05/07/2026
સરકાર તો કહે કે નાગા થઈને નાચો, એટલે આપણે નાચવાનું?
જાયરા કલાકાર માયાભાઈ આહિરે એમના એક ડાયરામાં તાજેતરમાં ત્રણ બાબતો કહી: એક બાબત એવી કહી કે લોકો ટેક્સ ભરતા નથી, બીજો મુદ્દો એમણે એમ કહ્યો કે લોકો રેશનિંગનું ખાય છે. અને ત્રીજો મુદ્દો એમ કહ્યો કે રેશનિંગનું ખાઈને સવાલો પૂછે છે, આ ત્રણેય મુદ્દા વિશે વિગતે વાત કરીએ.
પહેલો મુદ્દો: લોકો ટેક્સ ભરતા નથી. કયા લોકો ટેક્સ નથી ભરતા, માયાભાઈ? તમે જરા કહેશો કે કોણ ટેક્સ નથી ભરતું?તમે ડાયરાઓ કરો છો એટલે તમારી આવક તો ઘણી હશે, આમેય હજારો લાખો રૂપિયા તમારા સ્ટેજ ઉપર નાખવામાં આવતા હોય છે, ઉછાળવામાં આવતા હોય છે. આખું સ્ટેજ ભરાઈ જતું મેં વિડિયોમાં જોયેલું છે.
તો તમે ઇન્કમ ટેક્સ ભરતા હશો, તમારી વાર્ષિક આવક તો એટલી તો ખરી જ, કે તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે? કેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે આ દેશમાં? આશરે 4.5 કરોડ. દેશની કુલ વસ્તી છે લગભગ 145 કરોડ. એમાંથી માત્ર 4.5 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. એમાંના તમે એક છો. એનો અર્થ એ થયો કે તમે ધનવાન છો.
હવે બીજો અગત્યનો મુદ્દો: કયા લોકો ટેક્સ નથી ભરતા? તો જે લોકોએ ઇન્કમ ટેક્સ ભરવો જોઈએ, એ લોકો નથી ભરતા. એ લોકો ચોરી કરે છે. અથવા ઓછો ટેક્સ ભરે છે. તો એમને પકડવાની જવાબદારી કોની? સરકારની ખરી કે નહીં? તો તમે સરકારને કહો ને કે લોકો ટેક્સ નથી ભરતા, એમને પકડો. એમની ચોરી પકડો. એમને સજા કરો. એમને દેશ બહાર ભાગી ના જવા દો!
બીજો અગત્યનો મુદ્દો: દેશની જે કુલ આવક છે, જેને GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે, એમાં ભારત સરકાર જે ટેક્સ ઉઘરાવે છે, બધો જ ટેક્સ, એનું પ્રમાણ લગભગ પોણા 12% જેટલું છે. આ સત્તાવાર આંકડો છે. એમાં 6% જેટલો ફાળો તમે જે ઇન્કમ ટેક્સ ભરો છો, એનો છે અને કંપનીઓના નફા ઉપરનો જે ટેક્સ નાખવામાં આવે છે, કોર્પોરેટ ઇન્કમ ટેક્સ, એનો છે. એટલે 6% એમાં આવી ગયા. બાકીના 6% શાના? તો કે GSTના, ટેક્સસાઈઝ ડ્યુટીના, અને કસ્ટમ ડ્યુટીના. આ ત્રણેય વેરા કયા કહેવાય? વસ્તુઓ અને સેવાઓ ઉપર નાખવામાં આવતા વેરા કહેવાય. અને એ વસ્તુઓ અને સેવાઓ ઉપર નાખવામાં આવતા વેરા તો બધા જ ભરે છે.
આ મારા શર્ટ ઉપર જે બટન ટાંકવામાં આવેલું છે, એ બટન ઉપર ટેક્સ છે. એ બટન જે દોરાથી ટાંકવામાં આવ્યું છે, એ દોરા ઉપર ટેક્સ છે. હું જે થાળીમાં ખાઉં છું, એ થાળી ઉપર ટેક્સ છે. એ ચમચી ઉપર ટેક્સ છે. તો આ દેશનો એક ખેત મજૂર, એક બાંધકામ મજૂર, એક શાકભાજીની લારી ચલાવનારી બેન, એ બધા ટેક્સ ભરે છે. કોણ ટેક્સ નથી ભરતું?
એટલે ધનવાનો ટેક્સ ભરે છે અને સરકાર આ બધાને બધું મફત આપે છે, સસ્તું આપે છે. એવી એક છાપ આ દેશના ધનવાનોએ પોતાના લાભ માટે ઊભી કરેલી છે. માયાભાઈ, તમે આનો હિસ્સો છો, એટલે તમે પણ આવું માનો છો.
ખરેખર આવું છે નહીં. ગરીબો પણ ટેક્સ ભરે છે. અને મેં તમને કહ્યું એમ કે આટલો બધો ટેક્સ ભરે છે. હવે સવાલ ઊભો એ થાય છે કે તમે એવું કીધું કે લોકો રેશનિંગનું ખાય છે. રેશનિંગનું કોણ ખાય છે? માયાભાઈ, તમે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા ખરીદવા જાવ છો ખરા? ના. નહીં જતા હો. કારણ કે તમે ધનવાન છો. એ તો ગરીબો જાય છે. કે જે લોકોને 5 કિલો મફત અનાજ દર મહિને આપવામાં આવે છે, છેલ્લા કેટલાક વર્ષોથી, અને 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, અને 1 રૂપિયા કિલો જુવાર-બાજરી અને મકાઈ જેવું બરછટ અનાજ, આપવામાં આવે છે, એ કાયદા હેઠળ આપવામાં આવે છે, 2014માં એ કાયદો થયેલો છે, નરેન્દ્ર મોદીની સરકાર આવી તે પહેલાં. મનમોહનસિંહની સરકારે એ કાયદો કરેલો. એ કાયદા હેઠળ આપવામાં આવી રહ્યું છે આ રેશનિંગનું અનાજ.
હવે સવાલ એ છે કે આ શું સરકારનું ‘દયાદાન’ છે? અથવા તમારા જેવા ધનવાનોએ કરેલું દયાદાન છે? તમે ચોક્કસ એવું સમજતા હશો, એટલા માટે તો તમે આવું બોલો છો કે સરકાર અમારી પાસેથી ટેક્સ લે છે અને ગરીબોને મફતમાં અનાજ આપે છે.
ભારતના બંધારણમાં, પ્રકરણ નંબર 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં આર્ટિકલ-39માં એવું લખેલું છે કે ગરીબો, વંચિતો, પીડિતો, દલિતો, વૃદ્ધો, વિકલાંગો, બાળકો, સ્ત્રીઓ, બીમારો, અશક્તો, વગેરેની કાળજી લેવાની જવાબદારી સરકારની રહેશે. અને આ ક્યારે લખેલું, માયાભાઈ? 26 જાન્યુઆરી 1950. તમે અને હું બંને જન્મ્યા, એ પહેલાં આ લખેલું છે. અને એ હજુ છે જ. એનો અર્થ એવો થયો કે સરકારે એમની કાળજી લેવાની જ છે, જે લોકો ગરીબ છે. એ એની ફરજ છે. એવું બંધારણ કહે છે.
ભારતના બંધારણની પહેલી લીટી શરૂ થાય છે, ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’, અમે ભારતના લોકો. તો આ ‘અમે’માં જે 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે, એ ખરા કે નહીં? જો એ ભારતના નાગરિકો હોય, અને એ ગરીબો હોય, વંચિતો હોય, પીડિતો હોય, વૃદ્ધો હોય, અશક્તો હોય, બીમારો હોય, તો સરકારની જવાબદારી ખરી કે નહીં? અને જો હોય, તો એમાં તમને વાંધો શું છે?
દુનિયાભરમાં સરકારો ધનવાનો પાસેથી વધારે વેરો વસૂલ કરે છે અને ગરીબો માટે કામ કરાવે છે. એટલે ગરીબોની કાળજી સરકાર લેતી હોય, તો એમાં તમારા પેટમાં ચૂંક ના આપવી જોઈએ.
અને બીજો અગત્યનો મુદ્દો, આ રેશનિંગમાં અનાજ આપે છે, તો એમાં સરકાર કેટલા પૈસા ખર્ચે છે? લગભગ 2,03,000 કરોડ રૂપિયા. સરકારનું કુલ બજેટ કેટલું? 54 લાખ કરોડ રૂપિયા. એનો અર્થ એવો થયો ને કે લગભગ 4% કરતાં પણ સહેજ ઓછી રકમ થઈ. જે ગરીબોને અનાજ આપવા માટે ખર્ચાય છે, રેશનિંગમાં. કયા લોકોને? લગભગ 80 કરોડ લોકોને. એમની કુલ વસ્તીમાં કેટલી થઈ? લગભગ 55%. આ 55% ને 4% ખર્ચ જેટલું અનાજ આપવામાં આવે છે. એમાં તમને પેટમાં કેમ દુખે છે? તમે પેલા સ્ટેજ ઉપર જે નોટો ઉછાળવામાં આવે છે, અને એના જે ઢગલા થાય છે, એમાં તમે આળોટો છો. એટલા માટે તમને પેટમાં દુખે છે?
અને બીજો સવાલ, તમે એવો કર્યો કે આ લોકો સવાલો પૂછે છે, પ્રશ્નો પૂછે છે. એટલે શું? આ દેશમાં લોકશાહી છે, એની તમને કંઈ ખબર છે ખરી?
ભારતના બંધારણમાં પહેલી લીટીમાં લખેલું છે કે ભારત લોકશાહી, પ્રજાસત્તાક દેશ છે. ભારતના બંધારણમાં પ્રકરણ નંબર-3માં મૂળભૂત અધિકારોમાં આર્ટિકલ-19માં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, વાણીનું સ્વાતંત્ર્ય લખેલું છે. પહેલી જ લીટીમાં વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લખેલી છે.
એટલે હું એક નાગરિક તરીકે, મારી આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય તેમ છતાં, સરકાર સમક્ષ મારી અભિવ્યક્તિ કરવાનો અધિકાર ધરાવું છું. કારણ કે હું માણસ છું.
અને હા, મેં તો નક્કી કર્યું જ નહોતું કે હું ભારતમાં જન્મું. તમે નક્કી કર્યું હતું? કોણ નક્કી કરે છે? એનો અર્થ એ થયો કે હું ભારતમાં જન્મ્યો છું, એ અકસ્માત છે. અને આ અકસ્માત હું ગરીબ હોવ તો પણ એ મારે માટે સુખદ થવો જોઈએ. હા, એ મુકેશ અંબાણી જેટલો સુખદ ના થાય કે તમારા જેટલો પણ સુખદ ના થાય. પણ એ અનુભવ સુખદ થવો જોઈએ. ભલે હું ભારતમાં જન્મ્યો. અને એ સુખદ થાય, એની જવાબદારી સરકારની છે. અને જો એ જવાબદારી સરકાર અદા ન કરતી હોય, તો એને સવાલ પૂછવો એ મારી ફરજ છે. મારો અધિકાર છે. એટલે લોકશાહીમાં સૌથી મહત્વની ફરજ જો કોઈ હોય, તો એ સરકારને સવાલ કરવાની છે.
સરકાર કહે એટલે તાલી ને થાલી વગાડવાની ફરજ નથી!
મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજમાં એક જગ્યાએ લખ્યું છે કે સરકાર તો કહે કે નાગા થઈને નાચો, એટલે આપણે નાચવાનું? માયાભાઈ, જરા તમારા ડાયરામાં મહાત્મા ગાંધીનું આ વાક્ય પણ કહેજો!
લેખક/સૌજન્ય: હેમંતકુમાર શાહ