Live Update Page

Live Update Page લાઈવ અપડેટ ન્યુઝ પોર્ટલ, સચોટ, ત્વરિત ?

જી.કે.જન. હોસ્પિ.ના  મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને પોસ્ટપાર્ટમ સાકોસીસ રોગની અપાઈ ...
19/07/2025

જી.કે.જન. હોસ્પિ.ના મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને પોસ્ટપાર્ટમ સાકોસીસ રોગની અપાઈ સારવાર
::::
- પ્રસૂતિ પછી માતાઓમાં દેખાતા મનોવિકારમાં પારિવારિક સહકાર સાથે મનોચિકિત્સકની સારવાર પણ મહત્વપૂર્ણ

માતા બનવા પછી મહિલા બેહદ નાજુક સ્થિતિમાંથી પસાર થાય છે,ત્યારે પ્રસવોત્તર અર્થાત્ ડિલિવરી પછી મનોવિકારનો (પોસ્ટપાર્ટમ સાયકોસીસ)રોગ પણ મહિલાઓમાં ક્યારેક જોવા મળે છે.જે ખાસ પ્રસૂતિના અંતિમ સમયમાં અગર તો પછી થોડા દિવસોમાં દેખાય છે.અદાણી સંચાલિત GAIMS જી કે જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા ઓપીડીમાં છેલ્લા ૩ માસમાં ૧૦ અને વોર્ડમાં દાખલ ૩ માતાઓને સારવાર આપવામાં આવી છે.

આ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડૉ.રિધ્ધિબેન ઠક્કરના જણાવ્યા મુજબ ડિલિવરી પછી ઉદભવતી આ માનસિક અસર થવાનું કારણ હોર્મોનનો બદલાવ,આનુવંશિક અગર તો મનોવૈજ્ઞાનિક હોઈ શકે.મનોચિકિત્સકોએ સારવાર સરળ બનાવવા આ રોગના ત્રણ પ્રકાર પાડ્યા છે.પ્રથમ માઇલ્ડ અર્થાત્ સામાન્ય જેને બ્લુઝ કહેવાય છે. દ્વિતીય માઇલ્ડથી વધુ ડિપ્રેશન પ્રકારનું અને ત્રીજું સીવિયર અગરતો સાયકોસીસ (મનોવિકૃતિ) છે.

મનોચિકત્સકના જણાવ્યા મુજબ, માઇલ્ડમાં પ્રસૂતિ પછી માતાનું વર્તન બદલાયેલું દેખાય છે.જેમાં મૂડ સ્વિંગ મુખ્ય છે અને તેનું પ્રમાણ ૭૦ થી ૭૫ ટકા જોવા મળ્યું છે.જે સામન્ય રીતે જલ્દી રીકવર થઈ જાય છે.પરંતુ કેટલીક વાર એ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે.

રોગ સીવિયર બને ત્યારે માતા વહેમી અને શંકાશીલ બની જાય,બાળકની દેખરેખ ન રાખે , મરી જવાનું મન થાય, ઉંધી ચતી વાતો કરે,અકારણ ગુસ્સો અને સૌથી મહત્વની હકીકત એ સામે આવી છે કે,માતા અને પુત્ર વચ્ચે બોન્ડિંગ અર્થાત્ લગાવ તૂટી જાય છે.જો આ રોગની સારવાર ન થાય અને કુટુંબ ધ્યાન ન આપેતો માતાના લક્ષણો દિકરા દીકરીને પણ ભવિષ્યમાં નુકસાન કરી શકે.માટે સારવાર લેવી ખૂબ જરૂરી બને છે.

પ્રસવોત્તર મનોરોગથી પીડિતાને માનસિક હૂંફની વધુ જરૂર:

પ્રસૂતિ પછી પરિવારનો સહયોગ આવા મનોવિકારમાં વધુ કારગર સાબિત થાય છે.કુટુંબીજનોએ માતામાં આ રોગના લક્ષણો દેખાય તો મનોચિકિત્સકની સલાહ લેવી.ડિલિવરી પછી માતા બાળક પ્રત્યે વધુ સંવેદનશીલ હોવાથી માતા કે બાળક કોઈને પણ એકલા ન છોડવા.માતાની લાગણી સમજવી, તેને હૂંફ આપવી.બંને માં દીકરાની સંભાળ રખાય તો આ રોગના નિવારણની દિશામાં ઉપયોગી પુરવાર થઈ શકે.

ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો::::ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ ડિમાન્ડિંગ એ...
19/07/2025

ગુજરાત યુનિ.ના સૌથી વધુ ડિમાન્ડિંગ બે કોર્સની ફીમાં 15 હજાર રૂપિયાનો વધારો
::::
ગુજરાત યુનિવર્સિટીના સૌથી વધુ ડિમાન્ડિંગ એવા ઈન્ટિગ્રેટેડ કોર્સીસ એમબીએ અને એમએસસી આઈટીમાં આ વર્ષે 50 ટકા ફી વધારો કરવામા આવ્યો છે. સ્ટાફનો પગાર નીકળતો ન હોય અને છેલ્લા 14 વર્ષથી ફી વધારો થયો ન હોવાથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો કરવામા આવ્યો છે. પરંતુ ફી વધારાની અગાઉથી કોઈ જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરાઈ ન હતી કે ફી વધારાને લઈને ઈસી કે બોર્ડ મીટિંગમાં કોઈ નિર્ણય લેવાયો હતો કે નહીં તે પણ પ્રશ્ન છે.

ગુજરાત યુનિવર્સિટીના કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગમાં વર્ષોથી ઈન્ટિગ્રેટેડ એમબીએ અને ઈન્ટિગ્રેટેડ એમએસસીઆઈટી કોર્સ ચાલે છે. ધોરણ 12ના કોમર્સ-સાયન્સના તમામ વિદ્યાર્થીઓ કોર્સીસમાં પ્રવેશ લઈ શકે છે અને આ કોર્સીસ ગ્રાન્ટેડઈન ધોરણે ચાલતા હોય ઓછી ફીને લીધે તેમજ સારા પ્લેસમેન્ટને લીધે ખૂબ જ ડિમાન્ડિંગ છે.

આ ઉપરાંત કોર્સીસમાં પ્રવેશ માટે ધોરણ 12ના 80થી 85 ટકા જરૂરી હોય છે. આ કોર્સીસમાં અત્યાર સુધી સેમેસ્ટર દીઠ 9500 રૂપિયા ફી હતી, એટલે કે વાર્ષિક 19 હજાર ફી હતી, પરંતુ આ વર્ષે એકાએક ફી વધારો કરી દેવાયો છે. હવે સત્ર દીઠ ફી વધારીને 14, 750 રૂપિયા અને વાર્ષિક 29, 500 રૂપિયા ફી કરાઈ છે. જેમાં પરીક્ષા સહિતના તમામ ખર્ચ હોય છે.

છેલ્લે વર્ષ 2011માં ફી વધારાઈ હતી ત્યારે 14 વર્ષથી ફી વધી ન હોઈ ખાનગી યુનિવર્સિટીઓની સરખામણીએ ઈન્ટિગ્રેટેડ લેવલના આ કોર્સીસમાં હવે 14 વર્ષે ફી વધારો થાય તે જરૂરી છે. પરંતુ એક સાથે 50 ટકાનો ફી વધારો કરી દેવાતા વિદ્યાર્થીઓ માથે બોજ વધશે. યુનિવર્સિટીના તંત્રનો દાવો છે કે, સારા વિઝિટિંગ ફેકલ્ટીથી માંડી સ્ટાફનો પગાર પણ જૂની ફીમાં નીકળતો ન હોય અને પગાર કરવા માટે વિભાગે લોન લેવી પડતી હોઈ ફી વધારો થયો છે.

યુનિવર્સિટી દ્વારા બંધ બારણે ફી વધારો કરી દેવાયો હોવાની ફરિયાદ ઊઠી છે. કારણ કે યુનિવર્સિટી દ્વારા ફી વધારા માટે કોઈ પણ અગાઉથી જાહેરાત થઈ ન હતી. આ બંને કોર્સમાં ડિમાન્ડને પગલે 90-90 ટકા બેઠકો વધારા માટે જાહેરાત થઈ હતી. ફી વધારા માટે કોઈ જાહેરાત થઈ ન હતી. જ્યારે એનએસયુઆઈની ફરિયાદ છે કે બેઠક વધારા માટે જીકાસની સાઈટ પર સ્પષ્ટતા નથી.

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત   ::::- નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ...
19/07/2025

AGEL માં પ્રમોટર્સે હિસ્સો વધાર્યો, રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત
::::
- નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ કરવા આગેકૂચ

અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં તેનો હિસ્સો 56% થી વધીને 62.5% થયો છે. 18 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થયેલ રૂપાંતરમાં જાન્યુઆરી 2024 માં યુનિટ દીઠ રૂ. 1,480.75 ના ભાવે વોરંટ જારી કર્યા બાદની બાકીની ચુકવણીને બોર્ડની મંજૂરી પછી રૂ. 1,110.56 પ્રતિ યુનિટના ભાવે કરવામાં આવી હતી.

માર્કેટ એક્સપર્ટ તેમાં AGEL ના વિકાસ માર્ગને મજબૂત સમર્થન તરીકે જુએ છે. પ્રમોટર ગ્રુપે અગાઉ જાન્યુઆરી 2023 ના હિન્ડેનબર્ગ રિપોર્ટ પછી AGEL માં તેનો હિસ્સો ઘટાડીને 56% કરતા GQG પાર્ટનર્સ અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને તેના શેર વેચ્યા હતા. 9350 કરોડ રૂપિયાનું નવું રોકાણ, જેમાંથી 62૦૦ કરોડ રૂપિયા વૃદ્ધિને વેગ આપશે અને 3116 કરોડ રૂપિયા દેવાને નિવારણ કરશે, તે આગામી પાંચ વર્ષમાં AGEL ની મહત્વાકાંક્ષી $1૦૦ બિલિયન મૂડીખર્ચ યોજના સાથે સુસંગત છે. નાણાકીય વર્ષ 26 માં AGEL 5 GW નવીનીકરણીય ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય રાખે છે, જેના માટે 31૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે.

૧૫.૮ GW ની વર્તમાન સ્થાપિત ક્ષમતા સાથે AGEL નાણાકીય વર્ષ ૨૬ સુધીમાં ૧૯ GW અને ૨૦૩૦ સુધીમાં ૫૦ GW નું લક્ષ્ય રાખે છે, જેમાં અડધાથી વધુ ગુજરાતના ખાવડા સોલાર પાર્કમાં આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વના સૌથી મોટો છે. જેમાં ૩૦ GW મોટે ભાગે સૌર અને કેટલીક વીન્ડ એસેટ્સ છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ તેનું વિસ્તરણ ચાલી રહ્યું છે. કંપની ખર્ચ ઘટાડવા અને માર્જિન વધારવા માટે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ગ્રુપ સિનર્જી, સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન અને સ્ટોરેજ સોલ્યુશન્સનો ઉપયોગ કરે છે.

AGEL નું નાણાકીય શિસ્ત નાણાકીય વર્ષ 2025 માં તેના 6.05 ગણા ઘટેલા ચોખ્ખા દેવા-થી-EBITDA ગુણોત્તરમાં સ્પષ્ટ દેખાય છે, જે 6.57 ગણાથી ઘટીને FY28 સુધીમાં 4 ગણા લક્ષ્ય સાથે વૈશ્વિક સ્તરે સૌથી ઓછા સ્તરવાળી નવીનીકરણીય ઊર્જા કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓએ નાણાકીય વર્ષ 2025 માં EBITDA માં 8% નો વધારો નોંધાવ્યો હતો અને રૂ. 90,000 કરોડનો મજબૂત રોકડ પ્રવાહ દર્શાવ્યો હતો. 16 GW નવા વીજ ખરીદી કરારો પર હસ્તાક્ષર સાથે, AGEL ભારતના નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ કરવા માટે આગેકૂચ કરી રહ્યું છે.

EDની રડાર પર AAPના નેતા, મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ::::દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો સતત...
19/07/2025

EDની રડાર પર AAPના નેતા, મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ
::::
દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો સતત ઘેરા બની રહ્યા છે. ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા ઈડીની રડારમાં આવ્યા છે. ઈડીએ દિલ્હીમાં AAPની સરકારમાં ત્રણ મોટા કૌભાંડ થયો હોવાનો દાવો કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઈડીએ દાવો કર્યો છે કે, આપની સરકાર હતી ત્યારે દિલ્હીમાં હોસ્પિટલ નિર્માણ, સીસીટીવી પ્રોજેક્ટ અને શેલ્ટર હોમમાં નાણાકીય ગેરરીતિઓ થઈ હતી. આ મામલે ઈડીએ મની લોન્ડરિંગના ત્રણ કેસ નોંધ્યા છે. ઈડીએ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ પણ નોંધ્યો છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર કેસ દાખલ કરવા પર કહ્યું કે, ભાજપે તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવાનું ફરી શરૂ કરી દીધું છે. આપના નેતાઓ પર ખોટા કેસ દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. આ બધુ ગુજરાતના વિસાવદરમાં આવેલા ચૂંટણી પરિણામોના કારણે થઈ રહ્યું છે. અહીં ભાજપના તમામ પ્રયાસો અને તરકટો છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભારે મતોથી જીત મેળવી હતી.

પહેલો કેસ રૂ. 5590 કરોડના હોસ્પિટલ નિર્માણ કૌભાંડ સંબંધિત છે. 2018-19માં દિલ્હી સરકાર દ્વારા 24 હોસ્પિટલની યોજનાને મંજૂરી અપાઈ હતી. જે છ મહિનામાં તૈયાર કરવાની હતી, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ બાંધકામ બાકી છે. અત્યાર સુધી તેની પાછળ રૂ. 800 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે અને હજી સુધી 50 ટકા કામ જ પૂરું થયું છે. બીજી તરફ, એલએનજેપી હોસ્પિટલનો ખર્ચ રૂ. 488 કરોડથી વધી રૂ. 1135 કરોડે પહોંચ્યો છે. આ મામલામાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા સામે સવાલ ઉઠી રહ્યા છે.

બીજો કેસ રૂ. 571 કરોડના સીસીટીવી કૌભાંડ સાથે જોડાયેલો છે. 2019માં દિલ્હીના 70 વિધાનસભા ક્ષેત્રોમાંથી 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવાઈ હતી. આ કોન્ટ્રાક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને અપાયો હતો, પરંતુ આ યોજના સમયસર પૂરી થઈ ન હતી. BEL પર રૂ. 17 કરોડનો દંડ ફટકારાયો હતો. ત્યાર બાદ કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વિના તે માફ કરવામાં આવ્યો હતો.

ડીયુએસઆઈબી શેલ્ટર હોમના નિર્માણ કાર્યમાં 207 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનો દાવો કરાયો છે. દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડ (ડીયુએસઆઈબી) સાથે જોડાયેલી આ યોજનામાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે. જેમાં નકલી ફિક્સ્ડ ડિપોટિઝ રિસિપ્ટ મારફતે રૂ. 207 કરોડની હેરાફેરી થઈ હોવાનું ઈડીનું કહેવું છે. લોકડાઉન વખતે દસ્તાવેજમાં જાણવા મળ્યું કે, રૂ. 250 કરોડનું શેલ્ટર હોમનું કામ 'ઘોસ્ટ વર્કર્સ'ના નામે દર્શાવાયું હતું. આ કામદારોનો પગાર કમિશન પેટે નેતાઓ સુધી પહોંચ્યું હોવાનો આરોપ છે.

સૂત્રો અનુસાર, આ તમામ કેસની તપાસ સીબીઆઈ અને એસીબી દ્વારા ચાલી રહી છે. આ તપાસ એજન્સીઓની એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો છે. આ મામલે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓની પણ પૂછપરછ થઈ શકે છે.

ગુજરાતના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં EDની એન્ટ્રી::::ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ...
18/07/2025

ગુજરાતના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં EDની એન્ટ્રી
::::
ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. EDએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જેમાં 2050 કરોડના કૌભાંડ અને તેના મની લોન્ડરિંગ તથા હવાલા કનેક્શન્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

EDએ તમામ 164થી વધુ કરંટ એકાઉન્ટ્સની સઘન તપાસ શરૂ કરી છે, જેનો ઉપયોગ આ રેકેટમાં થતો હોવાનું મનાય છે. ખાસ કરીને, હવાલા મારફતે આ પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હતો તે અંગેની તપાસ EDની પ્રાથમિકતા છે. પોલીસે અત્યાર સુધી એકત્રિત કરેલા તમામ નિવેદનો, ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવા EDને સોંપવામાં આવ્યા છે, જેના આધારે ED પોતાની તપાસને આગળ વધારી રહી છે.

આ રેકેટનું આંતરરાષ્ટ્રીય જોડાણ ક્યુબા દેશ સાથે હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અલગ-અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટોકરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હતા. આ બાબત કૌભાંડની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે.

આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરીને કર્યો હતો. સાયબર ફ્રોડની તપાસ દરમિયાન જ પોલીસને જાણવા મળ્યું હતું કે એક આરોપી ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પણ ચલાવે છે. ED હવે માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ ફોરેક્સ ટ્રેડિંગના કૌભાંડમાં પણ થયેલા મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

આ વિશાળ કૌભાંડમાં વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. સુરતના 2050 કરોડના સાયબર ફ્રોડ કેસમાં દીપ મુકેશ ખેની (ઉં.વ. 25, રહે. મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા, મૂળ ભાવનગર)ને ગીર સોમનાથથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ 21 મેના રોજ સુરતના ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન કિરાત જાડવાણી અને મીત ખોખરની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.

તપાસમાં એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાઓ મેળવતા હતા. દરેક ખાતા માટે તેઓ 1 લાખથી 7 લાખ સુધીનું કમિશન આપતા હતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું. આ મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજો દ્વારા સાયબર ક્રાઈમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતો હતો. ઉધના પોલીસે આવા 164 બેંક ખાતાઓ જપ્ત કર્યા છે અને વિવિધ બેંકો પાસેથી વિગતો મેળવી છે. ખાસ કરીને આરબીએલ બેંકના 89 ખાતાઓમાં જ કુલ 2050 કરોડના વ્યવહારો જોવા મળ્યા છે, જે કૌભાંડના વિશાળ કદને સ્પષ્ટપણે દર્શાવે છે.

દીપ મુકેશ ખેનીને તેના મામાના ઘરેથી ગીર સોમનાથથી પકડવામાં આવ્યો હતો, જ્યાં તે તેના સાથીદારો, મીત, કિરાત અને દિવ્યેશ (શાળાનો મિત્ર), પકડાયા પછી ભાગી ગયો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દીપ ખેનીએ કિરાતને સાયબર ફ્રોડ કરવા માટે 10 જેટલા બેંક ખાતા પૂરા પાડ્યા હતા, જેના બદલામાં તેને કુલ 70 લાખનું કમિશન મળ્યું હતું. ખાતા મેળવવાની તેની પદ્ધતિ આધુનિક અને સુવ્યવસ્થિત હતી.

દીપ ખેની એવા લોકોને શોધતો હતો જેઓ બેંક ખાતા ખોલાવવા તૈયાર હોય અને તેમને દરેક ખાતા દીઠ આશરે 20,000નું કમિશન આપતો હતો.

બેંક ખાતાઓને કાયદેસર બનાવવા માટે દીપ ખેની એક દુકાન ભાડે રાખતો, તેમાં સાડીઓનો સ્ટોક ભરાવતો અને કમ્પ્યુટર ગોઠવતો, જેનાથી એક કાયદેસર વ્યવસાયનો દેખાવ ઊભો થતો.
ત્યારબાદ તે બેંક ખાતું ખોલવા માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર કરતો, જે પછી કિરાતને સોંપવામાં આવતા હતા.

આ રીતે સફળતાપૂર્વક ખોલવામાં આવેલા દરેક બેંક ખાતા માટે ખેનીને કિરાત પાસેથી 7 લાખનું કમિશન મળતું હતું. દીપ ખેનીની ધરપકડ આ મોટા પાયે ચાલી રહેલા સાયબર ફ્રોડ ઓપરેશનને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ નેટવર્ક અને પદ્ધતિઓ પર વધુ પ્રકાશ પાડે છે. પોલીસ અને ED આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં સામેલ અન્ય વ્યક્તિઓની વિગતો મેળવવા અને તેમને પકડવા માટે તપાસ ચાલુ રાખી છે. આ કૌભાંડમાં વધુ મોટા માથાઓ ખુલ્લા પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

અદાણી ફાઉન્ડેશન-મુંદ્રા દ્વારા વિરાણીયામાં વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ::::- ૪૦ પ્રકારના સ્વદેશી રોપાઓથી લીલુછમ જંગલ ઉભુ થ...
18/07/2025

અદાણી ફાઉન્ડેશન-મુંદ્રા દ્વારા વિરાણીયામાં વનીકરણ પ્રોજેક્ટનો શુભારંભ
::::
- ૪૦ પ્રકારના સ્વદેશી રોપાઓથી લીલુછમ જંગલ ઉભુ થશે
અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને હરીયાળા બનાવવા અવિરત કાર્યરત રહ્યું છે. બુધવારે મુંદ્રા તાલુકાના વિરાણીયા ગામમાં મહત્વપૂર્ણ વનીકરણની પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ પ્રદેશમાં પાંચ હજાર વૃક્ષો વાવી ગાઢ જંગલ ઉભુ કરવામાં આવશે. સુંદર વનીકરણ યોજના માટે લોકોએ અદાણી ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.

વિરાણીયામાં વનીકરણ પ્રોજેક્ટનો વિસ્તાર વધારવા ચાર એકર જમીનમાંથી બાવળના વૃક્ષો દૂર કરી જમીન ફળદ્રુપ બનાવવામાં આવશે. તે માટે સંપૂર્ણ સફાઈ, ખેડાણ, વાડ બનાવાશે અને વાવેતર માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવશે. ઉપજાઉ જમીન પર લગભગ ૪૦ પ્રકારના વિવિધ સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડ રોપવામાં આવશે. તેનાથી પક્ષીઓ માટે વર્ષભર ફળની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે અને સમુદાયને ઔષધીય વૃક્ષોના લાભો સહિત વિપુલ પ્રમાણમાં ઓક્સિજન પલબ્ધ થશે.

આ પ્રસંગે મુંદ્રાની આસપાસ આવેલ વિસ્તારના અગ્રણી મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. વિરાણીયા ગામના પ્રકૃતિપ્રેમી સરપંચ શક્તિસિંહ જાડેજાએ વનીકરણ પ્રોજેક્ટને આવકારતા જણાવ્યું હતું કે "તે પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનશે. પક્ષીઓનો કિલકિલાટ એ વૃક્ષોનો અવાજ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉભા કરાયેલા ગાઢ જંગલની અમે ખંતથી સંભાળ રાખીશું."

અદાણી ફાઉન્ડેશનના સીએસઆર વડા પંક્તિબેન શાહે વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, "ઉત્ક્રાંતિ પ્રક્રિયામાં વૃક્ષો માનવ કરતાં વરિષ્ઠ છે. આજે જો કોઈ ઋષિ ઉપનિષદ લખવાનું વિચારે તો તેઓ પર્યાવરણ, જૈવવિવિધતા અને પોષણ શૃંખલાના વ્યાપક અર્થને સમાવતું 'વૃક્ષોપનિષદ' બનાવી શકે છે".

અદાણી ફાઉન્ડેશન આવા વૃક્ષ મંદિરો બનાવવા માટે ગ્રામજનો સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે. ગ્રામજનો અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી ત્રણ વર્ષમાં વૃક્ષો અને પક્ષીઓના કિલકિલાટથી ભરેલું એક લીલુંછમ જંગલ બનશે. વિરાણીયા અને ટોડા વચ્ચે વધુને વધુ વૃક્ષારોપણ અને તેની માવજત કરવાનો સંકલ્પ ગ્રામજનોએ ઉત્સાહથી સ્વીકાર્યો હતો.

હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે. અગાઉ દેશલપર કંઠી ખાતે લગભગ 4૦ એકરમાં જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ નિવારવાની દિશામાં અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીના સંકલ્પ મુજબ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

પોલીસ કર્મીઓ જ સાયબર ક્રિમિનલ બન્યાં::::દુનિયાના ગમે તે ખૂણેથી દુનિયામાં કોઈપણ વ્યક્તિને છેતરવાના સાયબર ક્રાઈમને રોકવાની...
18/07/2025

પોલીસ કર્મીઓ જ સાયબર ક્રિમિનલ બન્યાં
::::
દુનિયાના ગમે તે ખૂણેથી દુનિયામાં કોઈપણ વ્યક્તિને છેતરવાના સાયબર ક્રાઈમને રોકવાની કવાયત કરતી અમુક પોલીસ કર્મચારીઓ કાયદો જાણતાં હોવા છતાં સાયબર ક્રિમિનલ બની રહ્યાં છે. જૂનાગઢ પછી દોઢ વર્ષે નર્મદા પોલીસનો તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. સાયબર ક્રાઈમ રોકવા માટે એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરવાની કાયદેસર કાર્યવાહીના નામે પોલીસ તોડબાજી કરી રહ્યાનો બીજો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

શંકાસ્પદ બેન્ક ખાતાંની વિગતો મળે એટલે મળતિયા દ્વારા થોડા પૈસા જમા કરાવી આ જ મળતિયાની છેતરાયો હોવાની અરજીના આધારે તોડબાજીનું પોલીસનું નેટવર્ક આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું હોવાના અનેક તથ્યો સરકાર અને પોલીસ તંત્રના અનેક ઉચ્ચ અધિકારીઓ જાણે જ છે. ગાંધીનગરથી લઈને જિલ્લા કક્ષાએ આ‌પ્રકારે પોલીસના તોડબાજીના નેટવર્કને અટકાવવાની કાર્યવાહી કરાશે ખરી તેવો સવાલ લોકોમાં છે.

વર્ષ 2024ના આરંભે જૂનાગઢથી ડીવાયએસપી કક્ષાના અધિકારી તરલ ભટ્ટ અને તેમના તાબાની ટીમ દ્વારા 335 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવવાનો ખેલ કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં પોલીસ અધિકારી, કર્મચારીઓની ધરપકડ પણ કરાઈ હતી. ત્યારબાદ હવે નર્મદા જિલ્લા પોલીસ વડાએ આવું જ એક ચોંકાવનારૂં કારસ્તાન પકડી પાડ્યું છે. રાજપિપળા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટર લક્ષ્મણ ચૌધરી કેટલાક મહિનાઓથી બેન્કોને ઈ-મેઈલ કરીને બેન્ક એકાઉન્ટસ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવતો હતો. આ પ્રકારે બેન્ક ખાતાં ફ્રીઝ અને અનફ્રીઝ કરાવીને આર્થિક તોડબાજીના કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યાં છે. બે વર્ષમાં જ પોલીસ તંત્રનો જ હિસ્સો હોય તેવા કર્મચારી કે અધિકારી જ સાયબર ક્રાઈમ રોકવા માટે એકાઉન્ટ ફ્રીઝ-અનફ્રીઝ કરાવી જેમના એકાઉન્ટસ હોય તેમને બોલાવીને તોડબાજીનો ખેલ ચલાવતાં હોવાના બે કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે.

છીંડે ચડ્યો તે ચોર... આવી કહેવત પોલીસમાં વ્યાપક રીતે લાગુ પડે છે. ત્યારે ગુજરાતના પોલીસ તંત્રમાં શંકાસ્પદ બેન્ક ખાતામાં મળતિયાઓ દ્વારા થોડા પૈસા જમા કરાવીને તેમની પાસેથી જ અરજી મેળવીને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ-અનફ્રીઝ કરી અમુક ખાખી વર્દીધારીઓ દ્વારા તોડબાજીનું નેટવર્ક ચલાવાય છે તેની વ્યાપક અને રાજ્યવ્યાપી તપાસ જરૂરી બન્યાની લાગણી અને માગણી વ્યાપક બની છે.

જાણકારોના મતે, લાખો અને કરોડો રૂપિયાની હેરાફેરી કરતી આંગડિયા પેઢીઓ કે હેરાફેરી કરનારાઓ પાસે અગણિત બેન્ક એકાઉન્ટના ડેટા બજારમાં ફરી રહ્યાં છે. ગરીબો અથવા તો કાયદાના જાણકાર ન હોય તેવા લોકો પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવીને નાણાંકીય હેરાફેરી માટે વેચાણનું સુઆયોજીત નેટવર્ક ચાલી રહ્યું છે. આવા ડેટા પોલીસ પણ મેળવે અથવા ખરીદે છે. આવા બેન્ક એકાઉન્ટમાં મળતિયાઓ પાસે પૈસા જમા કરાવી અને ફ્રોડ થયાની અરજી કે સાયબર પોર્ટલ કે સાયબર હેલ્પલાઈન ઉપર ફરિયાદ કરીને એકાઉન્ટ ફ્રીઝ કરાવી એકાઉન્ટમાં રહેલી રકમમાંથી પચ્ચીસથી માંડી 50 ટકા સુધીની રકમનો તોડ કરવાનું નેટવર્ક અમુક પોલીસ કર્મચારી, અધિકારીઓ ચલાવી મોસાળે જમણ અને માં પિરસનાર ઉક્તિને સાર્થક કરી ધરાઈને ગેરકાયદે કમાણી કરે છે. આ વાતથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અજાણ નથી.

ઓનલાઈન ગેમિંગ, ક્રિકેટ કે શેર સટ્ટો, જુગાર અને ફ્રોડ કરીને મેળવવામાં આવતાં પૈસા અન્ય રાજ્ય કે વિદેશમાં લઈ જવા માટે બેન્ક ખાતાંઓ ભાડે રાખીને હેરાફેરી કરવામાં આવે છે. ભારતમાં નાણાંકીય હેરાફેરી રોકવા વર્ષ 2024માં આવા 4.50 લાખ બેન્ક ખાતાં ફ્રીઝ કરાયાં હતાં. ગુજરાતમાં પોલીસ દ્વારા બેન્ક ખાતાં ફ્રીઝ-અનફ્રીઝ કરવામાં પોલીસના મેળાપિપણાના વિવાદ પછી સરકારે 2.14 લાખ બેન્ક એકાઉન્ડ અનફ્રીઝ કર્યાનું જાહેર કરી પોતાની જ પીઠ થાબડી હતી. પરંતુ સાયબર ક્રિમિનલ્સની માફક જ તોડબાજીમાં અનેક ખાખી વર્દીધારીની માનસિકતા બદલી નથી.

હદ તો એ વાતની છે કે, અદાલતે પણ આખા બેન્ક એકાઉન્ટસ ફ્રીઝ કરવાના બદલે ગુનામાં સામેલ જણાતી હોય તેટલી રકમ જ ફ્રીઝ કરવાની તાકીદ કરી છે. છતાં જ્યાં સુધી નૈવેદ્ય ધરવામાં ન આવે ત્યાં સુધી પોલીસ ફ્રીઝ કરેલાં એકાઉન્ટસ ખોલતી નથી. હવે તો બેન્ક ખાતાં ફ્રીઝ-અનફ્રીઝ કરવામાં પોલીસ અને મળતિયાના મેળાપિપણાના કિસ્સા ખુલી ચૂક્યાં છે. બેન્ક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરવાના નેટવર્કને ધ્વસ્ત કરવા માટે નોડલ એજન્સી જ્યાંથી સંચાલન કરે છે, તેવા ગાંધીનગરથી લઈ જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોમાં ઊંડી તપાસ સાથે સાફસુફી જરૂરી જણાય છે. મોટી મોટી વાતો કરતી સરકાર અને કામગીરીની વાહ-વાહ મેળવવાની શોખિન બની ચૂકેલી ગુજરાત પોલીસ પારદર્શિતા દાખવે તો પ્રજાનો ભરોસો જાળવી શકાય તેમ હોવાની લોકચર્ચા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. બેન્કોએ પૈસાની ગેરકાયદે નાણાંકીય હેરાફેરી જણાય તેવા એકાઉન્ટસ ઉપર નજર રાખવી. કાયદાનું પાલન કરાવતી સંસ્થા તરફથી કોર્ટના આદેશ રજૂ કરાય બાદ એકાઉન્ટ ફ્રીઝ કરવા. મની લોન્ડરિંગના કિસ્સા રોકવા બેન્ક ખાતાંમાં કેવાયસી નિયમીત કરવા, એકાઉન્ટ ફ્રીઝ કરતાં પહેલાં ખાતાધારકને નોટિસ આપવી, આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાના બદલે શંકાસ્પદ રકમ ફ્રીઝ કરવી, એકાઉન્ટ કે રકમ ફ્રીઝ કરવાના કિસ્સામાં ખાતાંધારકને પૂરતી અને પારદર્શક જાણકારી આપવી અને બેન્કિંગ સેક્ટરની નિયમાવલી અનુસાર આ કાર્યવાહી કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે.

યુવા સપનાઓને સાકાર કરવા એડીચોટીનું જોર લગાવતું અદાણી જૂથ::::- 15 રાજ્યોમાં કૌશલ્યવર્ધન માટે ‘સક્ષમ’ની આગેકૂચઅદાણી જૂથ દે...
17/07/2025

યુવા સપનાઓને સાકાર કરવા એડીચોટીનું જોર લગાવતું અદાણી જૂથ
::::
- 15 રાજ્યોમાં કૌશલ્યવર્ધન માટે ‘સક્ષમ’ની આગેકૂચ

અદાણી જૂથ દેશના યુવાધનના સોનેરી સપનાઓ સાકાર કરી રહ્યું છે. જે યુવાઓએ શાળા-કોલેજ છોડી દીધી હતી કે અગમ્ય કારણોસર વધુ ભણી શક્યા નહતા તેમને સશક્ત બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પોતાનુ અને પરિવારનું ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહેલા યુવાઓને તાલીમ આપવા અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર આશાઓનું કિરણ બનીને ઉભરી આવ્યું છે. એક અંદાજ મુજબ આ તાલીમાર્થીઓએ રોજગાર દ્વારા INR 479 કરોડથી વધુ સામૂહિક આવક ઉભી કરી છે. તે માત્ર આવક જ નથી, પરંતુ એવુ મૂલ્ય છે જે સમુદાયોમાં વહેતું થઈ રહ્યું છે.

નવ વર્ષ પહેલાં અદાણી સક્ષમે ટકાઉ આજીવિકાના દ્રષ્ટિકોણ સાથે શરૂઆત કરી હતી. યુવાઓને કૌશલ્યથી સજ્જ કરી આજીવિકા કમાતા કરવાનું તે અભિયાન કૌશલ્ય વિકાસ કેન્દ્રમાં પરિણમ્યું. આજે તે મુહિમ 15 રાજ્યો અને 40 થી વધુ શહેરોમાં મજબૂતીથી આગેકૂચ કરી રહી છે. પરિણામે 1,85,533 વિદ્યાર્થીઓએ કંઈક નવું કરવાની હિંમત કરી પોતે સક્ષમ અને પરિવારના કમાઉ દિકરા બન્યા છે. આ માત્ર એક સંખ્યા જ નથી તેના કરતાં પણ ઘણું છે!

એક અંતરિયાળ ગામડાની છોકરી હવે ડ્રોન પાઈલોટ બની પોતાનો વ્યવસાય ટેકઓફ કરવા તૈયાર છે. એક યુવાન માછીમાર AI માં તાલીમ પામી કલ્પના કરતાં વધુ કમાણી કરે છે. એક દૈનિક વેતનધારીનો પુત્ર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી સાથીદારોને પણ સક્ષમ બનાવે છે. અત્યાધુનિક ટેકનોલોજીની દુનિયામાં પગ મૂકી તેમણે ડ્રોન પાઈલોટ, AI, વર્ચ્યુઅલ રિયાલીટી જેવા ક્ષેત્રોમાં કાઠુ કાઢ્યું છે.

સક્ષમ માત્ર એક તાલીમ કેન્દ્ર જ નથી, તે કારકિર્દીને નવી દિશા આપનારી સંસ્થા છે. અત્યાર સુધીમાં ગુણવત્તાયુક્ત કૌશલ્ય વિકાસમાં 200 કરોડથી વધુ માનવ-કલાકોનું રોકાણ કરવામાં આવ્યું છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર ફક્ત મેટ્રો શહેરો સુધી મર્યાદિત રહ્યું નહીં. તે જ્યાં સૌથી વધુ જરૂરિયાત હતી ત્યાં સુધી ગયું છે. વિદ્યાર્થીઓની પ્રથમ બેચથી લઈને આજ સુધી ASDC એ એક જ વચન રાખ્યું છે. દરેક તાલીમાર્થીને રાહ ન મળે ત્યાં સુધી તેની સાથે ઊભા રહેવાનું.

સક્ષમ ફક્ત એક સીમાચિહ્નરૂપ નથી તે એક ચળવળ છે, જે સાબિત કરે છે કે જ્યારે તમે લોકોમાં રોકાણ કરો છો, ત્યારે તમે ફક્ત જીવન બદલતા નથી, તમે રાષ્ટ્રનું ભવિષ્ય પણ બદલો છો.

પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો::::પહલગામ આતંકી હુમલાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે...
16/07/2025

પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો
::::
પહલગામ આતંકી હુમલાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ જઘન્ય કૃત્ય બાદ આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કરી ઉજવણી કરી હતી. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યા અનુસાર, બૈસરન ખીણમાં હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓએ પોતાની ગોળીથી 26 નિર્દોષોને વીંધ્યા બાદ હવામાં ગોળીબાર કરી ઉજવણી કરી હતી. આ મામલે એક પ્રત્યક્ષદર્શીએ આ અંગે ખુલાસો કર્યો હતો.

એનઆઈએ માટે મહત્ત્વપૂર્ણ ગુપ્ત સ્રોત ગણાતા પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. જે અનુસાર, એનઆઈએએ બે સ્થાનિક લોકોની ધરપકડ કરી હતી. આ લોકોએ આતંકવાદીઓને લોજિસ્ટિક સહાયતા પૂરી પાડી હતી. આ પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, પહલગામ આતંકી દુર્ઘટના બાદ આતંકવાદીઓએ હવામાં ગોળીબાર કરી ઉજવણી કરી હતી. બાદમાં તેઓ ત્યાંથી ફરાર થયા હતાં.

પહલગામ આતંકી હુમલાને આ 22 તારીખે ત્રણ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. તેમ છતાં એનઆઈએ સહિત ભારતીય સુરક્ષા એજન્સીઓ હુમલાખોરોને શોધવામાં નિષ્ફળ રહી છે. હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓમાં એક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સુલેમાન છે. જે જમ્મુ-કાશ્મીરમાં અન્ય ત્રણ આંતકી ઘટનાઓમાં પણ સંડોવાયેલો હતો. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં શોધ-ખોળ થઈ રહી હોવા છતાં આ ત્રણેય આતંકવાદીઓની ક્યાંય ભાળ મળી નથી.

કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ બૈસરન ખીણમાં અચાનક ત્રણ આતંકવાદી આવ્યા હતાં. તેમણે સ્ત્રી-પુરૂષને અલગ કરી પુરૂષને તેનો ધર્મ પૂછી ગોળી મારી હતી. આ હુમલામાં 26 નિર્દોષે જીવ ગુમાવ્યા હતાં. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની એક વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી હતી. કેન્દ્ર સરકારે હુમલાનો બદલો લેતાં નવ મેના રોજ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણે હુમલા કર્યા હતાં. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. વધુમાં ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર પણ પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ ભારતમાં વસતા પાકિસ્તાની નાગરિકોને પાછા તેમના વતન મોકલ્યા હતાં.

જૂનમાં મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું  ::::અદાણી પોર્ટ્સ અને અદાણી એનર્જી સોલ્યુશ...
16/07/2025

જૂનમાં મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું
::::
અદાણી પોર્ટ્સ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટોચની પસંદગી તરીકે ઉભરી આવ્યા

અદાણી જૂથમાં મુચ્યુઅલ ફંડ્સના રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. જૂન મહિનામાં અદાણી ગ્રુપના શેરોમાં મ્યુચ્યુઅલ ફંડ્સે મજબૂત ખરીદીનો રસ દર્શાવ્યો હતો, જેમાં ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ચોખ્ખો રોકાણપ્રવાહ રૂ. 2,800 કરોડથી વધુનો હતો. ગ્રુપની આઠ જાહેર ટ્રેડેડ કંપનીઓમાંથી સાતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ચોખ્ખા ખરીદદારો હતા. જેમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે જૂથની સ્થિતિસ્થાપકતા માળખાગત વિકાસ માટે વ્યૂહાત્મકતામાં વધુ મજબૂત વિશ્વાસ દર્શાવે છે.

જૂન મહિના દરમિયાન અદાણી પોર્ટ્સ અને SEZ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટોચના બે પસંદગીઓ તરીકે ઉભરી આવ્યા હતા, જેમણે અનુક્રમે રૂ. 900 કરોડ અને રૂ. 800 કરોડના રોકાણ આકર્ષ્યા હતા. અદાણી પોર્ટ્સ અને SEZ માં મુખ્ય રોકાણકારોમાં કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ રૂ. 476 કરોડના શેરની ખરીદી સાથે અગ્રણી રહ્યા હતા, ત્યારબાદ આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ, જેણે રૂ. 208 કરોડનું રોકાણ કર્યું હતું.

અદાણી એનર્જી સોલ્યુશન્સમાં ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટો ખરીદદાર રહ્યા હતા, તેમણે રૂ. 180 કરોડના શેર ખરીદ્યા હતા. આ પછી ICICI પ્રુડેન્શિયલ, SBI અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ્સનો ક્રમ આવે છે, જેમણે આ સ્ટોકમાં રૂ. 100 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

મ્યુચ્યુઅલ ફંડોએ જૂન ૨૦૨૫માં તેના શેરોમાં રૂ. ૨,૮૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. આ મહિના દરમિયાન અદાણી ગ્રુપની અન્ય કંપનીઓએ પણ નોંધપાત્ર મ્યુચ્યુઅલ ફંડ પ્રવાહ મેળવ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. ૭૩૫ કરોડ, અદાણી ગ્રીન એનર્જીએ રૂ. ૩૫૫ કરોડનું રોકાણ આકર્ષ્યું હતું, જ્યારે અંબુજા સિમેન્ટ્સે રૂ. ૧૯૫ કરોડનું રોકાણ આકર્ષ્યું હતું. તેનાથી વિપરીત, ACC એ રૂ. ૨૪૪ કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોયો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝમાં, કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ રૂ. ૩૨૧ કરોડ સાથે અગ્રણી રોકાણકાર હતા, ત્યારબાદ ઇન્વેસ્કો અને ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ હતા, જેમણે અનુક્રમે રૂ. ૧૦૨ કરોડ અને રૂ. ૭૮ કરોડનું રોકાણ કર્યું હતું. ટાટા અને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ્સે પણ ભાગ લીધો હતો, દરેકે રૂ. ૫૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. દરમિયાન, ઇન્વેસ્કો અને ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રીન એનર્જીમાં ખરીદીમાં આગેવાની લીધી હતી, જેમાં દરેકે રૂ. ૮૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું.

ITR ફાઈલિંગ કરવાની ડેડલાઈન લંબાવી 15 સપ્ટેમ્બર કરી::::સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ આકરણી વર્ષ 2025-26 માટે ઈનકમ ટ...
16/07/2025

ITR ફાઈલિંગ કરવાની ડેડલાઈન લંબાવી 15 સપ્ટેમ્બર કરી
::::
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ આકરણી વર્ષ 2025-26 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 જુલાઈથી લંબાવી 15 સપ્ટેમ્બર કરી છે. સીબીડીટીએ ડેડલાઈન લંબાવવા પાછળનું કારણ કરદાતાઓને ફાઈલિંગ અનુભવ સરળ અને અનુકૂળ બનાવવા માટે છે.
આવકવેરા અધિનિયમની કલમ 234 (A) મુજબ, આઈટીઆર ફાઈલ કર્યું હોય અને અંતિમ તારીખ સુધીમાં કોઈપણ સેલ્ફ-અસેસમેન્ટ ટેક્સ ચૂકવવાનો બાકી હોય તો તેમણે કોઈ વ્યાજ ચૂકવવાનું થતુ નથી. નવી ડેડલાઈન મળતાં તેઓ વ્યાજ કે પેનલ્ટી વિના આઈટીઆર ફાઈલ કરી શકે છે.

વિવિધ કેટેગરી માટે આઈટીઆર ડેડલાઈન :

• વ્યક્તિગત, HUF,AOPs, BOIs માટે ઓડિટિંગની જરૂર ન હોવાથી તેઓ 15 સપ્ટેમ્બર, 2025 સુધી આઈટીઆર ફાઈલિંગ કરી શકે છે.
• બિઝનેસમેનના ઈનકમ ટેક્સ રિટર્ન માટે ઓડિટની જરૂર હોવાથી તેમના માટે આઈટીઆર ડેડલાઈન 31 ઓક્ટોબર, 2025 છે.
• પ્રાઈસિંગ રિપોર્ટ (આંતરરાષ્ટ્રીય અને ચોક્કસ સ્થાનિક ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં) ટ્રાન્સફર કરવાની જરૂર ધરાવતા બિઝનેસના આઈટીઆર ફાઈલિંગ 30 નવેમ્બર, 2025 સુધી કરી શકાશે.
• રિવાઝ્ડ તથા બિલેટેડ રિટર્નના કિસ્સામાં ડેડલાઈન 31 ડિસેમ્બર, 2025 છે.

આ વર્ષે આઈટીઆર ફોર્મમાં નવી ટેક્સ પ્રણાલીની માહિતી ઉમેરવામાં આવી છે. જેથી આવકવેરા વિભાગે કરદાતાઓને અગવડ ન પડે તે હેતુ સાથે ડેડલાઈન લંબાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં ફોર્મમાં પણ અનેક ફેરફારો કરવામાં આવ્યા હોવાથી કરદતાઓને ટેક્સ ફાઈલિંગ સિસ્ટમ સમજવા માટે સમય મળી રહેશે.

જે કરદાતાઓ નવી લંબાવવામાં આવેલી ડેડલાઈન ચૂકી જશે તેઓને આવકવેરા અધિનિયમની કલમ 139 (8A) હેઠળ અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક મળશે. નવા ફેરફારો મુજબ કરદાતા હવે 24 મહિનાના બદલે 48 મહિનાનું આઈટીઆર ફાઈલ કરી શકે છે. જો કે, તેમણે વધારાનો 60 અને 70 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે.

આવકવેરા અધિનિયમની કલમ 234 (A) અનુસાર ,જો આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈનની અંદર આઈટીઆર ફાઈલ કરવામાં ન આવે તો પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. જેમાં બાકી ટેક્સની રકમ પર દરમહિને 1 ટકાના લેખે વ્યાજ ચૂકવવુ પડશે. તેમજ મોડા આઈટીઆર ફાઈલ કરવા બદલ જો આવક રૂ. 5 લાખથી વધુ હોય તો લેટ ફી પેટે રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી હોય તો રૂ. 1000 લેટ ફી ચૂકવવી પડશે.

FGD નિયમમાં છૂટછાટથી પ્રતિ યુનિટ વીજ ઉત્પાદન ખર્ચ 25-30 પૈસા ઘટશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે:::::મોટાભાગના કોલસાથી ચાલત...
16/07/2025

FGD નિયમમાં છૂટછાટથી પ્રતિ યુનિટ વીજ ઉત્પાદન ખર્ચ 25-30 પૈસા ઘટશે જેનો સીધો લાભ ગ્રાહકોને થશે
:::::
મોટાભાગના કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ માટે સલ્ફર ઉત્સર્જનના નિયમોને સરળ બનાવવા માટે સરકારના પગલા, આબોહવા અને તેના અનુપાલન વચ્ચેના નાજુક સંતુલનને હકારાત્મક અસર કરે છે તેના પરિણામે વીજળીના ખર્ચમાં યુનિટ દીઠ 25-30 પૈસાનો ઘટાડો થવાની ધારણા છે, એમ કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.

સરકારે ફ્લ્યુ-ગેસ ડિસલ્ફ્યુરિસેશન (FGD) સિસ્ટમ્સ સ્થાપવાના 2015 ના આદેશને ગેઝેટ જારી કરી પ્રતિબંધિત કર્યો છે જે ફક્ત દશ લાખથી વધુની વસ્તીવાળા શહેરોના 10 કિલોમીટરની અંદર આવેલા વીજ પ્લાન્ટમાંથી નીકળતા વાયુઓમાંથી સલ્ફરને દૂર કરે છે.

ફ્લ્યુ ગેસમાંથી સલ્ફર ડાયોક્સાઇડ (SO₂)ને દૂર કરવા માટેની ફ્લુ ગેસ ડીસલ્ફ્યુરિસેશન (FGD) સિસ્ટમને હવે ફકત ગીચ શહેરી ક્ષેત્રોની નજીક આવેલા અથવા ગંભીર પ્રદૂષિત વિસ્તારોમાં આવેલા પાવર પ્લાન્ટ માટે ફરજીયાત કરવામાં આવશે તેવી કેન્દ્રના પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલયે જાહેરાત કરી છે. જ્યારે ભારતની સ્થાપિત કોલસાની ક્ષમતાના લગભગ 79 ટકાના મોટાભાગના સલ્ફરનું નીચું પ્રમાણ ધરાવતા સ્વદેશી કોલસા ઉપર ચાલતા પાવર પ્લાન્ટને મુક્તિ અપાશે.

સૂચનામાં જણાવાયું છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિગતવાર વિશ્લેષણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હાલના નિયંત્રણ પગલાંની કામગીરીના પરિણમે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં વધારો જોવા મળ્યો હતો.

ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શહેરી વસ્તીની ગીચતા અને વપરાયેલા કોલસાની સલ્ફર સામગ્રીના આધારે અલગ પાલન તરફ દોરી જશે.

આઇઆઇટી, નવી દિલ્હી, સીએસઆઈઆર-નીરી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ (એનઆઈએ) ના શ્રેણીબદ્ધ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતના મોટાભાગના ભાગોમાં એમ્બિયન્ટ સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર રાષ્ટ્રીય એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (એનએએક્યુ) ની અંદર છે. આ પ્રસ્તુત નવા માળખાને વિસ્તૃત ચર્ચાઓ અને બહુવિધ સ્વતંત્ર અભ્યાસ પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બહુવિધ શહેરોમાંના માપદંડોમાં સલ્ફર ઓકસાઈડનું સ્તર ક્યુબિક મીટર દીઠ 3 થી 20 માઇક્રોગ્રામની વચ્ચે હતું, જે ક્યુબિક મીટર દીઠ 80 માઇક્રોગ્રામના એનએએક્યુએસ થ્રેશોલ્ડની નોંધપાત્ર નીચે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અભ્યાસુઓએ ભારતીય સંદર્ભમાં સાર્વત્રિક FGDના આદેશની પર્યાવરણીય અને આર્થિક અસરકારકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

ભારતીય કોલસામાં સામાન્ય રીતે 0.5 ટકાથી ઓછી સલ્ફર સામગ્રી હોય છે, અને નોંધપાત્રઉંચાઈ અને હવામાનની અનુકૂળ સ્થિતિને કારણે SO2 નું ડિસ્પર્સન કાર્યક્ષમ છે. NIASના અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે દેશભરમાં એફજીડીનના રેટ્રોફિટીંગથી વર્ષ 2025 અને 2030 ની વચ્ચે ચૂનાની ખાણના ખાણકામ, પરિવહન અને વીજ વપરાશને કારણે અંદાજે 69 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ઉમેરાશે

ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ધોરણોમાં છૂટછાટના કારણે વીજળીનો યુનિટ દીઠ ઉત્પાદન ખર્ચ 25-30 પેસા ઘટવાની ધારણા છે.જેનો સરવાળે લાભ ગ્રાહકોને થશે. ઉંચી માંગ, સંવેદનશીલ ખર્ચ અર્થવ્યવસ્થામાં આ અસર નોંધપાત્ર બની શકવા સાથે રાજ્યના ડિસ્કોમ્સમાં ટેરિફ શામેલ કરવામાં અને સરકારો પર સબસિડીનો ભાર ઘટાડવામાં મદદ કરશે.

અગાઉ ફરજિયાત એફજીડીના રીટ્રોફિટિંગનો આર્થિક બોજ રૂ. 2.5 લાખ કરોડથી વધુ અથવા મેગાવોટ દીઠ રુ.1.2 કરોડથી વધુ હોવાનો અંદાજ હતો, જેમાં યુનિટ દીઠ 45 દિવસની સ્થાપનાની સમયરેખા હતી. કેટલાક વીજ ઉત્પાદકોએ ચેતવણી આપી હતી કે આ માત્ર ખર્ચમાં વધારો નહીં કરે પણ પીક સીઝનમાં ગ્રીડની સ્થિરતાને પણ જોખમમાં મૂકી શકે છે.

ઔદ્યોગિક વર્તુળોએ કેન્દ્રના આ નિર્ણયને આવકારતા કહ્યું છે કે "આ એક તર્કસંગત,વિજ્ઞાન આધારિત પગલું છે જે બિનજરૂરી ખર્ચને ટાળીને જ્યાં સૌથી વધુ જરૂર છે,એવા નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે વીજળીને કીફાયતી રાખવામાં મદદ કરશે.એવો પ્રતિભાવ જાહેર ક્ષેત્રના યુટીલિટી ક્ષેત્રના વરિષ્ઠ એક્ઝિક્યુટિવએ આપ્યો હતો.

સરકાર પર્યાવરણીય સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે એમ ભારપૂર્વક જણાવતા અધિકારીઓએ ઉમેર્યું હતું કે અમારો અભિગમ હવે લક્ષ્યાંકિત, કાર્યક્ષમ અને આબોહવા સંતુલન-સભાન છે.

આ તારણોને સમાવિષ્ટ કરતું એક સોગંદનામું ટૂંક સમયમાં એમસી મહેતા વિ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે કે જ્યાં એફજીડીના અમલીકરણની સમયરેખા ન્યાયિક ચકાસણી હેઠળ છે.

Address

East Region

Opening Hours

Monday 08:30 - 23:00
Tuesday 08:30 - 23:00
Wednesday 08:30 - 23:00
Thursday 08:30 - 23:00
Friday 08:30 - 23:00
Saturday 08:30 - 23:00
Sunday 08:30 - 23:00

Telephone

+919904408938

Alerts

Be the first to know and let us send you an email when Live Update Page posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share