13/02/2026
પ્રોટોકોલ મૂકી રાજ્યપાલશ્રીએ ધીરુભાઈ વાઘેલાના આંગણે શુદ્ધ દેશી ભોજનનો આસ્વાદ માણ્યો.
*શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપી બાળકોને ભણી-ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા આપી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાત દરમિયાન સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યના પ્રથમ નાગરિક હોવા છતાં, અત્યંત સાદગીનો પરિચય આપતા તેઓ ગામના શ્રી ધીરુભાઈ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તમામ પ્રોટોકોલને બાજુએ મૂકીને એક પરિવારના વડીલની જેમ જમીન પર બેસીને અત્યંત સાદગીપૂર્ણ અને ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ ચુલા પર બનેલા બાજરાના ગરમાગરમ રોટલા, બટાકાનું શાક, દાળ, તાજું માખણ અને સલાડ જેવા શુદ્ધ દેશી ભોજનનો આસ્વાદ માણતા જૂની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે સહજતાથી જણાવ્યું હતું કે, ગેસની રોટલી કરતા ચુલાની રોટલીનો સ્વાદ અદ્ભુત હોય છે, જે બાળપણની યાદ અપાવે છે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ધીરુભાઈ વાઘેલાના પરિવારના સભ્યો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછયા હતા. પિતૃતુલ્ય વાત્સલ્ય સાથે તેમણે બાળકો સાથે વિશેષ સમય વિતાવ્યો હતો. બાળકો કયા ધોરણમાં અભ્યાસ કરે છે તેની પૃચ્છા કરી તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ જ પ્રગતિનો એકમાત્ર માર્ગ છે. તેમણે બાળકોને મન લગાવીને ભણવા અને માતા-પિતા સહિત દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધીરુભાઈ વાઘેલાના પરિવારે રાજ્યપાલશ્રીને ભારતનું સંવિધાન પુસ્તક અને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને જીવનમાં વ્યસનનો ત્યાગ કરવા અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી કુળનું ગૌરવ વધારવા જણાવ્યું હતું. રાજ્યના સર્વોચ્ચ પદ પર બિરાજમાન મહાનુભાવને પોતાના આંગણે આટલી સાદગીથી જમતા જોઈ ધીરુભાઈના પરિવારે હર્ષની લાગણી અનુભવી હતી.
રાજ્યપાલશ્રીની આ મુલાકાતમાં જિલ્લા કલેકટર શ્રી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં.
Source : Social media copy paste