06/09/2025
કોંકણ કોલિંગ:
ચેપ્ટર 3 ચિપલૂણ, રત્નાગિરિ
મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)
રાયગઢથી નીચે ઉતરી પાચડ ગામમાં આવીએ એટલે અહીં છત્રપતિ શિવાજી મહારાજના માતુશ્રી જીજાબાઈનું સમાધિ સ્થળ છે. થોડે આગળ જઈએ એટલે બૌધ ગુફાઓ આવેલી છે. વરસાદને કારણે અંદર જઈ શકાય તેમ પણ નહોતું. પાચડ ગામથી નીચે ઉતરીએ એટલે મહાડ આવે અહીંના પ્રખ્યાત વડાપાઉં ખાધાં, આંખમાં પાણી આવી ગયાં પણ મજા પડી ગઈ..
રોડ પર આવેલી એક હોટલમાં રાત્રિ મુકામ કરી અને સવારે ચિપલૂણ જવા નીકળ્યાં ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. ફરી એક સુંદર સવાર , વાદળોની પાછળ છુપાયેલ સૂર્યદેવ, વરસતો વરસાદ, સર્પીલી સડકો, તેની પર પાણીની જેમ વહેતી જતી અમારી ગાડી, મિત્રોનો સંગાથ, મ્યુઝિક ~ ગીતો, નાસ્તો ...બીજું શું જોઈએ.
સ્થાનિક લોકો જેને મહારાષ્ટ્રનું ચેરાપુંજી કહે છે તે, ( સરકારનો દાવો નથી પણ અહીં એવરેજ 160 ઇંચ વરસાદ થતો હોય છે એવું તેમનું કહેવું છે) ચિપલૂણ કોંકણનું એક અગત્યનું , રમણીય અને પ્રાચીન કથાઓ સાથે જોડાયેલું નગર છે. કોંકણને ભગવાન પરશુરામના ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાન પરશુરામે ઘોર તપસ્યા કરી અને દરિયાને અંદર ધકેલી દીધો જેમાંથી કોંકણ પટ્ટીની રચના થયેલી. આમપણ પ્રાચીન મંદિર, સ્થાન સાથે આવી કોઈને કોઈ વાર્તાઓ જોડાયેલી હોય જ છે. વશિષ્ટી નદીને કિનારે અને સહ્યાદ્રિની ગિરિમાળાઓની ગોદમાં વસેલું નગર એવું ચિપલૂણ વ્યાપારિક મહત્વ પણ ખૂબ ધરાવે છે. પરશુરામ ઘાટ તરીકે ઓળખાતા એકદમ ઊંચાઈવાળા રોડના વળાંક પરથી ગિરિમાળાઓની વચ્ચે વહેતી વશિષ્ટી નદી દેખાય છે આ દ્રશ્ય એટલું એકદમ નયનરમ્ય લાગે છે કે, હટવાનું મન ન થાય.અહીંથી ગોવાલ ધક્કા(જેટી)થી ક્રોકોડાઈલ સેન્ટર પર જવાય છે. પ્રાચીન પરશુરામ મંદિર ખૂબ સુંદર સ્થાન પર આવેલું છે. મંદિરોની ખાસિયત છે કે, તેની રચના કુદરતના ખોળે એકદમ રમણીય સ્થાન પર કરવામાં આવી હોય છે જેથી આસ્તિક હોય કે નાસ્તિક સહુને પોતાની દ્રષ્ટિ મુજબ આનંદ તો મળી જ રહે.
ચિપલૂણમાં એક મરાઠી મિત્રનાં આગ્રહવશ તેમને ત્યાં જવાનું થયું. દરેક વિસ્તાર,સંસ્કૃતિ ત્યાં વસતાં લોકોની એક આગવી ઓળખ હોય છે. અહીંના મકાનોની અગાશીને પણ છાપરાથી ફરજિયાત કવર કરવી પડે નહિતર ભારે વરસાદ મકાનને અને લોખંડને બહુ જલ્દી ખોખલુ કરી નાખે. મિત્રની મહેમાનગતિ એટલી જોરદાર હતી કે, નાસ્તામાં અમારું ભોજન થઈ ગયું. આ પ્રેમાળ કુટુંબ સાથે ઘણી વાતો કરવી હતી પણ સમયની માંગને કારણે આગળ વધવું ફરજિયાત હતું.
અમુક પ્રવાસ એવાં હોય કે, તેમાં ગંતવ્ય સ્થાનનું વધુ મહત્વ હોય પણ ત્યાં પહોચવાનો માર્ગ કોઇપણ હોઈ શકે. અમુક પ્રવાસ એવાં હોય જેમાં સુંદર, નયનરમ્ય માર્ગનું વધુ મહત્વ હોય પછી ભલે અંતિમ સ્થાન સાધારણ હોય. અમારા આ પ્રવાસની ખાસિયત એટલે પ્રવાસી પથ અને ગંતવ્યો બન્ને લોભાવનારા અને મન મોહી લેનાર હતાં.
વધુ વાંચવા માટે નીચેની લિંક ક્લિક કરો...
કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગ.....