16/08/2026
🚩 પાતા ઘેડ ખાતે શિવકથામાં ગુંજ્યો દેશભક્તિનો નાદ: વક્તા મહાદેવગીરી બાપુએ શહીદો-સરહદના જવાનો અને BSFની વીર દીકરીઓને વંદન કરી આપ્યો રાષ્ટ્રપ્રેમનો સંદેશ
📍 પાતા ઘેડ:
પોરબંદર તાલુકાના પાતા ઘેડ ગામ સ્થિત પવિત્ર યાત્રાધામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાના ત્રીજા દિવસે ધર્મસભાને સંબોધતા વ્યાસપીઠ પરથી પૂજ્ય વક્તાશ્રી મહાદેવગીરી બાપુએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તેમજ રાષ્ટ્રપ્રેમનો અદભુત સમન્વય રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કથાના પ્રારંભમાં બાપુએ ભાવપૂર્વક ‘લિંગાષ્ટક’ સ્તોત્રનો મહિમા સમજાવતાં જણાવ્યું કે, સમસ્ત સૃષ્ટિ અને બ્રહ્માંડનું મૂળ તત્વ પરમ તત્વ ભગવાન મહાદેવ છે, જેમની અર્ચના સ્વયં બ્રહ્મા, વિષ્ણુ સહિતના સમસ્ત દેવી-દેવતાઓ કરે છે. શિવભક્તિ માટે અહંકારનો સંપૂર્ણ ત્યાગ અનિવાર્ય છે. મહાદેવ ક્યારેય પોતાના ભક્તના અહંકારને સહન કરતા નથી અને તેનો નાશ કરી જીવને સાચા ભક્તિભાવ તરફ દોરે છે, કારણ કે ઈશ્વરનો નિયમ દરેક જીવ માટે સમાન હોય છે.
આ પ્રસંગે ૧૫મી ઑગસ્ટ–સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશની આઝાદી કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદો તેમજ સરહદ પર અડીખમ ઊભા રહી રાષ્ટ્રનું રક્ષણ કરતા વીર જવાનોના ત્યાગને ભાવપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું. વક્તાશ્રીએ સીમા સુરક્ષા દળ (BSF)માં જોડાઈને દેશની સરહદો સાચવતી પાતા ગામની વીર દીકરીઓ તથા સમસ્ત સૈનિકોના ગૌરવપૂર્ણ યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, સરહદ પર દેશના જવાનો સતર્ક છે તેથી જ પ્રત્યેક દેશવાસી શાંતિ અને સલામતીથી જીવન જીવી શકે છે. આઝાદીના સંગ્રામમાં નવયુવાનોના બલિદાનને વંદન કરતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત સુપ્રસિદ્ધ શૌર્ય રચના ‘રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે...’ ની પંક્તિઓ દ્વારા શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. દેશ પર આવતી કોઈપણ આપત્તિ વખતે તમામ ભેદભાવ ભૂલી એક થઈ વતન માટે સર્વસ્વ સમર્પિત કરવાના દૃઢ સંકલ્પ સાથે સમગ્ર કથામંડપમાં ‘દિલ દિયા હૈ જાં ભી દેંગે, એ વતન તેરે લિયે’ ના સૂર અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી જયઘોષ ગુંજી ઊઠ્યા હતા.
આધ્યાત્મિક સંદર્ભમાં નૈમિષારણ્ય ક્ષેત્રમાં ઋષિમુનિઓ દ્વારા સૂતજી સમક્ષ પૂછાયેલા જ્ઞાનસભર પ્રશ્નોનું વિગતવાર વર્ણન કરતાં બાપુએ જણાવ્યું કે, માનવજીવનમાં જ્ઞાન અને ભક્તિની સાથોસાથ વૈરાગ્યની વૃદ્ધિ થવી અત્યંત આવશ્યક છે, અન્યથા સંસારની મોહમાયા અને આસક્તિમાં સમગ્ર આયુષ્ય વ્યર્થ વહી જાય છે. તેમણે માતા મૈનાવતી અને રાજા ગોપીચંદના જાણીતા દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું કે પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ પર પૂર્ણ નિયંત્રણ મેળવીને જ સાચો વૈરાગ્ય સિદ્ધ થાય છે. માતા મૈનાવતીએ પોતાના પુત્રને સંસારના ક્ષણભંગુર સુખોમાંથી મુક્ત કરાવી જગતકલ્યાણ અને અમરત્વના માર્ગે વાળ્યો હતો. બાપુએ ભારપૂર્વક જણાવ્યું કે સાચા સંતો-મહાપુરુષોનું જીવન માત્ર વિશ્વકલ્યાણ માટે જ સમર્પિત હોય છે. સ્વયં ભગવાન શિવે પણ પોતાના વ્યક્તિગત સાંસારિક સુખો માટે નહીં, પરંતુ દેવતાઓની રક્ષા અને સમગ્ર સૃષ્ટિના હિતાર્થે લગ્ન કર્યા હતા. સંસારની દરેક સમસ્યાનું સમાધાન ધીરજ અને સદાચારમાં રહેલું છે; દુરાચાર ત્યજી સદાચાર અપનાવવો એ જ સાચો ધર્મ છે. અનેક જન્મોના પુણ્યના પ્રતાપે જ માનવદેહ અને શિવકથાનું શ્રવણ પ્રાપ્ત થાય છે. કથામંડપમાં પ્રત્યક્ષ ઉપસ્થિત વિશાળ શ્રોતાગણ ઉપરાંત સોશિયલ મીડિયા અને કેબલ નેટવર્કના માધ્યમથી હજારો ભાવિકોએ ઘેરબેઠાં કથામૃતનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૯ના રોજ સવારે વિશેષ રાસ-ગરબા તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં પધારી સૌ ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે..
#પોરબંદર #પાતાઘેડ #શિવમહાપુરાણ #સિદ્ધેશ્વર_મહાદેવ #મહાદેવગીરી_બાપુ #સત્સંગ #ધાર્મિક_સમાચાર #મહેરએકતા #મેરએકતા