05/06/2026
પાટણના નવનિયુક્ત કલેક્ટર પ્રશાંત જીલોવાનું જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને બ્રહ્મસમાજ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
વૈદિક મંત્રોચ્ચાર અને આશીર્વાદ સાથે પ્રશાસનિક વડાને આવકારાયા: ઐતિહાસિક ધરા પર સુશાસન અને સાંસ્કૃતિક સંવર્ધનનો વિશ્વાસ વ્યક્ત કરાયો
પાટણ:
પાટણ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાનું શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રતિનિધિઓ દ્વારા ભાવભર્યું અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ શુભેચ્છા મુલાકાત પ્રશાસન અને સમાજ વચ્ચેના સુમેળનું ઉત્તમ પ્રતિક બની રહી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આચાર્ય પિયુષભાઈ આચાર્યએ પાટણની ગૌરવગાથાની પ્રસ્તુતિ કરતા જણાવ્યું હતું કે, "વિશ્વવિખ્યાત રાણકી વાવ, ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમૃદ્ધ જ્ઞાનપરંપરાના કારણે પાટણ સમગ્ર વિશ્વમાં એક અજોડ અને ગરિમાપૂર્ણ સ્થાન ધરાવે છે." આ સાથે તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કલેક્ટરશ્રીના સક્ષમ અને કુશળ નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લો વિકાસ, સુશાસન, જનકલ્યાણ અને સાંસ્કૃતિક સંવર્ધનના નવા સોપાનો સર કરશે.
આ મંગલ અવસરે ઉપસ્થિત અગ્રણીઓ અને વિદ્વાન ભૂદેવો દ્વારા કલેક્ટરશ્રીને શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સનાતન ધર્મના ઉચ્ચ મૂલ્યો તેમજ ભારતીય સંસ્કૃતિના તત્ત્વોને ઉજાગર કરતા પ્રેરણાદાયી પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કરાયુ હતુ . કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર કરી કલેક્ટરશ્રીને આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના કાર્યકાળની સફળતા, યશ તેમજ લોકકલ્યાણ માટે મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. મુલાકાતના અંતમાં આચાર્ય પિયુષભાઈ આચાર્ય તથા પાટણના અગ્રણી અને ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ બારોટે નવનિયુક્ત કલેક્ટરશ્રીને સપરિવાર શ્રી જગન્નાથજી મંદિર ખાતે આયોજિત થતા વિવિધ પરંપરાગત ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મહોત્સવોમાં ઉપસ્થિત રહેવા માટે સ્નેહપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું.