30/06/2022
આ પુસ્તક સંદર્ભે મારું સંપાદન-કર્મ લેખક સાથેની પ્રગાઢ મૈત્રીસેતુની ફળશ્રુતિ ગણાવી શકાય. શિક્ષણ જેવા લપસીંદર લાગતા કઠિન સબ્જેક્ટ ઉપર સતત વિષયવૈવિધ્ય જાળવી રાખી વાચકને વાચનનો ભાર ન લાગે એવું રસપ્રદ લખવું કોઈ પણ લેખક માટે પડકારરૂપ હોય છે પણ, અહીં લેખકે માખણમાં મોરપીંછ ફરે એટલી સહજતાથી લયબદ્ધ શબ્દકટારી ચલાવીને આ પડકારને મહાત કરી મોડર્ન ગુજરાતી રીડર્સના અલ્ટ્રામોડર્ન રાઇટર તરીકેની પોતીકી છાપ છોડી છે.
ઘણીવાર સર્જન કરતાં અનુસર્જન ધારદાર, જાેરદાર અને રસદાર બની જતું હોય છે. ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અનુસર્જન પ્રશંસનીય રહ્યું છે, મેઘાણીભાઈએ વિદેશી સાહિત્યકારો અને સાહિત્યકૃતિમાંથી પ્રેરણા લઈ વિષયવસ્તુનો પ્રાણવાન ગુજરાતી પિંડ બાંધ્યો એ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય માની શકાય. જાે કે, મેઘાણીની કલમને લોકભોગ્ય બનાવવામાં પદ્મશ્રી આદરણીય ભીખુદાન ગઢવીનો સિંહફાળો કેમ નકારી શકાય ? અહીં આ પુસ્તકના લેખકશ્રી પણ વંદનીય પદ્મશ્રી ગુણવંત શાહ પાસેથી એકલવ્ય દીક્ષા પામ્યા છે. સર્જક જેને આદર્શ માને એનો પોતાના સર્જનમાં પડઘો પાડ્યા વિના ના રહી શકે. અલબત્ત, આ પુસ્તકમાં ગુણવંતી લેખનશૈલીનો વાસંતી ટહુકો લેખકની લેખણી આબાદ ઝીલે છે ! સાહિત્ય જગતના શ્રેષ્ઠત્તમ કવિઓ, ગઝલકારો, કેળવણીકારો, મૂર્ધન્ય લેખકો અને કલાજગતના પ્રકાંડ પંડિતોના વિચારો, શબ્દો, ફિલસૂફી ઇત્યાદિના નવનીતનો લેખકે અદ્ભુત વિનિયોગ કરી દરેક લેખને સત્ત્વશીલ સમૃદ્ધિ બક્ષી છે.
પ્રત્યેક લેખમાં તોફાની વાક્યરચના સાથે વ્હીસ્કી જેવી તમતમતી તેજસ્વિતાભર્યા મારફાડ શબ્દો વડે વાચકના અનુભૂતિ જગતને અતિક્રમી જાય એવી અભિવ્યક્તિ આપવામાં લેખક સફળ રહ્યા છે. કોઈ પણ પ્રકારના આર્થિક ઉપાર્જનના હેતુ વિના મારા ‘શિક્ષણ ચિંતન’ માસિકમાં પ્રગાઢ મૈત્રી ભાવે લેખકે લખી આપેલા વિષયવૈવિધ્યભર્યા આ લેખોમાંથી ઉત્તમ ચયન કરેલા લેખોનું આ પુસ્તક શિક્ષણપ્રેમીઓ માટે એક રેફરન્સ બુક સમાન બની રહેશે.
અનહદ રાજીપા સાથેનું મારું સંપાદન અને સર્જકનું અનુસર્જન વાચકોને વિચારક્રાંતિ ભણી લઈ જશે તો અમારી નિષ્કામ મથામણ સાર્થક થઈ ગણાશે. અગ્નિમંથન ભાગ-૧માં કોઈ વેબ સિરીઝના ક્લાઇમેક્સ અંત જેવો ઉઘાડ પામતી અને પાને-પાને કુતૂહલ સાથે વૈચારિક ત્સુનામીની ધૂમ્રસેરો પ્રસરાવતી લેખકશ્રી એ. કે. મુંધવાની શબ્દવેધી કલમને સમગ્ર ગુજરાતી વાચકો અને માતૃભાષાના ચાહકો વતી કોટિ કોટિ અભિનંદન... અભિવંદન.
સંપાદક
રમેશચંદ્ર મુલિયા ‘તીર્થ’
૬, નિસર્ગ, અભયમ પાર્ક,
અલકાપુરી ચોક, સ્વાગત ફ્લેટ પાસે,
એસ. એન. વિદ્યાલય સામે, ૬૦ ફૂટ રોડ,
સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૨
(મો) ૯૫૭૪૩ ૬૦૫૬૨