમાં આર્થિક અને નૈતિક સહયોગ આપી જીવદયાના આ કાર્યને વધુ મજબૂત બનાવ્યું છે.
ટ્રસ્ટના સભ્યો, ગામના આગેવાનો અને સ્થાનિક યુવાનોના સહકારથી અત્યાર સુધીમાં સુલતાનપુર, જેતપુર, ફરેણી, મોટા ગુંદાળા, સાકરોડા, મેવાસા, મડલિકપુર, ભેસાણ, સેલુકા સહિતના અનેક ગામો અને વિસ્તારોમાં ચબૂતરાઓ લગાવવામાં આવ્યા છે. હજુ પણ અનેક ગામોમાં માંગ ઊભી થતાં કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
ટ્રસ્ટના સભ્ય દિવ્યેશ કાછડીયા ના જણાવ્યા અનુસાર, “પ્રકૃતિ અને જીવસૃષ્ટિનું સંરક્ષણ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. એક સમય એવો હતો જ્યારે ગામડાંઓમાં ચકલીઓ, કબૂતરો, હોલા અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હતા, પરંતુ આજે તેમનો વસવાટ અને ખોરાકના સ્ત્રોત ઘટતા જતા તેમની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. આ અભિયાન દ્વારા લોકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ, સંવેદના અને જવાબદારીની ભાવના વિકસે તેવો અમારો પ્રયાસ છે.”
સ્થાનિક ગ્રામજનો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ પણ ટ્રસ્ટની આ પહેલને બિરદાવી છે. અનેક ગામોમાં ગ્રામજનોએ સ્વયં આગળ આવી ચબૂતરાઓ માટે યોગ્ય સ્થળો ઉપલબ્ધ કરાવ્યા છે તેમજ નિયમિત રીતે તેમાં ચણ અને પાણી ભરવાની જવાબદારી પણ સ્વીકારી છે. જેના કારણે આ અભિયાન માત્ર ટ્રસ્ટ પૂરતું સીમિત ન રહી સમગ્ર સમાજનું લોકચળવળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વીરા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જીવદયા, પર્યાવરણ જાગૃતિ, સામાજિક સેવા અને માનવતાલક્ષી કાર્યો સાથે જોડાયેલ છે. ‘પક્ષી મિત્ર અભિયાન ૫૫૧’ પણ આ જ સેવાભાવનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યેની સંવેદનાને વધુ મજબૂત બનાવે છે.
ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં વધુ ગામો અને શહેરોમાં ચબૂતરાઓ સ્થાપિત કરીને કુલ ૫૫૧ ચબૂતરાઓ લગાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અભિયાન થકી માત્ર પક્ષીઓને જ નહીં પરંતુ સમગ્ર સમાજને “જીવદયા એ જ સાચી સેવા”નો સંદેશ મળી રહ્યો છે.
“પક્ષી બચાવો – પ્રકૃતિ બચાવો, પ્રકૃતિ બચાવો – જીવન બચાવો”ના સૂત્ર સાથે વીરા ચેરિટેબલ ટ્રસ્ટનું આ અભિયાન સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.